છેલ્લા થોડા દિવસથી ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રવિવાર તા.30મી જુન 2019ની રાતથી રાતથી શરુ થયેલો મુશળધાર વરસાદ સોમવારે સવારે પણ અવિરત પણે ચાલુ રહેતા મુંબઇગરાઓ સપ્તાહના પહેલા જ દિવસે વરસાદથી બેહાલ બની ગયા હતા.
એક તરફ મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો લેટ અને બીજી તરફ ઠેરઠેર ટ્રાફિક જામની સમસ્યાને કારણે કામધંધાર્થે જનારાઓની પરિસ્થિતિ સોમવારે સવારે વિકટ બની હતી.
ભારે વરસાદના કારણે મુંબઈમાં ઠેકઠેકાણે પાણી ભરાયા છે. રસ્તા અને મુંબઈના રેલ માર્ગ પર પાણી ભરાવાના કારણે મુંબઈ લોકલ ટ્રેનની ગતી ધીમી પડી છે. મુંબઈને ત્રણેય લોકલ લાઈન પર પાણી ભરાતા મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર મોટાભાગની લોકલ ટ્રેન 30-40 મિનિટ જેટલી મોડી ચાલી રહી છે.

દક્ષિણની સાથે મધ્ય મુંબઈ, અને મુંબઈના જુદા જુદા પરા વિસ્તારોમાં મુલુંડ, ભાંડૂપ, કાંજુર માર્ગ, વિક્રોળી અને ઘાટકોપરમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. તેમજ માટુંગા, દાદર, વર્લી અને લાલબાગ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ કાલ રાતથી જ ચાલુ છે.

વરસાદના કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનની રફતાર ધીમી પડી રહી છે. સાથે જ મરીન લાઈન્સ સ્ટેશન પાસે ઓવરહેટ વાયર તૂટી જ તા મરીન લાઈન્સથી ચર્ચગેટ જતી ટ્રેનો પર અસર થઈ છે. મોટાભાગની ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. મરીન લાઇન્સ રેલવે સ્ટેશન પર ઓવર હેડ વાયર તૂટતા પશ્ચિમ રેલવેના વ્યવહારને પણ અસર થઈ છે. મુંબઈ ઉપનગર અને નવી મુંબઈ સહિત થાણે વિસ્તારમાં પણ વરસાદનું જોર હજુ ભારે હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. સાથે જ હાર્બર લાઈન પર પણ ટ્રેન ધીમી ચાલી રહી છે.
ગુજરાત અને મુંબઈમાં વરસાદના કારણે મુંબઈ આવતી અને મુંબઈથી ઉપડતી ટ્રનો પર અસર પડી રહી છે. પાણી ભરાઈ જવાના કારણે કેટલીક ટ્રેનો રોકી દેવામાં આવી છે. મુંબઈ અને પુણે વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જતા ત્યાંના વ્યવહાર પર અસર પડી છે.
પાલઘરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા ટ્રેનો કેન્સલ કરવી પડી છે.
