
મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.
વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.
સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું
સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.






















