CIA ALERT

Slider Archives - Page 330 of 487 - CIA Live

July 5, 2019
narmada.jpg
1min11120

ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે આજે તા.4 થી જુલાઇ, 2019ને ગુરુવારના રોજ સવારે 8 કલાકે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી 5307 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડિવિઝનનાં મદદનીશ ઇજનેર શ્રી વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પૂરું પડાશે. બુધવાર સુધી સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો. નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા. 4થી જુલાઇના રોજ સવારે 8 કલાકે નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે બુધવાર કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.

July 5, 2019
rahul_gandhi-1.jpg
1min5290

કૉંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર મોહર માર્યાના બીજા દિવસે કૉંગ્રેસ કાર્યકરોમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગાંધી વગરનું ભવિષ્ય શક્ય છે કે કેમ તેનો વિચાર કરતા કાર્યકરો ચિંતામાં સરી ગયા હતા. નેતૃત્વની કટોકટીથી ઘેરાયેલા કૉંગ્રેસ પક્ષમાં અચોક્કસતાના વાદળો ક્યારે વિખરાશે તે પ્રશ્ર્ન કૉંગ્રેસજનોને પરેશાન કરી રહ્યો છે. થોડા સમયમાં સીડબ્લ્યુસીની બેઠક થશે અને મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયત્નો થશે. આગામી સપ્તાહમાં કૉંગ્રેસની નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિની બેઠક મળશે જેમાં કૉંગ્રેસ પક્ષના ભવિષ્યની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

કૉંગ્રેસના એક નેતા જિતીનપ્રસાદે કહ્યું કે “ગાંધી પરિવાર કૉંગ્રેસ પક્ષનો મહત્ત્વનો ભાગ છે. બંનેને જુદા નહીં પાડી શકાય. આગામી દિવસોમાં તેમનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અમારી અપેક્ષા છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ગાંધી મુક્ત કૉંગ્રેસની કલ્પના સુદ્ધાં કરવાનો ઈનકાર કરતા કહ્યું કે “અમે પાછા આવીશું અને રાહુલજીના ગતિશિલ નેતૃત્વમાં ફાસીવાદી બળોને પરાજય આપીશું.

થોડા મહિનાઓમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી, હરિયાણાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કૉંગ્રેસજનોને એવી લાગણીની અનુભૂતિ થઈ રહી છે કે કૉંગ્રેસ ‘બ્લાઈન્ડ સ્પોટ’માં ધકેલાઈ ગઈ છે.

કૉંગ્રેસના એક નેતાએ કહ્યું કે “સ્પષ્ટ નેતૃત્વ ન હોવાથી અને સામે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આવી સ્થિતિ પક્ષ માટે યોગ્ય નથી. પક્ષને પુન:ચેતનવંતો કરવા રાહુલ ગાંધીએ કરેલી પહેલનું સ્વાગત કરતા એક રાજકીય નિષ્ણાતે કહ્યું કે “સોનિયા ગાંધીએ કૉંગ્રેસ સંસદીય પક્ષના નેતાપદેથી હટી જવું જોઈએ અને અન્ય કોઈ નેતાને તક આપવી જોઈએ.

નિર્ણયનું હું સન્માન કરું છું: પ્રિયંકા
કૉંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ ગુરુવારે કહ્યું કે પક્ષ પ્રમુખપદ છોડવાના રાહુલ ગાંધીના નિર્ણયનું તે સન્માન કરે છે અને આવી હિંમત ખૂબ ઓછા લોકોમાં હોય છે તેવું તેમણે કહ્યું હતું. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના રાજીનામાને રિટ્વિટ કરતાં સંદેશ આપ્યો હતો કે, “ખૂબ ઓછા તમારા જેવી હિંમત ધરાવે છે. તમારા નિર્ણય માટે હું ખૂબ જ માન ધરાવું છું.

July 5, 2019
GPSC.jpg
1min12160

સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયામાં ઉંમર (વયમર્યાદા)ને લગતી બાંધછોડનો લાભ મેળવનારો અનામત વર્ગનો ઉમેદવાર બાદમાં સામાન્ય વર્ગની જગ્યા (હોદ્દા)માં પોતાના સમાવેશની માગણી કરી ન શકે.

ન્યાયાધીશ એસ. અબ્દુલ નાઝીર અને ન્યાયાધીશ ઇંદિરા બેનરજીની બનેલી બૅન્ચે આ સંબંધમાં ગુજરાત વડી અદાલતે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પસંદગી પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ગુજરાતની વડી અદાલતના હુકમને નીરવકુમાર દિલીપભાઇ મકવાણા નામના એક ઉમેદવારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો.

સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે લેખિત પરીક્ષા અને હોદ્દા માટેની પસંદગીના અન્ય કિસ્સામાં વયમર્યાદા, અનુભવ, (શૈક્ષણિક) લાયકાત જેવી બાબતમાં રાહત કે છૂટછાટનો લાભ મેળવનારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમ જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સભ્ય તરીકે અરજી કરનારા ઉમેદવારો બાદમાં સામાન્ય વર્ગ માટેના હોદ્દા માટે દાવો કરી ન શકે.

બૅન્ચે ગુજરાત સરકારના 2000ની 21મી જાન્યુઆરી અને 2004ની 23મી જુલાઇના ગુજરાત સરકારના પરિપત્રોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ ઘડી છે.

July 5, 2019
salman.jpg
1min5190

કાળિયારના શિકાર માટેના કેસની સુનાવણી વખતે ફરીથી ગેરહાજરીથી ચિડાઇને અદાલતે કોર્ટમાં સલમાન ખાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી સુનાવણી વખતે એ કોર્ટમાં હાજર નહીં થાય તો એના જામીન રદ કરવામાં આવશે.

1998માં કથિત રીતે બે કાળિયારનો શિકાર કરવા બદલ સલમાનને એપ્રિલ 2018માં પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને એણે સજા રદ કરાવવા માટે જિલ્લા અને સેસન્સ અદાલતમાં અપીલ કરી હતી.

આ મામલાની સુનાવણી વખતે ગુરુવારે એ ફરીથી ગેરહાજર રહ્યો ત્યારે જજ ચન્દ્રકુમાર સોન્ગારાએ ખાનના વકીલને ઉપરોક્ત ચેતવણી આપી હતી.

અગાઉ ટ્રાયલ કોર્ટમાં સલમાનની અપીલ મામલે ચર્ચા વખતે કોર્ટે એને હાજર ન રહેવાની પરવાનગી આપી હતી, પણ આ મામલે છેલ્લી સુનાવણીમાં ગુરુવારે એને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, સલમાને ગુરુવારે ફરીથી કોર્ટમાં હાજર ન રહેવાની માગતી અપીલ દાખલ કરી હતી. એના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મના શુટિંગને લીધે એ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી.

સલમાનના વકીલે જણાવ્યું હતું કે હવે જ્યારે કોર્ટે સલમાનને હાજર રહેવાનો આદેશ આપ્યો છે, તો આગામી સુનાવણી વખતે એ હાજર રહેશે. આ કેસની આગામી સુનાવણી 27મી સપ્ટેમ્બરે થવાની છે.

July 5, 2019
grameen_bank.jpg
1min5350

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સ તરીકેની સીધી ભરતીની પરીક્ષાઓ હિંદી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષા – ગુજરાતી, આસામી, બંગાળી, ક્ધનડ, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ઉર્દૂમાં પણ લેવાશે.

તેમણે જણાવ્યું હતું કે પ્રાદેશિક ભાષા સારી રીતે જાણનારા લોકોને સરકારના આ નિર્ણયને લીધે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કો (રિજનલ રુરલ બૅન્ક્સ)માં નોકરી મેળવવામાં વધુ સરળતા પડશે. અગાઉ, પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોમાં સ્કૅલ-વન ઑફિસર્સ અને ઑફિસ આસિસ્ટન્ટ્સમાં સીધી ભરતીની પરીક્ષાઓ માત્ર હિંદી અને અંગ્રેજીમાં જ લેવાતી હતી.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીઆરપી રિજનલ રુરલ બૅન્ક્સ 8 (2019)ની મૅન્સ એક્ઝામિનેશનથી આ નિર્ણયનો અમલ આવશે.

દેશમાં હાલમાં 45 રિજનલ રુરલ બૅન્ક (પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક) છે અને તેના કુલ કર્મચારીઓ અંદાજે 90,000 છે.

July 4, 2019
rathyatra_2019.jpg
1min5410

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.

સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

July 3, 2019
guj_budget.jpg
1min4820
નાણામંત્રી નીતિનભાઇ પટેલે અંદાજપત્રમાં નવી ‘સમાધાન યોજના’ની જાહેરાત કરી છે. જીએસટી માળખાના અમલીકરણ પૂર્વે રાજ્યમાં ચાલી રહેલા વિવિધ ટેક્સના વિવાદો મોટી સંખ્યામાં પડેલા છે. તેનો નિકાલ આવે, સરકારના નાણાં છૂટા થાય અને વેપારીઓનો બોજ ઘટે તે માટે આ યોજના 15 ઓગસ્ટથી છ માસ માટે અમલમાં મૂકવામાં આવનાર છે.
નાણામંત્રીએ કહ્યું હતુ કે દેશમાં જીએસટી આવ્યા પહેલા સેલ્સ ટેક્સ, વેટ, મોટર સ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ, સુગર કેન પર્ચેઝ ટેક્સ વગેરે જેવા વેરા અમલમાં હતા. તમામ વેપારી વર્ગના આ ટેક્સને લગતા 20 હજારથી વધારે વિવાદિત કેસ પડતર છે. આ કેસનો નિકાલ કરવા માટે’ ગુજરાત ચેમ્બર સહિતના અસંખ્ય વેપારી સંગઠનોએ સરકારમાં રજૂઆત કરી હતી.
આમ આવા પડતર કેસના નિકાલ માટે સરકાર સક્રિય થઇ છે. તેના અસરકારક નિકાલ માટે આગામી 15 ઓગસ્ટના દિવસથી છ માસ માટે આ સમાધાન યોજના અમલમાં આવનાર છે. આ યોજના દરમિયાન બાકી રહેલો વેરો ભરપાઇ કરવામાં આવશે તો સરકાર વ્યાજ અને દંડની રકમમાં રાહત આપવાની છે. જે કરદાતાના મૂળ માંગણાની રકમ રૂ. 100 કરોડ કરતા ઓછી હોય તો તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેવાનો છે. વેપાર-ઉદ્યોગ આલમે આ જાહેરાતને આવકારી છે.’
July 3, 2019
mount-2.jpg
1min7840

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ૧૫મી ઑગસ્ટથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. સિરોહી જિલ્લા તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંગળવારે બેઠક મળી હતી જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. રવીન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે ‘ઝાડ, છોડવા, વનસ્પતિ અને પ્રાણીઓના હિતમાં માઉન્ટ આબુને પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક હોવાથી ૧૫મી ઑગસ્ટથી તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.’

પ્લાસ્ટિકની થેલી, બોક્સ, થર્મોકોલ કપ, પ્લેટ, વોટર બોટલ વિગેરે પર પણ પ્રતિબંધ મુકાશે. પેપ જળ પૂરું પાડવા ઓટોમેટેડ વોટર ડિસ્પેન્સિંગ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રતિબંધોનો અમલ થઈ રહ્યો છે, તેની તકેદારી રાખવા ટીમની રચના કરવામાં આવશે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેવું એસડીએમએ કહ્યું હતું.

માઉન્ટ આબુને ‘ઈકોસેન્સિટિવ ઝોન’માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કાચની બિયર બોટલની ખપત ઘટાડી બિયર કેનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્રે પહેલ શરૂ કરી છે. બિયર બોટલના કાચના ટુકડાથી જંગલી પ્રાણીઓેને જોખમ ઊભું થતું હોવાથી વહીવટીતંત્રે બિયરકેનને પ્રોત્સાહન આપવાની પહેલ શરૂ કરી છે.

એસડીએમ ગોસ્વામી અને ડેપ્યુટી ક્ધઝર્વેટર ઑફ ફોરેસ્ટસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વેપારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

July 3, 2019
modi_AKash.jpg
1min4230

ભાજપના સાંસદ કૈલાસ વિજયવર્ગીયાના વિધાનસભ્ય પુત્ર આકાશની સરકારી કર્મચારીઓને બેટથી મારવાની ઘટનાના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખત શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય, આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે કોઇપણ હોય, ઘમંડ અને ઉદ્ધતાઇ ચલાવી નહીં લેવાય અને હિંદીમાં જણાવ્યું હતું કે ‘મનમાની નહીં ચલેગી’ અર્થાત કોઇપણ આવું કંઇ કરીને છટકી નહીં શકે. જોકે, એમણે બેટથી મારવાવાળી ઘટનાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ એમના કહેવાનો અર્થ સૌને સમજાયો હતો. આ બેઠકમાં ભાજપના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા પણ હાજર હતા.

મોદીએ જણાવ્યું હતું કે આવા વર્તનથી પક્ષનું નામ ખરાબ થાય છે અને એ અસ્વીકાર્ય છે. જો કોઇ ભૂલ કરે છે, તો માફી માગવાનું ભાન એનામાં હોવું જોઇએ.

લોકસભાની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ ભાજપની આ પહેલી સંસદીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોદીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

kailash son and modi માટે છબી પરિણામ

આ પ્રસંગે પક્ષપ્રમુખ અમિત શાહ અને કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.

મોદીએ આ પ્રસંગે ‘પંચવટી’ અભિયાન હેઠળ દેશના દરેક બૂથમાં ઓછામાં ઓછા પાંચ ઝાડ વાવવાની હાકલ કરી હતી. રામ, સીતા અને લક્ષ્મણ પંચવટીમાં ૧૪ વર્ષ વનવાસમાં રહ્યાં હતાં.

આ સિવાય મોદીએ સાંસદોને સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવા સાથે લોકોની સેવા કરીને લોકો માટે કરેલાં કામો બદલ ઓળખાવાની વાત કહી હતી. ત્રિપલ તલાકના ખરડા વખતે ભાજપના સાંસદોની ઓછી હાજરી વિશે એમણે નારાજગી વ્યક્ત કરી હતી.

૬ઠ્ઠી જુલાઇએ ભાજપનો સ્થાપના દિવસ છે અને એ દિવસે મોદી વારાણસીથી, અમિત શાહ તેલંગણાથી અને પક્ષના અન્ય નેતાઓ દેશના વિવિધ ભાગોમાંથી ભાજપની મેમ્બરશીપ ડ્રાઇવના શ્રીગણેશ કરશે.

July 3, 2019
spice_jet-1.jpg
1min4620

સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે મુંબઈ ઍરપોર્ટ ખાતે સ્પાઇસ જેટની જયપુરથી આવેલી ફલાઇટ લેન્ડ થતી વખતે રનવે પર ઑવરશૂટ થઇ હતી. જોકે, પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

spice jet slips at mumbai માટે છબી પરિણામ

જયપુરથી મુંબઈની સ્પાઇસ જેટની ફલાઇટ એસજી૬૨૩૭ રાત્રે ૧૧.૪૫ વાગ્યે રનવે પર સ્કીડ થઇને ઑવરશૂટ થઇ ગઇ હતી. જોકે, ફલાઇટને લેન્ડ કરતી વખતે પાઇલટે દેખાડેલી સતર્કતાને કારણે ફલાઇટના તમામ ૧૬૭ પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર્સ હેમખેમ બચી ગયા હતા.

મુશળધાર વરસાદને કારણે ઍરપોર્ટ પર પાણી ભરાઇ ગયા હતા તેમ જ કાદવકીચડ થતા વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. આ ઘટનામાં કેટલાક પેસેન્જરને નાની-મોટી ઈજા થઇ હતી.

ઘટના બાદ તાત્કાલિક ઍમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, તેમ છતાં ફલાઇટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં ઘણો સમય લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને ઍરપોર્ટ પર લઇ જઇ ઇમર્જન્સી સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમને સામાન બપોર પછી મળ્યો હતો.

વિમાનને બહાર કાઢવા ૧૫૦ મીટર લાંબો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો અને ફલાઇટને ખેંચીને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. દુર્ઘટનાને પગલે ઍરપોર્ટ ખાતે સેક્ધડરી રનવે પરથી ફલાઇટ ઑપરેટ કરવામાં આવી હતી. તેમ જ અનેક ફલાઇટો અમદાવાદ અને બેગ્લુરુ ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી.

દુર્ઘટના બાદ સિયોલથી આવી રહેલી કોરિયન ઍર ફલાઇટ કેઇ૬૫૫ને અમદાવાદમાં વાળવામાં આવી હતી. તે જ પ્રમાણે ફ્રેન્કફર્ટથી આવી રહેલી લફથાંસા ફલાઇટ એલએચ૭૫૬ અને બૅંગ્કોકથી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફલાઇટ એઆઇ૩૩૧ને અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. રનવે પરથી દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ ૭૩૭ ઍરક્રાફટને રનવે પરથી હટાવવાના પ્રયત્નો મોડી રાત સુધી ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

છેલ્લા અમુક દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તેજ પવનોને કારણે બાવન ફલાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે પંચાવન ફલાઇટ નજીકના અન્ય ઍરપોર્ટ પર વાળવામાં આવી હતી. વરસાદની સાથે તોફાની અને ત્રાંસા તેજ પવનને કારણે વિમાનને ઉડાન ભરવામાં મુશ્કેલી થાય છેત્તેમ જ સંતુલન ખોરવાતા દુર્ઘટનાનો શિકાર બનવાની સંભાવના હોય છે.