Slider Archives - Page 10 of 491 - CIA Live

May 5, 2026
image-2.png
1min242

દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ના અત્યાર સુધીના પરિણામોમાં બે રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે અને કેરળમમાં કોંગ્રેસ સમર્થિત UDF સરકારની રચના કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ TMCની કારમી હાર

જેમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસીની કારમી હાર થઇ છે. જેમાં સીએમ મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠક પરથી 15,114 મતથી હારી ગયા છે. તેમજ ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થઇ છે. જ્યારે કુલ 293 બેઠકમાંથી ભાજપને 199 બેઠક પર જીત મેળવી છે. તેમજ 08 બેઠક પર આગળ છે. જ્યારે ટીએમસી 69 બેઠક જીતી છે અને 11 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 2 બેઠક જીતી છે. જ્યારે લેફ્ટ 1 બેઠક અને અન્યના ફાળે 3 બેઠક ગઇ છે.

આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી

આ ઉપરાંત આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી છે. જ્યારે એક પર આગળ છે. કોંગ્રેસે 20 બેઠક જીતી છે અને એક પર આગળ છે. જ્યારે એઆઇયુડીએફ બે બેઠક જીતી છે જ્યારે અન્યના ફાળે 11 બેઠકો ગઇ છે.

પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે એક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 6 અને ટીવીકેને 3 બેઠકો મળી છે. તેમજ ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઇ છે. આમ, પુડુચેરીમાં એનડીએ સરકારની રચના કરશે.

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકે કિંગ બની

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકેએ બે મુખ્ય રાજકીય પક્ષ ડીએમકે અને એઆઇએડીએમકેને પછાડી દીધા છે. તેમજ ટીવીકે 104 બેઠક પર જીત મેળવી છે તેમજ 03 બેઠકો પર આગળ છે. જોકે, ટીવીકેને પૂર્ણ બહુમત માટે 118 બેઠકોની જરૂર છે. જ્યારે સત્તાધારી ડીએમકેએ 72 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે. જ્યારે એઆઇએડીએમકે એ 51 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે.

કેરલમમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતી

જ્યારે કેરલમમાં 140 બેઠકમાંથી કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતીને સત્તા મેળવી છે. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફએ 35 બેઠક જીતી છે. તેમજ એનડીએ માત્ર 3 બેઠક જીતી છે.

May 2, 2026
gst.jpg
1min229

  • ઇરાન યુદ્ધથી ક્રૂડનાં ભાવ વધ્યા છતાં એપ્રિલમાં જીએસટી કલેક્શન 8.7 ટકાનો વધારો
  • અગાઉનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં રૂ. 2.23 લાખ કરોડ હતું

ઇરાન યુદ્ધને કારણે ક્રૂડનાં ભાવ વધ્યા હોવા છતાં એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન ૮.૭ ટકા વધી લગભગ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે તેમ શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ આંકડા વૈશ્વિક અનિશ્ચિતતા છતાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનાં સંકેત આપી રહ્યાં છે.

આ અગાઉ સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટીથી થનાર અત્યાર સુધીનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં નોંધવામાં આવ્યું હતું. જે ૨.૨૩ લાખ કરોડ રૂપિયાથી વધુ હતું.

સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૪.૩ ટકા વધીને ૧.૮૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ હતી. જ્યારે એપ્રિલ, ૨૦૨૬માં આયાતમાંથી જીએસટી કલેક્શન ૨૫.૮ ટકા વધીને ૫૭,૫૮૦ કરોડ રૂપિયા થયું હતું.

એપ્રિલમાં કુલ સીજીએસટી અને એસજીએસટી કલેક્શન અનુક્રમે ૫૨,૧૪૦ કરોડ રૂપિયા અને ૬૧,૩૩૧ કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિના દરમિયાન આઇજીએસટી કલેક્શન ૧.૨૯ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.

એપ્રિલ દરમિયાન રિફંડમાં ૧૯.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે ૩૧,૭૯૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી કલેક્શન ૭.૩ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

નવા નાણાકીય વર્ષનાં પ્રથમ મહિનાનાં જીઅસટી કલેક્શનમાં મોટો ઉછાળો એ વાતનાં સંકેત આપી રહ્યાં છે દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.

જીએસટી કલેક્શનમાં ટોચનાં પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર (૧૩, ૭૯૩ કરોડ રૂપિયા), કર્ણાટક (૫૮૨૯ કરોડ રૂપિયા), ગુજરાત (૫૪૫૫ કરોડ રૂપિયા), તમિલનાડુ (૪૭૨૪ કરોડ રૂપિયા) અને ઉત્તર પ્રદેશ (૪૩૯૯ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.

May 1, 2026
image.png
1min160

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. 

April 29, 2026
image-23.png
2min234

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.

બીજા તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:

  • પુરુષ મતદારો: 1,64,35,627
  • મહિલા મતદારો: 1,57,37,418
  • થર્ડ જેન્ડર: 792
  • કુલ ઉમેદવારો: 1,448

આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.

  • ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
  • કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે
  • સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
  • કુલ 41,001 મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
  • ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
  • 142 જનરલ ઓબ્ઝર્વર્સ અને 95 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

એક તરફ ચૂંટણીનો ગરમાવો છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.

April 28, 2026
bjplogo.png
1min181

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે મતદાન સંપન્ન થયા પછી સાર્વત્રિક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ થઇ ચૂકી, જેમાં અનેક બેઠકોમાં અપસેટ સર્જાયા છે, જેમાં અમુક ઉમેદવાર એકાદ મતથી જીત્યા છે તો અમુક ઉમેદવાર શરુઆતના વલણમાં હાર્યા પછી જીત્યા પણ છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર 15 મહાનગર પાલિકાની બેઠક પર 50 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જિલ્લા પંચાયતમાં 60.22 ટકા અને તાલુકા પંચાયતમાં 61.08 ટકા વોટિંગ નોંધાયું હતું. કુલ 10,005 બેઠકમાંથી 737 બેઠક પર બિનહરીફ થઈ ચૂકી છે. 

અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 15 મહાનગર પાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં આગામી વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા સત્તાની સેમી ફાઈનલ કહેવાય છે, જેના પરિણામ પર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના નેતાઓની નજર પણ છે, ત્યારે પરિણામો ચોંકાવનારા રહ્યા નથી, કારણ કે અગાઉથી ભાજપનું પ્રભુત્વ હતું, જેનું આજના પરિણામમાં પણ 2021 પુનરાવર્તન થયું છે. 

લખાય છે ત્યારના પરિણામો અનુસાર જિલ્લા પંચાયતમાં ભાજપની સામે કોંગ્રેસ પણ ટક્કર આપી રહ્યું છે. અમુક જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના મજબૂત વલણ ધરાવે છે, જ્યારે અમુક બેઠકો પર મોટો ગાબડાં પણ પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને શાનદાર જીત મળી છે, જ્યારે અમુક બેઠક પર વિપક્ષને નામ પૂરતી બેઠકો મળી છે. 

અત્યાર સુધીના પરિણામોમાં અમદાવાદ મહાનગર પાલિકાની કુલ 192 બેઠકમાંથી 98 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને અત્યાર સુધીમાં 84 બેઠક પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠક મળી છે. આમ આદમી પાર્ટી (આપ) અને એઆઈએમઆઈએમને કોઈ સફળતા મળી નથી. સુરત મહાનગર પાલિકામાં 120 બેઠકમાંથી ભાજપએ 80 બેઠક પર કબજો મેળવ્યો છે, જ્યારે અન્ય બેઠક એક કોંગ્રેસ અને ચાર આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. 
અત્યાર સુધીમાં 1044 સીટમાંથી 831 સીટના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને સર્વોચ્ચ બહુમતી મળી છે. ઉપરાંત, ગાંધીધામ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભાવનગર, આણંદ, નડિયાદ, વડોદરા, નવસારી, વાપી, સુરત અને મોરબીમાં ભાજપને ડબલ ડિજિટમાં જીત મળી છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સિંગલ ડિજિટમાં બેઠકો મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકામાં કુલ 72 બેઠકમાંથી ભાજપને 65 સીટ પર જંગી બહુમત મળ્યો છે, કોંગ્રેસને અહીં સાત સીટ મળી છે. વડોદરા મહાનગર પાલિકાની 76 બેઠક પર ભાજપને 49 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને છ સીટ મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષના ઉમેદવારને જીત મળી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ નંબર વન પક્ષ રહ્યો છે, જ્યારે નંબર ટૂ પર કોંગ્રેસ પાર્ટી છે. 

ઐતિહાસિક જીત પછી કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલે સુરત અને ગુજરાતના મતદારોનો આભાર માનતા જણાવ્યું કે આજે સુરત અને સમગ્ર રાજ્યની જનતા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અમુક પક્ષો એવા ભ્રમમાં હતા કે જનતા તેમના ખિસ્સામાં છે, પણ આજે પરિણામોએ અભિમાની પક્ષોને ઘરભેગા કર્યા છે. કોઈ પણ પાર્ટી કેમ ના હોય, પણ જનતાએ પાઠ ભણાવ્યા છે.

April 27, 2026
image-21.png
1min235

સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લૂંટ ચલાવવાની ઘટના બની છે. આજે 27/04/2026 સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બૅન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બૅન્કના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૅન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

April 27, 2026
image-20.png
1min127

ભારત-ન્યૂઝીલૅન્ડે આજે 27/04/26 નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલૅન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.

FTAની સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને દેશોએ મુક્ત વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે 16 માર્ચ-2025થી વાતચીત શરૂ કરી દીધી હતી, જેમાં માત્ર 9 મહિનાના અંતે આ ડીલને ફાઇનલ કરી દેવાઈ છે. આ સમજૂતી લાગુ થયા બાદ ભારત અને ન્યૂઝીલૅન્ડના નિકાસકારો ટેક્સ વગર એકબીજાના દેશમાં નિકાસ કરી શકશે.

ન્યૂઝીલૅન્ડમાં ભારતીય ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ હતો

સમજૂતી પહેલા ન્યૂઝીલૅન્ડે ભારતમાંથી નિકાસ થતાં 450 ઉત્પાદનો પર 10 ટકા ટેક્સ લગાવ્યો હતો. હવે નવી સમજૂતી થયા બાદ આ ટેક્સ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આનાથી ભારતીય કાપડ અને તૈયાર વસ્ત્રો, ચામડા ઉદ્યોગ, ટોપીઓ, ચીની માટીના વાસણો (સિરેમિક્સ), ગાદલા, વાહનો તથા તેના સ્પેરપાર્ટ્સની નિકાસમાં વધારો થશે. આ ઉપરાંત ભારતે પણ ન્યૂઝલૅન્ડથી આવતા 95 ટકા ઉત્પાદનો પર ટેક્સમાં રાહત અથવા ઘટાડી દીધો છે.

મુક્ત વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરતી વખતે ન્યૂઝીલૅન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિએશન (EFTA) દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારમાં પ્રસ્તાવિત 100 અબજ ડૉલરના રોકાણ માળખા જેવું જ છે.

ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી દૂધ, ક્રીમ, મઠ્ઠો, દહીં અને પનીર જેવા ઉત્પાદનોને બહાર રખાયા છે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનોની નિકાસ પર પણ રાહત આપી નથી. સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.

FTAની કેટલીક મહત્ત્વની વાતો

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: ન્યૂઝીલૅન્ડે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત કોઈ દેશ સાથે વિદ્યાર્થીઓની અવરજવર અને અભ્યાસ પછીના વર્ક વિઝા (પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા) અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરી શકશે અને તેમને લંબાવવામાં આવેલા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાનો લાભ પણ મળશે.

કુશળ વ્યાવસાયિકો માટે તક : ઊંચા પગારવાળી નોકરી ઇચ્છતા કૌશલ્ય ધરાવતા ભારતીય વ્યાવસાયિકો માટે 5000 કામચલાઉ રોજગાર વિઝાનો વિશેષ કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ વિઝા દ્વારા વ્યાવસાયિકો ત્રણ વર્ષ સુધી ન્યૂઝીલૅન્ડમાં રહીને નોકરી કરી શકશે.

વર્કિંગ હોલિડે પ્રોગ્રામ : આ સમજૂતી હેઠળ એક વિશેષ ‘વર્કિંગ હોલિડે વિઝા’ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દર વર્ષે 1000 ભારતીય યુવાનો 12 મહિના માટે ન્યૂઝીલૅન્ડમાં મલ્ટિપલ એન્ટ્રી કરી શકશે.

April 27, 2026
image-19.png
1min244

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 27, 2026
guj_gov_logo.png
1min125

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિવિધ જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવોની નિમણૂક અને ફેરબદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

આ નવા નિમણૂક પામેલા અધિકારીઓ હવે સંબંધિત જિલ્લાઓમાં વહીવટી કામગીરી અને વિકાસલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને ‘વિકાસશીલ તાલુકાઓ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કોને ક્યાં જિલ્લામાં મુકલામાં આવ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, એમ. થેન્નારસનને અમદાવાદ, શાલિની અગ્રવાલને સુરત, પી. સ્વરૂપને વડોદરા, વિનોદ રાવને ગાંધીનગર, રાજ કુમાર બેનીવાલને કચ્છ, આરતી કંવરને જામનગર, રણજીત કુમાર જે ને મહેસાણા અને પી. ભારતીને વાવ-થરાદ મુકવામાં આવ્યાં છે. આ આદેશમાં અનેક જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે. આણંદના અવંતિકા સિંહ ઔલખ, બનાસકાંઠાના પ્રવિણા ડીકે, ભરૂચ જિલ્લાના સંધ્યા ભુલ્લર અને મોરબીના રાજેન્દ્ર કુમારનું નામ પણ સામેલ છે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તાજેતરના આદેશમાં ઉલ્લેખ ન કરાયેલા જિલ્લાઓમાં હાલના પ્રભારી સચિવ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ફેરબદલનો હેતુ વિકાસ કાર્યોની દેખરેખને મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

April 26, 2026
image-17.png
2min131

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સંગ્રામ માટે નિર્ણાયક દિવસ છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે આજે સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારે 7:00 વાગ્યાના ટકોરે મતદાન મથકોના દ્વાર ખૂલતાની સાથે જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 6:00 વાગ્યા સુધી અવિરત ચાલશે, જેમાં રાજ્યના ભવિષ્યનો રોડમેપ નક્કી થશે.

ચૂંટણીના આંકડા અને વ્યાપ

આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના વિશાળ વ્યાપને કારણે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓમાં કુલ મળીને 9,268 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર વિજય મેળવવા માટે કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના અંદાજે 4 કરોડ જેટલા નોંધાયેલા મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિને ઈવીએમ (EVM) મશીનમાં સીલ કરશે.

ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા અને વધારાના પોલીસ બળની નિમણૂક કરવામાં આવી છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીના આ પર્વની ઉજવણી થઈ શકે.

ત્રિપાંખિયો જંગ અને બદલાતા રાજકીય સમીકરણો

પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે રાજ્યનું રાજકીય ચિત્ર બદલાયેલું નજરે પડે છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અને પ્રચાર અભિયાનની ગતિ જોતા જણાય છે કે મુખ્ય સ્પર્ધા શાસક પક્ષ ભાજપ અને ઉભરતી શક્તિ આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોવા મળી રહી છે.

  • ભાજપ: સત્તાધારી પક્ષ ભાજપે પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. ‘વિકાસ’ અને ‘ડબલ એન્જિન સરકાર’ના સૂત્ર સાથે ભાજપ ફરી એકવાર ક્લીન સ્વીપ કરવાના આત્મવિશ્વાસમાં છે.
  • આમ આદમી પાર્ટી: ‘આપ’ આ વખતે રાજ્યમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેવા પાયાના મુદ્દાઓ પર ભાર મૂકીને ભાજપને સીધી ટક્કર આપી છે.
  • કોંગ્રેસ: સૌથી જૂની પાર્ટી હોવા છતાં, કોંગ્રેસ આ વખતે પ્રચારમાં અને લોકમાનસમાં ત્રીજા સ્થાને ધકેલાતી હોય તેવું જણાય છે. જોકે, ગ્રામીણ વિસ્તારો અને પંચાયત સ્તરે કોંગ્રેસ હજુ પણ પોતાની પકડ જાળવી રાખવા મથામણ કરી રહી છે.

મતદારોમાં ભારે ઉત્સાહ

વહેલી સવારથી જ યુવાનોથી લઈને વયોવૃદ્ધ મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારો ‘વિકાસ અને પરિવર્તન’ને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છે, જ્યારે વડીલો સુવિધા અને શાંતિના મુદ્દે મત આપી રહ્યા છે. અનેક જગ્યાએ વરરાજાઓ લગ્નમંડપે જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.

પરિણામની તારીખ

આજે યોજાઈ રહેલા આ મહાકુંભનું પરિણામ આગામી 28મી એપ્રિલ, મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. મંગળવારે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતની જનતાએ કોના શિરે સત્તાનો તાજ મૂક્યો છે.

શું ભાજપ પોતાનો ગઢ સાચવી શકશે? શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં મોટો ઉલટફેર સર્જશે? કે પછી કોંગ્રેસ બધાને ચોંકાવીને ફરી બેઠી થશે? આ તમામ પ્રશ્નોના જવાબ 28મી એપ્રિલે મળશે. હાલ તો, સમગ્ર ગુજરાતની નજર આજના મતદાનની ટકાવારી અને જનતાના મૂડ પર ટકેલી છે.