ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તા.14મી નવેમ્બર 2019 એટલે કે આજથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી ઇન્દોરમાં શરૂ થઈ રહી છે. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
ટ્વેન્ટી શ્રેણી જીતી લીધા બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ ધરખમ દેખાવ કરવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. છેલ્લી શ્રેણીમાં રોહિત શર્માએ ઓપાનિંગ બેટ્સમેન તરીકેની સમસ્યાને દૂર કરી હતી. આવી સ્થિતિમાં વર્તમાન શ્રેણીમાં ભારતને વધારે તકલીફ દેખાઈ રહી નથી.
રોહિત શર્મા અને મયંક અગ્રવાલની જોડી ઓપાનિંગમાં બાટિંગ કરશે ત્યારબાદ વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવા બેટ્સમેન મેદાનમાં ઉતરીને ભારતની સ્થિતિને મજબૂત કરવા પ્રયાસ કરશે.
બાંગ્લાદેશની સામે શરૂ થતી ટેસ્ટ શ્રેણીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે 12મી સપ્ટેમ્બરના દિવસે આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઉમેશનું નામ રાષ્ટ્રીય ટીમના બદલે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનમાં રાખવામાં આવ્યું હતું. ઉમેશ યાદવે ટેસ્ટ શ્રેણીમાં અને પોતાની કેરિયરમાં અનેક ઉતારચઢાવ નીહાળ્યા છે. આવા સમયમાં તેની પાસેથી આ શ્રેણીમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભાજપે 2018-19 વચ્ચે અત્યાર સુધીમાં કુલ્લ 800 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. સત્તારૂઢ પક્ષ અંગે આ જાણકારી ચૂંટણી પંચમાં જમા કરાવાયેલા દસ્તાવેજો પરથી મળી હતી. કોંગ્રેસને માત્ર 146 કરોડ ધન મળ્યું છે.
કેસરિયા પક્ષને સૌથી વધુ 356 કરોડ રૂપિયા દાન દેશનાં પ્રતિષ્ઠિત ટાટા જૂથ તરફથી મળ્યું છે. ટાટા ગ્રુપ સંચાલિત સંસ્થા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આ દાન આપ્યું છે.
ભારતનાં સૌથી ધનવાન ટ્રસ્ટ ધ પ્રૂડેંટ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 67 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 39 કરોડ રૂપિયા દાન રૂપે આપ્યા છે. આ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટો કોર્પ, ઓરિએન્ટ સિમેન્ટ, ડી.એલ.એફ., જે. કે. ટાયર્સ, જુબિલિયેંટ ફૂડ વર્કસ જેવાં ઉદ્યોગ જૂથોનું સમર્થન છે. કોંગ્રેસને મળેલા 146 કરોડમાંથી 98 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી મળ્યા છે, તો ભાજપને 800 કરોડમાંથી લગભગ 470 કરોડ રૂપિયા ઇલેકટોરલ ટ્રસ્ટે આપ્યા છે.
આદિત્ય બિરલા જૂથના જનરલ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 28 અને કોંગ્રેસને 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં છે.
ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 દરમિયાન ભાજપને અત્યાર સુધીમાં કુલ 800 કરોડનું અનુદાન મળેલું છે. ભાજપે ચૂંટણીપંચમાં જમા કરાવેલા દસ્તાવેજોમાં આ વિશે જાણકારીઓ બહાર આવેલી. જો કે આની વિગતો આવ્યા પછી રાજ્યસભાનાં ભાજપનાં જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનાં પક્ષ સામે સવાલોનો દારૂગોળો દાગી દીધો છે.’ સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તાતા તરફથી ભાજપને ભારે મોટી ધનરાશિ દાનમાં આપવામાં આવેલી છે. હવે જો સરકાર એરઈન્ડિયાની કમાન તાતાનાં હાથમાં સોંપે તો આ હિતોનો ટકરાવ ગણાશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને સૌથી મોટું દાન તાતા સમૂહ દ્વારા નિયંત્રિત સંસ્થા પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યું છે. તેનાં તરફથી ભાજપને કુલ 3પ6 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવેલું છે.
MBBS પછીના DNB કોર્સીસ માટે અલગથી CET (પરીક્ષા) નહીં લેવાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ભારતમાં મેડીકલ ગ્રેજ્યુએશન MBBS કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીની મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોઇ, અનેક સંસ્થાઓ ખાસ કરીને મોટી હોસ્પિટલ્સ દ્વારા તબીબોની કારકિર્દીમાં વેલ્યુ એડીશન થાય એ માટે ત્રણ વર્ષ સુધીની અવધિ ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે જેને ડીએનબી કોર્સ કહેવાય અને આ કોર્સીસનું સઘળું સંચાલન Diplomate National Board (DNB) દ્વારા કરવામાં આવે છે.
DNB post MBBS કોર્સમાં પ્રવેશ માટે દેશભરમાં સેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) લેવામાં આવતી હતી. પરંતુ, આ વખતથી એટલે કે 2020થી DNB સેટ પરીક્ષા સ્ક્રેપ કરવામાં આવી છે. હવે પછી DNB સેટ પરીક્ષા નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવી છે.
દેશભરના તબીબો ખાસ કરીને મેડીકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા એમ.બી.બી.એસ. ઉમેદવારો જોગ જણાવવામાં આવ્યું છે કે જે તબીબો DNB સેટ આપવા માંગતા હોય તેમણે DNB સેટ હવે લેવાવાની નથી અને નીટ પી.જી. 2020નું એપ્લિકેશન ફોર્મ ભરવું. નીટ પીજી 2020ના સ્કોરના આધારે જ Diplomate National Board (DNB) હેઠળના અભ્યાસક્રમોમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ તૈયાર થશે.
Diplomate National Board (DNB) પોસ્ટ એમબીબીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ-પીજી જ ફરજિયાત
નીટ પીજી-2020ની ઓનલાઇન એપ્લિકેશન તા. 21મી નવેમ્બર 2019 સુધી કરી શકાશે
તબીબો માટે સારા સમાચાર : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ
સૂરતના જાણીતા ઓપ્થેલમોલોજિસ્ટ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે MBBS પછીના DNB કોર્સીસ કરનારા કે કરવાની ઇચ્છા ધરાવતા તબીબો માટે ગુડ ન્યુઝ છે. પહેલા તો ગુડ ન્યુઝ એ છે કે એમ.બી.બી.એસ. ઉમેદવારોએ નીટ પીજી. અને ડી.એન.બી. સેટ બન્ને પરીક્ષાઓ આપવી પડતી હતી. હવે બન્ને કોર્સ માટે એક જ પરીક્ષા આપવી પડશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે MBBS પછીના DNB કોર્સ સફળતાપૂર્વક પાસ કરનારા તબીબોને અધ્યાપકની નોકરી માટે લાયક ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે.
શ્રીલંકાએ ફિક્સિંગથી જોડાયેલા મામલાઓને અપરાધની શ્રેણીમાં લાવવાવાળો પહેલો દક્ષિણ એશિયાઇ દેશ બની ગયો છે. શ્રીલંકાની સંસદે’ ‘ખેલ સંબંધિત અપરાધોનો અટકાવ’થી જોડાયેલા એક ખરડાને પાસ કરી દીધો છે. આ ખરડો પાસ થયા બાદ શ્રીલંકામાં મેચ ફિકસીંગને અપરાધ માનવામાં આવશે.
મેચ ફિકસીંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો દરેક રમત પર લાગુ થશે. એવું માનવામાં આવે છે કે, હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની એન્ટિકરપ્શન યુનિટ (એસીયુ) દ્વારા શ્રીલંકામાં મેચ ફિકસીંગથી જોડાયેલા મામલાની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસનાં કારણે જ આ ખરડાનો મુસદો તૈયાર કરવામાં આવ્યો હતો. એક ક્રિકેટ વેબસાઇટનાં હેવાલ મુજબ આ કાયદા અંતર્ગત જોઇ કોઇ વ્યક્તિ રમતમાં ભ્રષ્ટાચારનો દોષી ગણવામાં આવે છે તો તેને દસ વર્ષ સુધીની સજા થઇ શકે છે.
રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ પણ હવામાન વિભાગે 13 થી 15 નવેમ્બરના રોજ સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી અને બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. દરમિયાન રાજકોટમાં રાત્રિનાં 8 વાગ્યા બાદ ધોધમાર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. જેથી રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતાં. આગાહી હતી નહીં છતાં ઓચિંતા ઉતરી આવેલાં વરસાદે લોકોમાં નાશભાગ મચાવી દીધી હતી. થોડા સમય માટે તો ભરચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. પોણો કલાક પડેલાં વરસાદમાં પોણો ઇંચ વરસાદ પડયાનું અનુમાન છે.
રાતે સૂતી વખતે ઘડિયાળ સામે નહીં જોવાનું, પણ સવારમાં એ જ ઘડિયાળમાં પાંચ વાગે એટલે જાગી જવાનું. એ સમયે ઘરના અન્ય સભ્યો ગાઢ નીંદરમાં હોય એટલે કોઈને પણ વિક્ષેપ ન પડે એ રીતે અભ્યાસ કરવાનો. પૂરા બે કલાક સુધી. ઘડિયાળમાં સાતના ટકોરા થાય એટલે ઘરકામમાં લાગી જવાનું. સવારના ચા-નાસ્તાથી માંડીને બીજાં દૈનિક કામો પતાવવા ઉપરાંત દીકરીને જગાડી, એને તૈયાર કરીને શાળાએ ભણવા મોકલવાની. આ બધું કામ પતાવતા પતાવતા ઘડિયાળમાં દસ ક્યાં વાગી જાય એની ખબર જ ન પડે. સવારે વહેલાસર જાગ્યા પછી સતત પાંચ કલાક પ્રવૃત્ત રહ્યા પછી કોઈ પણ વ્યક્તિને બે ઘડી લાંબો વાંસો કરવાનું મન થાય એ સ્વાભાવિક ગણાય. પણ ના, એ પોસાય જ નહીં, કારણ કે નક્કી કરેલું લક્ષ્ય પાર પાડવાનું છે. દસ વાગ્યાથી ફરી પુસ્તક હાથમાં અને અધૂરો રાખેલા અભ્યાસ આગળ ચાલુ રાખવાનો. બાર સવાબાર થાય એટલે દીકરીનો સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જાય. ફરી પુસ્તકો બંધ અને સમગ્ર ધ્યાન દીકરીમાં પરોવાઈ જાય. દીકરીનું જમવાનું, એના અભ્યાસ પર દેખરેખ રાખવાની અને ઘરના બીજાં નાનામોટા કામ તો રોજેરોજ ઊભા જ હોય. સાંજ પડે ને પતિ ઑફિસેથી પાછા ફરે એટલે દીકરીના રૂટિનની જવાબદારી એમને સોંપી દેવાની અને પછી બપોરે અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કરવાનો.
૩૩ વર્ષની તામિલનાડુના તિરુનેલવેલી શહેરની રહેવાસી ઉમા મહેશ્ર્વરીની આ દિનચર્યા હતી. સિવિલ સર્વિસ એક્ઝામની કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરાય એ માટે ઉમા આ પ્રકારે મહેનત કરી રહી હતી. શરૂઆતમાં તેને નિષ્ફળતા મળી અને એ પણ એક-બે નહીં, પણ પૂરા છ પ્રયાસોમાં એ નિષ્ફળ રહી. જાળું બાંધવાના પ્રયાસમાં વારંવાર નીચે પછડાતો હોવા છતાં હિંમત ન હારનાર અને અંતે સફળતા મેળવનારા કરોળિયાની વાર્તા ઉમા જાણે છે કે નહીં એ આપણે નથી જાણતા, પણ એ ભાવના, એ જોશ, એ સંકલ્પ આ તમિળ યુવતીમાં ભારોભાર છે એમ ચોક્કસ કહી શકાય. પાંચ પાંચ વખત નિષ્ફળતા મળ્યા પછી પણ દૃઢ મનોબળ સાથે વધુ એક પ્રયાસ કરનારી ઉમા મહેશ્ર્વરીએ છઠ્ઠા પ્રયાસમાં સફળતા અંકે કરી જ લીધી. સંઘર્ષના અને પ્રયાસોના દિવસો યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું જ્યારે તિરુનેલવેલીમાં શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે જો ‘નસીબમાં હશે તો મળશ’ે એવું કોઈ કહેતું તો એ વાત હું હસવામાં કાઢી નાખતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સંઘર્ષ કરીને હું જે રીતે આગળ આવી છું એ પછી મને પણ નસીબમાં વિશ્ર્વાસ બેસવા લાગ્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ મળવો જોઈએ.’
ઉમા બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતી. આ છોકરી બહુ આગળ વધશે એવું એની શાળાના પ્રાથમિક કક્ષાના શિક્ષકો કહેતા હતા. સારી વાત એ થઇ કે એના પરિવારે પણ એને ભણવા માટે ઉત્તેજન આપ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ તેણે પૂરો કર્યો. આટલેથી સંતોષ માની ન લેતા આ યુવતીએ એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. જોકે, આ સમયે ઉમાએ સિવિલ સર્વિસ એક્ઝામનો વિચાર સુધ્ધાં નહોતો કર્યો. એના એક પ્રોફેસરે એને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી. કારકિર્દીમાં આવેલા એ વળાંકને યાદ કરીને ઉમા જણાવે છે કે ‘હું કૉલેજમાં ભણતી હતી એ દરમિયાન એક દિવસ હું સિવિલ સર્વિસની પરીક્ષા આપીશ એવો સપનેય ખ્યાલ નહોતો. મારા એક પ્રોફેસરે મને આ પરીક્ષા આપવા સમજાવી અને પ્રોત્સાહન આપ્યું. પહેલી વખત મેં ૨૦૧૧માં આ પરીક્ષા આપી અને એ પણ કોઈ પ્રકારની તૈયારી વિના.’ અલબત્ત એમાં એને નિષ્ફળતા મળી જે સહજ અને સ્વાભાવિક હતું અને એટલે નિરાશ થવાનું કોઈ કારણ પણ નહોતું. બીજી એક વાત પોરસાવનારી એ હતી કે ઉમાએ કૉલેજ શિક્ષણ પૂરું કર્યું ત્યારે એના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું લેબલ અને ત્રણ અલગ અલગ મોટી કંપનીઓની નોકરીમાં જોડાવાના ઑફર લેટર્સ પણ હતા. જોકે, કુદરત હજી ઉમાની વધુ કસોટી કરવા માગતી હતી. સફળતા મેળવવા માણસે શૈક્ષણિક પરીક્ષાઓ પાસ કરવાની સાથે જીવનની પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એ સમય યાદ કરીને ઉમા મહેશ્ર્વરી જણાવે છે કે ‘કૉર્પોરેટ જૉબ મેં સ્વીકારી ત્યારે જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ હૈયે જરૂર હતો. જાણે હું ગુલાબી સેજ પર ચાલી રહી હોઉં એવી લાગણી થઈ રહી હતી. એવામાં અચાનક મારા પિતાશ્રીનો દેહાંત થઈ ગયો. મારું જીવન મારા માતા-પિતાને કેન્દ્રમાં જ રાખીને આગળ વધી રહ્યું હતું. આ આઘાત હજી હું પચાવું ત્યાં મારાં માતુશ્રી પણ અવસાન પામ્યાં.’ અલબત્ત આ આઘાત પચાવીને ઉમાએ પાંચ વર્ષ સુધી અગ્રણી કંપનીઓમાં નોકરી કરવાનું ચાલુ રાખ્યું. એક સારી વાત એ હતી કે આ નોકરી દરમિયાન પણ ઉમાએ સિવિલ સર્વિસની એક્ઝામ આપવાના પ્રયાસો ચાલુ રાખ્યા. પૂરતા સમયને અભાવે પ્રયત્નો ઓછા પડતા હોવા છતાં નોકરી કરતા કરતા ઉમા મહેશ્ર્વરીએ પાંચ વખત પરીક્ષા આપી, પણ પાંચેય વાર એ નિષ્ફ્ળ રહી હતી. આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી કોઈ ભાંગી જાય, કોઈ હારી જાય તો કોઈ કંટાળી જાય. આપણી ઉમા તો વધુ મક્કમ બની ગઇ વધુ એક પ્રયાસ કરવા માટે. કઈ પ્રેરણા કામ કરી ગઈ એવા સવાલના જવાબમાં ઉમા જણાવે છે કે ‘મારી આસપાસની દરેક વ્યક્તિએ મારા માટે આશા છોડી દીધી હતી એ મારા ખ્યાલમાં આવ્યું. હું આ પરીક્ષા પાસ કરી શકું છું એ મારે આસપાસ રહેલી દરેક વ્યક્તિને અને ખાસ કરીને જાતને બતાવી દેવું હતું.’ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મક્કમ બનેલી ઉમાએ ૨૦૧૭માં લગડી જેવી કૉર્પોરેટ જૉબ છોડી દીધી. પૂરા પ્રયત્નો પરીક્ષાની તૈયારી માટે લગાડી દીધા. આ નિર્ણય લેવો અઘરો હતો. એ દિવસ યાદ કરતા શ્રીમતી મહેશ્ર્વરી જણાવે છે કે ‘મારે આવી સારી નોકરી છોડીને જેમાં હું વારંવાર નિષ્ફળ જાઉં છું એ પરીક્ષા ફરી આપવા માટે શું કામ પ્રયત્નો કરવા જોઈએ એ વાત કોઈને સમજાતી જ નહોતી. નોકરી કરતા કરતા સાઈડમાં મારે પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ એવો અભિપ્રાય બધાનો હતો. જોકે, એ રીતે સરખી રીતે તૈયારી નહીં થઈ શકે એવું મારું માનવું હતું.’
મન હોય તો માળવે જવાય એ ન્યાયે ઘરની સંભાળ અને પરીક્ષાની તૈયારી વચ્ચે ઉમાએ સંતુલન મેળવી લીધું. ‘હું પાંચ વાગે જાગીને અભ્યાસ કરતી અને પછી ઘરના નિત્ય કાર્યક્રમો પતાવીને ફરી અભ્યાસ કરવા બેસી જતી. પ્રીલીમ્સ માટે આ રૂટિન હતું જ્યારે મેઈન એક્ઝામ વખતે ઉમાએ અભ્યાસના કલાકો વધારી દીધા. રાતે ૧૦ વાગે દૈનિક કાર્ય આટોપી લીધા પછી મળસકે ત્રણ વાગ્યા સુધી એ વાંચતી. એના આ પ્રયાસ અંગે પતિ અને સાસરિયાઓનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાયો એ વિષે ઉમા અનુ કુમારીનું ઉદાહરણ આપે છે. આવાં ઉદાહરણો પેરણારૂપ સાબિત થવાની સાથે એક નવી દિશા દેખાડતા હોય છે. એ વિષે બોલતાં ઉમાએ કહ્યું કે ‘૨૦૧૮ની પરીક્ષાના પરિણામ જાહેર થયા ત્યારે હરિયાણાની અનુ કુમારી બીજા ક્રમે આવી હતી.’ પ્રતિકૂળ સંજોગોમાં પણ હરિયાણાીની યુવતીએ મેળવેલી સફળતા ઉત્સાહ વધારનારી હતી. બાળક ઉછેરની અને પરિવારની જવાબદારી પણ શિરે હોવા છતાં તેણે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઉમાના પતિ અને પરિવારના સભ્યોને ભરોસો બેઠો કે અનુની જેમ ઉમા પણ આ એક્ઝામ પાસ કરી શકશે. એમનો ભરોસો, એમનો વિશ્ર્વાસ અને ઉમાની મહેનત રંગ લાવી અને ઉમાને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરવામાં સફળતા મળી. ‘મન મેં હો વિશ્ર્વાસ, પૂરા હો વિશ્ર્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન’ એ ઉક્તિને ઉમા મહેશ્ર્વરીએ વધુ એક વખત સાચી પાડી છે. જેમ અનુનું ઉદાહરણ ઉમા અને એના પરિવાર માટે પ્રેરણાદાયી સાબિત થયું એ જ રીતે આવતી કાવે અન્ય કોઇ યુવતી ઉમાના ઉદાહરણમાંથી પ્રેરણા લઇને આગળ વધશે.
ગુજરાત બોર્ડએ BHSE-Delhi બોગસ બોર્ડ હોવા અંગે એડવાઇઝરી જારી કરી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ ગુજરાતમાં આવેલી સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ, નોકરીદાતાઓ વગેરે જોગ એક એડવાઇઝરી જારી કરીને જણાવ્યું છેકે નવી દિલ્હીના ગણાવાતા બોર્ડ ફોર હાયર સેકન્ડરી એજ્યુકેશ BHSE-Delhi એ એક ગેરકાનૂની બોર્ડ છે. BHSE-Delhi બોર્ડ દ્વારા જુદા જુદા સત્તામંડળોને પત્રો લખીને તેમના સર્ટિફિકેટ્સને કેન્દ્ર સરકારની માન્યતા મળી હોવાનું જણાવીને તેમના ઉમેદવારોને સ્કુલ કોલેજોમાં પ્રવેશ આપવા તેમજ નોકરીદાતાઓને નોકરી આપવામાં માન્ય ગણવા પત્રો લખ્યા છે.
ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી છે કે BHSE-Delhi સાવ બોગસ છે, કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ બોર્ડને કોઇ માન્યતા આપી નથી. આ બોર્ડ દ્વારા કરવામાં આવતા પત્ર વ્યવહાર કે આ બોર્ડના પ્રમાણપત્રોને માન્ય ગણીને કોઇ કાર્યવાહી કરવી નહીં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયની BHSE-Delhi અંગેની સ્પષ્ટતા
BHSE-Delhi ની માન્યતા 1 જુલાઇ 1962ના રોજ પૂરી થઇ ચૂકી છે
કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે BHSE-Delhiને બોગસ બોર્ડ હોવાની રાષ્ટ્રવ્યાપી સ્પષ્ટતાઓ કરી છે આમ છતાં BHSE-Delhi એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને દિલ્હી સરકાર પાસે તેમની માન્યતા રદ કરવાની કોઇ સત્તા નથી.
શિવસેના સત્તા સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ ગયા બાદ રાજ્યપાલે ત્રીજા નંબરે રહેલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને મોડી રાતે આમંત્રણ આપ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત આપી હતી. ભાજપ બાદ સેના પણ સરકાર સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ જતા રાજ્યમાં રાજક્ીય કટોકટી કાયમ રહી હતી. એનસીપીનું સમર્થન હોવા છતાં કૉંગ્રેસનું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયેલી શિવસેનાનું તેમના પક્ષ પ્રમુખ બાળ ઠાકરેની ૧૭ નવેમ્બરના પુણ્યતિથિએ શિવસેનાના મુખ્ય પ્રધાન શપથ લે તેવું સપનું પડી ભાંગ્યું હતું. બદલાયેલી પરિસ્થિતિમાં સરકારની સ્થાપના માટે કૉંગ્રેસ અને એનસીપીના વિધાનસભ્યોની સંયુક્ત બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે
દિવસ દરમિયાન શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની અનેક બેઠકો બાદ પણ સરકાર બનાવવાની મડાગાંઠ ઉકેલાઈ શકી નહોતી. સેના નિષ્ફળ ગયા બાદ એનસીપીને રાજ્યપાલનું આમંત્રણ મળ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત મળી હતી, તેથી આજે શું થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે આકો દિવસ હાઈ ડ્રામા સર્જાયો હતો. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાના કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું. તો દિવસ દરમિયાન ર્કૉંંગ્રેસ, એનસીપી, શિવસેના અને ભાજપનો બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.
એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા બાદ તેમનું સમર્થન મળતા શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન પર ચર્ચા કરી હતી. કહેવાય છે કે ઉદ્ધવે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સમર્થન આપવા માટે બહુ મનાવાની કોશિશ કરી હતી. દિલ્હીમાં પણ કૉંગ્રેસની બેઠક પર બેઠક થઈ હતી. તો મુંબઈમાં એનસીપીની બેઠક થઈ હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સમર્થન આપવા માટે જયપુરમાં મોકલવામાં આવેલા મહારાષ્ટ્રના વિધાનસભ્યો સાથે પણ ચર્ચા કરી હતી.
આ દરમિયાન એનસીપીની મુંબઈમાં બેઠક પૂરી થયા બાદ પોતાનો નિર્ણય જાહેર કરવાની પણ હતી. જોકે કૉંગ્રેસે પોતાનો નિર્ણય લંબાવી દેતા એનસીપીએ પણ પોતાની પત્રકાર પરિષદ રદ કરી હતી. એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યું હતું કે જયાં સુધી કૉંગ્રેસ પોતાની ભૂમિકા નક્કી નહીં કરે ત્યાં સુધી એનસીપી પણ પોતાની ભૂમિકા જાહેર નહીં કરે કહીને કૉંગ્રેસ અને એનસીપી એકમતે પોતાનો નિર્ણય જાહેર કરશે એવું કહ્યું હતું. કૉંગ્રેસની દિલ્હીમાં મોડી રાતે યોજાયેલી બેઠક પૂરી થઈ હતી. ત્રણ કલાકની બેઠક બાદ પણ કૉંગ્રેસ શિવસેનાને સમર્થન આપવું કે નહીં તે બાબતે કોઈ નિર્ણય લઈ શકી નહોતી.
આ દરમિયાન ૨૪ કલાકની મુદત પૂરી થાય તે પહેલા શિવસેના રાજ્યપાલને મળવા પહોંચી ગઈ હતી. એનસીપીનું સમર્થન હતું પણ કૉંગ્રેસે પત્ર મોકલ્યો હતો, પણ શિવસેનાએ સમર્થન આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. તેથી ભાજપ બાદ શિવસેનાને પણ નિરાશ થવું પડ્યું હતું.
——————————————–
રાજ્યપાલે સરકાર બનાવવા માટે એનસીપીને પણ આમંત્રણ આપ્યું હોવાની સત્તાવાર માહિતી એનસીપી પ્રવક્તા નવાબ મલિકે આપી હતી અને કૉંગ્રેસ સાથે સ્થિર સરકાર સ્થાપવા અંગે ચર્ચા પણ કરી હોવાનું જણાવ્યું હતું.
રાજભવનમાં એનસીપીનું પ્રતિનિધિત્વ અજીત પવાર કરશે. તેમની સાથે છગન ભુજબળ સહિત જયંત પાટીલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રાજભવનમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યપાલે અમને શું કામ આમંત્રિત કર્યા છે એ અંગે કશું ખબર નથી. અમે ફક્ત રાજ્યપાલના આદેશનું પાલન કરી રહ્યા છીએ, એવું પવારે કહ્યું હતું.
કૉંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ પુષ્ટી આપી કે એનસીપી અને કૉંગ્રેસનો સમર્થનનો પત્ર રાજ્યપાલને મળ્યો નથી.
કૉંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે એનસીપી અને શિવસેના સાથે ચર્ચા શરૂ છે.
શિવસેનાના નેતાઓએ મુલાકાત લીધા બાદ રાજભવને નિવેદન જારી કર્યું કે શિવસેના સરકાર બનાવવા ઇચ્છે છે, પરંતુ તે સમર્થનનો પત્ર સોંપી શકી નહીં.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુને મીડિયાને જણાવ્યું કે એનસીપી સાથેની આગળની ચર્ચા મંગળવારે કરાશે.
૭.૪૦ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે સરકાર રચવાની હોવાથી અમે બે દિવસનો સમય માગ્યો હતો, પરંતુ રાજ્યપાલે અમને સમય ન આપ્યો.
ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ નિવેદન જારી કર્યું કે કૉંગ્રેસ પ્રેસિડન્ટે શરદ પવાર સાથે ચર્ચા કરી છે. પક્ષ એનસીપી સાથે આ મુદ્દે વધુ ચર્ચા કરશે.
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ મુદ્દે બે કલાકની ચર્ચા બાદ સોનિયા ગાંધીના નિવાસસ્થાનેથી કૉંગ્રેસના નેતાઓ એ.કે.એન્ટોની અને અહેમદ પટેલે વિદાય લીધી.
સૂત્રો અનુસાર એનસીપીએ માગણી કરી છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન પદ અજિત પવારને આપવામાં આવે.
વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે શિવસેનાના પ્રતિનિધિઓ સાથે રાજભવન ખાતે પહોંચ્યા અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે ચર્ચા શરૂ થઇ.
શિવસેનાને સમર્થન આપાવાની વિચારણા હોવાથી કૉંગ્રેસ સમર્થનનો પત્ર આપશે એવા અહેવાલ આવ્યા.
૬.૦૫ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાને સમર્થન આપવા માટે તૈયાર હોવાથી કૉંગ્રેસ શિવસેનાને બહરાથી સમર્થન આપવાનું વિચારી રહી છે.
કૉંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્યો સાથે ફોન પર વાત કરી તેમ જ શરદ પવાર સાથે પણ ચર્ચા કરીને શિવસેનાને સમર્થન આપવાની ઇચ્છા દર્શાવી.
સૂત્રોના દાવા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસના પ્રેસિડન્ટ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.
સૂત્રો અનુસાર સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી શિવસેના સાથે જોડાવવાના વિરોધમાં છે, જયારે મહારાષ્ટ્ર કૉંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના પક્ષને ટેકો આપવાના મૂડમાં છે.
નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાન ખાતે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતૃત્ત્વ એ.કે.એન્ટોની અને અહમદ પટેલ સાથે ચર્ચાનો દોર શરૂ.
શિવસેનાના નેતા અરવિંદ સાવંતે આદિત્ય ઠાકરેની પ્રશંસા કરી.
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચ્યા.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરે શિવસેના પર ટીકા કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર ૫૬ બેઠકો જીતીને શિવસેના મુખ્ય પ્રધાન પદ ન મેળવી શકે.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરેથી મળ્યા બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવાની ચર્ચા અંગે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અમુક વિધાનસભ્યો, જે હાલમાં રાજસ્થાનમાં છે તેમણે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી.
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની બેઠક પૂર્ણ થઇ.
કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે પ્રધાનપદથી રાજીનામું આપ્યા બાદ બપોરે ૧.૩૩ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધી હતી. ચૂંટણી પૂર્વે કરેલા વાયદાઓથી બીજેપી પાછળ હટી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપન માટે ભાજપ-સેના વચ્ચે ૫૦-૫૦ ફોર્મ્યુલા નક્કી થયો હતો. તેથી હું દિલ્હીમાં કામ કરું એ યોગ્ય ન હોવાને કારણે મેં પ્રધાનપદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે, એવું તેમણે જણાવ્યું હતું.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજસ્થાનના જયપુર રિસોર્ટથી દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.
દોઢ કલાકથી ચાલી રહેલી એનસીપીની બેઠક ખતમ થયા બાદ એનસીપી પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાની સરકાર બનાવવાની નીતિને સમર્થન આપશે.
સોનિયા ગાંધીના નિવાસસ્થાને રાજ્યના વરિષ્ઠ નેતાઓની બેઠક ખતમ થઇ. કૉંગ્રેસના ૪૦ વિધાનસભ્યોએ આ મુદ્દે સમર્થન આપ્યું હતું.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી અને શિવસેના સરકાર રચશે અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનશે, એવું તેમણે બેઠકમાં કહ્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપે કેવી રીતે સત્તા સ્થાપી અને કોના સહકારથી સ્થાપી એ ભાજપ ભૂલી ગઇ છે, પણ કર્મ જુએ છે, એવું ટ્વિટ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કર્યું હતું.
કૉંગ્રેસ-એનસીપીનું સમર્થન મળી ગયું છે એ અમારું સરકાર રચવા તરફ પહેલું પગલું છે, એવું સંજય રાઉતે માતોશ્રી પહોંચીને પત્રકાર પરિષદને સંબોધીને ઘોષણા કરી હતી.
કેન્દ્રીય પ્રધાન અને શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પ્રધાનપદ છોડવાનો નિર્ણય ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યો હતો.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયાના નિવાસસ્થાન દિલ્હીમાં સીડબલ્યૂસી (કૉંગ્રેસ વર્કિંગ કમિટી) માટે ગયા હતા. આ બેઠકમાં કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.
શરદ પવારે કૉંગ્રેસ સાથે રાજ્યની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા-વિચારણા કરી
સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપને કારણે મહારાષ્ટ્રને રાજકીય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજેપીને અમારી સાથે રહેવામાં કોઇ રસ ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
૯.૦૦- કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે રાજ્યમાં ફરી એક વાર ચૂંટણી થાય તેવા અણસાર વ્યક્ત કર્યા હતા.
કેન્દ્રમાં એનડીએ સરકારમાં શિવસેનાના પ્રધાન અરવિંદ સાવંતે 11-11-2019 સોમવારે રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ સિવાયની સરકાર સ્થાપવાની હોવાથી કેન્દ્રમાં પ્રધાન તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી, એમ કહ્યું હતું. એનડીએમાં કોઈ વિશ્ર્વાસ રહ્યો નથી.
રાજ્ય સરકારમાં સરખી ભાગીદારી માટે ભાજપે આપેલા વચનનો ભંગ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ – શિવસેના વચ્ચે થયેલા સરખી ભાગીદારી કરાર થયા હોવાનો ભાજપે ઈનકાર કરીને જુઠ્ઠાણું ચલાવ્યું છે, એવું પણ તેમણે કહ્યું હતું. મારા પક્ષ શિવસેનાની લાગણી દુભાવી છે. એનડીએમાં વિશ્ર્વાસ નહીં રહેતા એનડીએ છોડું છું. કેન્દ્રમાં ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે અરવિંદ સાવંત હતા તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું સુપરત કર્યું હતું. મહારાષ્ટ્ર શિવસેના અન્ય પક્ષો સાથે સરકાર સ્થાપી રહી છે. ભાજપ વિપક્ષમાં બેસશે, ત્યારે એનડીએમાં રહેવાનું યોગ્ય નથી.
નાગપુરમાં 9/11/2019 ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ ઍરોબૅટિંગ ટીમ સાથે ભારતના ક્રિકેટરો (ઉપર, રિષભ પંત તથા મનીષ પાન્ડે તેમ જ ડાબે, શિખર ધવન). હેડ-કોચ રવિ શાસ્ત્રીએ પણ પાઇલટો સાથે થોડો સમય વીતાવ્યો હતો. આ પાઇલટો ‘ઍર ફેસ્ટ ૨૦૧૯’માં ભાગ લેવા નાગપુર આવ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.