મહારાષ્ટ્રના આગામી ગણપતિના તહેવાર દરમિયાન થર્મોકોલ અને તેની બનાવટની ડેકોરેશન આયટમ પરનો પ્રતિબંધ હળવો કરવાનો હાઇ કોર્ટે ઇનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે થર્મોકોલ ફેબ્રિકેટર એન્ડ ડેકોરેશન એસોસિયેશનનો થર્મોકોલ પરનો પ્રતિબંધ ફક્ત આ વર્ષ માટે હળવો કરવા હાઇ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હતી. પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન અને વપરાશ પર રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થર્મોકોલની વસ્તુઓને બજારમાં વેચવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તો એસોસિયેશનના સભ્યોને ઘણું નુક્સાન થશે. થર્મોકોલનો નિકાલ પણ તેઓ જ કરશે એવી એસોસિયેશને કોર્ટમાં રજૂઆત પણ કરી હતી.
રાજ્ય સરકારે એસોસિયેશનની અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતુું કે સરકારે 23 જૂન સુધીમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની સામગ્રીનો નિકાલ કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એસોસિયેશને તેમની પાસેની વસ્તુઓનો નિકાલ નથી કર્યો અને તેઓ હવે પ્રતિબંધ હળવો કરવા માગ કરી રહ્યા છે.
સરકારની દલીલોને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રોજનો 1200 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે અને તેના વૈજ્ઞાનિક રીતે નિકાલની કોઇ વ્યવસ્થા કે આયોજન નથી. પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી માઠી અસરોને નજરઅંદાજ કરી શકાય નહીં, એમ હાઇ કોર્ટે નોંધ્યું હતું.

ગણપતિનો તહેવાર પતી ગયા બાદ લોકો પાસેથી થર્મોકોલની વસ્તુઓ પાછી લઇ લેવામાં આવશે અને તેનો નિકાલ કરી દેવામાં આવશે, એવી એસોસિયેશનની દલીલ સ્વીકારવાનો પણ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. થર્મોકોલની સુશોભનની આઇટમોમાં વર્ષાનુવર્ષ વધારો જ થતો જાય છે. આ વર્ષના માર્ચ મહિનામાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓના ઉત્પાદન, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સરકારના આ પ્રતિબંધને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં હાઇ કોર્ટે આ નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. નોટિફિકેશનમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓનો નિકાલ કરવા 23 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
જે કોઇ આ પ્રતિબંધનો ભંગ કરશે તેમને દંડ કરવામાં આવશે અને વારંવાર ભંગ કરનારાઓને જેલની સજા કરવામાં આવશે.





















