
હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથની આરાધનામાં ભાવિકો ગળાડૂબ બન્યા છે ત્યારે એક ચર્ચા એ વાઇરલ થઇ છે કે ભગવાન શિવને અર્પણ કરાયેલો પ્રસાદ ભાવિકો આરોગી શકે કે કેમ આ અંગે અનેક મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે. કોઇક કહે છે શિવજીને, શિવલિંગને અર્પણ કરાયેલા પ્રસાદ પર ભાવિકોનો અધિકાર નથી બલ્કે શિવલિંગ કે શિવ મંદિરની પૂજા કરનાર વ્યક્તિ હોય એ સિવાય બીજા કોઈ વ્યક્તિઓથી લઈ શકાય નહીં. એ પ્રસાદ બીજાઓએ લેવો જોઈએ પણ નહીં. જો લેવામાં આવે તો લેનારનું જરૂર કંઈક ને કંઈક અનિષ્ટ થતું હોય છે. કેમકે શિવજી કાળ-ભૂત પ્રેતના દેવ છે .

શાસ્રો ટાંકે છે કે ભૂત-પ્રેતો ના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે. તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચડાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે. આથી જો અન્ય કોઈ વ્યક્તિનો પ્રસાદ ખાય તો તે ભૂત પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે. એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ, મીઠાઇ, ભાંગ, દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય! નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે.
શિવપુરાણ (વિશ્વેશ્વર સંહિતા)ના 22મા અધ્યાયમાં લખાયું છે કે
“चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।
चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:।।”
એટલે કે જ્યાં ચંડીકેશ્વરનો અધિકાર હોય ત્યાં શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મનુષ્યો લઈ શકતા નથી, તે ચંડીકેશ્વરના અધિકારનો હોય છે. શિવજીને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ તે જ લઇ શકે છે.
અડાજણના રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ શું કહે છે

સુરતના અડાજણ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ કહે છે કે શિવપુરાણમાં લખાયું છે એ યોગ્ય છે. અમારા રામેશ્વર મહાદેવ મંદિરમાં તેનું પાલન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસમાં રોજેરોજ થતી શિવ પૂજામાં ભાવિકોને ભગવાન શ્રી ગણેશજી, માતા પાર્વતી દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ જ વહેંચવામાં આવે છે.
કયા શિવલિંગનો પ્રસાદ લઇ શકાય અને કયા શિવલિંગનો નહીં
પ્રસાદની આ ચર્ચામાં એ બાબત પણ મહત્વની છે કે શિવલિંગ કઈ ધાતુ કે પદાર્થમાંથી બનેલું છે, તેની બનાવટ ઘણી મહત્વની છે. સાદી માટી, પથ્થર અથવા ચીનાઇ માટીથી બનાવવામાં આવેલા શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ નહીં.
જો શિવલિંગ ધાતુ, બાણલિંગ (નર્મદા કિનારે મળતા કંકર)નું બનેલું હોય તો અથવા પારાનું (પારદ) શિવલિંગ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ તમામને માટે લઈ શકાય એવો માનવામાં આવે છે. તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી. એટલે એ પ્રસાદ લેવાથી વ્યક્તિ દોષમુક્ત રહે છે. વળી તેના જીવનમાં આવેલા અવરોધો પણ દૂર થતા હોય છે. આ ઉપરાંત શાલિગ્રામની સાથે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય (ભલે પછી તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય) તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે, જે લેવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો કે પરેશાનીઓ દૂર થાય છે. શિવલિંગ જો સ્વયંભૂ હોય એટલે કે પોતાની જાતે પ્રગટ થયેલું હોય એવા શિવલિંગ ને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી જીવનના તમામ પ્રકારનાં પાપ દૂર થતા હોય છે.
જ્યોર્તિલિંગનો પ્રસાદ સર્વોત્તમ
બાર જ્યોતિર્લિંગને પણ અર્પણ કરેલો પ્રસાદ ખૂબ જ સુખશાંતિ આપનારો અને પાપથી છુટકારો કરાવનારો હોય છે. દેશના વિવિધ ભાગોમાં આવેલા બાર જ્યોતિર્લિંગના પ્રસાદ લેવાથી વ્યક્તિનું ખૂબ જ હિત થતું હોય છે.
શાસ્ત્રો અનુસાર જે શિવલિંગની ઉપાસના કરીને કોઈ એ ભૂતકાળમાં સિદ્ધિ હાંસલ કરી હોય કે જે શિવલિંગ કોઈ સિદ્ધ મહાપુરુષો ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોય તેનો પ્રસાદ લેવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત જેમણે સાધુત્વ ગ્રહણ કર્યું છે એટલે કે જેમણે દીક્ષા લીધેલી છે તેવા તમામ સંતપુરુષો શિવજીના લિંગને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ લેતા હોય છે અને લઈ શકે છે.