CIA ALERT

Slider Archives - Page 480 of 491 - CIA Live

July 16, 2018
us3.jpg
2min6050

મુંબઇ સ્થિત અમેરિકી કોન્સ્યુલેટ જનરલ કચેરીના એક્ટિંગ કોન્સુલ જનરલ સુશ્રી જેનિફર લાર્સને તાજેતરમાં જ સિટી ઓફ લેક તરીકે જાણીતા અને ભારતની બિલકુલ મધ્યમાં આવેલા ભોપાલ શહેરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતનો આશય કેટલાક સામાજિક કાર્યોમાં હાજરી આપવાનો હતો. તેમણે અમેરિકા અને ભારતના તંત્રવાહકો દ્વારા કન્યા સ્વાસ્થ્ય અંગે હાથ ધરાયેલા વજુદ પ્રોજેક્ટની મુલાકાત લઇને કેટલીક જાતમાહિતી મેળવી હતી. ગૌરવી નામના સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી જે મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત છે, એની કામગીરીને બિરદાવી હતી. સુશ્રી જેનિફર લાર્સને ભોપાલની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ભોપાલના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની પણ મુલાકાત લીધી હતી.

Acting Consul General Jennifer Larson visited the beautiful City of Lakes, Bhopal, this week, where she connected with key stakeholders in the region and participated in an Adolescent Health Day celebration at the USAID/India-supported Wajood project. Visiting the Gauravi One Stop Crisis Center, she learned about its impressive efforts to fight #GBV and seek justice for women. She also took the time to experience #Bhopal’s rich culture and heritage with visits to the iconic Museum of Man and Bharat Bhavan.

 

July 16, 2018
badroad1.jpg
1min9050

દેશમાં જમ્મુ કાશ્મીર સમેત અન્ય રાજ્યોમાં ત્રાસવાદી હુમલાઓ થતાં રહે છે અને તેમાં જાનહાનિ થતી રહે છે. પણ એવું લાગે છે કે દેશમાંના રસ્તાઓ વધુ જોખમી છે. ખાડાને લીધે થતા અકસ્માતમાં જાનહાનિની સંખ્યાના સંદર્ભમાં સરકારની આંકડાકીય માહિતીમાં જણાવાયા પ્રમાણે સમગ્ર દેશમાં ૨૦૧૭માં ત્રાસવાદી હુમલામાં ૮૦૩ જણ માર્યા ગયા હતાં એની સરખામણીમાં રસ્તા પરના ખાડાને લીધે થયેલા અકસ્માતમાં ૩,૫૯૭ જણનાં મોત નીપજ્યા હતાં.

મોટા ભાગના મેટ્રો શહેર ખરાબ માળખાકીય વ્યવસ્થા અને માર્ગોની મરામત અને જાળવણીમાં બેરદકાર રહેતી હોવાના સમાચાર હોવાથી અધિકારીઓને તેની નોંધ લેવાની ફરજ પડશે. ગયા વર્ષે મોતની સંખ્યા દિવસ દીઠ સરેરાશ ૧૦ હતી જે ૨૦૧૬ની સંખ્યાના ૫૦ ટકા કરતાં વધુ થવા જાય છે. આટલી મોટી સંખ્યા આઘાતજનક છે. પગલાં લેવાની જરૂર છે ખાસ કરીને નકસલવાદી સહિત ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલાની સંખ્યા ૮૦૩ હોય ત્યારે ખાડાને લીધે થતાં મોતની સંખ્યા પર ધ્યાન આપીને પગલાં લેવાની જરૂર છે.

યોગી આદિત્યનાથની આગેવાની વાળા ઉત્તર પ્રદેશ આગળ છે. રાજ્યના રસ્તાઓ પરના ખાડાના સંદર્ભમાં ૯૮૭ જણે જાન ગુમાવ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. બીજો નંબર મહારાષ્ટ્રનો છે મહારાષ્ટ્રમાં મોતની સંખ્યા ૭૨૬ છે. એમાં જો આ વર્ષના પૂરને લીધે થયેલાં મોતની સંખ્યા ફડણવીસ સરકારની આંખ ખોલનારી છે.સરકારી યંત્રણા લોકો માટે સારા રસ્તાની મૂળભૂત સગવડ આપતી વખતે કરદાતાના નાણાંના વપરાશ માટે સરકારે અપનાવેલા અભિગમ છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં હરિયાણા અને ગુજરાતનું નામ ટોચ પર છે. હરિયાણામાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલાં મોતની સંખ્યા ૫૨૨ હતી. દરમિયાન, દિલ્હીમાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલી જાનહાનિની સંખ્યા આઠ હતી. રસ્તાના બાંધકામ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૦૧૬માં ૩,૮૭૮ પરથી વધીને ગયા વર્ષે ૪,૨૫૦ જેટલી હતી.

July 16, 2018
gseb.png
1min7840

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં પરીક્ષકો એટલે કે શિક્ષકોએ જે પ્રકારની ભૂલો કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી જણાતી કે પરીક્ષકોએ અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ રંગદોળી નાંખ્યા હશે. બોર્ડે આવા બેધ્યાન અને મિસ્ટેકીયા પરીક્ષકોને ફક્ત પેનલ્ટી ઠોકીને છોડી મૂક્યા છે પણ પરીક્ષકોની ભૂલોની સજા ભોગવતા નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની કોઇ વાત કરી નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2018માં લેવાયેલી ધો. ૧૨ તમામ પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીમાં કુલ ૫,૭૪૨ ભૂલ પકડાઈ છે. ટોટલ મારવા જેવી સામાન્ય ભૂલો સહિતની અન્ય ભૂલો બહાર આવતા તમામ પરીક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પરીક્ષકોના જવાબી ખુલાસા બાદ બોર્ડ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરશે, પરંતુ સામાન્ય ભૂલો વિદ્યાર્થીઓનું ભાવિ ધમરોળી શકે છે.

ધો.૧૨ જનરલ સ્ટ્રીમમાં અંદાજે ૬.૦૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર બાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરવહી તપાસાઈ ગયા પછી વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરાયું હતું. કમ્પ્યુટરમાં પરિણામ તૈયાર કરતાં પહેલાં સોફ્ટવેર દ્વારા ઉત્તરવહીઓનું ક્રોસ ચેકિંગ કરાયું હતું. જેમાં ૫,૭૪૨ પરીક્ષકોએ છબરડા કર્યા હોવાનું બહાર આવતાં જ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને આ બાબત ગંભીરતાપૂર્વક લેવાય તે માટે નિર્ણય લેવાયો હતો.

હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષકને પેપર ચકાસણી માટે ધો. ૧૦ માટે રૂ. ૫ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે રૂ. ૬.૫૦ અને સામાન્ય પ્રવાહ માટે રૂ. ૭ ઉત્તરવહી દીઠ ચૂકવવામાં આવે છે. પરીક્ષકોએ કરેલા છબરડાની માત્રાના આધારે બોર્ડ દ્વારા તેમને આર્થિક દંડ કરવાનો નિર્ણય લેવાયો છે તે પ્રમાણે એક માર્કની ભૂલ દીઠ પરિક્ષક પાસેથી રૂ. ૧૦૦ની વસૂલાત કરાશે. શિક્ષકોએ ટોટલ કરવામાં ૧૦ માર્કસથી ૨૩ માર્ક્સની ભૂલો કરી હોવાનું જાણવા મળે છે. છબરડા કરનારા શિક્ષકો પૈકી ૮૦ શિક્ષકોએ તો સરવાળા કરવામાં ૧૦ કે તેનાથી વધુ માર્કસની ભૂલો કરી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડ કડક બન્યું છે. બોર્ડની જોગવાઈ મુજબ પરીક્ષક ૧ માર્ક્સની ભૂલ કરે તો રૂ. ૧૦૦ દંડ થાય છે.

July 15, 2018
tina1.jpg
1min6670

ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરનું વૈશ્ર્વિક હેલ્થકેર કેન્દ્ર બનાવવામાં પોતાના અભિયાનને અનુરૂપ ક્લિનિકલ સર્વિસિસ અને નિદાન સુવિધાઓમાં ઉત્કૃષ્ટતા પર ભાર મૂકીને ટીના અંબાણીએ નવી મુંબઈમાં તેમની બીજી સુપર સ્પેશિયાલિટી, દર્દીકેન્દ્રિત ટર્શરી-કેર સંસ્થા લોંચ કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવ માળ ધરાવતી અને ર.પ લાખ ચોરસ ફીટમાં પથરાયેલી અત્યાધુનિક હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં રરપ બેડ અને તમામ શાખાઓમાં સારવાર આપતા સ્પેશિયાલ્ટી ડિપાર્ટમેન્ટ છે, જે પારદર્શકતા, સારસંભાળ અને સંવેદનનાં સિદ્ધાંતો પર ભાર મૂકીને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ સારવાર પૂરી પાડીને દેશમાં તબીબી ક્ષેત્રમાં સારસંભાળનાં માપદંડો સ્થાપિત કરે છે.

રિલાયન્સ હૉસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીના અંબાણીએ કહ્યું હતું કે, ‘રિલાયન્સ હૉસ્પિટલ ભારતના હેલ્થકેર સેવાઓ પૂરી પાડવાની પરિવર્તનકારક સફરમાં સ્વાભાવિક પગલું છે. આ સફરની શરૂઆત કોકિલાબેન હૉસ્પિટલ સાથે થઈ હતી. થોડા નહીં, પણ તમામ ભારતીયોને વૈશ્ર્વિક કક્ષાની તબીબી સારવાર મેળવવાનો અધિકાર મળવો જોઈએ એવી માન્યતા સાથે રિલાયન્સ હૉસ્પિટલ નવી મુંબઈ અને આસપાસના વિસ્તારના લોકો માટે સ્વાસ્થ્ય અને આશાનું કિરણ બનવાનો પ્રયાસ કરે છે.

July 14, 2018
aurvedic.jpg
1min25070

ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતનું અગ્રણી રાજ્ય ગુજરાત હવે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના વધતા વ્યાપ અને નિકાસની વિપુલ સંભાવનાઓના પગલે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં નવા 164 યુનિટે લાઇસન્સ મેળવ્યાં છે અને રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 798 યુનિટ ધમધમે છે. ઉદ્યોગના મતે, બે વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન પ્લાન્ટ્સ માટે જ ₹800 કરોડથી વધારે રોકાણ થયું છે.

ગુજરાત રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવા તમામ ઉત્પાદન લાઇસન્સ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી) સ્ટાન્ડર્ડ ફરજિયાત છે. છેલ્લાં બે વર્ષમાં જ રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 164 યુનિટોને લાઇસન્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 78 યુનિટો પોતે ઉત્પાદન કરીને પ્રો઼ક્ટ્સ બજારમાં મૂકે છે જ્યારે 86 લોન લાઇસન્સ યુનિટો છે એટલે કે તેઓ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે.

આયુર્વેદિક દવાઓ માટે શિડ્યુલ-ટી ફરજિયાત છે અને દરેક યુનિટમાં લઘુત્તમ 1,100 વારનું બાંધકામ જરૂરી છે. રાજ્યની મોટી ફાર્મા કંપનીઓ પણ આયુર્વેદિક ડિવિઝન ઊભા કરી રહી છે અને બજારમાં પ્રોડક્ટ્સ મૂકી રહી છે. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે લાઇસન્સ આવશ્યક છે પરંતુ વેચાણ માટે લાઇસન્સની આવશ્યકતા નથી અને ગુજરાતમાં બનેલી પ્રોડક્ટ્સ કોઇપણ સ્થળે વેચી શકાય છે.
ગુજરાતમાં આયુર્વેદ માટેની જાગૃતિ વધી છે અને કેન્દ્ર સરકાર તરફથી સહકાર છે તેના કારણે રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા ઉત્પાદકોને વિવિધ પ્રકારની સબસિડી પણ આપવામાં આવે છે. સંશોધન, મશીનરી, ટેસ્ટિંગ લેબોરેટરી માટે પણ સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત વિદેશમાં અને ભારતમાં આયુર્વેદના પ્રમોશનના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પણ સબસિડી મળે છે.”

આયુર્વેદમાં નિકાસની ઘણી સારી તક છે અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની માંગ ભારતમાં તથા વિદેશમાં બહુ ઝડપથી વધી રહી છે તેથી સતત નવી કંપનીઓ આવી રહી છે. શિડ્યુલ-ટી જીએમપી ફરજિયાત હોવાથી એક યુનિટ સ્થાપવામાં સરેરાશ ₹5 કરોડનું રોકાણ થાય છે. રાજ્યમાં અમદાવાદ તથા આસપાસમાં ચાંગોદર અને સાંતેજ તથા પાલનપુર અને ઊંઝા ઉપરાંત અન્ય શહેરોમાં સતત નવા યુનિટ ચાલુ થઇ રહ્યા છે.

July 14, 2018
1min16070

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ અષાઢી બીજના સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને ગુડબાય કરી દીધું છે. મહેન્દ્ર સિંહ વાઘેલાને ભાજપમાંથી લોકસભા ટિકિટ મળે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે.

 

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. કમલમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમને ભાજપને કેસરિયો ખેંસ પહેરાવી તેમને ભાજપમાં આવકાર્યા હતા.

મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન નહીં થતા મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે.

July 14, 2018
Atul_Abhyankar-R_.jpg
1min10190
સુરતના હૃદય રોગ નિષ્ણાંત ડૉ. અતુલ અભ્યંકરના સુરતના દર્દીઓના અભ્યાસ આધારિત લેખ ‘ઇન્ડિયન હાર્ટ જર્નલ’માં પ્રસ્તુત થયો છે. તેઓ સુરતના જ નહીં બલ્કે ભારતના ખ્યાતના હાર્ટ સ્પેશિયાલિસ્ટમાં સ્થાન પામે છે. ઇન્ડિયન હાર્ટ જર્નલમાં આર્ટિકલ પ્રકાશિત થવો એ ગૌરવવંતી બાબત છે અને સુરત માટે એટલા માટે વધુ ગૌરવ છે કેમકે તેમણે સુરતને કર્મભૂમિ બનાવી છે.

ઇન્ડિયન હાર્ટ જર્નલમાં સુરતના હૃદયરોગ નિષ્ણાંતનું સંશોધન પ્રકાશિત થયું

 

હૃદય રોગમાં આશીર્વાદ રૂપ નીવડતી પદ્ધતિ જેમકે ‘એન્જીઓપ્લાસ્ટી’ અને ‘સ્ટેન્ટ પ્રત્યારોપણનો સફળતા આંક માપવા માટે જે-તે દર્દીઓને લાંબા સમય સુધી ફોલો-અપ કરવા જરૂરી બને છે. તાજેતરમાં એક પ્રતિષ્ટિત નેશનલ જર્નલ ‘ઇન્ડિયન હાર્ટ જર્નલ’માં સુરતના અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ડૉ. અતુલ અભ્યંકરનું સંશોધન પ્રકાશિત થયું છે. જે મુજબ હૃદય રોગના દર્દીઓ પર થયેલી અન્જીઓપ્લાસ્ટી અને સ્ટેન્ટ વિષયક ઓપરેશનનો ડેટા ભેગો કરીને સંશોધન કરવામાં આવ્યું હતું. તેનું તારણ એવું આવ્યું કે ૮૭.૫ ટકા દર્દીઓને પહેલું સ્ટેન્ટ મૂક્યાના સાત વર્ષ પછી પણ હૃદયરોગનો હુમલો થયો નથી. તેમને ફરી એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ રોપણની જરૂર પણ પડી નથી.

ડોક્ટર અભ્યંકરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થયેલી વિગતોની સરખામણીએ આપણો ડેટા હાલ સૌથી સારો ગણી શકાય તેવો છે.

સૂરત માટે ગૌરવની વાત એ છે કે એ તમામ શસ્ત્રક્રિયાઓ સૂરતમાં જ, પ્રતિષ્ટિત હોસ્પિટલમાં, સુરતના જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર અતુલ અભ્યંકર દ્વારા સૂરતમાં જ નિર્માણ પામેલા સ્ટેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ‘મેક ઇન ઇન્ડિયા’ની મુહિમ અંતર્ગત સૂરતમાં જ નિર્મિત ખાસ પ્રકારના ‘બાયોડીગ્રેડેબલ પોલિમર’ સ્ટેન્ટની સફળતાએ સુરતને હૃદયરોગની સારવાર ક્ષેત્રે અગ્રિમ હરોળમાં મૂકી દીધું છે.

July 14, 2018
hima4.jpg
1min7560

આસામ રાજ્યના ધીન્ગ નામના નાનકડા ગામના ડાંગરના ખેડૂત રણજિત દાસની પુત્રી 18 વર્ષની હિમા દાસે ગુરુવારે ફિનલૅન્ડમાં આઇએએએફ (ઇન્ટરનેશનલ ઍમેટર ઍથ્લેટિક્સ ફેડરેશન)ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની અન્ડર-20ની 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યું હતું. તે વિશ્ર્વસ્તરની રનિંગની ટોચની હરીફાઈમાં સુવર્ણચંદ્રક જીતનારી ભારતની પ્રથમ મહિલા ઍથ્લેટ છે.

હિમા દાસે 400 મીટરનું અંતર 51.46 સેક્ધડમાં પૂરું કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે ફિનિશિંગ લાઇનથી થોડે દૂર હતી ત્યારે ચોથા નંબર પર હતી, પરંતુ 50 મીટર જેટલા છેલ્લા તબક્કામાં તે અત્યંત ઝડપથી દોડીને મોખરે થઈ ગઈ હતી અને પછી ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. રોમાનિયાની ઍન્ડ્રિયા મિકલોસ 52.07 સેક્ધડના ટાઇમિંગ સાથે સિલ્વર મેડલ અને અમેરિકાની ટેલર મૅન્સન 52.28ના ટાઇમિંગ સાથે બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

હિમા દાસે રેસ જીતી લીધા પછી તરત જ સામે ઊભેલા કોચ તથા ભારતીય પ્રેક્ષકો પાસે સેલિબ્રેશન માટે તિરંગો મગાવ્યો હતો. બીજી હરીફોની સરખામણીમાં હિમા ઓછી થાકેલી લાગતી હતી.

“ભારત એથ્લેટ હિમા દાસથી ખુશ અને ગર્વ કરે છે અને તેને અભિનંદન. તેની આ સિદ્ધિ રાષ્ટ્રના બીજા યુવા એથ્લેટોને આગામી વર્ષોમાં પ્રેરિત કરશે, એમ વડા પ્રધાને ટ્વિટર પર કહ્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ હિમાની અજોડ સિદ્ધિની પ્રશંસા કરી હતી.

“વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનો આ પ્રથમ ટ્રેક ગોલ્ડ મૅડલ છે અને તે આસામ તથા ભારત માટે ઘણી ગર્વભરી વાત છે, એમ તેમણે ટ્વિટર પર લખતા ઉમેયુર્ં હતું કે ઑલિમ્પિકનો મંચ હવે તેની રાહ જોઈ રહ્યો છે.

હિમા દાસ પર બૉલીવૂડ પણ ઓવારી ગયું છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તેમ જ અક્ષયકુમારે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલા વિરાટ કોહલીએ અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ પણ હિમાને અભિનંદન પાઠવ્યા હતા.

July 14, 2018
rajkot1.jpg
1min9020

દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.

ગુરુવાર બાદ શુક્રવારે સવારથી જ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં ફરી વધુ ૩ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તેમ જ વિલિંગ્ડન ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમમાં ૪ ફૂટ પાણી આવ્યું હતું, પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કોડીનાર ૮ ઇંચ, ગણદેવી ૭.૧૩ ઇંચ, ચિખલી ૭.૮ ઇંચ, વડિયા ૭.૪ ઇંચ, વાંસદા ૬.૧૪ ઇંચ, બગસરા ૬.૯ ઇંચ, જલાલપોર અને ખેરગામ ૬.૯ ઇંચ ખાબક્યો છે.

ગુરુવારે મોડી રાત્રે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્તા રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાજકોટ ઉપરાંત તેની આસપાસ ગોંડલ, જેતપુરમાં પણ ભારે વરસાદ છે. મોતીસર ડેમમાં નવા પાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે ડેમમાં પાણીની આવક થતા ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાડવા, ભાડુઇ, દેવળીયા ગામમાં વરસાદથી ગોંડલી ડેમમાં નવા નીર આવ્યા છે. રાજપરા, નારણકા, નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં ૧૦૦ ગામો સંપર્કવિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ ૨૨ના મોત થયાં છે. અત્યાર સુધીમાં ૧૧૮૩ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૮થી વધુ પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં ૧ નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના ૧૫૪ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌરાષ્ટ્રના ૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બચાવ કામગીરીમાં કુલ ૧૫ ટીમ કાર્યરત છે. જ્યારે વડોદરા ખાતે ૪ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે.

July 14, 2018
bdb.jpg
1min11540

ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં ચાલતા આશરે 2000 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગના રૅકેટનો ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ પર્દાફાશ કર્યો હતો અને આ સંબંધે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. ડીઆરઆઇને તાજેતરમાં ટિપ મળી હતી , જેના આધારે તેમણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલા બીડીબીમાં છટકું ગોઠવ્યું હતું અને 156 કરોડ રૂપિયાની જાહેર કિંમત ધરાવતા નિમ્ન કક્ષાના રફ ડાયમંડના ક્ધસાઇન્મેન્ટને આંતર્યું હતું. આ હીરાની પુન:આંકણીમાં તેની કિંમત 1.2 કરોડ રૂપિયા જ જાણવા મળી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ હીરા ઊતરતી અને હલકી કક્ષાના હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોંગકોંગ અને દુબઇમાંથી નિકાસકારો સાથે સાંઠગાઠ કરીને રફ ડાયમંડ્સ આયાત કરવામાં આવે છે અને તેને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા તેમ પેપર પર બતાવવામાં આવે છે.

આ સંદર્ભે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દસેક લાખ રૂપિયાની રોકડ, 2.2 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક બુક્સ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ચારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ ડાયમંડ વેલ્યુઅર્સની પેનલના સભ્યોની સાઠગાઠથી આવા કાળાધોળા કરતા હતા.

ડાયમંડ બુર્સના આગેવાનોએ જણાવ્યું કે ઉદ્યોગ ઘણો નાનો છે. લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. ધરપકડ કરાયેલા વેલ્યુઅર્સ વિશે અમે ક્યારેય સાંભળ્યું જ નથી અને તેઓ કેવી રીતે વેલ્યુએશન કરતા હતા તેની પણ અમને જાણ નથી. આ બહુ નવાઇની વાત છે. જોકે એકાદ બે દિવસમાં આ આખી બાબત સ્પષ્ટ થઇ જશે. અમને તપાસકર્તા એજન્સી અને સરકાર પર પૂરો વિશ્ર્વાસ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આવા બનાવો રોકવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સરકારને વેલ્યુઅર્સ માટે એકમાત્ર અપ્રુવિંગ એજન્સી બનવા જણાવી રહી છે.