ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ સહિત આસપાસનાં ખેડૂતો પોતાની માગણી સાથે સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ખેડૂતોએ પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી હતી.
રાજકોટમાં ખેડૂતોની રેલી અને સભા માટે મંજૂરી મળી નહોતી, તેમ છતાં ખેડૂતોએ રેલી કાઢી હતી જેની સામે પોલીસે પડધરીમાં ભેગા થયેલા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટ સહિત આસપાસના ખેડૂતો મામલતદારને આવેદન પત્ર આપવા માટે ભેગા થયા હતા જેમાં ખેડૂતોની માગણી હતી કે પ્રીમિયમ ભરતા હોવા છતાં વીમા કંપનીઓ ખેડૂતોને કહે છે કે ક્રોપ કટિંગ થયું છે.
સરકારે કોઈ પણ ભોગે અછતગ્રસ્ત તાલુકાઓને પાક વીમો અપાવવો પડશે. ગુજરાતમાં માત્ર 1.25 લાખ ખેડૂતોનો પાક વીમો મંજૂર થયો છે. દર 100માંથી 6.82 ખેડૂતોનો જ પાક વીમો મંજૂર થયો છે. વીમા કંપનીઓએ 2305 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ખંખેરી તેની સામે માત્ર રૂ.325 કરોડનો વીમો જ મંજૂર કરી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. વીમા કંપનીઓએ માત્ર 142.7 કરોડ રૂપિયાનો વીમો ચૂકવ્યો છે.
વીમા કંપનીઓએ માત્ર ગુજરાતમાંથી 2000 કરોડનો નફો કરી લીધો છે. ખેડૂતોને રેલી કાઢવા માટે સરકારે પરમિશન આપી નહોતી. તેમ જ સભા સ્થળે પોલીસની મોટી ફોજ ઊભી કરી દેવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમને સરકાર તરફથી રેલી કે સભાની મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈશું. અમને કોઈ રોકી શકે તેમ નથી.
ખેડૂતોએ વધુમાં કહ્યું હતું કે, અમારો આક્રોશ પાક વીમા કંપનીઓ સામે છે. ક્રોપ કટિંગમાં મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કિશાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે એક બાજુ અનેક તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા છે બીજી બાજુ સરકારે પાક વીમો નથી આપ્યો સરકારે પાક વીમો આપવો જ પડશે. પાક વીમા મુદ્દે કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
રેલી બાદ તમામ ખેડૂતો સભા સ્થળે ભેગા થયા હતા, ત્યારે સરકારની જોહૂકમી સામે 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગણી કરી ખેડૂતોએ કહ્યું કે, પાક વીમા કંપનીઓ સાથે સરકારને પણ ખેડૂતોની ચિંતા નથી. તેઓ પણ અમારી કોઈ માગણીઓ સ્વીકારતા નથી.