જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રાજ્યના શિક્ષણ વિભાગથી ખાસ્સા નારાજ ગુજરાતના ખાનગી સ્કુલોના સંચાલકોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થાય તેમ છે. આમેય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સામે શાળા સંચાલકો મૂંગા મોઢે 25 ટકા બેઠકો પર બાળકોને સમાવી રહ્યા છે, હવે એ બાળકોના અભ્યાસની વાર્ષિક રૂ.10 હજાર ફીમાં પણ ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ 25 ટકા રાહત શાળાઓએ સરકારને આપવી પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિએ તાજેતરમાં જારી કરેલા એક પરિપત્રમાં આ મતલબનો એક મુદ્દો ઉપસ્થિત કર્યો છે જેમાં ચાલુ વર્ષે કોવીડ-19ની સ્થિતિમાં શાળાઓ પ્રત્યક્ષ રીતે બંધ હોઇ, વાલીઓની માગણી અનુસાર ગુજરાત સરકારે શાળાઓને 25 ટકા ફી માફી આપવા જણાવ્યું છે. વાલીઓને ભલે સરકારની 25 ટકા ફી માફી નથી જોઇતી પરંતુ, સરકાર એટલે કે સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિના પરિપત્ર અનુસાર ત્યાંની સ્કુલોએ આર.ટી.ઇ.માં પ્રવેશાર્થી બાળકોની ચૂકવવાની થતી રૂ.10 હજારની વાર્ષિક ફીમાં 25 ટકા રાહત આપીને માગણું તૈયાર કરવું પડે એમ છે. આમ, આ રેલો જે સમગ્ર ગુજરાતમાં વિસ્તરશે તો શાળા સંચાલકોની સ્થિતિ વધુ કફોડી બને તેમ છે.
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિએ પરિપત્ર કર્યો છે. જેમાં આરટીઈ સંદર્ભની તમામ માહિતી ખાનગી શાળાઓ પાસેથી માગવામાં આવી છે. આ પરિપત્રમાં એક મુદ્દામાં જણાવ્યું છે કે ‘ગત વર્ષે ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલી ફીના વાર્ષિક 75 ટકા લેખે બે સત્રમાં ચૂકવવાની થતી હોય તે મજુબ શાળા ફી અંગેની માહિતી તૈયાર કરવાની રહેશે’.આ મુદ્દાનું અર્થઘટન સરકારે આરટીઈ હેઠળ ખાનગી શાળાને ચુકવવાની થતી ટયુશન ફીમાં 25 ટકા રાહત લીધી હોવાનું થઈ રહ્યું છે.
અગ્રણી શાળા સંચાલકો કહે છે સરકારની ક્લેરિટી જરૂરી
સુરતના અગ્રણી પ્રાઇવેટ સ્કુલના ટ્રસ્ટી કહે છે કે આ મુદ્દો હજુ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ઉપસ્થિત થયો છે. પરંતુ, આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે અને રાજ્ય સરકારે આ વિષયમાં સ્પષ્ટતા કરવી જોઇએ. આમેય શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ચૂકી છે ત્યારે જો સરકાર તરફથી 25 ટકા ફી કાપી લેવામાં આવશે તો વધુ ફટકો શાળા સંચાલકોએ સહન કરવો પડશે.
ખાનગી શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું કે..
મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ આ અંગે મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે આ પરિપત્ર મુજબ સરકારને પણ વાલીઓની જેમ રપ ટકા રાહત જોઈએ છે. અમને દર વર્ષે આરટીઈના વિદ્યાર્થીની ટોકન દરે માત્ર 10 હજાર રૂપિયા ફી ચુકવવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે 25 ટકા ફી કાપીને આપવાનો પરિપત્ર થયો છે. જે અમને ખુબ અન્યાયકર્તા છે. આ મામલે ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની તૈયારી મહામંડળે દર્શાવી છે.























