શહેરની એક હોમિયોપેથિક મેડિકલ કૉલેજમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો જેના પગલે કૉલેજના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પ્રોફેસરે લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા તેમ જ તમામ સહકાર આપવાની વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગોંડલ રોડ પર એક હોમિયોપેથિક કૉલેજની વિદ્યાર્થિનીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કૉલેજના એક પ્રોફેસર વિરુદ્ધ છેડતીના આરોપ સહિત આખી ઘટના જણાવી હતી તે પહેલા આ ઘટના સામે આવ્યા બાદ હોમિયોપેથિક કૉલેજમાં વિદ્યાર્થિનીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કયો હતો જેમાં કૉલેજના સંચાલકો દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. યુવતી તેમ જ તેના માતાપિતાને પ્રોફેસર સામે કાયદેસરની ફરિયાદ કરવી હોય તો તે માટેની સમજ આપી હતી અને કૉલેજ પણ આવી ફરિયાદ મળ્યાં બાદ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રોફેસરને કૉલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે પ્રોફેસરે કહ્યું હતું કે હું શરૂઆતથી કૉલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કૉલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી આવતા આવો ખોટો આક્ષેપ કર્યો છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કૉલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. મારી તબિયત બરાબર ન હોવાથી હું કૉલેજ ગયો નથી.















