CIA ALERT

Slider Archives - Page 226 of 486 - CIA Live

June 14, 2020
online-class-2.jpg
1min6550

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

June 14, 2020
coronaindia-1-1280x1044.jpg
1min5870

ભારતમાં કોવિડ-૧૯ના દરદીની સંખ્યા બે લાખનો આંક પાર કર્યાના માત્ર દસ દિવસ બાદ શનિવારે કુલ દરદીની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઇ હોવાની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોના વાઇરસના ૧૧,૪૫૮ નવા કેસ નોંધાવા સાથે કુલ કેસ વધીને ૩,૦૮,૯૯૩ થયા હોવાની અને ૩૮૬ દર્દીનાં મૃત્યુ સાથે કુલ આંક વધીને ૮૮૮૪ પર પહોંચ્યો હતો.

ભારતમાં કોરોનાના પ્રથમ ૧૦૦ કેસમાંથી એક લાખ કેસ નોંધાતા ૬૪ દિવસ લાગ્યા હતા અને ત્યાર બાદ પંદર દિવસમાં કોરોનાના કેસ વધીને બે લાખની સપાટીએ પહોંચ્યા હતા. હવે માત્ર દસ દિવસમાં એક લાખ કેસ વધવા સાથે ભારત વિશ્ર્વના સૌથી વધુ કોરોનાના દર્દીઓવાળા દેશોની યાદીમાં ચોથા ક્રમાંકે પહોંચ્યો છે.

જોકે, મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો ૧૫.૪ દિવસથી વધીને ૧૭.૪ દિવસ થયો છે.

હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૪૫,૭૭૯ થઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૩૨૯ વ્યક્તિ સાજી થઇ છે અને એક દર્દી અન્ય દેશમાં જતો રહ્યો છે. આ સાથે સાજા થનારા દરદીની ટકાવારી વધીને ૪૯.૯૦ ટકા થઇ છે.

કુલ નોંધાયેલા સક્રિય કેસમાં કેટલાક વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

June 14, 2020
rainingujarat-1.jpg
1min5620

ગુજરાતમાં પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. શનિવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વડોદરાના કરજણમાં સવા ત્રણ ઇંચ, ખેડાના માતરમાં ત્રણ ઇંચ, બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યના ૧૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૬૪ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના તરસડા ગામમાં નદીના વહેણમાં બળદગાડું તણાઇ જતા એકનું મોત થયું હતું. બીજી બાજુ શનિવારે સવારથી સાંજ સુધીમાં રાજ્યના છ તાલુકામાં ૫ મીમીથી ૩૬ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના નખત્રાણામાં ૩૬ મીમી વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨૧, કચ્છના માંડવીમાં આઠ, વડાદરાના પાદરા, સુરતના માંગરોળ, અને ડાંગના સુબીરમાં પણ સાંજ સુધીમાં પાંચ થી ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં શુક્રવારે મોડી સાંજથી સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદમાં ત્રણ વીજ કર્મીને કરંટ લાગતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી સાત સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વડોદરા શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં શુક્રવારે રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડોદરા જિલ્લાના ડભોઇમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દરિમયાન ગીરજંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને ભાવનગરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી નદી- નાળા બે કાંઠા વહેતા થયા છે. જેમાં જૂનાગઢના તરસિગડામાં એક બળદગાડું તણાતા એકને બચાવી લેવાયો હતો પરંતુ ગાડામાં બેઠેલી એક મહિલાનું તણાઇને ડૂબી જવાથી મોત થયું હતુ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, ઉંમરાળા, ઘોઘા અને શિહોર પંથકમાં વરસાદ પડ્યો હતો.

June 13, 2020
petrol-diesel-1.jpg
1min5340

કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ 59 પૈસા તેમજ ડીઝલમાં 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. 3.98 તેમજ ડીઝલ રૂ.4 મોઘું થયું છે.  

દેશમાં 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને લિટરે રૂ. 75.16 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.39 થયો છે.  

માર્ચના મધ્યમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરના એક્સાઈઝ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઈંધણના દરમાં વધારો સ્થગિત કરાયો હતો. ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર લાદવાને બદલે તેને વહન કરી રહ્યા હતા. આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને પગલે કંપનીઓ ઈંધણના ભાવ પોતાની રીતે નિયંત્રીત કરી શકે છે.

June 13, 2020
corona-gujarat.jpg
1min5580

ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ કોરોના વાઈરસના કેસ અને દર્દીઓના મોતમાં ચોંકાવનારો વધારો થઇ રહ્યો છે. 11મી જૂને સાંજે 5.00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 513 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત થયેલા ચોપડે નોંધાયેલા કેસોની સંખ્યા 22ને આંબી ગઈ હતા.

રાજ્ય સરકારે લોકડાઉન ખોલીને અનલોક જાહેર કરતા તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલોક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલોક-1ના પ્રથમ 11 દિવસમાં 5273 પોઝિટિવ કેસ અને 347 મોત થયા છે.

રાજ્યમાં જૂન મહિનામાં 11 દિવસમાં 5273 કેસ નોંધાયા અને 347 મૃત્યુના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો દર કલાકે રાજ્યમાં 20 જેટલા કેસ અને 1.3 એટલે કે સરેરાશ એક મોત તો નીપજ્યું છે. જોકે, વેપાર ધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી તેમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કેલ્ક્યૂલેટેડ જોખમમાં પ્રથમ 11 દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.

કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનાવતાં નેવે મુકી ખાનગી હોસ્પિટલો દર્દીઓની લૂંટી રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી બેફામ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર પાંચ કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનો કોરોના દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

June 13, 2020
rain_forecast.png
1min8670

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

June 13, 2020
gst.jpg
1min6040

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.

એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.

આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.

દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.

June 12, 2020
weather-forecast.jpg
1min6670

બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે, જેના પગલે ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસશે તથા ૧૪મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ભારે વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રતિ કલાકે ૪૦થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. કેરળમાં વરસાદ પછી ૧૦ દિવસ પછી મુંબઈમાં અને એ પછીના સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવો સામાન્ય ટ્રેન્ડ છે. જોકે, હજુ મહારાષ્ટ્રમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું ન હોવાથી ગુજરાતના ચોમાસાની તારીખો જાહેર કરવામાં આવી નથી.

તેમ છતાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪મી જૂને ભારેથી અતિભારે પ્રી-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હા… મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયા બાદ ગુજરાતમાં વરસાદની આગામી તારીખો જાહેર કરવામાં આવશે, તેવું હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું.

June 12, 2020
world.jpg
1min6650

કોરોના વાઈરસના વધી રહેલા કેસોની ચિંતા વચ્ચે ગઈકાલે વોલસ્ટ્રીટ અને ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ આજે તા.12મી જુનને શુક્રવારે સવારે એશિયાના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના ઇન્ડેસીસ પણ લૉઅર ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડયા હતા.

તા.12મી જુનને સવારે ભારતીય સેન્સેક્સ 900 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રારંભિક સેશનમાં જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક, ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, IT, ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.

સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 786.13 પોઈન્ટ્સ અથવા 2.34 ટકાના ઘટાડા સાથે 32,752.24 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે સવારે 219.05 પોઈન્ટ્સ અથવા 2.21 ટકાના જંગી કડાકા સાથે 9,862.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.12 ટકા અને 2.66 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક 5.61 ટકા, ONGC 4.60 ટકા, કોટક બેન્ક 4.02 ટકા, NTPC 3.67 ટકા, એક્સિસ બેન્ક 3.05 ટકા, ICICI બેન્ક 3.00 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા 0.50 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે જાપાનનો નિક્કાઈ 1.22 ટકા, ઓસ્ટ્રેલિયા શેરબજાર 1.74 ટકા, ચીન શેરબજાર 0.67 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકાના શેર્સ ઈન્ડાઈસિસ 5 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

June 11, 2020
online-class-1.jpg
1min14230

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.

આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.

કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.

પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web