CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 56 of 61 - CIA Live

April 30, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5430

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ: છ દિવસમાં પાંચમી હત્યા

ભાવનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. છ દિવસમાં ખૂનના પાંચ બનાવમાં જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડનું ધોકાના ઘા મારીને તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ ખૂન કર્યુ હતું.
પ્રભુદાસ તળાવ  પાસે ટીટી ચોક વિસ્તારમાં ભારત મીલ નજીક જયંતીભાઇ સોમાભાઇ કડવા નામના આધેડ પર ધોકાથી હુમલો થયો હતો. માથાના ભાગે ધોકાના ઘા ઝીંકાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા આ આધેડને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જયંતીભાઇ ઉપર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ હુમલો કરીને હત્યા કર્યાનું ખુલ્યું હતું. આ ખૂનના બનાવ પાછળનું કારણ શું છે? તેની તપાસ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હત્યા કરવાની હોડ લાગી હોય તેમ છેલ્લા છ દિવસમાં ખૂનનો પાંચમો બનાવ બન્યો હતો.
April 29, 2019
water_cut.jpg
1min11110

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.

April 27, 2019
accident.jpg
1min12390
બે કાર વચ્ચેના અકસ્માતમાં નખત્રાણા પંથકના પટેલ પરિવારના ચાર સભ્ય, ગાંધીનગરના બે સગા ભાઇના મૃત્યુ
માણીયામિયાણા નજીકના હળવદ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે મહિલા છ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતાં. મૃતકમાં કચ્છના નખત્રાણાના નારણપર, ખેડબ્રહ્માના પટેલ પરિવારના ચાર સભ્ય અને ગાંધીનગરના બે ભાઇનો સમાવેશ થાય છે.
ગમખ્વાર અકસ્માતમાં’ હરીભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ હંસરાજભાઇ પટેલ, નર્મદાબહેન નરશીભાઇ પટેલ, દેવકીબહેન નારણભાઇ રામાણી, ગાંધીનગરના સર્વિનભાઇ કિરીટભાઇ શાહ અને ચિરાગભાઇ કિરીટભાઇ શાહના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આજે બપોરે માળિયામિંયાણા-હળવદ સ્ટેટ હાઇ-વે પરના રાપર ગામના પાટિયા પાસે પુરઝડપે જઇ રહેલી એક કાર રોડ ડિવાઇડર’ ઠેકીને સામેથી આવી રહેલી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતના પગલે વાતાવરણ મરણચીસોથી ગાજી ઉઠયુ હતું. બન્ને કારનો બુકડો બોલી ગયો હતો’ અને એક મહિલા અને ચાર પુરૂષના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જયારે બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી. એ બન્નેને વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું અને અકસ્માતનો મૃત્યુઆંક છ થયો હતો.
બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબીના એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની તપાસમાં કચ્છના નખત્રાણા અને ખેડબ્રહ્માના પટેલ પરિવારના હરીભાઇ દેવજીભાઇ, નરશીભાઇ હંસરાજભાઇ, નર્મદાબહેન નરશીભાઇ, દેવકીબહેન રામાણી અને ગાંધીનગરના સર્વિન શાહ, ચિરાગ શાહના મૃત્યુ થયાનું અને વિમળાબહેન હરીભાઇ પટેલને ગંભીર ઇજા થયાનું ખુલ્યું હતું. અકસ્માતમાં એક દંપતીનું મૃત્યુ થયાનું અને એક દંપતી ખંડિત થયાનું જણાવાય છે.
April 27, 2019
heatwave.jpg
1min4970

સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે, 44.2, કંડલા 44.1 અને અમરેલીમાં 44 ડિગ્રી, રાજકોટ 43.6 ડિગ્રીએ ધખધખ્યું

રાજ્યભરમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે રાજ્યમાં સૌથી ગરમ સુરેન્દ્રનગર શહેર રહ્યું છે. સુરેન્દ્રનગર આજે 44.4 ડિગ્રી તાપમાનમાં શેકાયું હતું.’ રાજ્યના અન્ય શહેરોના લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.
અમદાવાદમાં 43.3 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, જામનગરમાં 42.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી અને સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન આગામી બે દિવસમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
શનિ-રવિવારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાને લઇને’ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે.
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.27 અને 28 એપ્રિલના રોજ’ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની’ રહેશે. આ બે’ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. વધતી જતી ગરમીને લઇ 108 ઇમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનાગર સમગ્ર જિલ્લામાં શનિવારે સીઝનની મહત્તમ ગરમી નોંધાઇ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી રહ્યું હતું. આટલી ઉંચી ગરમીને કારણે સવારથી જ રસ્તાઓ પર સ્વયંભુ કરર્યું જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સોરઠમાં એકાએક ગરમીમાં આવેલાં ઉછાળામાં વિક્રમી 43 ડિગ્રી મહત્તમ’ તાપમાન શનિવારે પણ નોંધાયું હતું.
અરવલ્લી જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી જતાં મોડાસા સહિતના શહેરોમાં કુદરતી કરફયુ જોવા મળ્યો હતો. જિલ્લામાં હીટસ્ટ્રોકના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી પહોંચી જતાં આ સીઝનની વિક્રમી ગરમી નોંધાઇ હતી.
શહેરમાં 41 ડિગ્રી ગરમીએ તોબા પોકારાવી હતી ઉપરથી વીજ કાપ લાદવામાં આવ્યો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.
કચ્છ કાળઝાળ ગરમીથી લાલચોળ બની ગયું છે. પારો વર્ષોનો વિક્રમ વટાવવા આગળ વધી રહ્યો હોય તેમ આજે 44.2 ડિગ્રી તાપમાને ભુજ જાણે ભડકે બળ્યું હતું. કચ્છના અન્ય શહેરો પણ કાળઝાળ ગરમીમાં શેકાયા હતાં.
April 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9040

સૌરાષ્ટ્રની સાત બેઠકો રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર માટે ગઈકાલે પ9 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાં સૌથી વધારે મતદાન રાજકોટમાં 63.1પ ટકા થયું છે જ્યારે ઓછું મતદાન અમરેલીમાં પપ.73 ટકા થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આટલી ગરમી વચ્ચે પણ સારૂં મતદાન થયું છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો અકળાયા છે અને રાજકીય તજજ્ઞો સ્પષ્ટ ગણિત માંડી શકતા નથી. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાંથી ત્રણમાં ભાજપનું પલડું ભારે હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે જ્યારે ચાર બેઠકો પર તો ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.

સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકની વાત કરીએ તો 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું છે. પાટીદારોના વિસ્તાર ટંકારામાં મતદાન વધારે થયું છે જ્યારે કોળી મતદારોના પ્રભુત્વ ધરાવતા જસદણમાં ઓછું મતદાન થયું છે. મતદારો જાણે ઘરેથી કોને મત આપવો, તેવું નક્કી કરીને નીકળ્યા હોય એ રીતે મતદાન થયું છે અને એટલે જ આ વખતે કોઈ અનુમાનો લગાવી શકાય એવી સ્થિતિ નથી. જૂનાગઢમાં ગયા વખત કરતાં સરેરાશ ત્રણ ટકા મતદાન ઓછું થયું છે અને જે મતદાન ઘટયું છે તે સવર્ણોનું ઘટયું હોવાનું તારણ નીકળે છે. દલિત, મુસ્લિમ સમાજ દ્વારા વધારે મતદાન થયું છે અને જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારૂં મતદાન થયું છે. સોમનાથ વિસ્તારમાં 70.8પ ટકા અને વિસાવદરમાં સૌથી ઓછું પ9.01 ટકા મતદાન થયું છે. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધી, વંથલીમાં કેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધન કર્યું, તેની શું અસર થાય છે તે જોવાનું રહ્યું. હાલમાં આ બેઠકનું’ અનુમાન કરી શકાય એવું નથી. ભાવનગર બેઠકની વાત કરીએ તો ભાવનગરમાં પણ પાક વીમો, રસ્તા, વિકાસ સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. અહીં શહેર અને ગામડાંઓમાં લગભગ સરખું મતદાન થયું છે જે ભાજપનું પલડું ભારે કરી શકે તેમ મનાય છે. જામનગરમાં પણ સાંસદ પૂનમબેન માડમની પાંચ વર્ષની ટર્મ, તેમનું નેટવર્ક તેમને ફાયદો કરાવી શકશે એમ માનવામાં આવે છે, છતાં વિવાદમાં રહેલી જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધારે 6પ.13 ટકા મતદાન થયું તેના ઉપર સૌની નજર છે. દ્વારકા વિસ્તારમાં પ6.31 ટકા જેટલું ઓછું મતદાન થયું છે.

અમરેલી બેઠકની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું મતદાન આ બેઠક માટે પપ.73 ટકા થયું છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોનું જંગી મતદાન થયું છે. શહેરી વિસ્તારમાં પ્રમાણમાં ઓછું મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે. અમરેલી બેઠક હેઠળ મહુવા, ગારિયાધાર વિસ્તારો આવતા હોવાથી આ વિસ્તારમાં ખેડૂતો વધારે નારાજ છે અને ધાનાણી આંદોલનના સમયમાં આ વિસ્તારના ખેડૂતોની પડખે રહ્યા હતા એટલે એમનું પલડું નમેલું દેખાય છે. અમરેલીમાં મહુવા વિસ્તારમાં 63.66 જેટલું ઊંચું મતદાન થયું છે જ્યારે ગારિયાધારમાં પ2.31 ટકા જેટલું ઓછું વોટીંગ થયું છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના નવા ચહેરાસમા ઉમેદવાર ડૉ. મુંજપરા સામે કેંગ્રેસે દિગ્ગજ નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ઉતાર્યા હતા તો કેંગ્રેસથી નારાજ કોળી આગેવાન લાલજીભાઈ મેર અપક્ષ લડતા હતા. એ રીતે અહીં ત્રિપાંખીયો જંગ હતો અને વિશેષ વાત એ કે, આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો હતા. આ બેઠક માટે પ7.86 ટકા મતદાન થયું છે. જેમાં વીરમગામ અને ધ્રાંગધ્રામાં વધારે અને ધંધુકામાં ઓછું મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગરના મતદારોએ મતદાનમાં સ્થાનિક પ્રશ્નો ખેતી, પાક વીમો અને પાણીની સમસ્યા ધ્યાને લઈ મતદાન કર્યું હોવાનું તારણ નીકળ્યું છે.

પોરબંદર બેઠક માટે ભાજપે નવા ચહેરા રમેશ ધડૂકને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ધોરાજીના ધારાસભ્યને લડાવ્યા હતા. પોરબંદર શહેરના લોકો માટે આ બન્ને નવા ચહેરા છે અને બન્ને પાટીદાર ખરા એટલે જ્ઞાતિવાદી સમીકરણો કરતાં પાટીદાર મતદારોએ સ્થાનિક પ્રશ્નોને અગ્રતા આપીને મતદાન કર્યું હોય એવું જણાઈ આવે છે. ગેંડલમાં પાટીદારોએ વધારે મતદાન કર્યું, તે સમીકરણ બદલાવી શકે. બન્ને પક્ષના જીતના દાવા વચ્ચે રાજકોટ, જામનગર, ભાવનગર બેઠકો ઉપર ભાજપનું પલડું ભારે છે પણ બાકીની ચાર બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં 23મી મે સુધી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.

જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી ગઇકાલે શાંતિમય સંપન્ન થઇ તેમાં લઘુમતિ અને દલિતોએ ધીંગુ મતદાન કરવા છતાં ગત ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછા મતદાન પાછળ સવર્ણોની ઉદાસીનતા અને કંઇક ઉણપ હોવાનું જણાય છે. આ ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક તો નહીં બને ને? તે સવાલ સૌને મુંઝવી રહ્યો છે.

જૂનાગઢ લોકસભા મત વિસ્તાર હેઠળની 7 વિ.સભા મત વિસ્તારમાં ગઇકાલે ચૂંટણી યોજાઇ હતી. તેમાં વિધાનસભા વાર મતદાનની ટકાવારી ઉપર નજર કરીએ તો જૂનાગઢ 59.01, વિસાવદર 53.01, માંગરોળ 63.89, સોમનાથ 59.01, તાલાળા 58.28 ટકા, કોડીનાર 59.63, ઉના 60.72 ટકા મતદાન નોંધાયુ છે. તેથી આ મત વિસ્તારમાં 60.73 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ લોકસભા બેઠકને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ ગણ્યો છે. તેના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢમાં ચૂંટણી’ સભાને સંબોધી હતી. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોડીનારમાં રોડ શો કર્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાતેય વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી સભા કરવી પડી હતી. જ્યારે કોંગ્રેસ ભાજપની સરખામણીમાં એકમાત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી સભા યોજાઇ હતી. કોંગ્રેસ પાસે આગેવાનો અને કાર્યકરો પણ ઓછા હોવાથી ભાજપ જેટલો જોરશોરથી પ્રચાર કરીશકી ન હતી તેનાથી સૌ પરિચિત છે.

આવા માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં લઘુમતી અને દલિત વિસ્તારોમાં ધીંગુ મતદાન થયું હતું. તેની સામે સવર્ણોમાં ઉદાસીનતા દેખાઇ હતી તેના પરિણામે ગત લોકસભા ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું છે.

આ ઓછા મતદાન માટે કંઇક ઉણપ રહી હોય તેમ જણાય છે. રાજકીય પક્ષોના આગેવાનોમાં મતદાનના દિવસે ઉદાસીનતા નજરે ચડી હતી. ટાઢાપોરે નેતાઓ દેખાયા હતા. કાર્યકરો પણ ડોર ટુ ડોર જઇ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી શકયા ન હતા.
મતદાનમાં લઘુમતી અને દલિતોના ઉત્સાહના પ્રમાણમાં સવર્ણોમાં ઉદાસનીતા દેખાઇ હતી. આ પાછળ કંઇક ઉણપ રહી હોય તેમ નકારી ન શકાય. ઉપરોકત બન્ને કોમોના ધીંગા મતદાનથી રાજકીય તજજ્ઞો પણ ચિંતિત બન્યા છે અને આંકડાના ગણિત કયાંક ઉંધા પડે તેવી આશંકા વ્યકત કરી રહ્યા છે. કદાચ મતદાનમાં ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક સાબિત પુરવાર થાય તો નવાઇ નહીં.

April 24, 2019
saurashtra.png
1min12410

પોરબંદરમાં નેંધપાત્ર 4.15 ટકા મતદાન વધ્યું જ્યારે જૂનાગઢમાં 3.37 ટકા ઘટયું
અન્ય બેઠકોમાં 2014ની પેટર્ન મુજબ જ થયું મતદાન: ઉમેદવારો અવઢવમાં

વર્ષ 2014 કરતાં આ વખતે કેટલું મતદાન થશે, તેના ઉપર સૌની નજર હતી અને આજે મતદાનના અંતે આંકડાઓ સામે આવતાં રાજકીય તજજ્ઞો પણ વિચારમાં પડી ગયા છે અને ઉમેદવારોમાં પણ મુંઝવણ વધી છે. એક તો મતદારોએ પોતાનું મન કળવા દીધું નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર સરેરાશ પ8.1પ ટકા મતદાન થયું હતું અને આ વખતે મતદાન પૂર્ણ થયા બાદના આંકડા સામે આવતાં સરેરાશ પ8.પ9 ટકા મતદાન થયું હોવાનું તારણ સામે આવ્યું છે. ગયા વખત કરતાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર માત્ર અડધો ટકો જ મતદાન વધ્યું છે. આ વખતે નવા-યુવા મતદારો પણ સારી સંખ્યામાં ઉમેરાયા છે છતાં મતદાન જોઈએ એટલું વધ્યું નથી. અલબત્ત, સૌરાષ્ટ્રમાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું.
સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ગરમી વચ્ચે પણ સવારથી મતદાતાઓ નીકળી પડયા હતા પણ જોઈએ એટલો ઉત્સાહ હતો નહીં. મતદાનનો માહોલ જામ્યો નહોતો છતાં સારું મતદાન થયું હતું. સારી વાત એ છે કે, ગામડાંમાં વધારે મતદાન થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ મતદાન વધવું જોઈતું હતું પણ રાજકીય પક્ષોને, ઉમેદવારોને જેટલી આશા હતી, તે ફળીભૂત થઈ નથી. 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું હતું. જો કે, યુવા મતદારો વધ્યા છે પણ મતદાન કરવામાં જોઈએ એવી જાગૃતિ આવી નથી. મોટી ઉંમરના, આધેડ મતદારો જ મતદાન કરતા જોવા મળ્યા હતા. યુવાનો નીકળવા જોઈએ એટલા નહોતા નીકળ્યા.
જામનગરના અહેવાલ મુજબ, જામનગર બેઠકની આજ તા.23 એપ્રિલ 2019ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર અને સંબંધિત અધિકારીઓના નેજા હેઠળ સવારે 7 વાગાથી સાંજે 6 વાગા સુધીમાં આ મતદાન 58.26 ટકા જેટલું થયું હતું.
મતદાન એકંદર શાંતિપૂર્ણ થયું હતું. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં 57.80 ટકા મતદાન નોંધાયું હતું. તેનું આ વખતે પુનરાવર્તન થયું હતું અને માત્ર 0.46 ટકા વધુ નોંધાયું હતું. જ્યારે જૂનાગઢના અહેવાલ મુજબ ગયા વખતની સરખામણીમાં ત્રણેક ટકા મતદાન ઘટયું છે. વેરાવળના અહેવાલ મુજબ, જિલ્લામાં સૌથી વધારે સોમનાથ બેઠક ઉપર 70.84 ટકા અને સૌથી ઓછું 58.09 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ બેઠક માટે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
સુરેન્દ્રનગર બેઠક માટે ત્રિપાંખીયો જંગ હોવા છતાં, સૌથી વધારે ઉમેદવારો હોવા છતાં રસાકસી થવાની સંભાવના હતી અને રસાકસીના પગલે મતદારો મતદાન કરવા નીકળી પડશે અને ગયા વખત કરતાં વધારે મતદાન થશે, તેવી અપેક્ષા હતી પણ આ વખતે ય મતદારો અકળ રહ્યા હતા અને ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. અમરેલીના અહેવાલ મુજબ, અમરેલીના શહેરી વિસ્તારોમાં સારું મતદાન થયું હતું પણ ગ્રામ્ય વિસ્તારમાં નિરાશા છવાઈ હતી. ગામડાંઓમાં ઓછું મતદાન થયું હતું.
અમરેલીમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીની સભા થવા છતાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જો કે, ગયા વખતની સરખામણીએ માત્ર 1 ટકો મતદાન વધ્યું હતું. આ જ રીતે ભાવનગર, રાજકોટ સહિતની બેઠકમાં ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. માત્ર અમુક પોઈન્ટનો જ ફેર હતો. સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર આશ્ચર્યજનક મતદાન થતાં ઉમેદવારો મુંઝાયા છે, રાજકીય તજજ્ઞો પણ વિમાસણમાં છે. હવે, એક મહિના પછી તા.23મી મેએ પરિણામ આવશે.
April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13830
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.
April 20, 2019
gold-thief_thinkstock.jpg
1min7900

સોનીબજારમાં પેઢી ધરાવતા વેપારીને ત્યાં 13 દિવસ પહેલા જ નોકરીએ રહેલા બંગાળના બે પરપ્રાંતીય કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

(Symbolic photo)

ભક્તિનગર સર્કલ પાસે મયુરપાર્કમાં ધર્મધ્વજ સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોનીબજારમાં પીપળા શેરીમાં શાંતિ કોમ્પલેકસમાં દુકાન ધરાવતા અને સોની કામ કરતા મનદીપ મનસુખભાઈ રાધનપુરા નામના સોની વેપારીની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળના હુગલીના કલ્યાનશ્રી બાલાસર ગામના અને હાલમાં રાજકોટમાં રહેતા પાર્થ ઉર્ફે પ્રસન્નજીત ચક્રવર્તી અને બીશ્વજીત ચક્રવર્તી નામના બન્ને કારીગરો રૂ.16.40 લાખની કિંમતનું પ00 ગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખસો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

વેપારી મનદીપ રાધનપુરાની દુકાનમાં બન્ને બંગાળી કારીગરો તેમજ બાલકૃષ્ણ વાગડિયા કામ કરે છે અને ગત તા.13ના બાલકૃષ્ણભાઈ જમવા ગયા હતા અને છ વાગ્યે પરત આવતા બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. સવારે જ બે વેપારી જયદીપ રાણપરા અને સંદીપ રાણપરાના દાગીના બનાવવાના કામ માટે સોનુ આપ્યું હતું. બપોરે જમીને આવતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હતુ અને બન્ને કારીગરો જોવા મળ્યા નહોતા. બન્ને કારીગરો દુકાનની સામે અંસારીભાઈના મકાનમાં રહેતા હોય પૂછતાછ કરતા બન્ને કારીગરો બપોરના જમીને નીકળી ગયાનું ખુલ્યું હતુ અને દુકાનમાં તપાસ કરતા રૂ.16.40 લાખની  કિંમતનું પ00 ગ્રામ સોનુ ચોરીને નાસી  છૂટયાનું ખુલ્યું હતું. બન્ને કારીગરો 13 દિવસ પહેલા જ રાજકોટના અલમ શેખ નામના શખસની ઓળખાણથી કામે રહ્યા હતા.

April 19, 2019
fraud.jpg
1min10820
વેપારીનું અપહરણ કરી બગોદરા પાસે ઉતારી દઈ 62 લાખ પડાવી લીધા: પિતા-પુત્ર અને બે મહિલા સહિત સામે ફરિયાદ
પાંચ હાટડી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ડેરી તથા ઠંડા પીણાનો વેપાર કરતા હુશેન રજાકભાઈ (42) મેમણ વેપારીએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી પોતાની સાથે 6 જેટલા શખસોએ ઠગાઈ કરી 62 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ કરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભાનુશાળી પિતા-પુત્ર અને બે મહિલા સહિત છ આરોપીઓના નામો આપ્યા છે.
એલસીબીની ટીમે આ પ્રકરણની તપાસ શરૂ કરતાં અને મેમણ વેપારીની પૂછપરછ કરતાં એવી વિગત બહાર આવી કે હુશેન મેમણને જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હરીશ ગિરધરલાલ નંદા સાથે મિત્રતા હતા.િમત્રતા દાવે તેણે મેમણ વેપારી પાસેથી પૈસા મેળવવા પ્લાન કર્યો હતો.જેના અનુસંધાને હરીશ નંદાએ પોતાના જૂનાગઢ તેમજ અન્ય મિત્રો પાસે રૂા.61 લાખ 701 હજારની જૂની ચલણી નોટ છે જે બદલી આપશું તો મોટું કમિશન મળશે તેવી લાલચ આપી હતી અને ગત તા.28-3-19ના દિવસે ગોકુલનગરમાં બોલાવ્યા હતા.
આક્ષેપ થયો છે કે આ સ્થળે એક કાર આવી હતી જેમાં બીલખાનો સલીમ, જૂનાગઢનો મુન્ના ઈબ્રાહીમ મીર તથા બે અજ્ઞાત મહિલા બેઠી હતી જયારે હરીશ ગિરધરલાલ અને તેના પુત્ર ચિરાગે એકસંપ કરી વેપારીનું અપહરણ કર્યું હતું અને વેપારી પાસે રહેલી રૂા.62 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી બાદમાં તેમને બગોદરા પાસેથી ઉતારી દીધા હતાં. આથી વેપારીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાથી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા આ અંગે એલસીબીને તપાસ સોંપાઈ છે. તપાસનો દોર જૂનાગઢ અને બીલખા સુધી લંબાવાયો છે. જામનગરના ભાનુશાળી પિતા-પુત્રો પણ ફરારી થઈ ગયા હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
April 18, 2019
mugfali-1280x720.jpg
1min6110
 
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.