ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના લોકપ્રિય નેતા સુષમા સ્વરાજનું ગઈ કાલે રાત્રે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા.
એક સમયના દિલ્હીનાં મુખ્ય પ્રધાન સુષમા સ્વરાજ બાહોશ વિદેશ પ્રધાન હતાં. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે થોડા મહિનાઓ પહેલાં જ રાજકારણથી દૂર થઈ ગયાં હતાં. તેમણે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં નબળી તબિયતને કારણે જ ઝુકાવવાનું ટાળ્યું હતું. ૨૦૧૬માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.
સુષમા સ્વરાજના નિધન સાથે ભારતીય રાજકારણમાં એક ગૌરવશીલ યુગનો અંત આવી ગયો છે. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ધારાશાસ્ત્રી હતાં. તેઓ વિદેશ પ્રધાનપદે આવનારાં સ્વ. ઇન્દિરા ગાંધી પછીનાં બીજા મહિલા હતાં. તેઓ એક સમયે હરિયાણામાં પ્રધાન પણ હતાં.
તેમને ગઈ કાલે રાત્રે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાની વચ્ચે દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં.
નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી, પરંતુ સોમવારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને ખાસ સ્વાયત્તતા આપતી ૩૭૦મી કલમ કાઢી નાખવાની તેમ જ એને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ, એમ બે કેન્દ્ર-શાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવાની રાજ્ય સભામાં જે જાહેરાત કરી હતી એને પગલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો.
ગઈ કાલે લોકસભામાં પણ આ સંબંધિત ખરડો પસાર થયો હતો. ગઈ કાલે સાંજે સુષમા સ્વરાજે ટ્વિટર પર નરેન્દ્ર મોદીને કાશ્મીર મુદ્દે અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું. સ્વરાજે ટ્વીટમાં લખ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, થેન્ક્યુ પ્રાઇમ મિનિસ્ટર. થૅન્ક્યુ વેરી મચ. હું આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.’
અનેક પ્રધાનો, સંસદસભ્યો તેમ જ ભાજપના અને કૉંગ્રેસના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન વિશે શોક વ્યક્ત કરતા સંદેશા સોશિયલ મીડિયા પર પાઠવ્યા હતા.
સુષમા સ્વરાજના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને પુત્રી બાસુંરીનો સમાવેશ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન વિશે પીટીઆઇને શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘સુષમાજી ખૂબ જ સારા વક્તા અને અસાધારણ સંસદસભ્ય હતા. સમગ્ર પક્ષમાં તેમ જ સમગ્ર દેશમાં તેઓ લોકપ્રિય હતાં.’
સુરત શહેર જિલ્લા સમેત દક્ષિણ ગુજરાતમાં પાણીના મુખ્યસ્ત્રોત ગણાતા ઉકાઇ ડેમની વાત હાલ ચૌરેને ચૌટે ચર્ચાય રહી છે. નુક્કડ પરની ચર્ચામાં ઉકાઇ ડેમનો ઉલ્લેખ ન થાય તો એ ચોમાસું ન કહેવાય.
અહીં જે વિગતો રજૂ કરી રહ્યા છે એ વાંચ્યા પછી આપની ઉકાઇ ડેમ અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ અંગેની જાણકારી સચોટ બનશે.
આ વખતે વરસાદની પહેલી જ હેલીમાં ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી ગઇ. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદનું પાણી આવ્યું અને ઉકાઇ ડેમની સપાટી વધી, આ જાણકારી સહજ છે. પણ વધુ ઉંડાણથી જાણવું જોઇએ કે ઉકાઇ ડેમમાં જ્યાં વરસાદ પડવાથી પાણી આવે છે એ ઉપરવાસના કયા વિસ્તારમાં ચાલુ વરસાદી સીઝનમાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે, આ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.
25.4 મી.મી. બરાબર 1 ઇંચ વરસાદ
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારમાં ખુદ ઉકાઇ કેન્દ્રનો સમાવેશ થાય છે. ઉકાઇ વિસ્તારમાં જ ચાલુ સીઝનમાં કુલ 1501 મી.મી. વરસાદ પડી ચૂક્યો છે. મતલબ કે ઉકાઇ ડેમ જ્યાં છે એ ઉકાઇ વિસ્તારમાં કુલ 59 ઇંચ જેટલો વરસાદ પહેલી જ વરસાદી હેલીમાં પડી ચૂક્યો છે. એ સિવાય ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવતા ચીખલધરામાં 1202.80 મી.મી., ચાંદપુરમાં 1160.80 મી.મી., નારણપુરમાં 1079 મી.મી., અકલકુવામાં 779 મી.મી. અને તલોદામાં 714 મી.મી વરસાદ પડ્યો છે જેનું પાણી ઉકાઇ ડેમમાં આવ્યું છે. આ આંકડા સત્તાવાર રીતે ઉકાઇ ડેમ સ્થિત કેન્ટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યા છે.
નીચેના કોષ્ટક પરથી જાણી શકાશે કે ઉકાઇ ડેમના ઉપરવાસ (કેચમેન્ટ એરીયા)માં કયા ક્ષેત્રો આવે છે અને તા.6 ઓગસ્ટ સવારે 8 વાગ્યા સુધીમાં ત્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે
તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.
અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.
આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.
નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.
આજકાલ બૉલીવૂડમાં બાયોપિક ફિલ્મોનો દોર છે. આમાં હવે મહિલા સેલિબ્રિટીઝનો પણ સમાવેશ થાય છે. આથી અભિનેત્રીઓને પણ બાયોપિકમાં કામ કરવાની તક મળે છે. સ્વતંત્રતા દિને રજૂ થનારી ફિલ્મ મંગલ મિશનમાં જોવા મળનારી અભિનેત્રી તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પરની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. જોકે, હવે અભિનેત્રીનો સંપર્ક હોર્સ જોકી રુપા સિંહના પાત્ર માટે કરવામાં આવ્યો છે. તાપસીને ફિલ્મની કથા ગમી છે અને તે ઘોડેસવારી કરવા ઉત્સુક છે. પરંતુ તેની પાસે તારીખોની સમસ્યા છે. નોંધનીય છે કે મંગલ મિશન બાદ તાપસી સાંડ કી આંખ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વૃદ્ધાનું પાત્ર ભજવે છે અને તેની સાથે ભૂમિ પેડણેકર છે.
શ્રેણી જીતી લીધા પછી મંગળવારે (રાત્રે ૮.૦૦થી લાઈવ) અહીં રમાનારી આખરી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વિજયી બની વેસ્ટ ઈન્ડિઝનો સંપૂર્ણ વ્હાઈટવૉશ કરવાના પ્રયાસમાં આગળ વધી રહેલી ભારતની ટીમમાં કેટલાક ફેરફાર કરાવા સાથે નવા ખેલાડીઓની અજમાયશમાં તેેઓને રમવાનો મોકો આપવાની આશા રખાય છે.
ભારતની બૅટિંગમાં કદાચ મોટો ફેરફાર ન કરવામાં આવે, પણ બૉલિંગમાં નવી અજમાયશની આશા કરાય છે.
ભારતીય કેપ્ટન કોહલીએ બીજી મેચ પછી કહ્યું હતું કે શ્રેણી જીતી લેવામાં કેટલાક નવા ખેલાડીઓને રમવાનો મોકો આપી શકાય છે, પણ જીતવું હંમેશાં પ્રાધાન્ય હશે.
કે. એલ. રાહુલની ઝઝૂમી રહેલા દિલ્હીના યુવાન બેટ્સમેન રિષભ પંતના સ્થાને પસંદગી થઈ શકે છે જે પહેલી બે મેચમાં ૪ અને શૂન્ય રન કરી નિષ્ફળ રહ્યો છે.
કોહલીને પંતની આવડતમાં ઘણો વિશ્ર્વાસ છે અને જોવાનું રહે છે કે ૨૧ વર્ષના આ આશાસ્પદ ખેલાડીને વધુ એક મોકો અપાશે કે નહીં.
જોકે, રોહિત શર્મા અથવા શિખર ધવનમાંથી કોઈને પણ આ મેચમાં આરામ અપાવાની શક્યતા નથી.
ધવન માટે અંગૂઠામાં થયેલી ઈજાના કારણે વર્લ્ડ કપ ચૂકી જવા પછી આ પહેલી શ્રેણી છે અને પહેલી બે મેચમાં સારા પ્રમાણમાં રન ન કરી શકવાથી તે વન-ડે અને ટેસ્ટ મેચો પહેલા પોતાનું બૅટિંગ ફોર્મ પાછું પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હશે.
યુવાન ફાસ્ટ બૉલર નવદીપ સૈનીની બદલીમાં લેગ-બ્રેક બૉલર રાહુલ ચાહરની રમવાની પૂરી શક્યતા છે અને તેના સંબંધી દીપક ચાહરને પણ મોકો મળી શકે છે તથા રવીન્દ્ર જાડેજાને આરામ આપી શકાશે.
આયોજક રાષ્ટ્રની ટીમ માટે ટૂંકી મુદતની રમતમાં સારો દેખાવ કરવો અગત્યનો છે અને કીરોન પોલાર્ડ તથા સુકાની કાર્લોસ બ્રેથવેઈટ તરફથી મોટા સ્કોરની આશા રખાય છે.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જવાને કારણે સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪થી ૮૯૭ના ઉછાળા સાથે રૂ. ૩7,૦૦૦ નજીકની સપાટી પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
સોનાનો ભાવ સોમવારે ₹800 ઊંચકાઈને પ્રતિ દસ ગ્રામે સર્વોત્તમ સપાટી ₹36,970ને આંબ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતો અને અમેરિકા અને ચીન વચ્ચે વકરતા જતા વેપારયુદ્ધના લીધે રોકાણકારોએ પીળી ધાતુ પર પસંદગી ઉતારી છે. સોનાને અનુસરતા ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોગ્રામ ₹1,000 વધીને ₹43,100 થયો હતો. ઔદ્યોગિક એકમો અને સ્થાનિક સિક્કા ઉત્પાદકોની મજબૂત માંગના સથવારે તેનો ભાવ આટલો ઊંચકાયો હતો.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતાં વધુ ૩૦૦ અબજ ડૉલરના માલ પર પહેલી સપ્ટેમ્બરથી ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ વળતાં પગલાં લેવાની ચિમકી આપતાં ટ્રેડ વૉર વધુ વકરે તેવી શક્યતાએ આજે ડૉલર સામે યુઆન એક ટકાના કડાકા સાથે ૧૧ વર્ષના તળિયે પહોંચ્યો હતો અને લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળી હતી. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગત શુક્રવારના બંધથી ૧.૨ ટકાની તેજી સાથે મે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી ૧૪૫૭ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૪૬૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તે જ પ્રમાણે ચાંદીમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ આગલા બંધથી ૧.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જતાં આયાત પડતરમાં થયેલા વધારા ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪ની તેજી સાથે રૂ. ૩૬,૧૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૯૭ની તેજી સાથે રૂ. ૩૬,૩૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં અણધારી આગઝરતી તેજી રહેતાં જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી નીકળવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૪૨,૦૩૫ના મથાળે બંધ રહ્યા હતા.
ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.
5 દેશોના અંદાજે 25 હજાર કિ.મી.ના બાઇકપ પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓ પૈકી એક જીનલ શાહને રશીયામાં પાસપોર્ટ ખોવાય જતા એકલી મૂકીને આગળ વધવા અંગે સારીકા મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે જીનલ શાહને એકલી મૂકી ન હતી, તેની સેફ્ટીની ખાતરી કર્યા પછી આગળ વધ્યા હતા, તેમની પાસે આગળ વધવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. વાંચો વિગતવાર સારીકા મહેતાની સ્પષ્ટતા
બાઇકિંગ ક્વીન્સના નામે સુરતની ત્રણ યુવતિઓ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલ બેટી બચાવો, બેટી પઢાવો અવેરનેસ અભિયાનના ભાગરૂપે ત્રણ ખંડોના 25 દેશોની અંદાજે 25 હજાર કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળ્યા હતા. રશીયાના મોસ્કો ખાતે બાઇકિંગ ક્વીન્સ પૈકીના જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયા બાદ જીનલ શાહને છોડીને કાફલો આગળ લઇ જવાના સારીકા મહેતાના નિર્ણયની ચોમેરથી ટીકા થઇ રહી છે ત્યારે સારીકા મહેતાએ પોતાની સ્પષ્ટતા સી.આઇ.એ.લાઇવને આ મુજબ આપી હતી.
સારીકા મહેતાએ પેરીસ ખાતેથી ટેલિફોનિક વાતચીતમાં સી.આઇ.એ. લાઇવના એડિટર જયેશ બ્રહ્મભટ્ટને જણાવ્યું હતું કે પાસપોર્ટ ખોવાય ગયા બાદ તેને શોધવા માટે ક્રુ મેમ્બરો વરસતા વરસાદમાં રાત્રીના અંધકારમાં સમગ્ર વિસ્તાર ખૂંદી વળ્યા હતા. બાદમાં નહીં મળતા એમ્બેસીમાં ફોન કરીને આગળની પ્રોસીજર શરૂ કરાવી હતી. બે વિકલ્પ હતા. એક વ્હાઇટ પાસપોર્ટ લઇને દિલ્હી પહોંચવું અને બીજો વિકલ્પ રશીયામાં પ્રિન્ટેડ પાસપોર્ટ લઇને બાદમાં ક્રુ સાથે જોડાવું.
સારીકા મહેતાના જણાવ્યા મુજબ જીનલ શાહે વ્હાઇટ પાસપોર્ટના વિકલ્પ ની પાડી હતી. પ્રિન્ટેડ પાસપોર્ટને આવતા 10-15 દિવસ લાગે એવું મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યું હતું. જીનલ શાહે આ માટે રશીયામાં 15 દિવસ સુધી રોકાવું પડે તેવી સ્થિતિ જાણતી હતી અને જીનલ શાહે જ રશીયામાં આટલા દિવસ રોકાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
સારીકા મહેતાનું કહેવું હતું કે પાસપોર્ટ કદાચ મળી જાય એવી શક્યતાને જોતા તેઓ પાસપોર્ટ ખોવાયાના બે દિવસ સુધી રશીયા બોર્ડર પર ક્રુ સાથે રોકાયા હતા. છેવટે તેમણે જીનલ શાહની હેલ્થ અને સિક્યુરિટી અંગે ઇન્ડીયન એમ્બેસીના અધિકારીઓ સાથે વ્યક્તિગત વાત કરીને બાંયધરી મેળવીને તેને છોડવાનો નિર્ણય લીધો હતો.
જીનલ શાહનું બાઇક મૂકવા માટે હની દેસાઇ નામના ક્રુ મેમ્બર મોસ્કો સુધી ગયા હતા.
સારીકા મહેતાએ જણાવ્યું કે તેઓ મિશન પર હતા, તેમના વિઝાથી લઇને હોટેલ બુકિંગ્સ બધું જ નિર્ધારિત સમયનું હતું. તેમની સાથે બાઇક પણ હતા આ બધી પરિસ્થિતિમાં તેઓ એક સભ્ય માટે આખું મિશન અટકાવી શકે તેવી સ્થિતિમાં ન હતા. અન્યથા બધાએ મુશ્કેલીમાં મૂકાવું પડ્યું હોત. તેમણે જણાવ્યું કે મારી પાસે કાફલાનો આગળ વધારવા સિવાયનો વિકલ્પ ન હતો.
સારીકા મહેતાએ વધુમાં ઉમેર્યું કે જીનલ શાહને એકલી અટૂલી મૂકીને આવવાનો પ્રશ્ન જ નથી, તેમની સલામતિ સેફ્ટી વગેરેની બાયધરી મળ્યા પછી તેઓ ત્યાંથી રવાના થયા હતા. સારીકા મહેતાએ કહ્યું કે પહેલા જ દિવસથી ક્રુ મેમ્બરને જણાવી દીધું હતું કે પાસપોર્ટ સમેતના ડોક્યુમેન્ટસ સંભાળીને રાખવા આમ છતાં, રશીયામાં એક રેસ્ટોરેન્ટના રિસેપ્શન પર જીનલ અને રુતાલી પટેલ પાસપોર્ટનું પાઉચ ભૂલી ગયા હતા. ત્રીસ કિ.મી. પાછા જઇને ત્યારે પાસપોર્ટ લેવો પડ્યો હતો.
બેટી બચાવો, બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ મહિલા બાઇકર્સે એક મહિનામાં 10 હજારથી વધુ કિ.મી.નું અંતર કાપીને રશીયા પહોંચી હતી. રશીયા પહોંચેલા સુરતના આ ત્રણેય બાઇકર્સ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલએ રશીયાના મોસ્કોમાં રોકાણ કર્યું હતું એ સમયે તા.22મી જુન 2019ના રોજ જીનલ શાહનું એક પર્સ ચોરાઇ ગયું હતું. જ્યારે પર્સ ચોરાયું ત્યારે જીનલ શાહ કે અન્ય ક્રુ મેમ્બર્સને ખબર પણ નહોતી પડી.
બાઇકિંગ ક્વીન જીનલ શાહનું પર્સ ગઇ તા.22મી જુલાઇએ રશીયાના મોસ્કોમાં ચોરાઇ ગયું હતું જેમાં પાસપોર્ટ, આર.સી.બુક સમેતના ડોક્યુમેન્ટસ હતા
મોસ્કોથી 630 કિ.મી. દૂર જ્યારે રશીયા બોર્ડર પર પહોંચ્યા ત્યારે બાઇકિંગ ક્વીન જીનલ શાહને ખબર પડી કે તેનું એક પર્સ મિસિંગ છે અને તેમાં પાસપોર્ટ, લાઇસન્સ, બાઇકની આર.સી. બુક અને એ.ટી.એમ. કાર્ડ હતા.
જેવું પર્સ ચોારાયાની ભાળ થઇ એટલે તરત જ બાઇકિંગ ક્વીન તરીકે દેશ વિદેશમાં નામના મેળવી રહેલી સારીકા મહેતાએ રંગ બદલ્યો અને જીનલ શાહને રશીયા જેવા દેશમાં મોસ્કોથી 630 કિ.મી. દૂર અજાણ્યા પ્રદેશમાં, અજાણી ભાષાના લોકો વચ્ચે એકલી અટૂલી છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો અને તા.23મીએ સુરતની જીનલ શાહને છોડીને સારીકા મહેતા અને અન્ય ક્રુ મેમ્બર્સ ચાલી નીકળ્યા.
સારીકા મહેતાએ સુરત ખાતે જીનલ શાહના પરિવારજનો સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે તે જીનલ માટે રોકાઇ શકે નહીં, નિર્ધારિત સમયે જર્ની પુરી કરવાની લ્હાયમાં બેટી બચાવો બેટી બચાવો અવેરનેસ માટે નીકળેલી સારીકા મહેતાએ જીનલ શાહને તરછોડી દેવામાં એક મિનિટનો પણ વિચાર કર્યો નહીં.
સારીકા મહેતા સાથે બાઇક સવાર રુતાલી પટેલ ઉપરાંત અન્ય ત્રણ બેકઅપ ટીમના સભ્યો જીનલ શાહને મોસ્કોથી 630 કિ.મી. દૂર વેરાન જગ્યા પર એકલી મૂકીને આગળ વધી ગયા. માનસિક રીતે હતાશ, શારીરીક રીતે થાકી ગયેલા જીનલ શાહે જ્યારે એમ કહ્યું કે તેનાથી એક કિ.મી. પણ બાઇક ચાલી શકે તેમ નથી ત્યારે એક ક્રુ મેમ્બર જીનલ શાહનું બાઇક મોસ્કો ડ્રોપ કરવા માટે સાથે ગયા હતા.
ઘટનાના એક અઠવાડીયા પછી આ અંગે સારીકા મહેતાએ તેની ફેસબુક વોલ પર આ સંદેશો લખ્યો હતો.
એક તરફ પોતાનો પાસપોર્ટ સમેત અગત્યના ડોક્યુમેન્ટસની ચોરી થઇ હોય અને મોસ્કોથી પણ 630 કિ.મી. દૂર જ્યારે પોતાના સાથીઓ જ છોડી જાય ત્યારે અજાણ્યા પ્રદેશમાં કોઇપણ માનવીની શું હાલત થાય, જીનલ શાહ એટલી માનસિક યાતનામાં હતી કે તે એક ડગલું પણ ભરી શકે તેમ ન હતી. જીનલના પરિવારજનોએ મૂળ સુરતના જ અને મોસ્કોમાં ડાયમંડનું કામકાજ કરતા જિજ્ઞેશભાઇ અને પ્રીતિબેનને ફોન કરીને તેમની દિકરી જીનલ શાહને હેલ્પ કરવા જણાવ્યું.
મોસ્કોમાં રહેતા જિજ્ઞેશભાઇ અને તેમના ધર્મપત્ની પ્રીતિબેનએ જીનલ શાહને સાથ આપ્યો, તેને મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે મુલાકાત કરાવી, તેના ડોક્યુમેન્ટસ સબમિટ કરાવ્યા અને છેવટે પાસપોર્ટ મળતા જીનલ શાહ ઇન્ડિયા પરત ફરી રહી છે.
બાઇકિંગ ક્વીનના સૂત્રો શું કહે છે
બાઇકિંગ ક્વીનના સૂત્રો જણાવે છે કે જ્યારે એવું ખબર પડી કે જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયો છે ત્યારે બાઇકિંગ ક્વીન ક્રુ બે દિવસ સુધી જીનલ શાહ સાથે બોર્ડર પર રહ્યા હતા, અને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું નહીં લાગતા તેમણે જીનલ શાહને છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. બાઇકિંગ ક્વીનના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જીનલ શાહને મોસ્કોમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ તરફથી હેલ્પ મળી હતી. જીનલ શાહને એસ્કોર્ટ વીથ ડિપ્લોમેટ કાર પ્રોવાઇડ કરવામાં આવી હતી.
તા.23 જુલાઇ 2019 પછી સુરતની ત્રણ બાઇકિંગ ક્વીનની જગ્યાએ 2 જ બાઇકિંગ ક્વીનના ફોટા સ્પ્રેડ કરાયા
પોતાની ત્રીજી સાથી જીનલ શાહને રશીયાના મોસ્કોથી 630 કિ.મી. દૂર એકલી અટૂલી છોડીને ગઇ તા.23મી જુલાઇ 2019 પછી બધા જ અપડેટમાં આ રીતે સારીકા મહેતા અને રુતાલી પટેલે સોશ્યલ મિડીયા વાહવાહી મેળવી રહ્યા છે.
સારીકા મહેતાએ ધાર્યું હોત તો જીનલ શાહ આજે પણ જર્નીમાં હોત
ત્રણ ખંડોના 25 દેશોની 25 હજારથી વધુ કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓમાં સારીકા મહેતા પોતે જ લીડર બની બેઠી હતી. જ્યારે તેની સાથે બાઇક પ્રવાસે નીકળેલી જીનલ શાહનો પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ ચોરાય ગયા ત્યારે સારીકા મહેતાએ અત્યંત નિર્દયી રીતે જીનલ શાહને રશીયાના મોસ્કોથી દૂર એકલી અટૂલી મૂકી દીધી ત્યારે કુલ 5 ક્રુ મેમ્બર માંથી એકેય સારીકા મહેતાના નિર્ણયનો વિરોધ ન કર્યો. ત્રણ યુવતિઓ સાથે એક ફોટોગ્રાફર સમેત અન્ય ત્રણ ક્રુ મેમ્બર્સ પણ છે. જાણકારો કહે છે કે જો સારીકા મહેતા સમેત ક્રુ મેમ્બર્સ જીનલ શાહ માટે રોકાયા હોત તો તેમને સત્વરે જીનલ શાહનો પાસપોર્ટ સમેત અન્ય ચીજવસ્તુઓ પરત મળી શકી હોત અને જીનલ શાહ આજે પણ બાઇક રેલીનો એક ભાગ બની શકી હોત. પરંતુ, સારીકા મહેતાએ ફિક્સ શિડ્યુલ્ડના બહાને સુરતની એક યુવતિ જીનલ શાહને રશીયામાં તરછોડીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.
જીનલ શાહ મંગળવાર તા.5મી ઓગસ્ટે દિલ્હીથી સવારે 7ની ફ્લાઇટમાં સુરત આવી રહી છે
રશીયાના મોસ્કોમાં પાસપોર્ટ ચોરાય જવાના કારણે 25 દેશની 25 હજાર કિ.મી.ની બાઇક યાત્રામાંથી બહાર કરી દેવામાં આવેલી સુરતની બેટી જીનલ શાહ તા.6 ઓગસ્ટ, મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં પોતાના ઘરે પરત ફરી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.