CIA ALERT

Slider Archives - Page 9 of 491 - CIA Live

May 20, 2026
societynews-1280x1040.jpg
3min409
  • કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદઘાટન
  • સરદાર સાહેબના પ્રતિમાનું ગૃહમંત્રી હર્ષ સંધવી કરશે અનાવરણ
  • સમાજના અગ્રણી જયંતીભાઈ બાબરીયા અને અમદાવાદથી રવજીભાઈ વસાણીના હસ્તે ભવનનું શુભ ઉદ્ઘાટન
  • ૧૦૦૦ વિદ્યાર્થીઓની સુવિધા સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ
  • શહેરના પ્રવેશ દ્વારે સરદાર સાહેબની પ્રતિમા અને 13 માળનું જમનામાં વિદ્યાર્થી ભવન બનશે સુરતની શાન
  • પુસ્તકાલય, ઇ-લાઇબ્રેરી અને વાંચનાલય સહિતની સુવિધાઓનું નિર્માણ થયું છે.
  • વિદ્યાર્થીઓને રહેવા-જમવા ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ છે.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઊર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયા અને નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ સાંસદ મુકેશ દલાલ, સાંસદ ભરતભાઈ સુતરીયા, સાંસદ મિતેશભાઇ પટેલ સહિત રાજસ્વી મહાનુભવોની ખાસ ઉપસ્થિતિ રહેશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે ૧૦૦૦ વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. ૪૨૫ બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત ૫૧ ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં ૫૦૦ દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.

તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારે સાંજે ૫ કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી શ્રી જયંતીભાઈ એકલેરા વાળા તથા અમદાવાદથી શ્રી રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમાજના અગ્રણીશ્રીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.

૨૦૨૧ માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.

આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.

સુરત ખાતે ગૌરવંતા જમનાબા વિદ્યાર્થી ભવનના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, કેશુભાઈ ગોટી, અગ્રણીશ્રી વસંતભાઈ ગજેરા, લાલજીભાઈ ટી પટેલ, અમદાવાદ થી ગુણવંતભાઈ સોજીત્રા, મગનભાઈ રામાણી, રાજકોટથી વિજયભાઈ ડોબરીયા, ચંદુભાઈ વિરાણી, અનુભાઈ તેજાણી, જયંતીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર અને દિનેશભાઈ કુંભાણી સહિત મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થળાંતર થયેલા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના અગ્રણીઓએ ચાર દાયકા પહેલા ૧૯૮૨ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. જે. આર. સવાણી સમૂહલગ્ન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રમુખ તરીકે સુરેશભાઈ જી. પટેલ અને પૂર્વ પ્રમુખ કે. ડી વાઘાણીએ સમાજનું નેતૃત્વ કરી સામાજિક પ્રવૃત્તિનો દોર ચાલુ રાખ્યો હતો. વર્તમાન સમયે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, ખજાનચી મનહરભાઈ સાસપરા અને ભવનના નિર્માણ માટે કાર્ય કરનાર શ્રી ધીરૂભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, જી. આર. આસોદરીયા તથા શ્રી નટુભાઈ ચોવટીયા વગેરે અગ્રણીશ્રીઓ સહીત વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ અને કાર્યકરો છે. સંસ્થામાં ખૂબ ઉદાર ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓએ આર્થિક સહયોગ આપ્યો છે. પરિણામે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ શરૂ થયું છે. નાના વ્યક્તિઓએ ભૂમિદાન પણ આપેલ છે. મહિલાઓએ એકવારનું દાન આપી મહિલા ટીમ પણ કાર્યરત બની છે. યુવા મિત્રો પણ સમાજ જાગૃતિ અને સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહથી કાર્યરત છે.

શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓની યાદી :
  1. ૧૦૦૦ વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. ૪૦,૦૦૦ છે.
  2. ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
  3. ૫૦ હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
  4. વિશાળ વાંચનાલય (સવારે ૬ થી રાત્રીના ૧ સુધી)
  5. ડીઝીટલ લાઈબ્રેરી
  6. ૪૨૫ બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
  7. ૩૦૦ બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
  8. કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
  9. સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર
  10. ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા,
    ૫૧ ફૂટની ઊચાઇએ રાષ્ટ્રધ્વજ લહેરાય છે.
  11. વિનામૂલ્યે પુસ્તક લઇ શકે તેવુ ખુલ્લુ પુસ્તકાલય.
  12. વિદ્યાર્થીઓ માટે જીમ અને યોગા સેન્ટર, પ્રાર્થનાહોલ
  13. AI રીસર્ચ લેબ
  14. ૭૦ બેઠકની ક્ષમતાવાળુ કોન્ફરન્સરૂમ.
  15. ૩૫ બેઠકની ક્ષમતાવાળો મીટીંગ હોલ
  16. હોસ્ટેલમાં દરેક માળે એક્ટીવીટીઝ રૂમ.
    ટૂંક સમયમાં શરૂ થશે.:
  17. ફેઝ (I) માં – પાટીદાર ગેલેરી તૈયાર થશે.
  18. ફેઝ (II) માં – કેન્ટીન વ્યવસ્થા થશે.
May 20, 2026
image-16.png
1min139

પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર 20 ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જોકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ 30 ટકા સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે.

કેન્દ્ર સરકારે અગાઉ 15 મે-2026ના રોજ આ અંગેની મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી BISએ પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે 22, 25, 27 અને 30 ટકા સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે.

આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહ્યું છે. આ નવા નિર્ણયથી મોટો ફાયદો એ છે કે, હવે અન્ય દેશો પર ક્રૂડ ઓઈલની નિર્ભરતા, આયાત અને પ્રદૂષણ ઘટી શકશે. આ ઉપરાંત સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થશે. ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન (AIDA)ને પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

AIDAએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઈથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. AIDAના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે કહ્યું કે, ‘BIS દ્વારા E22થી E30 ફ્યૂલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ નિર્ણય આવનારા સમયમાં ભારતની ઊર્જા સુરક્ષા વધારશે.

May 20, 2026
image-15.png
1min104
  • રિલાયન્સ, એચડીએફસી બેન્ક ટોપ ૧૦૦ માંથી બહાર
  • ટેરિફ તથા યુદ્ધને કારણે આવેલા કરેકશનને પગલે દેશની કંપનીઓની માર્કેટ કેપમાં નોંધપાત્ર ધોવાણ

28મી ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઇરાન અને અમેરીકા-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ પછીની સ્થિતિમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વ સ્તરે પ્રથમ ૧૦૦ કંપનીઓમાં ભારતની એક પણ કંપની હાલમાં સ્થાન ધરાવતી નથી.

અમેરિકાના ટેરિફ તથા પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ભારતીય ઈક્વિટીમાં આવેલા કરેકશનથી ભારતની જાણીતી કંપનીઓની માર્કેટ કેપમાં નોંધપાત્ર ધોવાણ થયું છે જેને પગલે તેઓ વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓની યાદીમાંથી બહાર નીકળી ગઈ હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.૨૦૨૫ના પ્રારંભમાં ભારતની ત્રણ કંપનીઓ રિલાયન્સ ઈન્ડ., ટીસીએસ તથા એચડીએફસી બેન્ક માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં સ્થાન ધરાવતી હતી.

રિલાયન્સ જે ૨૦૨૫ના પ્રારંભમાં પ્રથમ ૧૦૦ની યાદીમાં ૫૭મું અને ૨૦૨૬ના પ્રારંભમાં ૭૩મું સ્થાન ધરાવતી હતી તે આજે પાછળ ધકેલાઈને ૧૦૫માં સ્થાને પહોંચી ગઈ છે. એચડીએફસી બેન્ક જે ૨૦૨૫ના પ્રારંભમાં ૯૭માં ક્રમે હતી તે પણ આજે એકદમ પાછળ ધકેલાઈને ૧૯૦ના સ્થાને પહોંચી ગઈ છે.

ટોચની ૧૦૦ કંપનીઓની યાદીની બહારની કંપનીઓ જેમ કે ભારતી એરટેલ જે વર્તમાન વર્ષના પ્રારંભમાં ૧૬૪માં સ્થાને હતી તે આજે ૨૦૨માં સ્થાન પર આવી ગઈ છે. એસબીઆઈ આ ગાળામાં ૨૩૧માં સ્થાનેથી ૨૭૬માં સ્થાન પર આવી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

જો કે વૈશ્વિક સ્તરના ક્રમમાં ભારતની કંપનીઓમાં ૧૦૫માં ક્રમ સાથે રિલાયન્સ સૌથી આગળ છે, ત્યાર બાદ ૧૯૦માં ક્રમ સાથે એચડીએફસી બેન્ક માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની બીજી મોટી કંપની છે.

ટોચની પ૦૦ કંપનીઓમાં ૨૦૨૫માં ભારતની જે ૧૫ કંપનીઓ હતી તે સંખ્યા ઘટી હાલમાં ૧૩ સુધી આવી ગઈ છે. ભારતમાં જ ૧૦૦ અબજ ડોલર કે તેથી વધુની માર્કેટ કેપ સાથેની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વર્તમાન વર્ષમાં જે છ હતી તે હાલમાં ઘટી ત્રણ પર આવી ગઈ છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ તથા ટીસીએસ ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ સાથેની કંપનીઓમાંથી બહાર નીકળી ગઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે માર્કેટ કેપનો આધાર બજારની દૈનિક વધઘટ પર વધુ નિર્ભર રહેતો હોવાથી તેમાં સતત બદલાવ રહ્યા કરે છે.

May 20, 2026
image-14.png
2min71

ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ‘ઑલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ'(AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યાના અહેવાલો છે. દેશભરના 12.5થી 15 લાખ કેમિસ્ટ આ હડતાળમાં જોડાય રહ્યાના દાવો કરવામાં આવી રહ્યો છે. કેમિસ્ટ સંગઠનનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે. સાથે જ ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતાં દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. તાજેતરમાં દેશમાં રૂ.150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ હોવાથી સરકાર આ અંગે કડક કાયદો ઘડે તેવી મુખ્ય માંગ છે.

આ દેશવ્યાપી હડતાલને લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (CDSCO)ના અધિકારીઓએ જણાવ્યું કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોના સંગઠનોએ આ હડતાલથી અંતર રાખ્યું છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રિટેલ ફાર્મસી એસોસિએશન્સે લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ દવાઓની અછત સર્જાવા નહીં દે.

કેમિસ્ટ એસોસિએશનની સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ

AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવા વ્યાપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. આ હડતાલ પાછળ સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ છે:

  • 1. GSR 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.
  • 2. કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન (જેમ કે GSR 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.
  • 3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.

ગુજરાતમાં પણ ઓનલાઇન દવાના વેચાણ સામે અગાઉ અપાયેલા અલ્ટિમેટમ બાદ અમદાવાદ અને રાજ્યભરના કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે. ‘ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ના જણાવ્યા અનુસાર, આ બંધના કારણે સમગ્ર ગુજરાતમાં નાની-મોટી 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. એકલા અમદાવાદ શહેરમાં જ 3 હજારથી વધુ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ 6 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સના શટર અંધ રહેશે. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:

  • હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં દવાખાનાઓ કે હોસ્પિટલ પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવશે.
  • ગામડાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા: જે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો કે દવાખાના નથી, ત્યાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રાખવામાં આવશે.
  • સરકારી કેન્દ્રો ખુલ્લા રહેશે: દેશભરમાં તમામ ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો’ પર દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

જોકે, કર્ણાટકના કેટલાક ભાગોમાં 20 હજારથી વધુ કેમિસ્ટ અને મધ્ય પ્રદેશના ૫૨ જિલ્લા સંગઠનો આ બંધમાં સક્રિય હોવાથી ત્યાં મોટી અસર જોવા મળી શકે છે. તેલંગાણા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જનતા માટે એડવાઇઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર કર્યા છે તેમજ એપોલો અને મેડપ્લસ જેવા કોર્પોરેટ સ્ટોર્સને ફરજિયાત ખુલ્લા રહેવા આદેશ આપ્યા છે. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેમિસ્ટોની વાજબી ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની કાળાબજારી કે કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.

May 19, 2026
jay-dalal.png
1min253

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.

જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.

બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.

May 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min69

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો અને યુદ્ધની દહેશત વચ્ચે આજે તા.18મી મે 2026ને સોમવારે વૈશ્વિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો છે. અમેરીકાના ડાઉ જોન્સથી લઇને જાપાનના નિક્કેઇ અને ભારતના સેન્સેક્સ નિફ્ટી સમેત દુનિયાનું કોઇ એવું શેરબજાર નથી જે આજે પ્લસમાં હોય. તમામ શેરબજારો એટલા માટે ક્રેશ થાય છે કેમકે ફરીથી અમેરીકા અને ઇરાન વચ્ચે યુદ્ધની ભીંતી સેવાય રહી છે.

દુનિયાભરના શેરબજારો ફરી એકવાર ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. તેલના કુવા અને ન્યૂક્લિયર પ્લાન્ટ પર સતત થઈ રહેલા હુમલા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ધમકીઓના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધીના બજારોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે યુએસ શેરબજારો (US Stock Market) મોટી ગિરાવટ સાથે બંધ થયા હતા, જ્યારે આજે તા.18મી મે 2026ને સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ખુલતાની સાથે જ એશિયન શેરબજારોમાં ભારે કોહરામ મચી ગયો છે.

હોર્મુઝ સંકટ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) નો ભાવ પ્રતિ બેરલ $111 ની સપાટીને વટાવી ગયો છે. વધતી જતી ઉર્જા કટોકટી અને મોંઘવારીના ભયથી બ્રિટન, જાપાન અને હોંગકોંગ સહિતના તમામ મોટા દેશોના શેરબજારોમાં રોકાણકારો વચ્ચે નાસભાગ મચી ગઈ છે. તમામ મોટા ઇન્ડેક્સ લાલ રંગના નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે અને અબજો ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું છે.

વૈશ્વિક મંદી અને કડાકાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય બજાર માટે અતિ મહત્ત્વનો સંકેત ગણાતો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) 18 મે 2026ને સોમવારે સવારે ખુલતાની સાથે જ ગગડી ગયો હતો. સમાચાર લખાયા ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી આશરે 195 પોઈન્ટ ના મોટા ગાબડા સાથે 23550 ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. સામાન્ય રીતે ગિફ્ટ નિફ્ટીમાં આવો મોટો ઘટાડો સ્થાનિક બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) માટે પણ ભારે કડાકાના સંકેતો આપે છે. નિષ્ણાતોના મતે મોંઘા થઈ રહેલા ક્રૂડ ઓઈલના કારણે આગામી દિવસોમાં ભારતીય બજાર પર દબાણ વધુ વધી શકે છે.

May 18, 2026
image-13.png
1min140

IPL 2026 Playoff, PBKS vs RCB : ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આઈપીએલ 2026ના પ્લેઑફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રવિવારે ધર્મશાલામાં રમાયેલા રોમાંચક મુકાબલામાં આરસીબીએ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને ટોપ-4 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આઈપીએલ 2026માં અત્યાર સુધી 13માંથી 9 મેચ જીત્યા બાદ બેંગલુરુએ પ્લેઑફની ટિકિટ મેળવી લીધી છે. ગ્રુપ સ્ટેજમાં બેંગલુરુની છેલ્લી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

બીજી તરફ, સતત 6 હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબ કિંગ્સ તેની છેલ્લી મેચ જીતીને પણ ગ્રુપ સ્ટેજમાં માત્ર 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. પંજાબ કિંગ્સની આ હારથી ભલે કેપ્ટન શ્રેયસ અય્યરની ચિંતા વધી હોય, પરંતુ આ પરિણામથી બીજી બે ટીમોને જબરદસ્ત ફાયદો થયો છે.

બેંગલુરુ સામે પંજાબની હાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે પ્લેઑફમાં પહોંચવાની તક વધી ગઈ છે. આ પરિણામથી ખાસ કરીને ચેન્નાઈને મોટો ફાયદો થયો છે. ચેન્નાઈના ખાતામાં હાલમાં 12 પોઈન્ટ છે અને તેની બાકી બચેલી બંને મેચ જીતીને તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પંજાબ છેલ્લી મેચ જીતીને પણ મહત્તમ 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકતી હોવાથી હવે ટોપ-4ની રેસમાં પંજાબ પાછળ ધકેલાઈ ગયું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને નવી લાઈફ લાઈન મળી ગઈ છે.

પ્લેઑફની રેસમાં અત્યાર સુધીના સમિકરણ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આશા હજુ જીવંત છે, પરંતુ તેમને આગળ વધવા માટે કોઈ ચમત્કારની જરૂર છે. આવી સ્થિતિમાં પ્લેઑફની બાકી બચેલી 3 સીટો માટે હવે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એમ 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. હાલના તબક્કે બેંગલુરુ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આઈપીએલ 2026માં આગામી બે-ત્રણ દિવસ ખૂબ જ રોમાંચક રહેશે અને દરેક મેચના પરિણામ સાથે પ્લેઑફનું સમીકરણ સતત બદલાતું જોવા મળશે.

May 17, 2026
image-12-1280x720.png
1min117

દેશમાં સતત વધી રહેલા આયાત બિલ પર નિયંત્રણ મેળવવા અને કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ મજબૂત કરવા માટે સરકારે સોના બાદ હવે ચાંદી પર પણ મોટો નિર્ણય લીધો છે. સરકારે ચાંદીની આયાતને ‘મુક્ત’ શ્રેણીમાંથી હટાવીને ‘પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવેથી ચાંદીની આયાત કરવા માટે સરકારી લાયસન્સ લેવું ફરજિયાત બનશે.

આ અગાઉ સરકારે ગત 13 મેના રોજ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી હતી, જ્યારે પ્લેટિનમ પર આયાત ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાના સંકટને કારણે વધી રહેલા ખર્ચને રોકવા અને બિનજરૂરી આયાત ઘટાડવા આ પગલું લેવાયું છે.

આ ઉપરાંત, સરકાર દ્વારા સોનાની આયાત પર પણ કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય (DGFT) ના આદેશ અનુસાર, હવેથી સોનાની આયાત માટેની એડવાન્સ મંજૂરી મહત્તમ 100 કિલોગ્રામની મર્યાદાને આધીન જ આપવામાં આવશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત એડવાન્સ મંજૂરી માટે અરજી કરશે, તો તેની પ્રોડક્શન યુનિટની ફરજિયાત ફિઝિકલ ચકાસણી કરવામાં આવશે.

સરકાર દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયો પાછળ તાજેતરમાં સોના-ચાંદીની આયાતમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ ભારતની સોનાની આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી, જ્યારે ચાંદીની આયાતમાં 157.16 ટકાનો બમ્પર ઉછાળો આવતા તે 41.1 કરોડ ડોલર થઈ ગઈ હતી. આ સિવાય, નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની કુલ આયાત મૂલ્યની દૃષ્ટિએ 24 ટકા વધીને 71.98 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ હોવાને કારણે સરકારે આ આકરા નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.

May 17, 2026
image-11.png
1min190

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.

આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

May 17, 2026
image-10.png
1min79

અમદાવાદ ના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો સેવાઓનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આગામી સોમવારથી નવા સમયપત્રકનો અમલ થશે.

રાજ્ય સરકારની અપીલ અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધી દોડશે. જાહેર પરિવહનને (Public Transport) વધુ પ્રોત્સાહન આપવા અને મોડી રાત્રે મુસાફરી કરતા નોકરિયાતો તેમજ નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લી ટ્રેનનો સમય 11 વાગ્યા સુધી વધારી દેવાયો

વસ્ત્રાલ ગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે ઉપડતી હતી. જેને હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાઈ છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. એપીએમસીથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10.10 વાગ્યે ઉપડતી હતી, જેને હવે 11.10 વાગ્યા સુધી જયારે કોટેશ્વરથી એપીએમસી જતી છેલ્લી ટ્રેનનો સમય પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી વધારી દેવાયો છે.

ઇંધણ બચાવવા સરકારન નિર્ણય

કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન અગાઉ સાંજે 7.43 વાગ્યે હતી, જેને હવે રાત્રે 9.20 વાગ્યા સુધી લંબાવાઈ છે. તે જ રીતે મહાત્મા મંદિરથી કોટેશ્વર અને એપીએમસી જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 9 વાગ્યે ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી અપડાઉન કરનારા તેમજ વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને ફાયદો થશે. ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વસ્ત્રાલગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રિના 10 કલાકે ઊપડતી હોય છે. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વસ્ત્રાલ ગામથી ઉપડીને થલતેજ ગામ જશે. તો થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે.

એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 10:05 કલાકે ઊપડતી હતી. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.