કોંગ્રેસમાં જારી ઘમાસાણ સતત ચાલી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ હવે વધુ એક લેટર બોમ્બ સાથે પક્ષમાં થનારા વિસ્ફોટ માટે તૈયાર છે. આ વખતે પત્ર ઉત્તર પ્રદેશથી લખાયો છે. ગયા વર્ષે પક્ષમાંથી બહાર કરવામાં આવેલા નવ વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીને માત્ર ઈતિહાસનો ભાગ બનીને રહી જતા બચાવી લેવામાં આવે. આ સાથે પરિવારના મોહથી ઉપર ઉઠીને કામ કરવાની અપીલ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ વિધાયક વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવ સિંહના હસ્તાક્ષર ધરાવતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.’ ઉત્તર પ્રદેશના પ્રભારી સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપર પરોક્ષ રીતે નિશાન તાકતા ચાર પેજના પત્રમાં સોનિયા ગાંધીને પરિવારથી ઉપર ઉઠવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે પરિવારના મોહથી આગળ વધવામાં આવે અને પક્ષની લોકતાંત્રિક પરંપરાઓને ફરીથી સ્થાપિત કરવામાં આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આશંકા છે કે રાજ્યોના મામલામાં પ્રભારી તરફથી વર્તમાન સ્થિતિ અંગે પુરતી માહિતી આપવામાં આવી રહી નથી. લગભગ એક વર્ષથી મળવા માટે એપોઈન્ટમેન્ટ માગવામાં આવી રહી છે પણ ઈનકાર કરી દેવામાં આવે છે.
નિષ્કાસન સામે પણ અપીલ કરવામાં આવી હતી પણ કેન્દ્રીય અનુશાસન સમિતિને અપીલ ઉપર વિચાર કરવાનો સમય જ મળ્યો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો હતો કે પક્ષના પદો ઉપર એવા લોકોનો કબજો છે જેઓ વેતનના આધારે કામ કરે છે અને પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી. નેતા પાર્ટીની વિચારધારાથી પણ પરિચિત નથી. પરંતુ તેઓને ઉત્તર પ્રદેશમાં પક્ષને દિશા આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. પત્રમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પક્ષમાં વરિષ્ઠ નેતાઓનું અપમાન થઈ રહ્યું છે અને બહાર કરવામાં આવી રહ્યા છે. નેતાઓ અને પક્ષના કાર્યકરો વચ્ચે સંવાદની પણ કમી છે. જો વર્તમાન સ્થિતિ અંગે આંખ આડા કાન કરવામાં આવશે તો ઉત્તર પ્રદેશમાં ભારે નુકસાન થશે.












