CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 55 of 61 - CIA Live

May 15, 2019
weather-forecast.jpg
1min10010

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.

May 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6000
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
May 11, 2019
urea_scam.jpg
1min707

સૌરાષ્ટ્રમાં કેશોદ, રાણાવાવ, ઉપલેટામાં ઓછા વજનની ઉઠેલી ફરિયાદો
ખાતરની થેલીઓનું વજન કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવા સરકારનો આદેશ
જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરનાં ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂન: ખાતર વેચાણ શરૂ કરવાં સરકારે જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનાજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી છે.
રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી’ વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી. અને જી.એસ. એન.સી.ને આપ્યા છે.
જામજોધપુર:
જામજોધપુરના ખેડૂત પુત્ર અને યુવા ધારાસભ્ય દ્વારા આજ રોજ કંપનીના વેચાણ કેન્દ્ર ડેપો પર રૂબરૂ જઇ જનતા અને ખેડૂતોને સાથે રાખી રેડ કરવામાં આવેલ અને ખાતરની બાચકીઓમાં ડેપો પર વજન કરતાં તમામ ખાતરની બાચકીઓમાં 200 ગ્રામથી માંડી 400 ગ્રામ વજન ઓછું બતાવવામાં આવેલ.
કેશોદ:
જૂનાગઢ, વંથલીમાં વજન બરાબર જણાવેલ પરંતુ કેશોદ ખાતર ડેપોમાં તપાસ કરતાં પાંચ બેગોમાં 300થી 580 ગ્રામ ખાતર ઓછું જણાયું હતું. આ અંગે ખેત નાયબ નિયામકએ’ ડેપો સંચાલકને નોટિસ પાઠવી, ખાતરના સેમ્પલ લઇ તપાસાર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાણાવાવ:
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન સામે આવેલા કિશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતા ઓછું ખાતર જોવા મળ્યું હતું. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, બખરલાના ખેડૂત આવડાભાઇ ખુંટી, રાણાવાવના લખમણભાઇ દેવા વગેરેની ઉપસ્થિતીમાં રોજકામ કરવામાં આવતાં ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું ઓછું વજન જણાઇ આવ્યું હતું. એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું ઓછું વજન જણાયું હતું. 6 મહિના જુના સ્ટોકમાં પણ ઓછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જ્યારે એનપીકેની 80 થેલી પડી હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવાયું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
ઉપલેટામાં જનતા રેઇડ
ગુજરાતમાં પેક થેલીમાં રાસાયણિક ખાતર ઓછું ભરતી કરતા હોવાના અને ખેડૂતોને ઓછું ખાતર આપી કંપની દ્વારા છેતરપિંડીની ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે ઉપલેટામાં પણ છેતરપિંડી થતી હોવાની ફરિયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ-કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ લાબાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાલા, કપીલભાઇ સોલંકી, કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટિલાઇઝર્સના ડેપોએ ધસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછું હોવાની ફરિયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર પરમારને જાણ કરતાં તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.
જામનગર:
જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા ખાતરના ડેપોમાં કોંગ્રેસના અગ્રણી અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને પાલભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓએ ચેકિંગ કરાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડીએપી ખાતરની ત્રણ બોરીમાં ઓછું વજન હોવાનું જણાયું હતું. જેમાં એક બોરીમાં 120 ગ્રામ, બીજી બોરીમાં 420 ગ્રામ અને ત્રીજી બોરીમાં 570 ગ્રામ વજન ઓછું હોવાનું માલૂમ પડયું હતું.
May 7, 2019
talala_kesar.jpg
1min7630

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્ર્વ વિખ્યાત ગીરની કેસર કેરીનો 6 May પ્રારંભ થયો હતો. આ અંગે યાર્ડના ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હરાજીમાં સૌ પ્રથમ બોક્સ રૂ.11,000માં વેચાયું હતું. આ રકમ ગાયોના ફાળા માટે વપરાશે. અંદાજિત 13000 બોક્સની હરાજી થઈ હતી. 10 કિલોના 1 બોક્સના ભાવ રૂ.400 થી રૂ.1,000 રહ્યા હતા. ગત વર્ષે સિઝન દરમ્યાન કુલ 10 લાખ જેટલા બોક્સની હરાજી થઈ હતી. બાગાયતકારોના જણાવવા અનુસાર, આ વર્ષે પાક ઓછો હોવાથી કદાચ ઓછા બોક્સની હરાજી થશે તેમ મનાય છે.

May 6, 2019
fraud.jpg
1min6140
ઉદ્યોગપતિની ખોટી સહીઓ દસ્તાવેજો બનાવી કૃત્ય આચરનાર નવેય પૂર્વ ભાગીદારોની ધરપકડ
ગોંડલ, તા.5: ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ શ્રીનાથજી સ્પીન ટેક્ષ પ્રા. લી. મીલ બંધ થઇ ગયા બાદ નવ ભાગીદારોએ દેના બેંક ગોંડલ શાખામાંથી રૂ. 7 કરોડની લોન લઇ છેતરપીંડી કરતા ઉદ્યોગપતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નવેયની ધરપકડ કરી હતી.

ગોંડલ કૈલાશબાગ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ રસિકભાઈ મારકણાએ સીટી પોલીસમાં હરસુખભાઇ પરબતભાઇ લકકડ (રહે.પ્રદ્યુમન પાર્ક, બીગ બજાર સામે રાજકોટ), પ્રદીપકુમાર ગાવિંદભાઇ લકકડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ), રત્નાબેન સંજયભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા), સ્વાતીબેન પ્રકાશભાઇ લકકડ (રહે.જેતપુર પેટ્રોલ પંપ સામે જી.રાજકોટ), હેમતભાઇ પરબતભાઇ લકકડ (રહે.આનંદ પ્લોટ નં.20 નવીનનગર, જલારામ પ્લોટ-2 યુનિવર્સીટી રોડ, રાજકોટ), જાતિનભાઇ ધીરજલાલ લકકડ (રહે.આશુતોષ એપાર્ટમેન્ટ ગીતાનગર શેરી નં.1 રાજકોટ), મનોજભાઇ ગાવિંદભાઇ લક્કડ (રહે.માવજી જીણા સોસાયટી માણાવદર જી.જુનાગઢ),  જયેશ શાંતિભાઇ લકકડ (રહે.મેખાટીંબી તા.ઉપલેટા જી.રાજકોટ) તથા રવિ હરસુખભાઇ લકકડ (રહે.શીવમ-3 પ્રદ્યુમન પાર્ક આલાપ હેરીટેઝ સામે કાલાવડ રોડ, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત વ્યક્તિઓ સાથે ફરીયાદીને વર્ષ 2012 પહેલા ગુંદાળા રોડ ઉપર શ્રીનાથજી સ્પીન ટેક્ષ પ્રા. લી. નામનું કારખાનું શરૂ કર્યું હતું. પણ થોડા સમયમાં ભાગીદારી છૂટી પણ થઇ ગઇ હતી.
બાદમાં આરોપીઓએ જુદા જુદા એગ્રીમેન્ટમાં ફરિયાદી તથા સોમાભાઇ છનાભાઇ સદાદીયાના નામના દસ્તાવેજો બનાવી તે દસ્તાવેજોમાં બનાવટી સહીઓ કરી, શ્રીનાથજી સ્પીન ટેક્સ પ્રા.લી.ના નામે દેના બેંકમાંથી લોન ઉપાડી, તે લોન પૈકી ટર્મ લોનના રુ.2,32,000,00 તથા સી.સી. લોનના રુ 4,73,00,000 એમ કુલ મળી રુ.7,05,00,000 લોનના નાણા દેના બેંક ગોંડલની શાખામાં નહી ભરી, દેના બેંક તથા ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી નવેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
May 5, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min5900

જગપ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહીવટી ધૂરા સંભાળવાને લઇ 13 વર્ષથી વધુ સમયથી ચાલતાં કાનૂની વિવાદનો સુખદ ઉકેલ બાદ આજરોજ રવિવાર, તા. 5 મે, 2019ના રોજ ચૂંટણી ચૂંટણી યોજાઇ રહી છે. આજે સવારથી જ સમગ્ર ટેમ્પલ પરિસર તેમજ ગઢડા ખાતે આ ચૂંટણીને લઇને ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઇ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં યોજાતી હોય એ પ્રકારની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી

મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ પોલીસે પણ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. બોટાદ જિલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તિર્થસ્થાન ગઢપુરથી ઓળખાતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર સહિતના મંદિરોના વહીવટ માટે રચાયેલા ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજવાની પરંપરા છે, પરંતુ એક યા બીજા કારણોસર છેલ્લાં 13 વર્ષથી આ મંદિરનો વહીવટ હાલમાં આચાર્ય પક્ષ સંભાળે છે.

આજે સાંજ સુધી મતદાન બાદ તા.છઠ્ઠી મે ને સોમવારના રોજ મતગણતરી યોજાશે.

કાનૂની વિવાદના કારણે છેલ્લાં 13 વર્ષથી આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઇ પડી હતી. તો બીજી તરફ આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જયારે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઇ છે.

તા.5ના રોજ મતદાન બાદ આગામી તા.6 ના રોજ મતગણતરી યોજાશે.

May 5, 2019
water_cut.jpg
1min5210

સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.

ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.

May 3, 2019
water.png
1min6780

ગુજરાત સરકારે પાણીની હાલમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા અંતરીયાળ ગામડાઓના વિસ્તારના લોકો માટે ખાસ ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. પાણીને લગતી સમસ્યાઓ માટે ગુજરાત સરકારના હેલ્પલાઈન નંબર 1916 પર સંપર્ક કરીને કોઇપણ પ્રકારની સમસ્યા અથવા ફરીયાદ રજિસ્ટર્ડ કરાવી શકાશે.

ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતમાં આ વખતનો ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. ગુજરાતને આકરો પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના છેવાડાના ગામો અને શહેરો પાણીની તંગીથી પરેશાન છે. અધિકારીઓના પ્રમાણે માર્ચ-એપ્રિલમાં સરકારમાં થતી ફરિયાદોમાં પાણીને લગતી ફરિયાદોના પ્રમાણમાં વધારો થયો છે. સરકાર પાણીને લગતી સમસ્યાઓ માટે ખાસ હેલ્પલાઈન 1916 જાહેર કરી છે. જેમાં એપ્રિલમાં 860 ફરિયાદો મળી છે.

મે મહિનાના પહેલા જ દિવસે ફરિયાદોનો આંકડો આશ્ચર્યજનક રીતે વધીને 257 પર પહોંચી ગયો છે. બીજી મેના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં પણ 159 ફરિયાદો આવી હતી.

May 3, 2019
ipl-2019-min-1024x585.jpg
1min5730

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ કમલેશ જવેલર્સની પાછળ રાજકમલ એપાર્ટમેન્ટમાં આઇપીએલના સટ્ટાનું નેટવર્ક ચાલતું હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના પીએસઆઈ સતિષ રામાણી સહિતના સ્ટાફે તા.1 મે 2019ના રોજ રેડ પાડતા દિલ્હી ચેન્નાઈની મેચ પર વલણની આપલે કરી રહેલા સટ્ટાબાજ બુકીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

રાજકોટ પોલીસે આઈપીએલ સટ્ટો ચલાવતા નામચીન બૂકી સચિન નરેન્દ્રભાઈ ઠકકર તેમજ અલ્પેશ નવીન સુવા, પ્રકાશ ભરત મોરજરિયા, શ્યામ જમનાદાસ, અંકુર, ધર્મેશ, શિવરાજ ભરતસિંહ સિસોદિયા સહિત 9 શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂા.2.89 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આઈપીએલ સટ્ટાના દરોડામાં 15 કલાકથી વધુ ચાલતા સ્ટેટ વિજિલન્સની તપાસમાં 50થી વધુ શખસોના નામ ખુલતાં તેમજ આ સટ્ટો સ્થાનિક પોલીસની મંજૂરીથી ચાલતો હતો કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

રાજકોટ : આઇપીએલ પર સટ્ટો રમતા નામચીન બુકીઓ સહીત 9 લોકો ઝડપાયા

ગુજરાતમાં ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ આઇપીએલ પર મોટા પાયે આંતર રાજ્ય સ્તરનો સટ્ટો રમાઇ રહ્યાની ફરીયાદો વચ્ચે બુધવારે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી હતી. ફરિયાદોના આધારે સ્ટેટ વિજિલન્સ ટીમે આઇપીએલ મેચ પર સટ્ટાના નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે નામચીન બૂકી સહિત 9 શખસોને ઝડપી લઈ પોણા ત્રણ લાખની મત્તા કબજે કરતા 50થી વધુ શખસોના નામ ખુલતાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

 

May 2, 2019
saurashtra.png
1min5410
સૌરાષ્ટ્રભરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. આ સાથે ઓછા વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા પણ વકરી રહી હોવાના પ્રશ્ને ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ગુજરાતનાં પાણીવાળા કહેવાતાં ઝાલાવાડમાં પણ આ વર્ષે લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. તો ફરેણી ગામે મહિલાઓ રણચંડી બની હતી અને બેડા સરઘસ કાઢયું હતું.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. અહીંના ડેમમાંથી જ સૌરાષ્ટ્ર – કચ્છ અને ભાવનગરને પાણી પૂરું પાડવામાં આવતું હોવથી પાણીયારું કહેવાય છે પરંતુ ઓણસાલ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ભાગોમાં ત્રીજા દિવસે પાણી મળી રહ્યું હોવાથી ઝાલાવાડ પંથકના લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ સિવાય ચોટીલાના ડોસલી ધૂના, લોમા કોટડી, મેવાસા, બામણબોર, જીવાપર, ગુંદાળા, ગારીડા સહિતનાં 26 ગામના લોકોની હાલત તો એટલી કફોડી બની છે કે ત્યાં ટેન્કરથી અને તે પણ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
સૌરાષ્ટ્રમાં પાંચાળ પંથકથી ઓળખાતા બાબરા તાલુકાનાં પાણી અને ઘાસચારાના પ્રશ્ને તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ખેડૂતો અને આમ જનતા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને મામલતદારને આવેદન પાઠવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં બાબરા-લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ મોવડી પ્રભાતભાઇ કોઠીવાળાએ જણાવ્યું હતું.
ધોરાજીમાં પાંચ-છ દિવસે પાણી વિતરણ થતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આજે ફરેણી રોડ પર મહિલાઓએ રણચંડી બનીને બેડા સરઘસ કાઢયું હતું. આ સાથે પાણી આપોના નારા સાથે ફરેણી રોડ પર ચક્કાજામ કર્યું હતું અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાને પાણી પૂરું પાડતા આણંદપર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. જેથી નર્મદા અથવા ઓઝત-2 ડેમમાંથી આણંદપર ડેમમાં પાણી ઠાલવવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

લીંબડીમાં કચ્છના હિજરતી પશુપાલકો બેહાલ

કચ્છથી અંદાજે સાત માસ પહેલા સહપરિવાર સેંકડો પશુપાલકોએ 400 જેટલા માલઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનશાળી અને મિઠાપુર ગામે આશરો લીધો છે. ગ્રામજનોએ પશુઓ માટે અવેડા બનાવી દીધા છે અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી પરંતુ હાલ ઝાલાવાડ પંથકમાં પાણી વિતરણની અવ્યવસ્થાનાં કારણે સ્થાનિકો સાથે હિજરતી પશુપાલકો પણ બેહાલ બન્યા છે.

બેટ દ્વારકામાં સવા મહિનાથી પાણીની વિકટ સમસ્યા

યાત્રાધામ બેટ દ્વારકામાં સવા મહિનાથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. દ્વારકામાં સ્થાનિક કોઈ પાણીનો સ્રોત ન હોવાથી લોકોની સાથે યાત્રાળુઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેટ દ્વારકામાં રાજાશાહી વખતના નવ જેટલાં તળાવ આવેલાં છે. જેમાંથી રતન તળાવ, પાર તળાવ અને રણ તળાવ પર જમીન માફિયાઓ દ્વારા દબાણ કરી લેવામાં આવતા આ પાણી પણ સ્થાનિકોને મળવાનું બંધ થઈ ગયું છે. પાણીની સમસ્યા અંગે નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, દૈનિક ત્રણ લાખ લીટર પાણીની જરૂરિયાત સામે પાણી પુરવઠા દ્વારા અનિયમિત પચ્ચાસ હજાર લીટર જ પાણી આપવામાં આવે છે. આ અંગે પાણી પૂરવઠા ડે. ઇજનેરે જણાવ્યું હતું કે, ઉપરથી જ નર્મદાનાં નીર પૂરતાં પ્રમાણમાં આવશે ત્યારે બેટ દ્વારકામાં નિયમિત અને પૂરતું પાણી આપીશું.