CIA ALERT

Slider Archives - Page 482 of 491 - CIA Live

July 12, 2018
indianeco.jpg
1min6150

વર્લ્ડ બૅન્કના 2017ના વર્ષના સુધારેલા આંકડા મુજબ ભારત ફ્રાન્સને પાછળ રાખીને વિશ્ર્વનું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2.597 ટ્રિલ્યન યુએસ ડૉલરની ઊંચાઈને સર કરી હતી, જ્યારે ફ્રાન્સે 2.582 ટ્રિલ્યન યુએસ ડૉલર પર હોવાનું એક સમાચાર સંસ્થાએ બુધવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું.

અમેરિકાએ તેનો પહેલો ક્રમ જાળવી રાખ્યો હતો અને ત્યાર પછી ચીન, જાપાન, જર્મનીનો ક્રમ હતો. બ્રિટન 2017ના પૂરા થતા વર્ષે 2.622 ટ્રિલ્યન યુએસ ડૉલરના જીડીપી દર સાથે પાંચમા ક્રમે રહ્યું હતું.સરકારના ખર્ચ અને રોકાણના કારણે ભારતના અર્થતંત્રએ 2018ના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 7.7 ટકાનો આર્થિક વિકાસ સાધ્યો હતો, પરંતુ તેનાથી જીડીપીના વિકાસને રોકી શકાયો નહોતો એ, નરેન્દ્ર મોદી સરકારના ચોથા વર્ષે પણ નીચા સ્તરે ગબડયો હતો.નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર 2018-19માં 7.5 ટકાના દરને આંબી જશે. ભારતને એવી આશા છે કે, 2018ના અંતમાં વિકાસદર 7.4 ટકાનો થશે અને 2019માં એ 7.8 ટકા સુધી પહોંચશે. એ ઊંચાઈએ પહોંચતાં જ નજીકના હરીફ ચીનને બે વર્ષમાં 6.6 ટકા અને 6.4 ટકાના દરે પાછળ રાખી દેશે, તેવું આ વર્ષમાં એપ્રિલ મહિનામાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું હતું.ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ (ડબલ્યુઈએલટી) 2018, સેન્ટર ફોર ઈકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ ફોરકાસ્ટે જાહેર કર્યા મુજબ ઈન્ડિયા બ્રિટન અને ફ્રાન્સને પાછળ ધકેલી દઈ 2018 સુધીમાં વિશ્ર્વની પાંચમા ક્રમની આર્થિક સત્તા બની જશે.

એપ્રિલ, 2018માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, 2018માં ભારત 7.4 ટકાનો વિકાસદર સાધશે અને 2019માં એ વિકાસદર 7.8 ટકાનો થઈ જશે અને ચીનને પાછળ રાખી દઈને દક્ષિણ એશિયામાં ઉપરનો ક્રમ હાંસલ કરશે.

આઈએમએફના જણાવ્યા મુજબ ભારત એશિયન-5 દેશોમાં સ્થિર અર્થતંત્ર ધરાવતો દેશ બની જશે. 2017માં ચીન 6.8 ટકા સાથે સૌથી આગળ હતું, જ્યારે ભારતનો વિકાસદર 6.7 ટકા હતો. જેના કારણે ચીને ઝડપથી વિકસતા અર્થતંત્રનું બિરુદ મેળવ્યું હતું, જે છેલ્લાં કેટલાક વર્ષોથી જળવાઈ રહ્યું છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, 2016ના વર્ષમાં ભારત 7.1 ટકાના વિકાસદર સાથે ઝડપથી વિકસતા અર્થતંત્રવાળો દેશ હતો, પરંતુ 2016માં નોટબંધીના તેમજ જીએસટી લાદવા જેવાં પગલાં લેવાવાના કારણે ભારતનો વિકાસદર ઘટીને 6.7 ટકા પર પહોંચ્યોે હતો. 2017માં એ વિકાસદરમાં પણ ઘટાડો થયો હતો.

July 12, 2018
sensex-up.jpg
1min5490

બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ આજરોજ તા.12 જુલાઇ 2018ના દિવસે સૌપ્રથમ વાર 36,600ની સપાટી કૂદાવતા નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સમાં 36,400ની ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ખુલતામાં જ 250 પોઈન્ટના ઉછાળા સાથે 36,500 કૂદાવી ગયો હતો.

તા. 12મી જુલાઇએ સવારે 11.15 કલાકે બીએસઈમાં 330 પોઈન્ટ વધીને સેન્સેક્સ 36,597ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. ડોલર સામે રૂપિયો રીકવર થતા તેમજ અર્થતંત્રમાં ઝડપી સુધારાના આશાવાદે ચોતરફી તેજી ફરી વળતા બેન્ચમાર્કે 36,627 પોઈન્ટની રેકોર્ડ નવી ટોચ બનાવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી ગયો હતો. જૂન મહિનાના યુએસ જોબ ડેટા અપેક્ષા કરતા સારા જાહેર થયા હોવાથી બજારમાં તેજીનો ઉન્માદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતીય અર્થતંત્ર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હોવાના અહેવાલ અને વૈશ્વિક તેમજ સ્થાનિક ફંડોની ઓલરાઉન્ડ લેવાલીને પગલે તેજી આવતા સેન્સેક્સે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

શેરબજારની રેલીમાં તમામ સેક્ટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બીએસઈ ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.25થી 2.50 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ આંકમાં પણ એક ટકાની મજબૂતી રહી હતી.

July 12, 2018
IMG-20180712-WA0143-1280x960.jpg
3min6520

સુરતમાં ગુરુવાર, 12મી જુલાઇ 2018ના રોજ પડેલા વરસાદની દુર્લભ તસ્વીરો

 

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરાબર જામી ચૂક્યું છે. વલસાડ, વાપી, ડાંગ, ધરમપુર, નવસારી બાદ બુધવારે મધરાતથી મેઘરાજા સુરત શહેર પર એ રીતે અનરાધર અને મન મૂકીને વરસી રહ્યા છે કે સુરતનું સામાન્ય જનજીવન ખરાબ રીતે અસર પામ્યું છે.

ગુરુવારે સવારથી વરસી રહેલા અનરાધર વરસાદને પગલે સુરત શહેરની પ્રાઇવેટ સ્કુલ્સ તેમજ સુરત મ્યુનિ.ની શિક્ષણ સમિતિ સંચાલિત સ્કુલોમાં તાત્કાલિક અસરથી રજા ઘોષિત કરી દેવામાં આવી હતી. ખુદ કલેક્ટર ડો.ધવલ પટેલએ સુરત શહેરની શાળાઓમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજા ઘોષિત કરી દેવામા ંઆવી હોવાનું ટ્વીટ કર્યું હતું.

ભારે વરસાદને પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા ગુરુવારે સવારથી શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યાઓ સર્જાવા પામી હતી. વરસાદને પગલે નોકરીયાત વર્ગ વિસામણમાં મૂકાઇ જવા પામ્યો હતો. ઠેરઠેર પાણી ભરાવાના કારણે આવી સમસ્યા વકરી  હતી. વરસાદની ઇન્ટન્સિટી એટલી વ્યાપક હતી કે સ્ટોર્મ ડ્રેનેજમાંથી પાણી વહે તે પહેલા રસ્તાઓ પર પુસ્કળ પ્રમાણમાં વોટર લોગિગંને કારણે પાણી ભરાવાની સમસ્યા ઠેરઠેર જોવા મળી હતી. બેંક, સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ વગેરેમાં પણ કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

સુરત મહાનગરપાલિકાએ પણ એવા ટેક્સ્ટ મેસેજ કર્યા હતા કે આગામી 48 કલાક દરમિયાન સુરત શહેર તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને ખાડી કિનારે વસતા લોકોએ સાવચેતીના દરેક પગલાં ભરી રાખવા.

ખુદ સુરત કલેક્ટર સુરત જિલ્લામાંથી વહેતી નદીઓમાં વધી રહેલા જલસ્તર પર મોનિટરીંગ કરી રહ્યા છે. તેમણે ખાસ ટ્વીટ કરીને નદીઓમાં વધી રહેલા જળસ્તરથી સામાન્ય લોકોને વાકેફ કર્યા હતા.

ડો. ધવલ પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે મિંઢોળા, પૂર્ણા અને અંબિકા નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યા છે. મારી તમામને વિનંતી છે કે નદીઓ પાસે જવાનું બિનજરૂરી સાહસ ન ખેડે. માછીમારી, બોટિંગ કે અન્ય કોઇ પ્રવૃતિ ટાળે અને ખાસ કરીને સેલ્ફી લેવાનું હાલ તુરત બંધ કરી દે એ જરૂરી છે.

સચીન પોલીસ મથક પાણીમાં, વાહનો ડૂબી ગયા

ભારે વરસાદને પગલે શહેરના સચીન વિસ્તારમાં પણ પાણીનો ભારે ભરાવો થયો હતો. અત્રે તસ્વીરો બયાન કરે છે કે સચીન પોલીસ મથક જ્યાં આવેલું છે ત્યાં પાણી ભરાવાના કારણે વાહનો ડૂબી ગયા હતા.

July 10, 2018
fifa.jpg
1min14550

સ્પર્ધામાં છેલ્લી ચાર યુરોપિયન ટીમ બાકી રહેતા ફિફા વર્લ્ડ કપ-2018 હવે બિલકુલ યુરો કપ બની ગયો છે અને આમ તેના ઈતિહાસમાં પાંચમી વેળા તથા 2006 પછી પહેલી વાર બન્યું છે.

સ્પર્ધામાં સેમી-ફાઈનલ તબક્કામાં રમનાર ચાર ટીમ છે ફ્રાન્સ, ક્રોએશિયા, ઈંગ્લેન્ડ અને બેલ્જિયમ.

પહેલી સેમી-ફાઈનલ મંગળવાર, 10મી જુલાઈએ ફ્રાન્સ (વિશ્ર્વ ક્રમાંક 7) અને બેલ્જિયમ (3) વચ્ચે સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય સમય અનુસાર રાતે 11.30 વાગ્યે રમાશે અને બુધવાર, 11મી જુલાઈએ રમાનારી બીજી સેમી-ફાઈનલ મેચમાં ક્રોએશિયા (20) અને ઈંગ્લેન્ડ (12) વચ્ચે મોસ્કોમાં ભારતીય સમય અનુસાર 11.30 વાગ્યે મુકાબલો થશે.

ફ્રાન્સ 2006 તથા 2002માં, ક્રોએશિયા 1998 તથા 1994માં, ઈંગ્લેન્ડ 1990માં અને બેલ્જિયમ 1986માં પણ વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં પહોંચ્યું હતું.

બેલ્જિયમ-ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 73 મુકાબલા રમાયા છે જેમાંથી બેલ્જિયમ 30 અને ફ્રાન્સ 24 જીત્યું છે તથા 19 મેચ ડ્રો ગઈ હતી.

ઘણા લોકો માટે સ્પર્ધા જીતવા ફેવરિટ ટીમો તરીકે રહેતી ફ્રાન્સ-બેલ્જિયમ વચ્ચેની આગામી મેચ ફાઈનલ પહેલાની ફાઈનલ મેચ સમાન છે. બેલ્જિયમની ટીમ તેની છેલ્લી 24 મેચમાં અજેય રહી છે, જ્યારે ફ્રાન્સની ટીમના ખેલાડી સમયસર પોતાના ફોર્મમાં પ્રવેશી રહ્યા છે.

ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મુકાબલા યોજાયા છે જેમાંથી ઈંગ્લેન્ડ 4 અને ક્રોએશિયા બે જીત્યું છે તથા એક મેચ ડ્રો નીવડી હતી.

સેમી-ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કરનાર સૌથી નીચલા ક્રમની ટીમ તરીકે રહેતા ક્રોએશિયાને વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચવાનો આ વેળા સોનેરી મોકો છે, પણ તેના માર્ગમાં સફળતાની ‘ભૂખ’ સાથેના યુવા ખેલાડીઓની ઈંગ્લેન્ડની ટીમ છે જે મૅનેજર ગેરેથ સાઉથગેટના માર્ગદર્શનમાં નવો ઈતિહાસ લખવા ઉત્સુક છે.

July 10, 2018
rathyatra.jpg
1min6230

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે, એવું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Ahmedabad: A priest performs worship of Lord Jagnnath inside Jagnnath Temple, ahead of Annual Rath Yatra procession in Ahmedabad on Monday. PTI Photo (PTI7_4_2016_000216B)

તા.14મી જુલાઇના રોજ રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે તા.9મી જુલાઇએ ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે.

અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરાશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 117, અન્ય દેવી-દેવતાઓની 47 મળી કુલ 164 રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં 15 જિલ્લામાં મોટી જનમેદનીવાળી 18 સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમ જ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસ.પી., ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુર, ગૃહ વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, રાજ્યના ડી.જી.પી. શીવાનંદ ઝા, એડિશનલ ડી.જી.પી. વી.એમ.પારઘી, સી.આઇ.ડી. ઇન્ટેલીજન્સના ઇન્ચાર્જ ડી.જી.પી. આર. બી. બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી જરૂરી પરામર્શ કર્યો હતો.

July 10, 2018
noida.jpg
1min7560

મોદી સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત આદરેલી કામગીરીમાં ફોન ઉત્પાદકની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકનું ફોન ઉત્પાદક બન્યું છે. ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ઉત્પાદન કરતા હોય તેવા માત્ર બે કારખાનાં હતાં તેની સંખ્યા વધીને 120ની થઈ ગઈ છે. તે પૈકી 50 કારખાના ફક્ત નોએડામાં જ છે.

ભારતની રાજધાની દિલ્હીના સીમાડે આવેલા નોએડા ખાતે વિશ્ર્વની સર્વાધિક મોટા ફોન ઉત્પાદન કારખાનાની સંખ્યામાં વધારો થયો હોવાથી સીધે સીધી ચાર લાખ રોજગારી ઊભી થઈ છે. આવા કારખાના, પ્લાન્ટ તેમ જ સવલતો સ્થાપવામાં કરાતું રોકાણ ભારતના દક્ષિણ કોરિયા જેવા દેશો સાથેના આર્થિક તથા વ્યાવસાયિક સંબંધોમાં ભારે મહિમાવંતા નીવડે છે.

ભારતમાં 40 કરોડ સ્માર્ટફોન વપરાશમાં લેવાય છે તેમ જ 32 કરોડ લોકો બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ભારત ડિજિટલ ક્રાંતિ ભણી આગેકૂચ કરી રહ્યું છે.

સ્માર્ટફોન બજારમાં સેમસંગ વિશ્ર્વનેતા છે. તેનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હબ ભારતમાં છે તથા હવે ઉત્પાદનનો બેઝ પણ છે જ.

મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂને જાએ ઈને ઉપભોક્તા વિજાણુ બજારના માંધાતા સેમસંગે 9મી જુલાઈએ નોઈડા ખાતે વિશ્વના સર્વાધિક મોટા મોબાઈલ ફોન કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનાથી 2020 સુધીમાં હેન્ડસેટ ઉત્પાદન ક્ષમતા બમણી થઈને 12 કરોડ યુનિટના આંકને આંબી જશે.

કોરિયાની કંપનીના સેમસંગના નોઇડા ખાતે તા.9મી જુલાઇએ ઉદઘાટિત થયેલા કારખાના જેવા પ્લાન્ટથી 2000 ભારતીય માટે નવી નોકરી ઊભી થશે.  આ કારખાનાંમાં બનેલા સ્માર્ટ ફોનની મધ્ય પૂર્વના દેશોમાં અને આફ્રિકામાં નિકાસ કરવામાં આવશે.

July 9, 2018
munna.jpg
1min15360
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં અંડરવર્લ્ડ ડૉન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની જેલમાં જ ગોળી મારી હત્યા કરાતાં ઉત્તર પ્રદેશ જેલ પ્રશાસનથી લઇને લખનૌના પોલીસ અધિકારીઓમાં સન્નાટો મચી ગયો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આજે તા.9મી જુલાઇને સોમવારે સવારે 5.30 વાગ્યે જેલ ખૂલ્યા બાદ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા કરવામાં આવી હતી. મુન્ના બંજરગીની પત્નીએ 29 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી જેલમાં મુન્ના બંજરગીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. એ આશંકા સાચી ઠરી છે. સૌથી વધુ સવાલો જેલ પ્રસાશકો સામે જ ઉઠી રહ્યા છે.
આજરોજ તા.9મી જુલાઇએ પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિતથી રંગદારી માંગવાના આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગી હાજર થવાનો હતો. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસી જેલથી બાગપત લાવવામાં આવ્યો હતો. તેણે તન્હાઈ બેરકમાં કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુંહેડાની સાથે રાખવામાં આવ્યો હતો.
સોમવાર તા.9મી જુલાઇએ મુન્ના બજરંગી કોર્ટમાં હાજર થવાનો હતો
મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ છે. તેનો જન્મ 1967માં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પુરેદયાલ ગાંમમાં થયો હતો. તેના પિતા પારસનાથ સિંહ તેણે ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવાના સપના જોયા હતા. પરંતુ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ પિતાના સપનાઓને ચકનાચુર કરી દીધા હતા. મુન્ના બજરંગીએ પાંચમા ધોરણમાં અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. કિશોર અવસ્થા સુધી પહોંચતા તેણે એવા ઘણા શોખ લાગી ગયા જેના કારણે ગુનાઓની દુનિયામાં આવવા પૂરતા હતા.
July 9, 2018
dollarvsrupeee.jpg
1min7010

ડોલરમાં સતત મજબૂતાઈ, વિદેશી રોકાણપ્રવાહનો અભાવ અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિની ચિંતાથી રૂપિયો ચાલુ સપ્તાહે ઘટીને 70 થવાનો અંદાજ બેન્કર્સે વ્યક્ત કર્યો છે. જોકે, RBI સ્થાનિક કરન્સીને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, રૂપિયો 28 જૂને ડોલર સામે 69.10ની અત્યાર સુધીની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. તા.5 જુલાઇને ગુરુવારે તે 68.95 અને તા.6 જુલાઇને શુક્રવારે 68.87ના મથાળે બંધ રહ્યો હતો.

રૂપિયો થોડા સમય માટે 70ના સ્તરે પહોંચશે, પણ ત્યાં લાંબો સમય ટકે તેવી શક્યતા નથી.” એક બેન્ક ટ્રેઝરરના જણાવ્યા અનુસાર જે કંપનીઓને વિદેશી વેપારી ઋણ (ECB) ચૂકવવાનું છે તે પણ ડોલર એકત્ર કરી રહી છે. અન્ય એક બેન્કરે જણાવ્યું હતું કે, “RBI રૂપિયાને 69.30ના સ્તરની નીચે નહીં જવા દે. જોકે, આ સ્તર તૂટશે તો સ્થાનિક ચલણ ઝડપથી 70ને સ્પર્શશે.”

બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રૂડના ઊંચા ભાવને કારણે રાજકોષીય ખાધ વધવાની ચિંતા તેમજ ઓઇલ કંપનીઓ અને આયાતકારો તરફથી ડોલરની માંગની અસરને કારણે રૂપિયો દબાણમાં રહેશે.

રિઝર્વ બેન્કે હંમેશા જણાવ્યું છે કે, રૂપિયા માટે તેણે કોઈ ટાર્ગેટ નક્કી કર્યું નથી, પણ ચલણની વોલેટિલિટીને અંકુશમાં રાખવા તે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરી કરે છે. 29 જૂનના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 406.058 અબજના સ્તરે હતું, જે RBI માટે ઘણું અનુકૂળ સ્તર છે.

વિશ્લષકોના જણાવ્યા અનુસાર ચીન અને અમેરિકા વચ્ચે ‘ટ્રેડ વોર’ના કારણે તમામ એશિયન કરન્સી પર દબાણ વધ્યું છે, પણ રૂપિયાનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી ખરાબ રહ્યું છે. ટ્રેડ વોરની ચિંતાના કારણે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના અહેવાલ મુજબ RBI દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ થાય ત્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. RBIએ 6 જૂને રેપો રેટ વધાર્યો ત્યારથી રૂપિયો 1.9 ટકા ઘટ્યો છે.

July 9, 2018
jee13.png
1min12200

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ પરીક્ષા તેમજ એનઆઇટી, આઇઆઇટી જેવી નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી એન્જિનિયરિંગ  કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન પરીક્ષા એક કેલેન્ડર વર્ષમાં બે વખત લેવાની જાહેરાત બાદ દેશમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે. કેમકે નીટ અને જેઇઇ બે વખત લેવાથી ફાયદો કોને થશે?, જાન્યુઆરીમાં નીટ આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ક્યારે અને કેવી રીતે મળશે? , ધો.12ની જે તે બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાતી હોય ત્યારે એ પહેલા જેઇઇ કે નીટની પરીક્ષા કોણ આપશે? વગેરે સવાલોના કોઇ જવાબ કેન્દ્ર સરકાર આપી શકતી નથી. નીટ અને જેઇઇ પરીક્ષા બે વખત લેવાની જાહેરાત બાદ યોગ્ય ગાઇડન્સના અભાવે સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉલ્ટાની વધુ ગૂંચવાડાભરી સ્થિતિ સર્જાવા પામી છે.

વિદ્યાર્થીઓ 12મું નહીં 13મું ધોરણ ભણતા થઇ જશે

સામાન્ય રીતે ભારતમાં ધો.10 માધ્યમિક અને ધો.11-12 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને તેમના રસના વિષયો અનુસાર ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મળે છે. પરંતુ, બે વખત નીટ અને જેઇઇ લેવાથી એક ભયસ્થાન એ પણ ઉપસ્થિત થયું છે કે વિદ્યાર્થીઓ  વધુ એક ચાન્સ મળે તેવી આશા સાથે ડિસેમ્બરની પરીક્ષા આપશે એટલે તેમનું એક વધારાનું વર્ષ શાળાકીય સ્કુલમાં વ્યતિત થશે અને એ રીતે ધો.12ની જગ્યાએ વધુ એક વર્ષ એટલે કે 13મું વર્ષ પણ ભણશે.

 

નીટ અને જેઇઇના પરીણામો જોયા પછી પણ વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી

હકીકતમાં નીટ અને જેઇઇ પરીક્ષાનું પરીણામ જોતા હાયર મેરિટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને જ આઇઆઇટી કે એનઆઇટીમાં પ્રવેશ મળે છે. આ એક રિયાલિટી છે, વાસ્તવિક સ્થિતિ એવી પણ છે કે દર વર્ષે આઇઆઇટી, એનઆઇટીમાં ગુજરાતના ફક્ત 100 વિદ્યાર્થીઓ જ  પ્રવેશ પામી શકે છે, આમ છતાં હજારો વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસની કરોડો રૂપિયાની ફી ચૂકવે છે અને છેલ્લે 96 ટકા વિદ્યાર્થીઓએ જીટીયુ એફિલિયેટેડ કોલેજોમાં જ ગુજકેટને આધારે પ્રવેશ લેવો પડે છે. આવું દર વર્ષે જોવા મળે છે. આમ છતાં પછીના વર્ષના વિદ્યાર્થીઓ સેલ્ફ એસેસમેન્ટ કરતા નથી અને તમામ જેઇઇ નીટની તૈયારીમાં કરોડો રૂપિયા વ્યય કરી બેસે છે.

હજુ સુધી જેનું કાગળ પર પણ અસ્તિત્વ નથી એવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)જ એનઇઇટી, જેઇઇ અને નેટના એન્ટ્રેન્સ એક્ઝામ કરાવશે. જે લોકો આ પરીક્ષા આપવા માગે છે તેમને વધુ ચાન્સ મળી રહે તેવો આશય તેમાં રહેલો છે, તેમ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું. પરંતુ, આવી જાહેરાતને પગલે જે સવાલો ઉપસ્થિત થયા છે એ પેચીદા બન્યા છે.

સવાલ-1

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇની પરીક્ષા આપશે કોણ? કેમકે ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરશે કે નીટ કે જેઇઇ પરીક્ષા આપશે?

સવાલ-2

ડિસેમ્બરમાં લેવાનારી નીટ કે જેઇઇ પરીક્ષા આપ્યા બાદ જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે અને તેમાં સારો રેન્ક ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ કોણ આપશે, અધવચ્ચેથી પ્રવેશ અપાશે તો સીટ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે. અને જો શૈક્ષણિક વર્ષ અનુસાર જૂનમાં પ્રવેશ અપાશે તો વિદ્યાર્થીને ફાયદો શું થશે?

સવાલ-3

બે વખત નીટ કે જેઇઇ પરીક્ષા લેવાની યોજના ફક્ત એવા વિદ્યાર્થીઓ માટે અસ્તિત્વમાં લાવવામાં છે કે જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે?

સવાલ-4

ધો.12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ બીજી વખતની નીટ કે જેઇઇની પરીક્ષામાં સારો સ્કોર લાવશે ત્યારે તેના મેરિટની ગણતરી બીજા વર્ષના ફ્રેશર્સ વિદ્યાર્થીઓની સાથે કેવી રીતે સરખામણી કરાશે?

July 7, 2018
rera.jpg
1min7380

રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (રેરા)ને એક વર્ષ થયું છે અને આમ છતાં સમગ્ર દેશમાં રેરાનો પૂરેપૂરો અમલ થઇ શક્યો નથી. કેટલીક રાજ્ય સરકારો આ ધારાને અમલ કરવામાં વિલંબ કર્યો છે અથવા તેની જોગવાઇ હળવી કરી છે. મહારાષ્ટ્રે પૂરી ભાવનાથી રેરાનો અમલ કર્યો છે અને મધ્યપ્રદેશ હવે તાલ મિલાવી રહ્યું છે, પરંતુ બીજા રાજ્યોમાં અમલીકરણ ધીમું છે. દેશમાં રેરા હેઠળ નોંધાયેલા આશરે 25,000 પ્રોજેક્ટ્સમાંથી 62 ટકા મહારાષ્ટ્રના છે. બંગાળ તદ્દન અલગ માર્ગ અપનાવ્યો છે. તેની સરકારે તેના પોતાના હાઉસિંગ કાયદા હાઉસિંગ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ (હીરા)નો અમલ કર્યો છે.

મોટાભાગના રાજ્યોએ વચગાળાના નિયમનકાર બનાવ્યા છે અ્ને રેરા હેઠળ કાયમી નિયમનકારી સંસ્થાની નિમણુક કરી નથી. રેરાના હજુ પ્રારંભિક દિવસો છે. તેથી તેના ધીમા અમલ પર ફોકસ કરવાનો કોઇ અર્થ નથી. ત્રણથી ચાર વર્ષ પછી રિયલ એસ્ટેટ સંપૂર્ણ પણે અલગ ઉદ્યોગ હશે. મહારાષ્ટ્રના રેરાના તાજેતરના ચુકાદાથી બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સમાં ખરીદદારના વિશ્વાસને પુન:સ્થાપિત કરવામાં સફળતા મળે છે. કેટલાંક ચુકાદા ફરિયાદ દાખલ કર્યાના ૩૦ દિવસમાં આવ્યા હતા.

પારદર્શકતામાં વધારો 

રેરાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તુલનાત્મક રીતે પારદર્શકતા આવી છે. ઉહાહરણ તરીકે બિલ્ડર્સ હવે બિલ્ટ-અપ અથવા સુપર બિલ્ટ અપ એરિયાને ટાંકને પ્રોપર્ટીની સાઇઝ અંગે ખોટી માહિતી આપી શકશે નહીં. હવે તમામ એગ્રીમેન્ટમાં કાર્પેટ એરિયાનો ઉલ્લેખ કરવા ફરજિયાત છે. ખરીદદારો રેરાની વેબસાઇટ પર તેમના પ્રોજેક્ટ્સના સ્ટેટસ, સાઇટ પ્લાન, વેચાયેલા મકાન, બાંધકામનો તબક્કો, પઝેશનની તારીખ વગેરેની માહિતી મેળવી શકે છે.

પ્રોજેક્ટ્સની તમામ વિગત સાથેની એક વેબસાઇટતી રિયલ્ટી ટ્રાન્ઝેક્શનમાં મોટી પારદર્શકતા આવે છે. ખરીદદારો સમાન બિલ્ડર્સના હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની માહિતી જોઇ શકે છે અને બિલ્ડર્સ પાસે વધુ પડતા પ્રોજેક્ટ્સ છે કે નહીં તેની વિગત મેળવી શકે છે.

સપ્લાયમાં ઘટાડો 

નવા પ્રોજેક્ટ્સની રજૂઆતમાં વિલંબ રેરાની પ્રારંભિક નેગેટિવ અસર છે. ડેવપલર્સ હવે વગરવિચાર્યે પ્રોજેક્ટ્સ લોન્ચ કરતા નથી. તેઓ નવા પ્રોજેક્ટ્સ અંગે ખૂબ સાવધ બન્યા છે અને સુનિશ્ચિત કરે છે કે લોન્ચ પહેલા તમામ મંજૂરી મળી જાય. સપ્લાયમાં હવે ફરી વધારો થઈ રહ્યો છે.

નબળા બિલ્ડર્સ પાસેથી મજબૂત બિલ્ડર્સ પ્રોજેક્ટ્સ લઈ રહ્યા છે, તેથી ઇન્ડસ્ટ્રી હવે ઓર્ગેનાઇઝ્ડ બની રહી છે. અને સપ્લાયમાં ટૂંક સમયમાં વધારો થશે.

શું આવા કોન્સોલિડેશનથી રિયલ્ટી બિઝનેસ અમુક ગણ્યાગાંઠ્યા બિલ્ડર્સ પાસે આવી જશે અને તેનાથી સેલર્સ માર્કેટનું સર્જન થશે?

નબળા અને ખરાબ બિલ્ડર્સ માટે આકરા જોગવાઈ છે. તેથી રેરાથી નાના અને સારા બિલ્ડર્સ માટે તક ઊભી થઈ છે. નાના અને સારા બિલ્ડર્સ નાણા સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ શકે છે. તેથી રેરાથી ખરેખર તો બજારનું વિસ્તરણ થઈ રહ્યું છે.

પઝેશન તારીખ 

રેરાથી પઝેશનની તારીખ લંબાઈ છે. પ્રોજેક્ટસમાં વિલંબ બદલ ભારે પેનલ્ટીથી બિલ્ડર્સ પઝેશન તારીખને લંબાવે છે. પ્રોજેક્ટ્સના બાંધકામના સમયે કેટલાંક મંજૂરી જરૂરી છે. બિલ્ડર્સને આવી મંજૂરીની ખાતરી ન હોય તો તેઓ પઝેશનની તારીખ લંબાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓથોરિટીને રેરા હેઠળ લાવવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અ્ને એપ્રુવલ સિસ્ટમ વધુ સરળ બનશે.

મોટા ભાગના બિલ્ડર્સ રેરાના નિયમો હેઠળ નિર્ધારિત તારીખ પહેલા પઝેશન આપશે, પરંતુ મૌખિક ખાતરી ખરીદદારો માટે જોખમી બની શકે છે. તેઓ જણાવે છે કે પ્રોજેક્ટસ રેરા એપ્રુવ્ડ હોવાથી ખરીદદારોએ ભાર મૂકવો જોઇએ કે બિલ્ડર્સ તમામ પ્રતિબદ્ધતા લેખિતમાં આપે .

રેરા જાદૂઈ છડી નથી 

રેરાની સાથે રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી હોવા છતાં રેરામાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ પ્રોજેક્ટ્સ રોકાણને લાયક હોતા નથી. શેરબજારમાં જેમ તમામ કંપનીઓ રોકાણને લાયક હોતી નથી, તેમ રેરા હેઠળ નોંધાયેલા કેટલાંક પ્રોજેક્ટ્સ પણ રોકાણની લાયક ન હોય તેવી શક્યતા છે. રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેક્ટ્સનું યોગ્ય મૂલ્યાંકન ફરજિયાત છે.