CIA ALERT

Slider Archives - Page 5 of 491 - CIA Live

July 4, 2026
Cia_business_news-1280x936.jpg
1min92

દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.

તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.

June 29, 2026
image-26-1280x1453.png
1min105

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.

Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.

નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.

નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.

આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.

June 29, 2026
image-25.png
1min63

મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.

અંધેરી સબવે મુંબઈનો એક એવો રસ્તો છે જે પૂર્વ અને પશ્ચિમ (વિસ્તાર)ને જોડે છે. દરરોજ હજારો ગાડીઓ અને લોકો અહીંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવું એ એક જૂની સમસ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. પાણી ભરાવાની સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને મોડી રાત્રે 1.45 વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે સબવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક તરફ ભારે વરસાદને કારણે મુંબઈગરાઓને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને કામે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું હતું.

મુંબઈમાં ચોમાસાની ઋતુ હજી શરૂઆતના તબક્કામાં છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન (તંત્ર) સામે સૌથી મોટો પડકાર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને રાબેતા મુજબ રાખવાનો રહેશે. બીજી તરફ, નાગરિકોને પણ હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ)નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહી શકાય.

29/06/26 આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન!

મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.

રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.

બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

June 29, 2026
image-24.png
1min69

આયર્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમને બીજી T20 મેચમાં પણ કારમો પરાજય મળ્યો છે. ડબલિનમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે 154 રન બનાવ્યા હતા, જેમાં હેરી ટેક્ટરે 53 રન ફટકાર્યા હતા. પ્રિન્સ યાદવે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત 155 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહીં અને સિરીઝ 0-2થી ગુમાવી દીધી. તિલક વર્માએ 55 રન બનાવ્યા, જ્યારે જય મૂન્દ્રા અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ લીધી.

India Vs Ireland T20 Match : ભારતીય ક્રિકેટ ટીમ માટે આયર્લેન્ડનો પ્રવાસ એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો છે. પ્રથમ T20 મેચમાં 34 રનથી હાર્યા બાદ, બીજી મેચમાં પણ ભારતનો શરમજનક પરાજય થયો છે. જીતવા માટેના 155 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 153 રન જ બનાવી શકી હતી. સતત બીજી કારમી હારના કારણે ટીમ ઈન્ડિયાએ આ T20 સિરીઝ પણ ગુમાવી દીધી છે, જે ભારતીય ક્રિકેટ માટે અત્યંત આઘાતજનક બાબત છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. હેરી ટેક્ટરે 47 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા. બેન કેલિટ્ઝે 23 બોલમાં ઝડપી 37 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. રોસ અદૈરે 7 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા મારી 16 રન જોડ્યા હતા. લોર્કન ટકરે 18 બોલમાં 2 ચોગ્ગા સાથે 15 રન અને જ્યોર્જ ડોકરેલે 14 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી 19 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ટેક્ટરે 6 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન કર્યા હતા. લિયમ મેકકાર્થી 2 રન અને જય મૂન્દ્રા 1 રને અણનમ રહ્યા હતા, જેથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 8 વિકેટે 154 રન સુધી પહોંચ્યો હતો.

ભારતીય બોલરોએ મેચમાં વાપસી કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રિન્સ યાદવ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ પણ સારી બોલિંગ કરી 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 35 રન આપીને 2 સફળતા મેળવી હતી. હર્ષિત રાણાએ કરકસરયુક્ત બોલિંગ કરતા 3 ઓવરમાં 17 રન આપી 1 વિકેટ મેળવી હતી. જોકે, સૂર્યાંશ શેડગેએ 2 ઓવરમાં 25 રન અને અક્ષર પટેલે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ વિકેટ મળી શકી નહોતી.

155 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના જ પ્રથમ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ઈશાન કિશને 11 બોલમાં 1 ચોગ્ગા સાથે 12 રન અને શ્રેયસ અય્યરે 7 બોલમાં 2 ચોગ્ગા ફટકારી 10 રન બનાવ્યા હતા. મધ્યક્રમમાં તિલક વર્માએ એકલા હાથે લડત આપતા 46 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 55 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતાડી શક્યા નહીં. શિવમ દુબેએ 16 બોલમાં 2 ચોગ્ગા સાથે 20 રન અને અક્ષર પટેલે 18 બોલમાં 14 રન કર્યા હતા. સૂર્યાંશ શેડગે 1 રન ફટકાર્યો હતો.

આયર્લેન્ડના બોલરોએ ભારતના દિગ્ગજ બેટ્સમેનોને પિચ પર ટકવા દીધા નહોતા. જય મૂન્દ્રાએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને 4 ઓવરમાં 31 રન આપીને 3 મોટી વિકેટો ઝડપી હતી. તેને સાથ આપતા મેટ હોલાર્ડે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. મેથ્યુ હમ્ફ્રીઝે પણ શાનદાર લાઈન-લેન્થ જાળવી 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ મેળવી હતી. લિયમ મેકકાર્થીએ 4 ઓવરમાં 22 રન અને હેરી ટેક્ટરે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા.

June 28, 2026
image-22.png
1min64

ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ સર્જાયો છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 5 લાખની વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ ડેબ્યૂ કરતા જ નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32) સ્ટેજમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે. સ્પેને ઉરુગ્વેને હરાવતા કેપ વર્ડેની ટિકિટ પાકી થઈ હતી. હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે 3 જુલાઈએ મિયામી ગાર્ડન્સ ખાતે થશે.

Cape Verde Qualified for FIFA: ફિફા વર્લ્ડ કપ 2026માં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલા નાનકડા દેશ કેપ વર્ડેએ તા.27 જૂન 2026ને શનિવારે ઇતિહાસ રચી દીધો છે. માત્ર 5 લાખની વસ્તી ધરાવતો આ દેશ વર્લ્ડ કપના નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32) સ્ટેજમાં પહોંચી ગયો છે. શનિવારે રમાયેલી મેચમાં સ્પેને ઉરુગ્વેને 1-0થી હરાવતાની સાથે જ કેપ વર્ડેનું રાઉન્ડ ઓફ 32નું ટિકિટ કન્ફર્મ થઈ ગયું છે, જ્યાં હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે થશે. આ પહેલાં કેપ વર્ડેએ હ્યુસ્ટન ખાતે સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમીને ગ્રુપ Hમાં કોઈ પણ ટીમને પોતાની સામે જીતવા દીધી નહોતી.
આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો આ આઇલેન્ડ નેશન ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારો અત્યાર સુધીનો સૌથી નાનો દેશ બની ગયો છે. લીગ રાઉન્ડના અંતે કેપ વર્ડે ગ્રુપ Hમાં બીજા સ્થાને રહ્યું અને પોતાના ડેબ્યૂમાં જ નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી. 56 વર્ષીય હેડ કોચ બુબિસ્ટાની આ ટીમે માત્ર 8 મહિના પહેલાં જ પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરીને બધાને ચોંકાવ્યા હતા.
અજેય રહીને ગ્રુપ સ્ટેજ પાર કર્યું: ડિફેન્સ અને એટેકનો શાનદાર સમન્વય
કેપ વર્ડેએ ટૂર્નામેન્ટમાં પોતાની સફરની શરૂઆત 2010ના વર્લ્ડ કપ વિજેતા સ્પેન સામે 0-0થી ડ્રો રમીને કરી હતી, જેનાથી સાબિત થયું કે તેમનું ડિફેન્સ ખૂબ મજબૂત છે.

બીજી મેચ: બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ઉરુગ્વે સામે 2-2થી ડ્રો રમીને કેપ વર્ડેએ દર્શાવ્યું કે તેમનો એટેકિંગ લાઇન-અપ પણ શાનદાર છે.
ત્રીજી મેચ: શુક્રવારે સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમ્યા બાદ કેપ વર્ડે 3 પોઇન્ટ્સ સાથે ગ્રુપ Hમાં બીજા સ્થાને રહ્યું. તેઓ સ્પેનથી પાછળ પરંતુ દિગ્ગજ ઉરુગ્વે કરતાં 1 પોઇન્ટ આગળ રહ્યા.
ઐતિહાસિક રેકોર્ડ: વર્ષ 2002માં સેનેગલના પ્રદર્શન બાદ કેપ વર્ડે વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે, જે પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ દરમિયાન એક પણ મેચ હાર્યા વગર નોકઆઉટમાં પહોંચ્યો હોય.
ચાંદની ચોક કરતાં પણ ઓછી વસ્તી, મોટા દેશોને આપી માત
કેપ વર્ડેની કુલ વસ્તી આશરે 5,25,000 છે, જે દિલ્હીના પ્રખ્યાત વિસ્તાર ચાંદની ચોકની વસ્તી કરતાં પણ ઓછી છે. વસ્તીની દ્રષ્ટિએ કુરાકાઓ અને આઇસલેન્ડ જેવા નાના દેશો પણ વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ તેઓ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યા નહોતા. કેપ વર્ડે આ તમામથી આગળ નીકળીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

સાઉદી અરેબિયા સામેની નિર્ણાયક મેચમાં કેપ વર્ડેના 40 વર્ષીય અનુભવી ગોલકીપર વોઝિન્હા ગોલપોસ્ટ સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. તેમણે મેચ દરમિયાન અદભુત સેવ કર્યા:

66મી મિનિટે હવામાં અદભુત ડાઇવ લગાવીને મોહમ્મદ અબુ અલ-શમતનો આકરો શોટ નિષ્ફળ બનાવ્યો.
92મી મિનિટે અબ્દુલ્લા અલ-હમદાનના ગોલ કરવાના પ્રયાસને નાકામ કરી મેચ ડ્રો રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

કેપ વર્ડેની ટીમ હવે 3 જુલાઈના રોજ મિયામી ગાર્ડન્સ ખાતે રમાનારા રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના સામે મેદાને ઉતરશે. આ નાનકડા દેશ માટે લિઓનલ મેસીની ટીમ સામે રમવું એ પોતે જ એક ઐતિહાસિક ક્ષણ હશે.

June 28, 2026
image-21.png
1min57

ભારતમાં જૂન 2026નો મહિનો છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો છે. 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું, પરંતુ 15 જૂન પછી તેની પ્રગતિ અટકી ગઈ. દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની અછત નોંધાઈ. નબળું MJO, કમજોર સોમાલી જેટ, રણની ગરમ હવા, ન્યુટ્રલ IOD અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ આ પાંચ પરિબળો જવાબદાર છે. ‘અલ નીનો’ની અસર જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ જોવા મળશે.

ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું હોવા છતાં દેશનો એક બહુ મોટો ભાગ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. જૂન 2026નો મહિનો ભારતીય હવામાન ઇતિહાસમાં વિતેલા 146 વર્ષના સૌથી સૂકા મહિનાઓમાંથી એક સાબિત થયો છે.

કેરળમાં 4 જૂને સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયું હતું, પરંતુ 15 જૂન પછી તે અચાનક અટકી ગયું હતું. આશરે બે અઠવાડિયા સુધી મોનસૂનની પ્રગતિ અટકી જતાં દેશમાં 40 ટકાથી વધુ અને મધ્ય ભારતમાં 60 ટકા જેટલી વરસાદની ભારે અછત નોંધાઈ છે. 23 જૂન પછી મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પાછો ફર્યો છે, પરંતુ જૂનની આ ખાધ પુરાવવામાં હજુ સમય લાગશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે કોઈ એક નહીં પરંતુ પાંચ અલગ-અલગ સિસ્ટમ એકસાથે વરસાદની વિરુદ્ધ કામ કરી રહી હતી:

નબળું MJO (મેડન જુલિયન ઓસિલેશન): વૈશ્વિક સ્તરે વાદળો અને વાવાઝોડાની આ મોટી લહેર દર 30 થી 60દિવસે પૃથ્વીનું ચક્કર લગાવે છે. તે જૂન મહિનામાં હિંદ મહાસાગર પરથી આગળ વધી જતાં ભારતમાં વરસાદની ગતિ પણ ઘટી ગઈ.

કમજોર સોમાલી જેટ (Somali Jet): આ પવનો આફ્રિકાથી અરબ સાગર થઈને ભારત તરફ ભેજ લાવે છે, જે આ વર્ષે અત્યંત નબળા રહ્યા છે.

રણ પ્રદેશની ગરમ-સૂકી હવા: ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવેલી સૂકી હવાએ મધ્ય ભારત પર એક ‘ઢાંકણ’ જેવી સ્થિતિ સર્જી, જેથી વાદળો હોવા છતાં વરસાદ ન પડ્યો.

ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD): હિંદ મહાસાગરના બે ભાગોના તાપમાનનો આ તફાવત આ વખતે તટસ્થ (Neutral) રહ્યો, જેથી ચોમાસાને પૂરતી મદદ ન મળી.

બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ: બંગાળની ખાડીમાં ઓછું દબાણ ધરાવતી મજબૂત સિસ્ટમ ન બનવાને કારણે વાદળો દેશના આંતરિક ભાગો તરફ ખેંચાઈ શક્યા નહીં.

અમેરિકન એજન્સી NOAA દ્વારા જૂનના બીજા અઠવાડિયામાં જ ‘અલ નીનો’ (El Nino) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના મતે જૂનની અછતમાં તેની અસર ઓછી હતી, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેનો મોટો ખતરો જોવા મળી શકે છે.

હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે અંદાજે 90 ટકા જેટલો જ રહેશે. આ સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા એ પણ વધી છે કે, ગરમ હવા વધુ પાણી સંગ્રહી શકે છે, જેના લીધે લાંબા સૂકા ગાળા પછી અચાનક અત્યંત ભારે વરસાદ (Flash Floods) આવવાનું જોખમ પણ વધી જાય છે.

June 27, 2026
WhatsApp-Image-2026-06-27-at-17.54.05.jpeg
2min116

૩ દિવસમાં ૩૫,૦૦૦ વિઝિટર્સે લીધી મુલાકાત

દેશની ૧૫ થી વધુ મુખ્ય કાપડ મંડીઓ અને કોર્પોરેટ હાઉસીસના ૨,૫૦૦ થી વધુ જેન્યુન બાયર્સે પ્રદર્શનની લીધી મુલાકાત: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા

લેટેસ્ટ વિસ્કોસ પોઝિશન પ્રિન્ટ, સાલસા પ્લેન-બુટી, નાયલોન અને વોટરજેટના હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની બજારમાં ભારે ડિમાન્ડ

ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ, ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવામાં ચેમ્બર સફળ

સુરત, ૨૮ જૂન ૨૦૨૬ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.

દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”

તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.

વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ

ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.

પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.

Dated 27 June 2026

SGCCIના ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોને મળ્યો જબ્બર રિસ્પોન્સ, 2 દિવસમાં 20 હજાર ખરીદારોની વિઝીટ

નામને સાર્થક કરતા ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરના બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધીઃ ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા

સુરતઃ ધી સધર્નગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ ને બાયર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નામને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન કુલ ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી, જેમાં ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરમાંથી આવેલ બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્‌સ, કમ્ફર્ટર ફેબ્રિક,માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્‌યુવેટ્‌સ અને ડ્‌યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્‌ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહી છે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.

ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનને નિહાળવા લોકો આવી રહ્યા છે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક જોવા મળી રહ્યું છે.

અગ્રણી ટેક્સ્ટાઈલ ગૃહો અને ડિઝાઇનરો પરંપરાગત-એથનિક અને ફેશન વસ્ત્રોના જીવંત કલેક્શન રજૂ કરી રહ્યા છે. પરંપરાગત સાડીઓથી માંડીને અત્યાધુનિક ફ્યુઝન વસ્ત્રો સુધી, આ પ્રદર્શન સ્થાનિક તેમજ નિકાસ બજારોને આકર્ષતા ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરે છે.

June 27, 2026
image-20.png
1min66

26/06/26 ડબ્લિનમાં રમાયેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રને હરાવી પ્રથમવાર ઐતિહાસિક વિજય મેળવ્યો. આયર્લેન્ડે ટકરના 50 અને ડેલાનીના 49 રનથી 182 રન બનાવ્યા, જેની સામે હર્ષિત રાણાએ 3 વિકેટ ઝડપી. ભારતીય ટીમ અભિષેકના 49 રન છતાં 148 રનમાં ઓલઆઉટ થઈ, મેટ હોલાર્ડે 3 વિકેટ લીધી હતી.

IND vs IRE T20 Match Record : ડબ્લિનમાં રમાયેલી ટી-20 મેચમાં ભારતનો આયર્લેન્ડ સામે પહેલીવાર પરાજય થયો છે. આયર્લેન્ડે ટીમ ઈન્ડિયાને 34 રને હાર આપી શાનદાર જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતાં આયર્લેન્ડે લોર્કન ટકરની અડધી સદી (50 રન) અને ગેરેથ ડેલાનીની આક્રમક ઇનિંગ (49 રન) ના સહારે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા, જેની સામે ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત તરફથી અભિષેક શર્માએ 49 રનની તોફાની ઇનિંગ રમી હોવા છતાં, મેટ હોલાર્ડની 3 વિકેટની ઘાતક બોલિંગ સામે ભારતની ટીમ 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.

આયર્લેન્ડ તરફથી કેપ્ટન લોર્કન ટકરે 36 બોલમાં 5 ફોર અને 2 સિક્સરની મદદથી 50 રનની અડધી સદી ફટકારી હતી. ગેરેથ ડેલાનીએ 32 બોલમાં 3 ફોર અને 3 સિક્સરની મદદથી 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યોર્જ ડોકરેલે 10 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રન બનાવ્યા હતા. ટિમ ટેક્ટરે 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સરની મદદથી 17 રન નોંધાવ્યા હતા. બેન કેલિટ્ઝે 11 બોલમાં 2 સિક્સરની મદદથી 15 રન કર્યા હતા, જ્યારે રોસ અડેરે 7 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવ્યા હતા. લિયમ મેકકાર્થીએ 5 બોલમાં 1 ફોર સાથે 7 રન નોંધાવ્યા હતા.

ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ મેળવી હતી, જ્યારે શિવમ દુબેએ 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 57 રન આપ્યા છતાં તેને કોઈ વિકેટ મળી નહોતી. વોશિંગ્ટન સુંદરને 1 ઓવરમાં 19 રન પડ્યા હતા અને તે પણ વિકેટ મેળવી શક્યો નહોતો.

ભારત તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. તેણે માત્ર 20 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી આક્રમક ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ 14 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 25 રન નોંધાવ્યા હતા. તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 19 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 16 બોલમાં 1 ફોર સાથે 15 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદર 12 બોલમાં 9 રન, હર્ષિત રાણા 9 બોલમાં 1 સિક્સર સાથે 8 રન અને સંજુ સેમસને 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહ 2 અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 રન સાથે અણનમ રહ્યા હતા.

આયર્લેન્ડ તરફથી મેટ હોલાર્ડ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મેથ્યૂ હમ્ફ્રીઝે 3.3 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ લીધી હતી, જ્યારે જય મૂન્દ્રાએ 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ મેળવી હતી. લિયમ મેકકાર્થીએ 3 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ગેરેથ ડેલાનીએ 1 ઓવરમાં માત્ર 3 રન આપી 1 વિકેટ લીધી હતી. હેરી ટેક્ટરે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા, પરંતુ તેને કોઈ વિકેટ મળી નહોતી.

June 26, 2026
image-19.png
2min136

અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે 26/06/26 ગુરુવારે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને એસઆઈટી (SIT)ની ભલામણ બાદ આ FIR નોંધવામાં આવી છે.

એફઆઈઆરમાં આઠ લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. આ FIR

  • રમાશંકર યાદવ (ટિન્નુ યાદવ),
  • અનુકલ્પ મિશ્રા,
  • અવિનાશ શુક્લા,
  • મનીષ યાદવ,
  • રમાશંકર મિશ્રા,
  • સુભાષ,
  • કરુણેશ અને
  • લવકુશ મિશ્રા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

આ પૈકીના બે મુખ્ય આરોપીઓ લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા નોટો ગણવાનું કામ કરતા હતા. બીજી તરફ, અવિનાશ ત્રિપાઠી, કરુણેશ પાંડે, સુભાષ ચંદ્ર અને મનીષ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

યુપી સરકારના નિર્દેશ પર બીએનએસ (BNS)ની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5)ની હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIR ચોરી, ચોરીમાં મદદ કરવી, ઉચાપત, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને સરકારી કર્મચારી અથવા સંસ્થાના કર્મચારી દ્વારા ગુનાહિત કાવતરા હેઠળ વિશ્વાસઘાત કરવાના ગુના હેઠળ દાખલ કરવામાં આવી છે. આ મામલો રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જે લોકો પાસેથી રકમ મળી આવી છે, તે તમામના નામ એફઆઈઆરમાં સામેલ કરાયા છે. એવું પણ માનવામાં આવે છે કે આ મામલે મોટાપાયે ધરપકડો પણ થશે.

આવી સ્થિતિમાં હવે આગળની તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર મંડરાયેલી છે. આ ઘટનાક્રમ પર વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વિવાદ ઊભો કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આખી દુનિયા બધું જોઈ રહી છે.’

અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં ઉચાપતના આરોપો સાબિત થવા પર આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ FIR બીએનએસની કલમ 61, 306, 316 અને 317 હેઠળ ગુનાહિત કાવતરું ઘડવા, ચોરી, વિશ્વાસઘાત અને ચોરીની મિલકત સાથે જોડાયેલા ગંભીર ગુના માટે નોંધવામાં આવી છે. આ કલમોમાં ગુનાની વિગતવાર વિગતો અને તેના હેઠળ મળનારી સજાની જોગવાઈ પણ સ્પષ્ટ છે. BNSની કલમ 61 ગુનાહિત કાવતરા એટલે કે, ક્રિમિનલ કોન્સ્પિરેસી વિશે છે, એટલે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગેરકાયદેસર કામ કરે છે, ત્યારે આ કલમ લાગે છે. જો કાવતરા હેઠળ કરવામાં આવેલા ગુનાની સજા મૃત્યુદંડ, આજીવન કેદ અથવા બે વર્ષથી વધુની સખત કેદ હોય, તો કાવતરું ઘડનારને પણ મુખ્ય ગુનેગાર જેટલી જ સજા મળશે, જ્યારે તેનાથી ઓછા ગંભીર ગુનામાં છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે.

આ મામલો પહેલીવાર 7 જૂને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગરબડ થઈ છે. અખિલેશ યાદવે કોર્ટને પણ આ મામલાની નોંધ લેવાની માંગ કરી હતી.

June 26, 2026
image-18.png
2min75
  • સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને રાહત

કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPGનો સપ્લાય પશ્ચિમ એશિયાના સંકટ પૂર્વેના સ્તરે પુનઃસ્થાપિત કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી દીધા છે. પ્રોપેન અને બ્યુટેન પરના પ્રતિબંધો પણ હળવા કરાયા છે. જોકે, PNG તરફ સ્થળાંતરની ઝુંબેશ ચાલુ રહેશે.

પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું, તેમાં હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સપ્લાયને કટોકટી પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરી દીધો છે. આ સાથે જ સરકારે અગાઉ લાદવામાં આવેલા તમામ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી લીધા છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા, સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પરના તમામ સેક્ટરલ પ્રતિબંધો દૂર કર્યા છે અને પશ્ચિમ એશિયાના સંકટ પહેલા પ્રવર્તતા સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કર્યો છે.

નવા નિર્દેશો અનુસાર, જે મોટા ગ્રાહકો છે, તેમને કટોકટી પૂર્વેના તેમના કુલ વપરાશના 50% જરૂરિયાત જેટલો ગેસ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કટોકટીની શરૂઆતમાં આ સપ્લાય સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કટોકટી ચરમસીમા પર હતી, ત્યારે સરકારે કોમર્શિયલ LPGના સપ્લાય પર કામચલાઉ પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ સ્થિતિ સુધરતા અલગ-અલગ તબક્કામાં સપ્લાય વધારીને 70% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઇપ્ડ નેચરલ ગેસ તરફ ઝડપથી વળવા માટે 10%ની શરતી ફાળવણી પણ સામેલ હતી.

સરકારે માત્ર LPG સપ્લાય જ નથી વધાર્યો, પરંતુ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના નિયમોમાં પણ ઢીલ આપી છે. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર સ્થાનિક LPGના ઉત્પાદન માટે જ કરવો. હવે આ કડક આદેશને પણ હળવો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સપ્લાયનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત મેઇન્ટેન રાખવા માટે પણ સૂચના આપી છે.

  • કોમર્શિયલ પેક્ડ LPG > 100% સપ્લાય પુનઃસ્થાપિત (પ્રી-ક્રાઈસિસ લેવલ)
  • બલ્ક LPG કન્ઝ્યુમર્સ > પ્રી-ક્રાઈસિસ વપરાશના 50% સપ્લાયની ફાળવણી
  • નવા PNG કનેક્શન્સ (માર્ચથી અત્યાર સુધી) > 10,00,000થી વધુ કનેક્શન્સ અપાયા
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી (ભવિષ્યના કનેક્શન્સ) > 3,22,000 વધારાના કનેક્શન્સ માટે લાઈનો તૈયાર
  • મે 2026 માં કુલ LPG વપરાશમાં ઘટાડો > 19% નો ઘટાડો (પ્રોવિઝનલ સરકારી ડેટા મુજબ)

સરકારે ભલે LPG સપ્લાય સામાન્ય કરી દીધો હોય, પરંતુ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવાનો તેનો સંકલ્પ યથાવત છે. કટોકટી સમયે LPG પરનું દબાણ ઘટાડવા માટે જે ગ્રાહકોને PNG પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેઓ આગામી સમયમાં પણ PNG પર જ રહેશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કોમર્શિયલ અને બલ્ક ગ્રાહકો પાસે PNG નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે, અથવા જેઓ શિફ્ટ થવાની પ્રક્રિયામાં છે, તેમને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓના સંકલન સાથે ક્રમશઃ PNG તરફ વાળવામાં આવશે.