ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થતાની સાથે વીજકરંટ લાગવાની ઘટના વધી રહી છે ત્યારે સુરતમાં શુક્રવારે વીજપોલ પાસેના આવેલ થાભંલાને અડતા વીજ કરંટ લાગવાથી યુવતીનુ ઘટનાસ્થળે મોતને ભેટી હતી. સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે એક યુવતી પસાર થઈ રહી હતી. ત્યારે યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડી પાડતા તેને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ ઘટનાના સમયે પાસેથી પસાર થતી અન્ય યુવતીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતા. અને ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં ડીજીવીસીએલ સામે ફરીયાદ નોધાવામાં આવી યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માગ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ હતી. જેમાં વીજ થાંભલા પાસેથી અનેક લોકો પસાર થાય છે પરંતુ કમભાગી યુવતી તેની પાસેથી પસાર થાય છે અને વીજ થાંભલાને પકડી પાડે છે. આ ઘટનાના પગલે કોર્પોેટર અને જીઇબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટના બાદ સુરતમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવી ડીજીવીસીએલ સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી ડીજીવીસીએલ સામે યોગ્ય કાર્યવાહીની યુવતીના પરિવારજનોએ માંગ કરી હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી મેઘ મહેરથી હવે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના ડેમો અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ છે.
રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 99 એમએમ વરસાદ નોંધાયો હતો. ન્યારી-1 ડેમમાં 24 કલાકમાં 26 એમએમ વરસાદ અને અત્યાર સુધીમાં કુલ 56 એમએમ વરસાદ નોંધાયો હતો. છાપરવાડી-2 ડેમમાં 24 કલાકમાં 03 એમએમ વરસાદ નોંધાયો હતો.

શુકવાર સવાર સુધીમાં કુલ 68 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વાયુ વાવાઝોડા બાદ અત્યાર સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. વાવાઝોડા બાદ પડેલા વરસાદને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ઉપરવાસના વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાની ત્રણ નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. નદીના પાણીમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
સિઝનનો વરસાદ હજુ બાકી હોય ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડતા જ જિલ્લાની તમામ નદીઓ છલકાઇ જશે તેવી ખેડૂતોમાં આશા સેવાઇ રહી છે. ઉપરવાસનો વરસાદ અને જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડતા મધુવંતી, ઓઝત-2 અને વૃજમી નદીમાં પાણીની નવી આવક શરૂ થઇ ગઇ છે. મધુવંતી 1.425, ઓઝત-2 7.045 અને વૃજમીમાં 0.229 મીટર સપાટી વધી છે.
દરમિયાન ગીરગઢડા પંથકમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે આ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારે સવારે ફરી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ પુનર્જીવિત થયા છે. ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું.
ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાદરાનગર ડવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, બરોડા, આણંદ, ખંડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે એનડીઆરએફની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.
ગૃહ પ્રધાન અમિત શાહે બે દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શુક્રવારે તેમણે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનની મુદત વધુ છ માસ લંબાવવા માટે લોકસભામાં કાનૂની ઠરાવ મુક્યો હતો. જેને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. હાલ ત્યાં રાષ્ટ્રપતિશાસન છે જે 3 જુલાઈ 2019 સુધી છે તેને વધુ છ માસ માટે લંબાવવા રજૂઆત થઈ હતી. ઠરાવ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે અભ્યાસ અને સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજવા નિર્ણય લીધો હતો તેથી 3, જુલાઈ બાદ રાષ્ટ્રપતિશાસન લંબાવવું જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલશાસન બાદ રાષ્ટ્રપતિશાસન દરમિયાન સરકાર આતંકવાદના મૂળિયાં સુધી પહોંચી શકી છે. અગાઉની ચૂંટણી વખતે રાજ્યમાં ભારે હિંસા થતી હતી. હવે આ બધું બદલાયું છે. લોકસભાની ચૂંટણી રાજ્યમાં શાંતિથી થઈ હતી.
તેમણે આ ઠરાવને પસાર કરવા વિપક્ષોને પાર્ટી લાઈન ઉપર જઈને સમર્થન આપવા વિનંતી કરી હતી. ગૃહ પ્રધાન બન્યા બાદ અમિત શાહે પ્રથમવાર આ દરખાસ્ત મૂકી છે.
રાજ્યમાંથી આતંકવાદની નાબૂદી તથા લોકશાહીને પુુન: સ્થાપિત કરવાની સરકારની ટોચની પ્રાધાન્યતા છે. રાજ્યમાં આ સમયગાળામાં કોઈવાર ચૂંટણી કરાઈ નથી. રમજાન તહેવાર, અમરનાથ યાત્રા આ સમયમાં હોય છે.
રાજ્યમાં અગાઉ રાજ્યપાલશાસન સાતવાર તથા રાષ્ટ્રપતિશાસન બે વાર લાદવામાં આવ્યું હતું. રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં છે. સરકાર 15000 બંકર નિર્ધારિત સમયગાળામાં બાંધશે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિશાસન કયા કારણસર લાદવામાં આવ્યું તેના કારણો તેમણે ગૃહમાં જણાવ્યા હતા.
અમિત શાહે જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન (સુધારિત) બિલ-2019 પણ લોકસભામાં રજૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકોને આ અનામતનો લાભ મળશે.
વિપક્ષોના અમુક સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો. જોકે, સ્પીકર ઓમ બિરલાએ માગણી નકારી કાઢી હતી.
વ્હોટ્સએપે તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપી હોવાની વિગતો વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી છે. ગ્રાહકોની પ્રાઇવેસી સાથે કોઇ સમાધાન નહીં એવા સૂત્ર સાથે અગાઉ ભારત સરકારને ડેટા સંગ્રહની ચોખ્ખી ના પાડી દેનાર વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક વ્હોટ્સ એપ એ ભારતમાં પેમેન્ટ બિઝનેસ માટે ડેટા સંગ્રહ કરવાની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ભઆરતમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું હોવાનું જાણવા મળે છે.
ફેસબૂકની માલિકીના મેસેજિંગ એપ દ્વારા હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસને લોકો માટે સત્તાવાર રીતે ગમે ત્યારે લોંચ કરવામાં આવશે એમ મનાય છે. ભારતના બેન્કિંગ રેગ્યુલેટર માટે આ બાબત સિદ્ધિ સમાન છે કેમકે, તેમણે એ નિયમ બનાવ્યો છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતના યુઝર્સનો ટ્રાન્ઝેક્શન ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે, આ નિયમ વ્હોટ્સ એપ જેવી કંપનીના સંચાલકો પાસે પળાવ્યો છે.
એવું માનવામાં આવે છે કે વ્હોટ્સએપ આઇસીઆઇસીઆઇ બેન્કની સાથે તેના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત સર્વિસ ટૂંક સમયમાં લોંચ કરી શકે છે. એ પછી તબકકાવાર એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઇ સાથેની સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.
આરબીઆઇના નોર્મ્સ પ્રમાણે પેમેન્ટ કંપનીઓએ સૌથી પહેલાં ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપવી પડશે અને ત્યાર બાદ સેન્ટ્રલ બેન્કને ઓડિટ રિપોર્ટ આપવો પડશે. 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઇએ એક નોટમાં જણાવ્યું હતું કે, “તમામ સિસ્ટમ પ્રોવાઇડર્સે એ સુનિશ્ચિત કરવાનું છે કે પેમેન્ટ સિસ્ટમને લગતો તમામ ડેટા ભારતીય સિસ્ટમમાં જ સંગ્રહ કરવાનો રહેશે.”
આ ઓડિટ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી) દ્વારા નીમેલા ઓડિટર્સ દ્વારા થવો જોઈએ.
વ્હોટ્સએપે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ICICI સાથે ભાગીદારીમાં પેમેન્ટ ફીચર શરૂ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બિટા સર્વિસ પૂરતો મર્યાદિત રખાયો હતો. ભારત બહાર પ્રોસેસ થતા તમામ ડોમેસ્ટિક ડેટાને 24 કલાકની અંદર ભારત લાવીને તેને લોકલ સ્તરે સ્ટોર કરવાનો રહેશે.ચાલુ વર્ષે ઓનલાઇન રિટેલ કંપની એમેઝોને પણ ડેટા લોકલાઇઝેશનની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.

રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મિમી એટલે કે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૮ જિલ્લાઓના ૭૦ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે, જ્યારે ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૫૪ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૭ જૂન, ૨૦૧૯ના સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૭૦ તાલુકાઓમાં ઝાપટાથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય અેવા ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ૭૦ મિમી, ગીર સોમનાથના ઊનામાં અને ભાવનગરના પાલિતાણામાં ૬૦ મિમી, અમરેલીના સાવરકુંડલામાં ૫૪ મિમી અને રાજકોટના ગોંડલમાં ૫૧ મિમી વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૯ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો અને એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગર, વઢવાણ અને સાવરકુંડલામાં વીજળી પડતાં પાંચના મોત થયા હતા જ્યારે બે બાળકો સહિત છ ઘાયલ થયા હતાં. વિજળી પડવાના કારણે ત્રણ ગાય અને ચાર બકરીના પણ મોત થયા હતાં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં દબાણ ઊભું થતાં વિજળી પડવાની ઘટના ઘટી હતી. ત્રણેત્રણ જગ્યાએ વીજળી ખુલ્લા ખેતરમાં પડી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પડેલી વીજળી કુવાની ધાર પર પડતાં કુવાની બાજુમાં એટલો જ ઊંડો બીજો ખાડો પડી ગયો હતો અને કુવાની પહોળાઈ આઠ ફૂટથી વધીને સત્તર ફૂટ જેટલી થઈ ગઈ હતી. વીજળી પડવાની ઘટના હજુ પણ ચાલુ રહેશે એવી આગાહી ગુજરાત હવામાન વિભાગન દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ વેસ્ટર્ન રેલવે ડિવિઝન પર પહેલી જુલાઇથી 42 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 27 ટ્રેનો તેના વર્તમાન સમયથી વહેલી ઉપડશે જયારે 15 ટ્રેનો તેના હાલના નિર્ધારીત સમય કરતા મોડી ઉપડશે.
અમદાવાદથી ચેન્નાઇ એક્સપ્રેસ 15 મિનિટ અને કામખ્યા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી રવાના થશે
અમદાવાદ-પટણા 10 મિનિટ અને અમદાવાદથી રવાના થતી પુણે, વારાણસી, સાબરમતિ, જનસાધારણ, કોલ્હાપુર સહિતની ટ્રેનો અમદાવાદથી પાંચ મિનિટ વહેલી રવાના થશે.
જયપુર-અમદાવાદ 1.15 કલાક વહેલી અમદાવાદ આવશે
ગોરખપુર-અમદાવાદ પાલનપુરમાં એક કલાક વહેલી પહોંચશે.
અમદાવાદ-ઇલાહાબાદ 55 મિનિટ
અમદાવાદ-નાગપુર, સંપર્કક્રાંન્તિ એક્સપ્રેસ અમદાવાદથી 15 મિનિટ મોડી રવાના થશે
અમદાવાદ-ઓખા 5 થી 10 મિનિટ મોડી ઉપડશે
અમદાવાદ ડિવિઝન પર દોડનારી 18 ટ્રેનોની ગતી વધારવામાં આવી છે જ્યારે 10 ટ્રેનોની ગતિ ધીમી થઇ છે.
નવા ટાઇમ મુજબ 16 ટ્રેનોમાં યાત્રા કરનાર પ્રવાસીઓની 5 થી 1:15 કલાકની બચત થઇ છે.

