દેશમાં કોરોનાના ૯૦ ટકા સક્રિય દરદી મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત મળીને ફક્ત ૮ રાજ્યના હોવાની અને ૮૦ ટકા કેસ ૪૯ જિલ્લાના હોવાની વાત કોવિડ-૧૯ માટેના પ્રધાનોના જૂથ (જીઓએમ)ને ગુરુવારે જણાવવામાં આવી હતી.
આ સિવાય, કોરોનાને લીધે મરણ પામનાર કુલ દરદીમાંથી ૮૬ ટકા દરદી છ રાજ્ય – મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિળનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળના છે અને કુલ કેસના ૮૦ ટકા મૃતકો ૩૨ જિલ્લાના હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ માટેના જીઓએમએ આ ૧૮મી બેઠક યોજી હતી.
મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ દેશોની સરખામણીમાં ભારતમાં દર દસ લાખ વ્યક્તિએ સૌથી ઓછા કેસ (૫૩૮) અને દર દસ લાખ વ્યક્તિએ મરણાંક (૧૫) છે. આ સામે વૈશ્ર્વિક સરેરાશ અનુક્રમે ૧૪૫૩ અને ૬૯.૭નો છે.
કોવિડ-૧૯ માટેની સુવિધા વિશે જણાવાયું હતું કે ગુરુવાર સુધીમાં દેશમાં ૩,૭૭,૭૩૭ આઇસોલેશન બૅડ્સ (આઇસીયુ વગરના), ૩૯,૮૨૦ આઇસીયુ બૅડ્સ અને ૨૦,૦૪૭ વૅન્ટિલેટર્સ સાથે ૧,૪૨,૪૧૫ ઑક્સિજન સાથેના બૅડ્સ ૩૯૧૪ સ્થળે ઉપલબ્ધ છે.
અત્યાર સુધીમાં સરકારે ૨૧.૩ કરોડ એન૯૫ માસ્ક, ૧.૨ કરોડ પીપીઇ કિટ્સ અને ૬.૧૨ કરોડ હાઇડ્રોક્ષિક્લોરોક્વિનની ગોળીઓ લોકોને વહેંચવામાં આવી છે.
આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, સિવિલ ઍવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરી, રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબે અને રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવીયાએ ભાગ લીધો હતો.
આ સિવાય, નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં ભાગ લીધો હતો. દેશમાં કોરોના વાઈરસનો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે. લોકડાઉન ધીરે ધીરે ખોલીને આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ કરવા સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. આમ છતાં, દેશમાં મોટાભાગના વ્યાપાર ધંધા ઠપ થયેલા છે.

















