ભારતીય રિઝર્વ બેંકએ રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં ખામીઓ માટે એચડીએફસી બેંક લિમિટેડને 10 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. કેન્દ્રીય બેંકે જણાવ્યું કે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈઓના ઉલ્લંઘનને પગલે એચડીએફસી બેંકને આ દંડ કરાયો છે. આરબીઆઈએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ કાર્યવાહી રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સમાં ખામીઓ આધારિત છે અને બેંક દ્વારા પોતાના ગ્રાહકોની સાથે કરાયેલી કોઈપણ લેવડ-દેવડ કે સમજૂતીની માન્યતા સાથે સંબંધિત નથી.
રિઝર્વ બેંકે સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, બેંકના ઓટો લોન પોર્ટફોલિયોના સંબંધમાં ઘણી વ્હિસલબ્લોઅર ફરિયાદ મળી હતી અને તેની તપાસ કરવામાં આવી તો ઘણી અનિયમિતતાઓ જણાઈ હતી. આ સંબંધમાં પહેલા બેંકને નોટિસ આપી એવી સલાહ અપાઈ હતી કે, તે કારણ બતાવે કે કેમ એક્ટની જોગવાઈઓ/નિર્દેશોના ઉલ્લંઘન માટે તેને દંડ ન કરવામાં આવે.
કારણ બતાવ નોટિસના બેંકના જવાબ પર વિચાર કર્યા બાદ, વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરાયેલા મૌખિક રજૂઆત અને બેંક દ્વારા રજૂ કરાયેલા વધુ સ્પષ્ટીકરણો અને દસ્તાવેજોની તપાસ પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર પહોંચી કે એક્ટની જોગવાઈઓના ઉલ્લંઘનના ઉપરોક્ટ આરોપ પ્રમાણિત છે અને બેંકને દંડ કરવો જોઈએ.
ઓટો લોન આપવામાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 6(2) અને કલમ 8ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવાને કારણે રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને 10 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.
આઇસીસીએ 28/5/2021 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પટન ખાતે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની મેચ કન્ડીશન જાહેર કરતા સ્પષ્ટ કર્યું છે કે મેચ ડ્રો કે ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને સંયુકત વિજેતા જાહેર કરાશે. 18થી 22 જૂન દરમિયાન રમાનાર આ ફાઇનલ મેચ માટે કોઇ કારણોસર સમય બગડવાની સ્થિતિમાં સુરક્ષિત દિવસની વ્યવસ્થા કરી છે. જે અનુસાર 23 જૂન સુરક્ષિત દિવસ ગણાશે. આઇસીસીએ એમ પણ કહ્યંy કે આ બન્ને ફેંસલા જૂન 2018માં ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કર્યાં પહેલા જ લેવામાં આવ્યા હતા. સુરક્ષિત દિવસનો ઉપયોગ કોઇ કારણોસર જો મેચ અટકી ગયો હોય તો તેની ભરપાઇ માટે કરવામાં આવશે. નિર્ધારિત પાંચમા દિવસે ડ્રોની સ્થિતિમાં વધારાનો ઉપયોગ થશે નહીં. એટલે કે ફાઇનલ મેચ ફાઇટ ટૂ ફિનિશ નથી. ડ્રો અને ટાઇના પરિણામ પણ આવી શકે છે અને આવી સ્થિતિમાં બન્ને ટીમ ટ્રોફીની હકદાર બનશે.
મેચ દરમિયાન આઇસીસી રેફરી મીડિયાને અને બન્ને ટીમને બતાવશે કે સુરક્ષિત દિવસનો ઉપયોગ કયારે અને કેવા સંજોગોમાં થશે. ભારતીય ટીમ તેના ઘરેલુ મેચો એસજી બોલથી અને ન્યુઝીલેન્ડની ટીમ કુકાબુરા બોલથી રમે છે, પણ ફાઇનલ મેચ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડમાં ડયૂક બોલનો જ ઉપયોગ થાય છે. ફાઇનલમાં શોર્ટ રન, ડીઆરએસના નવા નિયમ પણ લાગુ રહેશે.
કેરળમાં ૩૧ મેએ ચોમાસાનું આગમન થાય એવી શક્યતા હોવાનું દેશના હવામાન ખાતાએ કહ્યું હતું.
બંગાળના વાયવ્ય અને પૂર્વમધ્ય અખાતના માલ્દિવ્સ-કોમોરિનના અમુક વિસ્તાર, બંગાળના દક્ષિણપૂર્વ અખાતના મોટાભાગના વિસ્તાર અને બંગાળના પશ્ર્ચિમમધ્ય અખાતના અમુક વિસ્તારમાં ગુરુવારે ચોમાસું આગળ વધ્યું હતું.
કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ ‘યાસ’ વાવાઝોડાંએ ચોમાસાના આગમનની બીજા તબક્કાની આગાહી ૩૧ મેએ જાહેર કરવામાં આવશે, એમ હવામાન ખાતાએ કહ્યું હતું.
વાવાઝોડું ‘યાસ’ ગુરુવારે સવારે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં નબળું પડીને હવાના હળવાં દબાણનાં પટ્ટામાં
પરિવર્તિત થયું હતુ અને તે ઝારખંડની ઉત્તરે રાંચી (ઝારખંડ)થી ૧૦૦ કિ.મી.ને અંતરે અને પટણાની દક્ષિણે ૧૫૦ કિ.મી.ને અંતરે સ્થિર થયું હતું.
વાવાઝોડાંનાં પ્રભાવને કારણે શુક્રવારે બિહારમાં છૂટાછવાયાથી લઈને અતિભારે તેમ જ ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે, હવામાન ખાતાએ કહ્યું હતું.
નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ કે. પૉલે માહિતી આપી હતી કે ભારત સરકાર વૅક્સિનનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરી રહી છે. વૅક્સિનના કુલ ઉત્પાદનના ૨૫ ટકા રાજ્યોને આપવામાં આવે છે. એટલું જ નહીં, ચાર નવી વૅક્સિન ભારતમાં આવી રહી છે. ડૉ. પોલે કહ્યું હતું કે રાજ્યો જાણે છે કે ભારતમાં કેટલી રસીનું ઉત્પાદન થાય છે. રસીના કુલ ઉત્પાદનના ૫૦ ટકા કેન્દ્ર લઈ લે છે જે રાજ્યોને ૪૫થી વધુ ઉંમરના લોકો માટે મફતમાં વૅક્સિન આપવા માટે આપે છે. બાકીના ૫૦ ટકા રાજ્યો અને પ્રાઇવેટ હૉસ્પિટલો ખરીદે છે.વૅક્સિનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે એ વાતને ખોટી ગણાવતાં ડૉ. પૉલે કહ્યું હતું કે ‘કઈ ઉંમરના લોકોને વૅક્સિન આપવી એ નક્કી કરવાનું કામ રાજ્યોને સોંપવામાં આવ્યું છે. સરકારે દરરોજ ૧ કરોડ લોકોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે થોડા દિવસોમાં પૂરો પણ થશે. હાલમાં ૪૩ લાખ લોકોને દરરોજ વૅક્સિન આપીએ છીએ.
‘કેન્દ્ર સરકાર બાળકોના રસીકરણ માટે કોઈ પગલાં નથી લઈ રહી’ આવી વાતો પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ‘હાલમાં વિશ્વનો કોઈ પણ દેશ બાળકોને રસી આપી નથી રહ્યો તેમ જ ડબ્લ્યુએચઓએ પણ બાળકોને રસી આપવાની ભલામણ નથી કરી. જોકે અભ્યાસ પરથી જણાયું છે કે બાળકોને વૅક્સિન આપવા પર અભ્યાસ હાથ ધરાયો છે, જેના પરિણામ ખૂબ જ પ્રોત્સાહક રહ્યાં છે.’ ભારતમાં થોડા જ દિવસોમાં બાળકો પર પરીક્ષણ કરવામાં આવશે , પરંતુ બાળકોને રસી આપવાનો નિર્ણય વૉટ્સઍપ પર ફેલાવવામાં આવેલા ગભરાટને કારણે અને કેટલાક રાજકીય પક્ષો આ બાબત પર રાજકારણ કરવા માગતા હોવાથી ન લેવો જોઈએ.
દેશભરમાં આવેલી એન્જિનિયરિંગ, ટેક્નોલોજીની કોલેજોનું બંધારણીયથી લઇને શૈક્ષણિક સંતુલન જાળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા ઓટોનોમસ સંગઠન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન All India Council for Technical Education (AICTE) એ એવી આવકારદાયક જાહેરાત કરી છે કે હવે પછીના નવા શૈક્ષણિક વર્ષ 2021-22થી દેશમાં કુલ 9 પ્રાદેશિક ભાષાઓમાં બી.ટેક., બી.ઇ. (એન્જિનિયરિંગ)ની બેચલર ડિગ્રીનો અભ્યાસ કરી શકાય તે માટેની છુટ આપવામાં આવી છે. આ 9 પ્રાદેશિક ભાષાઓમાં ગુજરાતીનો સમાવેશ થાય છે. હવે યુનિર્વસિટીઓ કેટલી ઝડપથી કોર્સ સ્ટ્રક્ચર તૈયાર કરે છે તે જોવાનું રહેશે.
આ 9 ભાષાઓમાં કરી શકાશે એન્જિનિયરિંગ
– ગુજરાતી
– મરાઠી
– હિન્દી
– બંગાળી
– તેલુગુ
– તમિલ
– કન્નડ
– મલયાલમ
All India Council for Technical Education (AICTE)ના ચેરમેન અનિલ શહસ્ત્રબુદ્ધે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષથી 8 પ્રાદેશિષ ભાષા ઉપરાંત વધુ 11 પ્રાદેશિક ભાષાઓમાં ઇજનેરી અભ્યાસક્રમ ભણાવવા માટેની છૂટ આપવામાં આવશે.
All India Council for Technical Education (AICTE) દ્વારા ગુજરાતી સહિત 8 પ્રાદેશિક ભાષાઓમાં ઇજનેરીની બેચલર ડિગ્રીના અભ્યાસને મંજૂરી આપવાના કારણે અંગ્રેજીનો ડર ધરાવતા, અંગ્રેજીનું ઓછું જ્ઞાન ધરાવતા, ગ્રામીણ વિસ્તારોના બાળકો, આદિવાસી વિસ્તારના બાળકોમાં એન્જિનિયરિંગ પ્રત્યેની સૂગ દૂર થશે. વિદ્યાર્થી વધુને વધુ સ્કીલ્ડ અભ્યાસક્રમ કરીને વ્યાવસાયિક બની શકશે. જર્મની, ફ્રાન્સ, રશીયા, જાપાન, ચીન વગેરે જેવા વિકસિત દેશોમાં એન્જિનિયરિંગ અભ્યાસક્રમ તેમની પ્રાદેશિક ભાષામાં જ ચલાવવામાં આવી રહ્યો છે.
ઇજનેરી જેવું જ્ઞાન જો વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં મેળવી શકશે તો એ સમગ્ર પ્રદેશ અને દેશ બન્ને માટે ફાયદેમંદ બની રહેશે.
ઇંગ્લિશ નહીં આવડે તો કોઇ ચિંતા નહીં, ગુજરાતીમાં કરી શકાશે એન્જિનિયરિંગ
ગુજરાતમાં એવા અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ દર વર્ષે ધો.12 પાસ કરતા હોય છે જેઓ ફક્તને ફક્ત અંગ્રેજીમાં નબળા હોવાના કારણે એન્જિનિયરિંગ કોર્સથી દૂર રહેતા હોય છે. હવે આવા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાતી માધ્યમમાંથી ધો.12 પાસ કરતા વિદ્યાર્થીઓએ હવે ઇંગ્લિશ સારુ ન હોય તો ગભરાવાની જરૂર નથી. ટૂંક સમયમાં બેચલર ઓફ એન્જિનિયરિંગનો કોર્સ ગુજરાતીમાં શરૂ કરી શકાશે.
All India Council for Technical Education (AICTE) ચેરમેન દ્વારા ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે થયેલી વાતચીતના રિપોર્ટની લિંક
ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે.
વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યાઘટી રહી હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.
સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કાટિંગ યાર્ડ, હેર કાટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વામિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે. તેમજ અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે. વેપાર-ધંધાને વધારાની છૂટ નહીં અપાતા વેપારીઓમાં કચવાટ ફેલાયો છે.
સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ 36 શહેરમાં ગત શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે.
નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ 26/5/21 બુધવારે જણાવ્યું હતું કે ટૉલપ્લાઝા ખાતે વાહનોએ પીક અવર્સદરમિયાન વાહન દીઠ ૧૦ સેક્ધડથી વધુ સમય રાહ ના જોવી પડે એ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
એનએચએઆઇએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને કારણે વાહનોનો પ્રવાહ સરળ અને સુલભ બનશે.
ફાસ્ટૅગ સિસ્ટમના સંપૂર્ણ અમલીકરણ બાદ દેશના ટૉલપ્લાઝા પર વાહનોની લાંબી લાઇન હવે ભૂતકાળનો વિષય બની ગઇ છે, એની નોંધ કરતા એનએચએઆઇએ જણાવ્યું હતું કે જો કોઇ પણ કારણસર ટૉલબુથથી ૧૦૦ મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન હોય તો જ્યાં સુધી લાઇન ૧૦૦ મીટરથી ઓછી ના થાય ત્યાં સુધી વાહનોને ટૉલ ભર્યા વિના જવા દેવામાં આવશે.
આ માટે ટૉલબુથ પર ૧૦૦ મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, જે જોઇને ટૉલપ્લાઝા ઑપરેટરોને તેમની જવાબદારીનું ભાન થશે.
વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.
વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.
અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.
વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.
સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.
દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.
૧૩૦-૧૪૫ની ઝડપે ફૂંકાતા પવન સાથે યાસ વાવાઝોડાએ બંગાળ, ઓડિશા સહિત પૂર્વભારતનાં કિનારાઓ પર બુધવારે ત્રાટક્યા બાદ વીસ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું અને બંને રાજ્યમાં મળીને ચાર જણે પોતાના જીવ ગુમાવ્યા હતા.
સવારે અંદાજે નવ વાગ્યે વાવાઝોડું ઓડિશાના ધામરા બંદર નજીક જમીન પર ત્રાટક્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં અનેક કાચા ઘરો પાણીના જોરદાર વહેણ સાથે તણાયા હતા.
ઓડિશામાં ૫.૮ લાખ અને પં. બંગાળમાં પંદર લાખ મળીને કુલ વીસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વાવાઝોડું પોતાની સાથે બંને રાજ્યોમાં ૧૩૦-૧૪૫ની ઝડપે સૂસવાટા મારતો પવન અને અતિભારે વરસાદ લાવ્યો હતો.
બંગાળની સરકારે વાવઝોડાને લીધે એક કરોડ લોકોને અસર થઇ હોવાનો દાવો કર્યો હતો.
બાલેશ્ર્વર જિલ્લાના બહાનાગા અને રેમુના બ્લૉક્સ તથા ભદ્રક જિલ્લાના ધામરા અને બાસુદેવપુરના અનેક ગામોમાં સમુદ્રના પાણી પ્રવેશ્યા હોવાની અને પ્રશાસન સ્થાનિકોની મદદથી સમુદ્રનું પાણી બહાર કાઢવાની મથામણ કરી રહ્યું હોવાની માહિતી ઓડિશાના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી.
આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), રાજ્યની પોલીસ તથા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. મયુરભંજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે બુધાબાલંગ નદીમાં પૂર આવવાનો ભય ઊભો થયો છે. બપોર સુધીમાં નદીમાં ૨૧ મીટર પાણી વહેતું હતું અને ખતરાની નિશાની ૨૭ મીટરની છે. પૂનમની ભરતી અને વાવાઝોડાને લીધે આવેલા અતિથી અતિ ભારે વરસાદને લીધે બંને રાજ્યની અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને એમાં પૂર આવવાની શક્યતા ઊભી થઇ છે.
કાંઠાના કેટલાક વિસ્તારોમાં નારિયેળના ઝાડ જેટલાં ઊંચા સમુદ્રના મોજાં આવતા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાડ પડવાથી ઓડિશામાં બે જણનું અને ઘર પડવાથી એક મહિલાનું મોત થયું હતું. એક વ્યક્તિનું બંગાળમાં અકસ્માતે મોત થયું હતું.
અનેક જિલ્લામાં વીજળીની લાઇનો શરૂ કરવા માટે ભગિરથ પ્રયત્ન ચાલી રહ્યા છે.
વાવાઝોડું બુધવારે મધ્યરાત્રી સુધીમાં ઝારખંડ પહોંચવાનો અંદાજ હવામાન ખાતાએ જાહેર કર્યો હતો. ઝારખંડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.
બંગાળની સરકારે રાજ્યમાં ત્રણ લાખ ઘરોને નુકસાન થયું હોવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની સાધનસામગ્રી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો.
આવતા ૨૪ કલાકમાં બંને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાને કારણે કિનારાના અનેક વિસ્તારોમાં છાતીસમાણા પાણી ભરાયા હતા. પૂર્વ મિદનાપુરના દિઘા સહિતના અનેક વિસ્તારો અને દક્ષિણ ૨૪ પરગણામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વંટોળમાં સપડાયેલા લોકોને બચાવવા માટે રાજ્યના બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
કોવિડને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બજારો અને રસ્તાઓ ખાલી હોવાથી સ્થિતિ કાબૂમાં છે. અનેક ઠેકાણે ઝાડો ઉખડી ગયા છે અને લગભગ સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો પોતાના ઢોર સાથે સુરક્ષિત સ્થળે જવા માટે મથામણ કરી રહેલા દેખાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.
શંકરપુરમાં કિનારા નજીકની એક શાળા સમુદ્રના વિશાળ મોજાને કારણે તણાઇ ગઇ હોવાની વાત જાણવા મળી
ગુજરાતમાં ઊંચા આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણનો માર્ગ વધુ સરળ થયો છે કારણકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઈઝ્ડ આઈકોનિક ઈમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સૂચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ તારીખ 18 ઓગસ્ટ, 2020ના દિવસે રાજ્યના 5 મહાનગરમાં હવે સિંગાપોર-દુબઈની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચુંબી ઈમારતો-આઈકોનિક સ્ટ્રક્ચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાઈમરી નોટિફિકેશન મંજૂર કર્યું હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મગાવવામાં આવેલા હતા. મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે ગગનચુંબી ઈમારતો હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરમાં આભને આંબતા હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ્સ સ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.
ઊંચી બિલ્ડિંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન તેમજ સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. એટલું જ નહીં દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઈરાઈઝ્ડ આઇકોનિક સ્ટ્રક્ચર બાંધી શકશે. મુખ્યમંત્રીએ ઊંચા-હાઈરાઈઝ્ડ ઈમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની કડીમાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.
એટલું જ નહીં વિજય રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ 3 ફાઈનલ ટી.પી. સ્કીમ અને 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી. પી. સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી. સ્કીમ નં. 30 (ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી. પી. સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં 51 (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-1 (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી. પી. સ્કીમ નં. 9/બી (વાસણા-હડમતિયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.