
૧૮-૪૫ વર્ષના વય જૂથના તમામને નિ:શુલ્ક કોરોના રસી આપવાનું રવિવારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા અને રાજસ્થાને જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે કહ્યું હતું કે, ૧.૫ કરોડ ડોઝનો (૧ કરોડ ડોઝ – કોવિશીલ્ડ, ૫૦ લાખ ડોઝ કોવૅક્સિન) ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશે પણ તમામને કોવિડ-૧૯ વિરોધી રસી નિ:શુલ્ક આપવામાં આવશે, તેવું જાહેર કર્યું હતું. દરમિયાન દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૨,૧૭,૧૧૩ દરદી સાજા થયા હોવાનું રવિવારે સવારે બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીના આરંભથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ૧,૪૦,૮૫,૧૧૦ દરદી સાજા થયા હોવાનું પણ બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
દેશમાં કોરોનાવાઇરસ સામેની રસી લેવા ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોની નોંધણી (રજિસ્ટ્રેશન) કોવિન વૅબ પૉર્ટલ અથવા આરોગ્ય સેતુ ઍપ પર કરાવવી જરૂરી છે. આ નોંધણી ૨૮ એપ્રિલથી શરૂ થવાની છે. ૧૮થી ૪૫ વર્ષના વયજૂથના લોકોના રસીકરણની પ્રક્રિયા અને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ કે અન્ય સરકાર માન્ય ઓળખપત્ર) અગાઉની જેવા જ રહેશે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે રસીની ઘણી માગ છે અને તેથી આ વયજૂથના લોકો માટે રસી લેવા અપૉઇન્ટમેન્ટ જરૂરી છે. રસીકરણ કેન્દ્ર ખાતે ગિરદી ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. શરૂઆતમાં રસીકરણ માટે વૉક-ઇનની પરવાનગી નહિ અપાય.
હૅલ્થકૅર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૪૫ વર્ષથી મોટી વયના લોકોને રસીકરણના સરકારી કેન્દ્રો ખાતે મફતમાં રસી મળવાનું ચાલુ રહેશે.
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે સ્પષ્ટતા કરી હતી કે સરકારે રસીને લગતી નીતિ છૂટછાટભરી બનાવી હોવાનો અર્થ એવો નથી થતો કે રસી દવાની દુકાનોમાં પણ મળવા લાગશે.
રસીના ઉત્પાદકોએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબૉરેટરીને કેન્દ્રનો પચાસ ટકા જથો આપવો પડશે, જ્યારે બાકીનો તે રાજ્ય સરકારોને આપી શકે છે.
કોવિન પ્લેટફૉર્મ પર રસીના જથા અને ભાવને લગતી દરેક જાણકારી અપાશે.















