દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.
ગુરુવાર બાદ શુક્રવારે સવારથી જ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં ફરી વધુ ૩ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તેમ જ વિલિંગ્ડન ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમમાં ૪ ફૂટ પાણી આવ્યું હતું, પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કોડીનાર ૮ ઇંચ, ગણદેવી ૭.૧૩ ઇંચ, ચિખલી ૭.૮ ઇંચ, વડિયા ૭.૪ ઇંચ, વાંસદા ૬.૧૪ ઇંચ, બગસરા ૬.૯ ઇંચ, જલાલપોર અને ખેરગામ ૬.૯ ઇંચ ખાબક્યો છે.
ગુરુવારે મોડી રાત્રે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્તા રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાજકોટ ઉપરાંત તેની આસપાસ ગોંડલ, જેતપુરમાં પણ ભારે વરસાદ છે. મોતીસર ડેમમાં નવા પાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે ડેમમાં પાણીની આવક થતા ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાડવા, ભાડુઇ, દેવળીયા ગામમાં વરસાદથી ગોંડલી ડેમમાં નવા નીર આવ્યા છે. રાજપરા, નારણકા, નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં ૧૦૦ ગામો સંપર્કવિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ ૨૨ના મોત થયાં છે. અત્યાર સુધીમાં ૧૧૮૩ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૮થી વધુ પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં ૧ નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના ૧૫૪ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌરાષ્ટ્રના ૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બચાવ કામગીરીમાં કુલ ૧૫ ટીમ કાર્યરત છે. જ્યારે વડોદરા ખાતે ૪ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે.