
રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની માહિતી આપવા માટે કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવાર, ૧૮મી સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ બોલાવી છે. તેમ છતાં બુધવારે ચૂંટણીની જાહેરાત કરાશે નહીં.
અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યવાળી ટીમ ચૂંટણીની તૈયારી ચકાસવા માટે મંગળવારે રાજ્યમાં આવ્યા છે. ચૂંટણી પહેલા આ ટીમ બે દિવસ રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર પોલીસ, રેલવે, ઇન્કમ ટેક્સ વિભાગ, એક્સાઇસ વિભાગ તથા અન્ય અધિકારીઓની મુલાકાત લેશે. તેમજ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ બેઠક યોજશે. ‘ત્રણ સભ્યવાળી ટીમ બે દિવસ તપાસ કરીને બેઠક યોજશે. ત્યાર બાદ ૧૯મી સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બે તબક્કામાં યોજાઇ શકે છે જ્યારે ઝારખંડમાં અનોખુ પેટર્ન જ હશે. ૨૦૧૪માં અહીં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી’, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર સહિત હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અધિકારીઓના જણાવ્યાનુસાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તૈયારી માટે ૩૫ દિવસનો સમય જોઇતો હોય છે. દિવાળીની રજા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ અને આ વખતે દિવાળી ૨૭મી ઓક્ટોબરે છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકાર પાસે વધારાના પોલીસ વ્યવસ્થાની માગણી કરી છે.





















