CIA ALERT

Slider Archives - Page 9 of 484 - CIA Live

February 28, 2026
image-34.png
1min66

Dubai Suspends All Flight: મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જોર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા US મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવર-જવર બંધ કરાઈ છે. મધ્ય-પૂર્વના ઘણાં દેશોમાં વિમાનસેવા પ્રભાવિત, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના અપાઈ છે.

દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પરની તમામ ફ્લાઈટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટ્સે તેની સલાહકારમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, ‘અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.’

February 28, 2026
image-33.png
1min101

સોરઠની શાન કહેવાતા સાવજના મોતના આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં, રાજ્યમાં ૨૫૫ પુખ્ત નર સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ બચ્ચા છે. એટલે કે અંદાજે 891 સિંહ છે. જોકે, વસ્તીની વિગતોની સાથે, મૃત્યુદરના આંકડાઓએ ચિંતા જગાવી છે. વર્ષ ૨૦૨૪ અને જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે, ગુજરાતમાં કુલ ૩૨૨ સિંહ, સિંહણ અને બચ્ચાના મૃત્યુ નોંધાયા હતા.

વર્ષ પ્રમાણે વિગતવાર આંકડા જોઈએ તો ૨૦૨૪માં કુલ ૧૬૫ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૩૯ મૃત્યુને અકુદરતી ગણવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૫માં રાજ્યમાં ૧૪૮ સિંહના મૃત્યુ નોંધાયા હતા, આમાંથી ૨૨ મૃત્યુ અકુદરતી તરીકે નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી ૨૦૨૬માં પહેલા મહિનામાં જ ૯ સિંહના મૃત્યુ નોંધાયા હતા, જેમાં ૩ મોત અકુદરતી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી અને અકુદરતી બંને કારણોસર નોંધપાત્ર સંખ્યામાં સિંહોના મૃત્યુ થયા છે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન, કુલ 28 સિંહ, 28 સિંહણ અને 68 બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.

2025 માં, કુદરતી મૃત્યુમાં 28 સિંહ, 38 સિંહણ અને 55 બચ્ચાનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2026 માં (31 જાન્યુઆરી સુધી), બે સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચા કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા.અકુદરતી મૃત્યુની વાત કરીએ તો, 2024માં 12 સિંહ, 19 સિંહણ અને 11 બચ્ચા નોંધાયા હતા, જ્યારે 2025 માં આ આંકડો ચાર સિંહ, પાંચ સિંહણ અને 11 બચ્ચા હતો. જાન્યુઆરી 2026 માં, એક સિંહ અને બે સિંહણ અકુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, આ સમયગાળા દરમિયાન કોઈ બચ્ચાના મૃત્યુની જાણ થઈ નથી.

બીજી બાજુ સિંહોના અકુદરતી મૃત્યુને રોકવા માટે વન વિભાગ ઘણા અલગ અલગ પગલાં લે છે. અત્યાધુનિક મેડિકલ સારવાર, એમ્બ્યુલન્સ, વાઈલ્ડ લાઈફ ટ્રીટમેન્ટ સેન્ટર બનાવવામા આવ્યા છે.

આ સાથે રેડિયો કૉલર સહિતની ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે. અકસ્માતો રોકવા માટે સ્પીડ બ્રેકર્સ, કૂવા આસપાસ સંરક્ષણ દિવાલો, રાજુલા-પીપાંવાવ રેલવે ટ્રેક પાસે ચેઈન લિંક ફેન્સિંગ જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારે જણાવ્યું હતું કે તે ગુજરાતમાં સિંહના અકુદરતી મૃત્યુ ઘટાડવા અને તેમને સુરક્ષિત રાખવા માટે ટેકનોલોજી-આધારિત મોનિટરિંગ, તબીબી સેવાઓ અને જનજાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

February 28, 2026
image-32.png
1min62
  • દિલ્હીની દારૂ નીતિમાં ફેરફાર કૌભાંડ હોવાનો કોર્ટનો ઈનકાર
  • દારૂ કૌભાંડમાં કાવતરાંની થીયરી માત્ર અનુમાન આધારિત, કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ જ નથી : ટ્રાયલ કોર્ટ

દેશભરમાં બહુ ગાજેલા આપ સરકારના કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીની કોર્ટે શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને અન્ય ૨૧ને નિર્દોષ છોડી મૂક્યા હતા. દિલ્હી કોર્ટે રાજ્યની દારૂ નીતિમાં ફેરફારથી આપ સરકાર દ્વારા કથિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સીબીઆઈના આરોપોને નકારી કાઢ્યા હતા. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સીબીઆઈ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. ઉલટાનું આ કેસની તપાસ કરનારા સીબીઆઈ અધિકારી સામે આંતરિક તપાસનો કોર્ટે નિર્દેશ આપ્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટના આ ચુકાદા સામે સીબીઆઈએ તાત્કાલિક દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે.

સીબીઆઈએ જે કથિત દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત અનેક મોટા નેતાઓને મહિનાઓ સુધી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા તે કેસમાં શુક્રવારે કોર્ટમાં સીબીઆઈના ધજાગરા ઊડી ગયા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ કોર્ટેના ન્યાયાધીશ (પીસી એક્ટ) જિતેન્દ્ર સિંહે સીબીઆઈની ઝાટકણી કાઢતા બધા જ ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. સીબીઆઈનો કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ નથી. કોઈના વિરુદ્ધ પ્રથમ દૃષ્ટીએ આ કેસ બનતો જ નથી. દાદરૂ નીતિમાં કોઈ વ્યાપક કાવતરું અથવા ગુનાઈત ઈરાદો નહોતો.

આ કથિત દારૂ કૌભાંડના આક્ષેપોના પગલે જ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ છોડવું પડયું હતું અને છ મહિના જેલમાં પસાર કરવા પડયા હતા જ્યારે મનીષ સિસોદિયાએ લગભગ બે વર્ષ જેલમાં કેદ રહેવું પડયું હતું. અને આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે સરકાર ગુમાવી હતી. કોર્ટે છોડી મૂકેલા ૨૩ આરોપીઓમાં અરવિંદ કેજરીવાલ અને ન્યાબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત વિજય નાયર, તેલંગણા જાગૃતિનાં અધ્યક્ષ, પૂર્વ સાંસદ અને તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાનો પણ સમાવેશ થાય છે.

વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે તપાસમાં થયેલી ભૂલો માટે સીબીઆઈની ઝાટકણી કાઢતા કહ્યું કે, કેજરીવાલ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહોતા જ્યારે સિસોદિયા વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ જ નહોતો બનતો. છતાં કેટલાક ભ્રામક કથનો પર ભાર આપવામાં આવ્યો. સીબીઆઈના આરોપનામામાં અનેક ખામીઓ છે, જેમની પુષ્ટી પુરાવા અથવા સાક્ષીઓ સાથે થતી નથી. આરોપનામામાં પણ આંતરિક વિરોધાભાસ છે, જે કાવતરાંની થિયરીના મૂળ પર પ્રહાર કરે છે. કેજરીવાલને કોઈપણ આરોપ વિના ફસાવાયા હતા.

સીબીઆઈએ કહ્યું કે, નવી દારૂ નીતિ મારફત મોટું ગુનાઈત કાવતરું રચાયું હતું, જેમાં પસંદગીના લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો અને તેના બદલામાં લાંચ લેવામાં આવી હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે, રેકોર્ડ પર કોઈ વ્યાપક કાવતરું અથવા ગુનાઈત અંશોના નક્કર પુરાવા નથી. ફરિયાદ પક્ષની કાવતરાંની થીયરી માત્ર અંદાજ પર આધારિત છે. માત્ર આશંકાઓ અને કથિત કડીઓ જોડવાથી ગુનાઈત કાવતરું સ્થાપિત થઈ શકે નહીં. સીબીઆઈએ રજૂ કરેલા પુરાવાઓના આધારે એફઆઈઆર પણ નોંધાઈ શકે નહીં. કોર્ટે સીબીઆઈના આરોપનામાને અત્યંત નબળું ગણાવ્યું હતું.

કોર્ટમાં સીબીઆઈએ ચાર્જશીટમાં નોંધાયેલ કથિત ગેરવહીવટ, બેઠકો અને લેવડ-દેવડના આધારે આરોપ નિશ્ચિત કરવાની માગ કરી હતી. જોકે, કોર્ટે કહ્યું કે, ૨૩માંથી કોઈપણ આરોપી વિરુદ્ધ આરોપ ઘડવા લાયક પુરાવા નથી. સીબીઆઈનો કેસ ન્યાયિક તપાસમાં ટકતો નથી. કોર્ટે કહ્યું કે, અપ્રુવરના નિવેદનોથી તપાસની ખામીઓ દૂર કરવા અને નવા લોકોને આરોપી બનાવવા ખોટું છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ બંધારણીય સિદ્ધાંતોનો ગંભીર ભંગ હોઈ શકે છે. તેને સ્વીકારવામાં આવે તો તે ન્યાય પ્રક્રિયા માટે જોખમી ઉદાહરણ બની શકે છે.

દિલ્હીમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા પછી તુરંત સીબીઆઈ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે. તપાસ એજન્સીનું માનવું છે કે ટ્રાયલ કોર્ટે તપાસના અનેક મહત્વપૂર્ણ પાસાઓની અવગણના કરી છે અથવા તેના પર વિચાર નથી કર્યો.

દિલ્હીમાં કથિત એક્સાઈઝ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ૨૩ આરોપીઓને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. આ ચુકાદાથી કેજરીવાલ સહિતના આરોપીઓને માત્ર આંશિક રાહત મળી છે. તેમની સામે આ જ કેસના સંદર્ભમાં હજુ મની લોન્ડરિંગનો ઈડીનો કેસ ચાલુ છે. કેજરીવાલ સામે ઈડીનો આ કેસ હજુ પેન્ડિંગ છે. દિલ્હીમાં રાઉઝ એવન્યુ કોર્ટના ચૂકાદા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલો તેમનો મની લોન્ડરિંગનો કેસ ‘સ્વતંત્ર’ તપાસ પર આધારિત છે. તેમની પાસે આ અંગેના વિશ્વસનીય પુરાવા અને વિવિધ કંપનીઓની જુબાનીઓ પર આધારિત છે. બીજીબાજુ કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે સીબીઆઈના કેસમાં નિર્દોષ છૂટવાની સકારાત્મક અસર ઈડીના કેસ પર પણ પડી શકે છે, કારણ કે ઈડીનો સંપૂર્ણ કેસ સીબીઆઈની એફઆઈઆર પર જ આધારિત હોય છે. મુખ્ય ગુનામાં કોઈ કાવતરું સાબિત ના થાય તો મની લોન્ડરિંગનો કેસ પણ નબળો થઈ શકે છે.

February 27, 2026
image-30-1280x853.png
5min77

આફ્રિકન દેશ ઘાનાની એક સપ્તાહની મુલાકાત બાદ સુરત પરત ફરેલા સુરતના ઉદ્યોગકારોને ઘાના દેશમાં ચોખા સપ્લાયથી લઇને ફેરી સર્વિસ શરૂ કરવા તેમજ ટેક્ષટાઇલ મશીનરીના વેચાણથી લઇને સોનાના ટ્રેડીંગ સુધીના ક્ષેત્રોમાં વ્યાપારની અનેક તકો માટે મહત્વની લીડ મળી હોવાનું જણાવ્યું હતું. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ ઘાના ગયેલા સુરતના 13 ઉદ્યોગકારોના ડેલિગેશને જણાવ્યું કે આફ્રિકા ખંડમાં આવેલા 54 દેશો સુધી પહોંચવા માટે ઘાના મહત્વનો ગેટ-વે સાબિત થઇ શકે તેમ છે.

સુરતના ઉદ્યોગપતિઓને ડેલિગેશનને લઇને ઘાના ગયેલા ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, નવા રોકાણની તકો શોધવાનો અને વૈશ્વિક સ્તરે વ્યાપારિક સહકારને પ્રોત્સાહન આપવાનો હતો. સુરતના ઉદ્યોગપતિઓને ઘાનામાં ઇજનેરી, ટેક્સટાઇલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, સોના અને હીરા, ઓટોમોબાઇલ, હેવી માઇનિંગ ઇક્વિપમેન્ટ, આઈસીટી (ICT) અને હાઇજીન પ્રોડક્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યાપારની મહત્વની લીડ મળી છે અને હવે તેના પર બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વ્યાપારને અંતિમ ચરણમાં લઇ જવા સુધીની વાટાઘાટો શરૂ થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલ મદ્રાસીએ જણાવ્યું કે ચેમ્બર ઓફ કોમર્સની આ ટૂરને પગલે ભારત અને આફ્રિકાના આ બંને દેશો સાથે વેપાર અને રોકાણના નવા માર્ગો ખુલશે તથા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તકો પ્રાપ્ત થશે. આ તમામ ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં કાર્યરત છે અને તેઓએ આ આંતરરાષ્ટ્રીય ડેલિગેશનમાં ભાગ લઈને વૈશ્વિક સ્તરે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો પ્રયાસ કર્યો હતો. 

ઘાના ટૂરમાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિઓ ઉદ્યોગપતિઓમાં શૈલેષ બાબુભાઇ ઢોલા, મયુર અગ્રવાલ, વિકાસ સુરેન્દ્ર ગડિયા, અક્ષર મિયાની અને હાર્દિક વસાની, જૈનમ શાહ, હેમલતા લોહાર, વિનોદરાય વત્સભાઇ રન્ક અને ચિંતન અરવિંદભાઈ રન્ક, વરૂણ કોન્ટ્રાકટર, લાલજીભાઇ કથિરિયા અને દેવ બાબરિયા અને રાજબહાદુર શર્માનો સમાવેશ થાય છે.

આ ઉદ્યોગપતિઓ ઇજનેરી, ટેક્સટાઇલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, સોના અને હીરા, ઓટોમોબાઇલ, હેવી માઇનિંગ ઇક્વિપમેન્ટ, આઈસીટી (ICT) અને હાઇજીન પ્રોડક્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી જોડાયેલા હતા. આ મુલાકાતને કારણે ભારત અને આફ્રિકાના આ બંને દેશો સાથે વેપાર અને રોકાણના નવા માર્ગો ખુલશે તથા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તકો પ્રાપ્ત થશે. આ તમામ ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં કાર્યરત છે અને તેઓએ આ આંતરરાષ્ટ્રીય ડેલિગેશનમાં ભાગ લઈને વૈશ્વિક સ્તરે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો પ્રયાસ કર્યો હતો.

કોનંગો મુલાકાત – 16 ફેબ્રુઆરી 2026 (DAY 01)

ચેમ્બરના પ્રતિનિધિમંડળની પ્રથમ મુલાકાત ઘાનાના કોનંગો શહેરમાં યોજાઈ હતી, જ્યાં Ebenezer Ekow Aidoo, મેયર – Asante Akim Central Municipal Assembly સાથે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન મેયર કચેરી અને બે રોયલ કચેરીઓ (સત્તાધિકારીઓ) સાથે આવક, રોકાણ અને જાહેર કલ્યાણ તેમજ જમીન ફાળવણી, જાળવણી અને લેન્ડ બેંક વિકાસ સંદર્ભે ચર્ચા થઇ હતી. ચેમ્બરના પ્રતિનિધિમંડળે પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસની પણ મુલાકાત લીધી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ દક્ષિણ ગુજરાત અને ભારતના મજબૂત ઉદ્યોગ માળખા તથા બિઝનેસ ઇકોસિસ્ટમ વિશે માહિતી આપી હતી. મ્યુનિસિપલ નેતૃત્વ દ્વારા ચેમ્બરના પ્રતિનિધિમંડળે રોકાણકારોની સુરક્ષા, વ્યવસાય કરવા માટે સરળ પ્રક્રિયા (Ease of Doing Business), માઇનિંગ અને કૃષિ ક્ષેત્રે મજબૂત સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી હતી. મેયર Ebenezer Ekow Aidooએ સુરત શહેર સાથે “ટ્વિન સિટી એગ્રીમેન્ટ” કરવાની પ્રસ્તાવના મૂકી હતી.

કોનંગો ઇન્વેસ્ટમેન્ટ ફોરમ

મેયર કચેરી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ ફોરમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રતિનિધિમંડળના સન્માન સ્વરૂપે માનનીય સાંસદ દ્વારા 50 સ્થાનિક મહિલાઓને સ્વરોજગાર માટે સિલાઈ મશીનો, હેર ડ્રાયર્સ, દોરા (યાર્ન) અને જરૂરી સાધનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત, Kwame Anyimadu-Antwi, સભ્ય સંસદ દ્વારા ભવિષ્યમાં સહકાર આપવા વિશ્વાસ આપવામાં આવ્યો હતો. ચીફ ઇમિગ્રેશન ઓફિસર (વીસા અને રહેણાંક સુવિધા) તથા ચીફ ઓફ પોલીસ (સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ખાત્રી) સાથે પણ ચર્ચાઓ યોજાઈ હતી.

કુમાસી મુલાકાત

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે કુમાસી પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં 20થી વધુ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) બેઠકો યોજાઈ હતી, જેમાં બંને પક્ષે વ્યવસાયિક તકો અંગે સીધી ચર્ચા થઇ હતી. બંને ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ભવિષ્યમાં સહકાર વધારવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવાની સંમતિ આપવામાં આવી હતી.

અક્રા ખાતે બેઠકો – 17 ફેબ્રુઆરી 2026 (DAY 02)

ઘાનાની રાજધાની અક્રામાં Ghana Free Zones Authority (GFZA) ના વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં SGCCIના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા પણ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્ય સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં ઘાના ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેન્ટર ના પ્રતિનિધિ, ફુડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી (FDA)ના પ્રતિનિધિ, ઘાના રેવન્યુ ઓથોરિટીના પ્રતિનિધિ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થના પ્રતિનિધિ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટના પ્રતિનિધિ, ગોલ્ડ બોર્ડના ડેપ્યુટી ડિરેકટર, ઘાના એગ્રીકલ્ચર બોર્ડના ડિરેકટર, ઘાના ઇમીગ્રેશન વિભાગના ડિરેકટર અને ઇન્ફ્રા એન્ડ પોર્ટ ડેવલપમેન્ટના ડેપ્યુટી ડિરેકટરનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રોકાણ ઝોન (Investment Zones) અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગોલ્ડ ટ્રેડ માટે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા ઘાનામાં બિઝનેસ સ્થાપવા સંબંધિત તમામ પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટ અને વ્યાપક માહિતી પ્રાપ્ત થઈ, જેના કારણે પ્રતિનિધિમંડળમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધ્યો હતો.

B2B બેઠકો અને ચેમ્બર ઇન્ટરેકશન – 18 ફેબ્રુઆરી 2026 (DAY 03)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે અક્રાના વિવિધ સ્થળોએ અનેક B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) બેઠકો કરી હતી. ઘાના ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે મુલાકાત કરી હતી, જેમાં ચેમ્બરના પ્રતિનિધિમંડળે Kwabena Ekremet (પ્રમુખ), David Brian Obro (ચેરમેન), Stephen Kwaku Darku (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) સાથે બેઠક કરી વ્યાપારિક જોડાણો સુલભ બનાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Jospong Group of Companiesની મુલાકાત

1995માં સ્થાપિત Jospong Group ઘાનાનું અગ્રણી કોન્ગ્લોમરેટ છે, જેના 15 ક્ષેત્રોમાં 75થી વધુ સહાયક કંપનીઓ કાર્યરત છે. આ ગ્રુપ આફ્રિકા ભરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, રોજગાર સર્જન અને ઇનોવેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ લોકોના જીવનમાં સુધારો લાવવાનો અને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપવાનો છે. આ ગ્રુપ દ્વારા તેમના નેતૃત્વ ટીમ સાથે વિશિષ્ટ ઉચ્ચસ્તરીય B2B બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં Samanjith Udumalagala (ગ્રુપ CEO), Haider Said (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર), Akisi (ચીફ માર્કેટિંગ ઓફિસર), Ansar Ahmed Khan (મેનેજિંગ ડિરેક્ટર) અને Bright Kwabena Ofori (સ્પેશિયલ એઇડ)નો સમાવેશ થાય છે. આ બેઠક દ્વારા SGCCIના પ્રતિનિધિઓને ઘાનાના સૌથી મોટા ઉદ્યોગ સમૂહોમાંના એક સાથે સીધી ચર્ચા કરવાની અને સહકારની તક મળી હતી.

વિવિધ બેઠકો – 19 ફેબ્રુઆરી 2026 (DAY 04)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે ચોથા દિવસે ઘાના સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટીના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી, જેમાં પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ, સર્ટિફિકેશન અને લાઇસન્સિંગ અંગે ચર્ચા કરી હતી. ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેઠક કરી હતી, જેમાં બંને ચેમ્બરો વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને સભ્યથી સભ્ય વ્યાપારિક સહકાર પર વિશેષ ભાર મુકાયો હતો. ત્યારબાદ ઘાના ગોલ્ડ બોર્ડ સાથેની બેઠકમાં ગોલ્ડ લાઇસન્સિંગ અને કામગીરીની પદ્ધતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ઘાના સ્થિત ભારતીય દુતાવાસના વી. એન. પરમેશ્વરણ (Chargé d’Affaires) સાથે મુલાકાત કરી હતી, જેમાં વેપાર, શૈક્ષણિક વિનિમય અને સાંસ્કૃતિક સહકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, PwCની સુશ્રી Aisha Bedewiએ ઘાનાના બિઝનેસ અને રોકાણ વાતાવરણ અંગે માહિતી આપી હતી. તેમણે વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઊભરી રહેલી તકો દર્શાવી ચેમ્બરના પ્રતિનિધિમંડળને માર્ગદર્શન આપ્યું હતું.

આ તમામ બેઠકો અને મુલાકાતો દ્વારા ચેમ્બરના પ્રતિનિધિમંડળને ઘાનાના બજાર, નીતિઓ અને ઉદ્યોગિક માળખા વિશે વ્યાપક સમજ મળી હતી, જે ભવિષ્યના વેપાર અને રોકાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મદીના ચેમ્બર ઓફ કોમર્સ મુલાકાત

ચેમ્બરના પ્રતિનિધિમંડળે મદીના ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લીધી હતી, જ્યાં ચેમ્બરના સભ્યો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને ચેમ્બરો વચ્ચે સહકારના વિવિધ માર્ગો અંગે ચર્ચાઓ થઈ હતી. બંને સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MoU હસ્તાક્ષર સમારોહ ઘાનાના મદીના મતવિસ્તારના સાંસદ Francis-Xavier Kojo Sosuની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

સંસદ ભવન મુલાકાત – 20 ફેબ્રુઆરી 2026 (DAY 05)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે ઘાનાના સંસદ ભવનની મુલાકાત લીધી હતી. જ્યાં પર્યાવરણ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર સાથે મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે સંસદની જીવંત (Live) કાર્યવાહી નિહાળી, જેના દ્વારા તેમને ઘાનાની કાનૂની અને વિધાનસભાકીય પ્રક્રિયા વિશે નજીકથી સમજ પ્રાપ્ત થઈ હતી.

કેન્યા મુલાકાત – 21 ફેબ્રુઆરી 2026 (DAY 06)

ચેમ્બરના પ્રતિનિધિમંડળે કેન્યાની મુલાકાત લીધી હતી. કેન્યામાં વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન (વન્યજીવન સંરક્ષણ) પહેલો, Giraffe Centre (જિરાફ નેશનલ પાર્ક), સસ્ટેનેબલ ટુરીઝમ અને સંરક્ષણ પદ્ધતિઓ વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

ઘાનાની બિઝનેસ મુલાકાત સંદર્ભે ઉદ્યોગ સાહસિકોના મંતવ્યો,

SGCCIના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલા
ચેમ્બરના પ્રતિનિધિમંડળનો ઘાના અને કેન્યા પ્રવાસ અત્યંત સફળ રહ્યો. આ પ્રવાસ દરમિયાન મજબૂત વ્યાપારિક જોડાણો સ્થાપિત થયા. વિવિધ ક્ષેત્રોમાં રોકાણની તકોની શોધખોળ થઈ. ચેમ્બર-ટુ-ચેમ્બર સંબંધો વધુ મજબૂત બન્યા. ઘાના ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મદીના ચેમ્બર ઓફ કોમર્સની સાથે MoU થયા. સીધી B2B બેઠકો દ્વારા વ્યવસાયિક જોડાણો શક્ય બન્યા. ઘાના પ્રત્યે એક આશાસ્પદ રોકાણ સ્થળ તરીકે વિશ્વાસ વધ્યો. આ મુલાકાતે ભારત અને આફ્રિકા વચ્ચે લાંબા ગાળાના વેપાર અને રોકાણ માટે મજબૂત પાયો મૂકી દીધો છે.

Nienum Gemsના સુશ્રી હેમલતા લોહાર
ઘાનાના ગોલ્ડ ટ્રેડ ઇકોસિસ્ટમ, નિયમનકારી માળખું અને પારદર્શક વ્યવસાય પ્રણાલી વિશે નજીકથી સમજ મેળવી. ઘાનાની ગોલ્ડ ક્ષેત્રમાં પારદર્શિતા, કંપ્લાયન્સ અને ટ્રેડ મિકેનિઝમ પર ભાર આંતરરાષ્ટ્રીય સહકાર માટે આશાસ્પદ છે. આશરે રૂ. 400 કરોડના વ્યવસાયની અપેક્ષા છે.

Detox Group of Companiesના શ્રી વરૂણ કોન્ટ્રાકટર
ઘાના ખાતે એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખૂબ જ મોટો અવકાશ છે, આથી આ ક્ષેત્રે રૂ. રપ૦થી ૩૦૦ કરોડનો બિઝનેસ પ્રોજેકટ મળવાની સંભાવના છે. ડિટોકસ ગૃપ આફ્રિકાના પ્રોજેકટ બાબતે વિચારી રહ્યું છે.

Kisuki Healthcare LLPના શ્રી મયુર અગ્રવાલ
અક્રામાં ભારતીય હાઇ કમિશન સાથે જોડાણ અને સ્થાનિક ભાગીદારોની વિશ્વસનીયતા ચકાસવાની માર્ગદર્શનથી વ્યવસાયમાં વિશ્વાસ વધ્યો. આ જોડાણથી નજીકના ભવિષ્યમાં આશરે રૂ. 150 કરોડ સુધીનો વ્યવસાય હાંસલ થવાની સંભાવના છે અને ઘાનામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની પણ યોજના છે.

Orange Corporationના શ્રી રાજબહાદુર શર્મા
હેવી એન્જિનિયરીંગ ઇક્વિપમેન્ટ અને માઇનીંગ સેકટર્સ માટે જરૂરી સાધનોની માંગનું અવલોકન કર્યું, જેથી આગામી દિવસોમાં ટ્રક માઉન્ટેટ સ્વિપિંગ મશીનમાં કુલ રૂ. ૧રપ કરોડનો બિઝનેસ મળવાની પુરેપુરી સંભાવના છે.

Purewellના શ્રી જૈનમ શાહ
ઇન્ફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ, આર.ઓ., અને વોટર પ્યુરિફિકેશનના પ્રોજેકટ હેઠળ રૂ. ૧૦૦ કરોડથી વધારે બિઝનેસ મળી રહેશે. સવિશેષ, કુમાસી તથા મદીના વિસ્તાર માટે આગામી દિવસોમાં ઘાના સરકાર ડેમ બનાવવાના આયોજનમાં પ્યોરવેલ કંપનીની ભાગીદારી અપેક્ષિત લાગી રહી છે.

Gadia Groupના શ્રી વિકાસ સુરેન્દ્ર ગડિયા
ઘાના ખાતે ઉચ્ચસ્તરીય સત્તાધિકારીઓ, મંત્રીઓ અને ચેમ્બરના હોદ્દેદારો સાથે સીધી મુલાકાતે લાંબા ગાળાના ઔદ્યોગિક જોડાણો મજબૂત કર્યા. માઇનિંગ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંપર્કો અને FMCG ક્ષેત્રમાં પૂછપરછથી ભવિષ્યમાં સતત વ્યવસાયની સંભાવના ઊભી થઈ છે. પરિણામે આશરે રૂ. 20 કરોડ જેટલા વાર્ષિક વ્યવસાયની સંભાવના છે.

Prayosha Impexના શ્રી અક્ષર મિયાની
ઘાના ખાતે વિવિધ બેઠકો ઉપયોગી રહી અને બિઝનેસ તકો વિષે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ. આગામી સમયમાં ફોલોઅપ બેઠકો અને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે જોડાણ થકી અંદાજે રૂ. 20 કરોડ જેટલા વ્યવસાયની સંભાવના છે.

Sunrise Internationalના શ્રી લાલજીભાઇ કથિરિયા અને શ્રી દેવ બાબરિયા
ઘાનાની મુલાકાત અત્યંત ફળદાયી અને વિવિધ તકોથી ભરપૂર રહી. ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભાગીદારી માટે ચર્ચાઓ શરૂ થઈ છે અને આગળ સંવાદ ચાલી રહ્યો છે. મુલાકાત દરમિયાન પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સાથે મજબૂત સંબંધો સ્થાપિત થતા ભવિષ્યમાં સહકારના નવા દ્વાર ખુલ્યા છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ નવી શરૂઆત સરળ બની. આશરે રૂ. 10 થી 15 કરોડ સુધીના વ્યવસાયની સંભાવના છે.

Volubit Lubricants Industriesના શ્રી શૈલેષ બાબુભાઇ ઢોલા
ઘાના એ ચાર દેશોને જોડતું વ્યાપારિક કેન્દ્ર બિંદુ છે, આથી ત્યાં ઓઇલ, લુબ્રિકન્ટ્‌સ જેવી પ્રોડકટમાં આશરે રૂ. ર૦ કરોડ સુધીનો બિઝનેસ મળવાની સંભાવના છે, આથી ઘાનામાં ચેનલ ડિસ્ટ્રીબ્યુશન કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. આગામી સપ્તાહમાં રૂ. ૩ કરોડનો ઓર્ડર મળવાની પુરેપુરી સંભાવના છે.

Litewave Healthcare Pvt. Ltd.ના શ્રી વિનોદરાય વત્સભાઇ રન્ક અને ચિંતન અરવિંદભાઈ રન્ક
ઘાના એ પશ્ચિમ આફ્રિકાનું કેન્દ્ર બિંદુ હોવાથી હાઇજીન પ્રોડકટ (ડાયપર, ટિશ્યુ) ક્ષેત્રે ત્યાં ખૂબ મોટું માર્કેટ છે, આથી આગામી દિવસોમાં હાઇજીન પ્રોડકટની વિસ્તરણ યોજના બનાવવાની દિશામાં આગળ વધીશું.

February 26, 2026
image-7.png
1min57

ભારતે (India) વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં અહીં ઝિમ્બાબ્વે (ZIMBABWE)ના બોલર્સની બોલિંગની જોરદાર ધુલાઈ કરી અને આ વખતના વર્લ્ડ કપના સૌથી ઊંચા ટોટલમાં નવો વિક્રમ રચી દીધો. ટીમ ઇન્ડિયાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 256 રન કર્યા અને વેસ્ટ ઇન્ડિઝના ઝિમ્બાબ્વે સામેના 6/254ના સ્કોરના વિક્રમને ઓળંગી લીધો હતો. ભારતની ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર તમામ છ બૅટ્સમેને ડબલ ડિજિટમાં રન કર્યા હતા અને એક કે એક કરતાં વધુ ફોર તથા સિક્સર ફટકારી હતી.

પાવરપ્લેમાં પાવર બતાડનાર અભિષેક શર્મા (પંચાવન રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (50 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ તિલક વર્મા (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ભારતની ઇનિંગ્સના ત્રણ મુખ્ય સિતારા હતા.

ભારતના 256 રનમાં સંજુ સૅમસન (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર), ઇશાન કિશન (38 રન, 24 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને સૂર્યકુમાર યાદવ (33 રન, 13 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

ભારતને 12 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ઝિમ્બાબ્વેના સાત-સાત બોલર ભારતને 256 રનનો રેકૉર્ડ-બે્રક સ્કોર કરતા રોકી નહોતા શક્યા. ખાસ કરીને બે ફાસ્ટ બોલર રિચર્ડ ઍન્ગેરવા (62 રનમાં એક વિકેટ) અને બ્રાડ ઇવાન્સ (બાવન રનમાં વિકેટ નહીં) સૌથી ખર્ચાળ બન્યા હતા.

February 26, 2026
cia_multi-1280x1045.jpg
1min166

આજે 26મી ફેબ્રુઆરી 2026ની સવારે સુરત નજીક હજીરા ખાતે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તર નિપ્પોન સ્ટીલના પરીસરમાં તોફાને ચઢેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારોએ જો ધાંધલ-ધમાલ અને તોડફોડ મચાવી તેના વિડીયો દાવાનળની જેમ સોશ્યલ મિડીયામાં વાઇરલ થયા હતા. દેશમાં જ નહીં પણ વિદેશોના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર સુરત નજીક હજીરાની કંપનીમાં મચેલી આ તોડફોડના વિડીયો પોસ્ટ થયેલો જોવા મળ્યા હતા.

કામદારો દ્વારા તોડફોડ કરવામાં આવી એ સ્થળ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટનું છે, જ્યાં લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો જોબવર્ક કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા બેથી ત્રણ દિવસથી કામદારો અને લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના ઉચ્ચાધિકારીઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. કામદારોની માગણી હતી કે તેમને સરકારી ધારાધોરણો અનુસાર મહેનતાણું તેમજ અન્ય ભથ્થા તથા સવલતો આપવામાં આવતી નથી. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે કામદારોએ હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે, મળતી માહિતી મુજબ લાર્સન એન્ડ ટોબ્રો મેનેજમેન્ટે કામદારોની વાતને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન આજે સવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં કામ કરવા પહોંચેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો તેમની કંપનીના મેનેજમેન્ટ તેમજ ઉચ્ચાધિકારીઓ પર રોષે ભરાયા હતા અને કંપની મેનેજમેન્ટ દ્વારા લાભો કાયમ માટે નહીં આપવામાં આવે તેવી દહેશતને પગલે ઉશ્કેરાયેલા કર્મચારીઓએ AMNS કંપનીના પ્લાન્ટમાં જ તોફાને ચઢ્યા હતા.

તોફાને ચઢેલા કામદારોની સમજાવટ થાય તે પહેલા તો મામલો એટલી હદે બિચક્યો હતો કે સેંકડો કામદારોએ તોડફોડ મચાવી મૂકી હતી. AMNS અને લાર્સન એન્ડ ટોબ્રો બન્ને કંપનીની સિક્યુરિટી ફોર્સ અને હજીરા પોલીસ પણ ગણતરીની મિનિટોમાં તોફાનના સ્થળે પહોંચી ચૂકી હતી. પરંતુ, તોફાને ચઢેલા કામદારો કોઇ વાત માનવા તૈયાર ન હતા. આવી સ્થિતિમાં હળવો બળ પ્રયોગ કરવામાં આવતા મામલો વધુ બગડ્યો હતો અને વિફરેલા કામદારોએ કંપનીની ઇમારતોને નુકસાન પહોંચાડવા ઉપરાંત પરીસરમાં પાર્ક કરાયેલી ગાડીઓની પણ ભારે તોડફોડ મચાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ કામદારોએ ઉતાર્યા હતા અને વ્હોટ્સએપ પર પોસ્ટ કર્યા હતા. જોતજોતામાં આ વિડીયો લોકલ સર્કલથી લઇને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર વાઇરલ થઇ ગયા હતા. વિદેશોમાં પણ સુરતની હજીરા સ્થિત AMNS કંપનીના પ્લાન્ટમાં કામદારોએ કરેલી તોડફોડના વિડીયોની ખાસ્સી ચર્ચા જાગી છે.

ઘટના કલાકો પછી સ્થિતિ સ્પષ્ટ થઇ હતી કે સુરત નજીક AMNSના પ્લાન્ટમાં તોડફોડ કરનારા કર્મચારીઓ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના હતા.

તોફાને ચઢેલા કામદારોનો રોષ ઠારવા L&T કંપનીએ લેબર કાયદાનો અમલ કરવાનું સ્ટેટમેન્ટ આપ્યું

હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં ભારે તોફાન મચાવનાર પોતાના કામદારોનો રોષ ઠારવા માટે આજે બપોર બાદ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીએ એક ઓફિશ્યલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. L&Tના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ વિભાગના હેડ એમ સેન્થિલકુમારના સહી સિક્કા સાથે જાહેર કરાયેલા ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે એવી જાહેરાત સાથે એ વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા શ્રમ સંહિતા સંદર્ભે નવી અધિસૂચનાઓ લાગૂ કરવામાં આવશે, એ તમામ અધિસૂચનાના તમામ નિયમો અને વિનિયમોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે.

AMNSમાં તોફાન થયાની અફવા ફેલાતા કંપનીએ સ્પષ્ટીકરણ આપ્યું

આજે સુરત નજીક હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ AMNSના હજીરા પ્લાન્ટમાં કામદારોએ ભારે તોડફોડ કરી હોવાના વિડીયો વાઇરલ થતાં એકલા ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં AMNS કંપનીની ભારે બદનામી થઇ હતી. સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા AMNS હજીરાના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે AMNS ઇન્ડીયાના હજીરા પ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટ પર લાર્સન એન્ડ ટોબ્રો કંપની દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઇ દેખાવો કર્યા હતા. L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાયેલા છે.

February 25, 2026
image-29.png
1min84
  • ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી
  • મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા જ્યારે ભૂમિને અલમ કહેવાય જેને જોડીને ‘કેરલમ’ નામ અપાયું છે

દક્ષિણના રાજ્ય કેરળને કેરલમ (કેરળમ) નામ આપવાની રાજ્યની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે.

કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, આવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભાષા મલયાલમ અને સંસ્કૃતિને લઇને બહુ જ સંવેદનશીલ છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને ટાળી દેત તો કોંગ્રેસ અને ડાબેરીઓ તેને ચૂંટણી મુદ્દો બનાવી શકે તેમ હતા.

નોંધનીય છે કે કેરળમાં મલયાલમ ભાષા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્યને કેરલમ જ કહેતા આવ્યા છે. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છે. મલયાલમ ભાષામાં કેરાનો અર્થ નારિયેળનું વૃક્ષ એવો થાય છે જ્યારે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છે. કેરળમાં નારિયેળનું ઉત્પાદન બહુ થતું હોય છે, જેને કારણે રાજ્યના આ મહત્વને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક રાજ્ય સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ભાષાઓના આધાર પર રાજ્યોનું ગઠન થઇ રહ્યું હતું ત્યારે મલયાલમ બોલનારાને માલાબાર, કોચીન અને ત્રાવણકોરને ભેળવીને એક નવુ રાજ્ય બનાવવામાં આવ્યું, તે સમયે જ અંગ્રેજી અનુવાદ કેરલા (કેરળ) કરી દેવાયો હતો. હવે આ કેરળમાંથી કેરલમ થઇ ગયું છે. હાલમાં રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઇ છે હવે કેરળ (નામ સંશોધન) બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્વારા કેરળની વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને પ્રતિભાવો લેવાશે બાદમાં સંસદમાં રજુ કરાશે. જોકે સંસદમાં રજુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી ગણાય છે.

February 25, 2026
image-28.png
1min177

MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel,Jugnu OTT પ્લેટફોર્મ્સ રાતોરાત બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

  1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)
  2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)
  3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)
  4. ફીલ (Feel)
  5. જુગનુ (Jugnu)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

February 23, 2026
image-27.png
1min84

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min100

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.