બધા જ મંત્રાલયો, જાહેર વિભાગો અને જાહેર ક્ષેત્રના યુનિટો(સીપીએસયુ)એ સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ની ટેલિફોન સેવાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. આ બાબતનું શ્ર્વેતપત્ર ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ ૧૨મી ઑક્ટોબરે જાહેર કર્યું હતું.

નાણાં મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ આ ઉપરોક્ત શ્ર્વેતપત્ર કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત બધા જ સચિવ અને ડિપાર્ટમેન્ટ્સને મોકલવામાં આવ્યું હતું. શ્ર્વેતપત્રમાં જણાવાયું હતું કે બધા જ મંત્રાલયો/વિભાગોને સીપીએસઇ/સેન્ટ્રલ/સ્વાયત્ત સંસ્થાઓ સહિતના પોતાના વિભાગોને ઇન્ટરનેટ અને બ્રોડબૅન્ડ, લૅન્ડલાઇન અને લિઝડ લાઇનની જરૂરિયાત માટે ફરજિયાત બીએસએનએલ અને એમટીએનએલની સેવાનો ઉપયોગ કરવા જણાવવા વિનંતી કરવામાં આવે છે.
આ આદેશથી નુકસાનીમાં જઇ રહેલી બંને કંપનીને રાહત મળશે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે બીએસએનએલએ રૂ. ૧૫૫૦૦ કરોડ અને એમટીએનએલએ રૂ. ૩૬૯૪ કરોડનું નુકસાન નોંધાવ્યું હતું.
બીએસએનએલના વાયરલાઇન ગ્રાહકોની સંખ્યા નવેમ્બર ૨૦૦૮ના ૨.૯ કરોડથી ઘટીને આ વર્ષના જુલાઇમાં ૮૦ લાખની નીચી સપાટીએ પહોંચી હતી. એમટીએનએલના ફિક્સ્ડ લાઇન ગ્રાહકોની સંખ્યા નવેમ્બર ૨૦૦૮ના
૩૫.૪ લાખથી ઘટીને આ વર્ષના જુલાઇમાં ૩૦.૭ લાખની નીચી સપાટીએ પહોંચી હતી.
પોતાનું નેટવર્ક વધારવા અને ખર્ચને પહોંચી વળવા માટે બીએસએનએલએ સોવેરિયન ગેરન્ટી બોન્ડ મારફત રૂ. ૮૫૦૦ કરોડ ઊભા કર્યા હતા. પોતાનું નેટવર્ક વધારવા અને ખર્ચને પહોંચી વળવા માટે એમટીએનએલએ સોવેરિયન ગેરન્ટી બોન્ડ મારફત હજુ રૂ. ૬૫૦૦ કરોડ ઊભા કરવાના બાકી છે. આ માટે કેબિનેટે ઑક્ટોબર ૨૦૧૯માં મંજૂરી આપી હતી.











