ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.4 થી જુલાઇ, 2019ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડિવિઝનનાં મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. બુધવાર સુધી સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા. 4થી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે બુધવાર કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.



















