CIA ALERT

Slider Archives - Page 5 of 484 - CIA Live

April 24, 2026
image-13.png
1min68

આમ આદમી પાર્ટીના સાત સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં સમિકરણો બદલાઈ ગયા છે. સાતેય સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની ગઈ છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે (24 એપ્રિલ) પ્રેસ કોન્ફરન્સ કરીને અન્ય બે સાંસદો સાથે AAP છોડવાની જાહેરાત કરી છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ પાર્ટી છોડી દીધી છે અને ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ છે.

રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને 113 થઈ

તાજેતરના આંકડા મુજબ, ભાજપ પાસે રાજ્યસભામાં 106 સભ્યો છે. જેમાં AAPના 7 પક્ષપલટુ સાંસદો ઉમેરાયા બાદ ભાજપની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં ભાજપ મજબૂત થઈ છે, સાથે જ આગામી કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભાજપને પક્ષપલટુઓનો સાથ મળતા મજબૂત તો થયું જ છે, સાથે તેમના સાથી પક્ષોના સહયોગના કારણે પણ આ સંખ્યાને મજબૂતી આપી છે. હાલ ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં સાથી પક્ષોના સાંસદો સહિત કુલ 136 સાંસદો છે અને હવે સાત સાંસદોના પક્ષપલટા બાદ આ સંખ્યાબળ 143 પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ સભ્યો અનેક મહત્વના ખરડાઓ દરમિયાન સરકારનું સમર્થન કરતા રહ્યા છે, જેનાથી સત્તા પક્ષને વ્યૂહાત્મક સરસાઈ મળે છે.

રાજ્યસભામાં NDAના સાથી પક્ષોની સ્થિતિ

તમિલનાડુની AIADMKના 5 સભ્યો
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 2 સભ્યો
શિવસેનાના 2 સભ્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથના 4 સભ્યો
રામદાસ અઠાવલેની RPIના 1 સભ્ય
બિહારમાં નીતીશ કુમારની JDUના 4 સભ્યો
કર્ણાટકમાં JDSનો 1 સભ્ય
ઉત્તર પ્રદેશમાં પ્રભાવ ધરાવતી RLDના 1 સભ્ય
આસામની AGPના 1 સભ્યો
UPPLના 2 સભ્યો

રાજ્યસભામાં બહુમતીનો આંકડો પાર કરવો NDA માટે હંમેશા પડકાર રહ્યો છે. લોકસભામાં મજબૂત બહુમતી હોવા છતાં, ઉપલા ગૃહમાં સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત સરકારે વિપક્ષ સાથે તાલમેલ બેસાડવો પડતો હતો, પરંતુ હવે 113ના આંકડા સુધી પહોંચવાથી સરકાર માટે બિલ પાસ કરાવવું સરળ બની શકે છે.

April 24, 2026
voting.jpg
1min60

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. તા.24મી એપ્રિલને શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જવાના હોય, રાજકીય પક્ષો, ઉમેદવારોએ પ્રચાર પાછળ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોય, ઉમેદવારોની ચિંતા વધી છે.

રાજ્યની મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની હજારો બેઠકો માટે આગામી ૨૬મી એ્પ્રિલને રવિવારે મતદાન યોજાશે. ૪૮ કલાક પહેલા જાહેર અને સાઉન્ડ સિસ્ટમ સાથેની ચૂંટણી પ્રચાર ઉપર પાબંધી લાગી જતી હોવાથી શુક્રવારે પ્રચારના અંતિમ દિવસને લઈ સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે. ત્યારબાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો બંધ બારણે બેઠકો કરી અંતિમ ઘડીની રણનીતિ ઘડશે. મનપા, પાલિકા અને પંચાયત જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા મતદારોની નિરસતા અને ગરમીના કારણે મતદાન ઓછું થાય તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

April 23, 2026
sensex_down.jpg
1min73

ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા કાર્યકારી દિવસ 23 એપ્રિલ, 2026ના રોજ ઘટાડો નોંધાયો છે. ખુલતાની સાથે શેરબજાર ક્રેશ થયું છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ના 30 શેર વાળા સેન્સેક્સ 852 અંકથી બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના નિફ્ટી ઇન્ડેક્સ 205 અંકે ક્લોઝ થયો છે. શેરબજારમાં ભૂકંપ આવતા ટાટાના ટ્રેન્ટ લિમિટેડના શેર સહિત ઇન્ફોસિસ, M&M, ટેક મહિન્દ્રા, HDFC બૅંક, વગેરે શેરમાં ઘટાડો નોંધાતા રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા થયા છે! ચાલો જાણીએ સેન્સેક્સ-નિફ્ટીના ઘટાડા પાછળના કારણો.

શેરબજારમાં આ મોટા ઘટાડા વચ્ચે રોકાણકારોને ભારે નુકસાન થયું છે, જેમાં તેમની ₹3 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા છે. આ સતત બીજા દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું છે.

BSE સેન્સેક્સે ગુરુવારે(23 એપ્રિલ) શેરબજારમાં ટ્રેડિંગ સ્ટાર્ટ હોવાના કારણે અગાઉ 78,516 બંધ થયાની તુલનાએ સેન્સેક્સ 77,983 સ્તરે રહ્યો અને તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 30 શેર વાળો ઇન્ડેક્સ 852.49થી 77,664 સ્તરે ક્લોઝ થયો છે.

સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટીમાં પણ ઘટાડો થવાની સાથે રેડ ઝોનમાં ખુલ્યો. 50 શેર વાળા ઇન્ડેક્સ બુધવાર(22 એપ્રિલ) 24,378 બંધ રહ્યો હતો, જેમાં ઘટાડો થતાં તે હવે 24,202 પર ખુલ્યો અને સતત ઘટાડો નોંધાતા અંતે 24,173.05 પર ક્લોઝ થયો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા વચ્ચે અનેક હેવીવેઇટ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં BSEના માર્કેટ કેપમાં ઘટાડો થતાં ₹4,66,35,326 કરોડ પર પહોંચ્યું, જે પાછલા કાર્યકારી દિવસે ક્લોઝિંગના સમયે ₹4,69,36,824 કરોડ નોંધાયું. આ સંદર્ભમાં જોઈએ તો શેરબજારમાં રોકાણકારોને એક જ દિવસમાં ₹3,01,498 કરોડનો ફટકો પડ્યો છે.

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળતા શેરો પર નજર કરીએ તો, BSE લાર્જ-કેપ કેટેગરીમાં ટ્રેન્ટ શેર (4.21%), M&M (3.30%), બજાજ ફિનસર્વ (2.93%), ટેક મહિન્દ્રા (2.90%), ઇન્ફોસિસ (2.04%), અને HDFC બૅંક (1.93%) શેર નુકસાન સાથે બંધ થયા. આ સાથે મિડ-કેપ કેટેગરીમાં અશોક લેલેન્ડ (4.61%), ડિક્સન (3.65%), અને MFSL (2.35%) નીચા સ્તરે બંધ થયા. જ્યારે સ્મોલ-કેપ શેરોમાં IIFLને 10.12% સૌથી વધુ ઘટાડો સહન કર્યો હતો.

શેરબજારમાં આવેલા નોંધપાત્ર ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો, અમેરિકા અને ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરીથી ઉછાળો આવવાનું શરૂ થયું છે. જેના કારણે મોંઘવારીનું જોખમ વર્તાઈ રહ્યું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રાઇઝ 103 ડૉલર પ્રતિ બેરલ પહોંચી હતી.

આ ઉપરાંત, વિદેશી બજારમાં મળેલા નેગેટિવ સિગ્નલના કારણે પણ ભારતીય શેરબજારમાં અસર પડી છે. શરૂઆતથી જ જાપાન નિક્કી, હોંગકોંગ હેંગ સેંગ અને દક્ષિણ કોરિયા KOSPI ઇન્ડેક્સ સહિત ગિફ્ટ નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડ થતું જોવા મળ્યું.

April 23, 2026
image-12.png
1min55

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે(23 એપ્રિલ, 2026) પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી હતી. 

સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ (VTR) મુજબ, તમિલનાડુમાં અંદાજે 84.41 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે 91.46 ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% મતદાન થયું છે. બંગાળમાં અંદાજે 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ DMKની આગેવાની હેઠળના ઈન્ડિયા (INDIA) ગઠબંધન અને AIADMK-BJPના NDA વચ્ચે ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.

આમ આદમી પાર્ટીના સંયોજનક અરવિંદ કેજરીવાલ બંગાળ ચૂંટણીમાં TMCનો પ્રચાર કરશે. મમતા બેનર્જીએ પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતું જેથી કેજરીવાલ 26-27 એપ્રિલના રોજ TMC માટે જનતા વચ્ચે જઈને વોટ માંગશે.

‘ચૂંટણી પંચ સફળ રહ્યું છે, શાંતિપૂર્ણ મતદાન થયું છે. મારી જાણકારી મુજબ 90 ટકા મતદાન થયું છે. અમે પ્રથમ તબક્કામાં 125 બેઠકો જીતીશું. મુસ્લિમ મતો તો પહેલાથી જ Consolidate (એકત્રિત) થઈ ગયા હતા, પરંતુ પરિણામો પછી જો જો કે 85 ટકા હિન્દુઓ તમને ભાજપની સાથે જોવા મળશે. બીજો તબક્કો અમારા માટે મુશ્કેલ નથી. બસ ગુંડાગીરી પર કાબૂ મેળવવો પડશે. ચૂંટણી પંચ પ્રથમ તબક્કા પછી 100 ટકા કામગીરી કરી શક્યું છે.’

April 21, 2026
earth-quake.png
1min95

Dated 21/04/2026 મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

April 20, 2026
image-10.png
1min113

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે દિલ્હી-સુરત વચ્ચે આંગડિયા મારફતે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ફંડ મોકલવનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજા અને ફંડ રિસીવ કરનાર પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીના નામ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં 1.25 કરોડ રૂપિયા આંગડિયા મારફતે મોકલાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સંયુક્ત રીતે દેશની રાજધાની દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગત 10મી એપ્રિલના રોજ આંગડિયા મારફતે દિલ્હીથી લાખો રૂપિયા સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલવામાં આવ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પીપલોદના પ્રગતિ નગર સોસાયટીમાં રહેતા આકાશ મિશ્રાને બોલાવી પૂછપરછ કરી હતી. જે અંતર્ગત દિલ્હી ખાતેથી હિમાંશુ પાહુજાએ અઠવાડિયા અગાઉ 19 લાખ રૂપિયા સુરત મોકલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ હોવાનું મનાય રહ્યું છે. જેથી આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે રૂપિયા દિલ્હીથી સુરત રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયા આકાશ મિશ્રા અને અજય તિવારી કર્ડિંગ નેટવર્કમાં રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકેની મહત્ત્વની કડી હોવાનું મનાય છે.

પ્રાથમિક પૂછપરછમાં આકાશ મિશ્રાએ છેલ્લા પાંચથી છ મહિનામાં અંદાજે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી હિમાંશુંએ મોકલાવ્યાની કબૂલાત કરી છે. જેથી પોલીસને આશંકા છે કે, આ ફડિંગનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવી રહ્યો છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

દિલ્હી-સુરત વચ્ચેના પોલિટીકલ ફડંગ સિન્ડિકેટમાં સંડોવાયેલો સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રાનો જન્મ સુરતમાં જ થયો છે અને અભ્યાસ પણ અહીં કર્યો છે. પરંતુ થોડા સમય માટે દિલ્હી શીફ્ટ થયો હતો અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પી.એ તરીકે કામ કર્યું હોવાની કબૂલાત કરી છે.

દિલ્હી-સુરત વચ્ચે પોલિટીકલ કડિંગ સિન્ડિકેટ અંતર્ગત 10મી એપ્રિલે મહિધપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢી મારફતે રૂપિયા આવ્યા હતા. પરંતુ પોલીસને આશંકા છે કે, માત્ર અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં જ નહીં પરંતુ અન્ય પેઢી મારફતે પણ ફડિંગ આવ્યું હોવાની આશંકા હોવાથી પોલીસ અલગ અલગ આંગડિયા પેઢીમાં તપાસ હાથ ધરવા સાથે ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે.

April 13, 2026
image-9.png
1min95

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 13, 2026
image-8.png
1min75

આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.

જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.

મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.

તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.

April 12, 2026
electionbond.jpg
1min58

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.

બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.

ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.

April 12, 2026
Cia_business_news-1280x936.jpg
1min123

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI બિઝનેસ કનેકટ દ્વારા તા. ૧૮ એપ્રિલ, ર૦ર૬ના રોજ સવારે ૮:૩૦થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SGCCI બિઝનેસ કનેકટ દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ વખત એક અનોખા કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રિવન હશે તેમજ તેમાં અસરકારક નેટવર્કિંગ માટે ફેસ ટુ ફેસના ત્રણ રાઉન્ડ કરવામાં આવશે. આ AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’ આયોજિત કરવાનો મુખ્ય હેતુ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને ઝડપી અને અસરકારક રીતે નવા બિઝનેસ કનેકશન બનાવવાની તક પ્રદાન કરવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા ભાગ લેનારાઓને નવી ભાગીદારી, સહકાર અને વિકાસના માર્ગો શોધવામાં સહાય મળશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ અનોખા કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના પ૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો તથા પ્રોફેશનલ્સને એકત્રિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને એક જ પ્લેટફોર્મ પર આવી ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો ઉભા કરવાની, વિચારોનું આદાન–પ્રદાન કરવાની અને તેના થકી બિઝનેસ વધારવાની તકો મળશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનો AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ આયોજિત થવા જઇ રહ્યો છે. આ કોન્કલેવમાં સુરતની ૧૦થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક જ છત નીચે લાવવામાં આવશે, જેના કારણે ઉદ્યોગ જગતમાં નવી દિશાઓ ખુલી શકે છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દીપકકુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, કોન્કલેવ દરમિયાન ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સનું આયોજન કરવામાં આવશે, જેમાં ૩૦–૩૦ મિનિટના ત્રણ અલગ અલગ રાઉન્ડ યોજાશે. દરેક રાઉન્ડમાં જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારો અને વ્યવસાયિકો સાથે મુલાકાત કરવાની તક મળશે, જેથી કોન્કલેવમાં ભાગ લેનારાઓને તેમના બિઝનેસ, પ્રોડકટ્‌સ તથા સેવાઓને વ્યાપક રીતે રજૂ કરવાની મહત્વની તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા દરેક ઉદ્યોગ સાહસિક, આશરે ર૧ જેટલા વિવિધ બિઝનેસમેન સમક્ષ પોતાના બિઝનેસને રજૂ કરી બિઝનેસને વધારી શકશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ડિજિટલી ઓનલાઇન કરાશે.

SGCCI બિઝનેસ કનેકટના ચેરમેન શ્રી ચંદ્રકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કોન્કલેવ એઆઇ આધારિત હોવાથી ફેસ ટુ ફેસ દરેક બિઝનેસ મિટિંગ્સને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવા માટે દરેક ટેબલ પર કયૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે. ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને જેઓની સાથે બિઝનેસ કરવામાં રસ હશે, તેઓ કયૂઆર કોડ સ્કેન કરીને પોતાની રૂચિ દર્શાવશે. આ ડિજિટલ પ્રક્રિયા દ્વારા બિઝનેસ સંબંધિત તમામ માહિતી તુરંત જ સિસ્ટમમાં નોંધાઈ જશે અને તેનું લાઇવ ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળશે, જેથી બિઝનેસ નેટવર્કિંગ વધુ પારદર્શક, ઝડપી અને પરિણામકારક બનશે.

SGCCI બિઝનેસ કનેકટના એડવાઇઝર શ્રી તપન જરીવાલાએ જણાવ્યું હતું કે, AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગની પ્રક્રિયા વ્યવસાયિક મુલાકાતોને વધુ કાર્યક્ષમ અને પરિણામકારક બનાવશે. પરિણામે, આ કોન્કલેવ સુરતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં નવી ઊર્જા પ્રેરિત કરીને સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને વધુ સશક્ત, ગતિશીલ અને સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

કોન્કલેવ ઇન્ચાર્જ શ્રી વિશાલ બક્ષીએ જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં નિષ્ણાત વક્તાઓ તરીકે મુંબઈના શ્રી અમિત પાઠક અને સુરતના શ્રી વિશાલ શાહ ઉપસ્થિત રહેશે. આ બંને વકતાઓ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને આધુનિક ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા બિઝનેસ ગ્રોથ કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન આપશે.