રાષ્ટ્રપતિના સંભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર રાજયસભામાં જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પણ કૉંગ્રેસની વિવિધ મુદ્દાઓ પર ટીકા કરી હતી. ભાજપની જંગી જીત, ઇવીએમની ટીકા, એક રાષ્ટ્ર એક ચૂંટણી, રાજયસભામાં વિધેયકો પસાર નહીં થવા દેવાની વિપક્ષની વૃત્તિ, મોબલિન્ચિંગ, આસામ સમજૂતી, જમ્મુ – કાશ્મીર, બિહારમાં મગજનો તાવ સહિત સંખ્યાબંધ વર્તમાન મુદ્દાઓ મોદીએ પોતાના જવાબમાં આવરી લીધા હતા.
ઇવીએમથી હાર્યા છે તેવા વિપક્ષની રજૂઆતને ખોટી ગણાવતા મોદીએ શેર ટાંકયો હતો.
‘તાઉમ્ર યહી ભૂલ કરતા રહા, ધૂલ ચેહરે પર થી, આયના સાફ કરતા રહા.’ તેમણે કહ્યું હતું કે, એનડીએની જીત એટલે દેશની હાર, લોકશાહીની હાર’ તેવું કૉંગ્રેસનું કથન ‘ઘમંડની પરાકાષ્ઠા’ છે.
આ નિવેદનથી લોકશાહીનું, જનતા જનાર્દનનું મોટું અપમાન થયું છે, તેમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ કહે છે કે તમે જીત્યા અને દેશ હારી ગયો તો શું વાયનાડમાં (રાહુલ ગાંધીની જીત), રાયબરેલીમાં (સોનિયા ગાંધીની જીત) અને અન્ય સ્થળોમાં (જ્યાં કૉંગ્રેસ જીત્યું છે), તમિળનાડુમાં શું દેશ, લોકશાહીની હાર થઈ છે તેવો પ્રશ્ર્ન પૂછી કૉંગ્રેસના ઘમંડી કથન પર પલટવાર કર્યો હતો. 55-60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારો પક્ષ (કૉંગ્રેસ) 17 રાજયમાં એક બેઠક પણ નહીં મેળવી શકયો.
તેમણે કહ્યું કે, જે લોકો હારી ગયા છે, જેમનો ઘમંડ તૂટ્યો છે. તેઓ જનતાનો આભાર નહીં માનશે પણ હું તો જનતા જનાર્દનનો આભાર માનું છું. એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા તો આવો તેમ તેમણે કહ્યું હતું. ચૂંટણીકીય સુધારાઓ કરવા જોઈએ અને થતા રહેવા જોઈએ. જે લોકો પોતાની ખામીઓ બાબતમાં વિચાર નથી કરવા માગતા તેઓ ઈવીએમને દોષ દઈ રહ્યા છે. તમે વિજય પચાવી નથી શકતા અને હાર સ્વીકારી નથી શકતા, તે દર્શાવે છે કે તમારામાં કંઈક ખામી છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીથી લોકોમાં ગૂંચવાડો ઊભો થતો નથી તેવું સમજાવતા તેમણે કહ્યું હતું કે, ઓડિશામાં વિધાનસભામાં અને લોકસભામાં જુદા જુદા પક્ષ જીત્યા છે.
તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિવેદન યાદ અપાવ્યું હતું. જેમણે કહ્યું હતું કે, વિપક્ષને વિરોધ કરવાનો હક્ક છે, પણ ગૃહનું કામકાજ ખોરવી કાઢવાનો હક્ક નથી. મોદીએ કહ્યું કે, રાજયસભામાં કાર્યવાહી ખોરવી નાખનારાઓને પ્રજાએ સજા (મત નહીં આપવીને) આપી છે. કૉંગ્રેસના એક નેતાએ રાજયસભામાં કહ્યું હતું કે, ‘અમને ન્યૂ ઈન્ડિયા નહીં પણ ઑલ્ડ ઈન્ડિયા’ આપો તેનો જવાબ આપતા મોદીએ સામો પ્રશ્ર્ન કર્યો કે, ‘જ્યાં કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણય પત્રકાર પરિષદમાં ફાડી નાખવામાં આવતા હતા. સંરક્ષણ સોદાઓમાંથી મળેલા લાભથી પિકનિક થતી હતી શું તેવું ‘ઑલ્ડ ઈન્ડિયા’ જોઈએ છે? ઝારખંડમાં મોબલિન્ચિંગથી માર્યા ગયેલા યુવાન બાબતમાં દુ:ખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, ગુનેગારોને કડક સજા થશે પણ સમગ્ર ઝારખંડને દોષ આપવો જોઈએ નહીં.
‘આસામ કરાર’ દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) સ્વીકાર કર્યો હતો તે યાદ અપાવતા મોદીએ કહ્યું કે, આ મુદ્દો અમારે માટે રાષ્ટ્રીય સુરક્ષાનો છે, વૉટબેંકનો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બનતે તો કાશ્મીરનો પ્રશ્ર્ન નહીં રહેતે તેવું યાદ અપાવતા મોદીએ કહ્યું કે, સરદાર કૉંગ્રેસના નેતા હતા આથી કૉંગ્રેસના સભ્યોએ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ. બિહારમાં ‘મગજના તાવ’થી બાળકોના મૃત્યુ બાબતમાં તેમણે કહ્યું હતું કે, તે ખૂબ જ દુ:ખદ છે અને શર્મનાક છે.