પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મંગળવારે 1/12/21 મુંબઈમાં આવી પહોંચ્યા હતા. મમતાના નજીકના સુત્રો દ્વારા આ રાજકીય મુલાકાત ન હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં તેઓ મહારાષ્ટ્રના પ્રધાન અને આદિત્ય ઠાકરેને અને એનસીપીસુપ્રીમો શરદ પવારને મળવાના હોવાથી મમતાની મુંબઈ મુલાકાતને લઈને રાજકીય અટકળો ફેલાઈ હતી. મુંબઈમાં આવીને તેઓ સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા.

1/12/21 મંગળવારે સાંજે તેમની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે નિર્ધારિત હતી, પરંતુ તેમની હાલત નાદુરસ્ત હોવાથી મમતા મુંબઈની એક પંચતારાંકિત હોટેલમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા અને રાજ્યની મહાવિકાસ આઘાડીના ગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉતને મળ્યા હતા. આ બેઠક બંધ બારણે યોજાઈ હોવાથી તેમાં શું ચર્ચા કરવામાં આવી તે જાણવા મળ્યું નહોતું.
Dt.1/12/21 બુધવારે મમતા એનસીપીસુપ્રીમો અને મહાવિકાસ આઘાડીના સંઘટક શરદ પવારને મળવાના છે. આ સંબંધે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જ માહિતી આપી હતી. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાને થવાની છે.
અહીં ઉલ્લેખનીય છે કે મમતા સંસદના શિયાળુસત્રના પ્રારંભ પહેલાં કૉંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી વિપક્ષની બેઠકમાં સહભાગી થયા નહોતા અને મુંબઈ મુલાકાત વખતે પણ તેઓ કોઈપણ કૉંગ્રેસના નેતાને મળવાના નથી.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એવી અટકળો થઈ રહી છે કે કૉંગ્રેસથી અલગ મમતા પોતાનો મોરચો બનાવવા માગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ મમતાની પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાથી મમતાનો પક્ષને રાષ્ટ્રીય કદ આપવાનો ઈરાદો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મમતાની ત્રણ દિવસની મુલાકાત પુરી થયા બાદ જ તેની ફળશ્રુતી વિશે કહી શકાશે.










