સૌરાષ્ટ્ર Archives - Page 50 of 61 - CIA Live

November 5, 2019
farmer.jpg
1min5600

 રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોની પડખે ઉભી રહેવાના દાવા સાથે સરકારે કિસાનોની નુકસાની અંગે સર્વેક્ષણની મુદ્દત વધારીને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. પરંતુ આ નંબર પર ફોન ન લાગવો અને લાગે તો રીસીવ ન થવાની અનેક ફરિયાદ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લામાં આ અંગે 22 હજાર જેટલી અરજી મળી છે. પરંતુ અમુક ખેડૂતો ફોન ન લાગવાના કારણે હજુ પાક નુકસાની મુદ્દે ચિંતિત છે. માવઠું એ ખેડૂતો માટે શ્રાપ સમાન બની રહે છે. પરંતુ સરકારની પધ્ધતિ ખેડૂતો સાથે મજાક’ સમાન હોવાનો રોષ પ્રવર્તી રહ્યો છે.

symbolic photo

પાક વિમો આપવામાં સરકારની રીતિ અને નીતિ ખોટી હોવાના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા સર્વેક્ષણ માટે જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરની” વ્યવસ્થા ગેરવ્યાજબી છે. કારણ કે, ટૂંકા સમયમાં આ પધ્ધતિમાં અનેક ખેડૂતો પોતાની રજૂઆત કરી શકતા નથી અને અંતે તેઓ પાક વિમાથી વંચિત રહેવાની શક્યતા છે. સરકાર ખરેખર ખેડૂતોની ચિંતા કરતી હોય તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, મામલતદાર તથા વિસ્તરણ અધિકારીઓ પાસે સર્વે કરાવે તો સચોટ સર્વે થાય તેમજ સાચી મહિતી મળે અને ખેડૂતોને નિષ્ફળ પાકનું પુરૂ વળતર મળી રહે.

November 5, 2019
maha.jpg
1min9040

રાજ્યમાં હાલ ૧૫ ટીમ તહેનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. હાલના તબક્કે આપણી પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશિંગ બોટ પરત આવે તેની છે. કુલ ૧૨,૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે, તેમાંથી ૧ર હજાર જેટલી તો પરત આવી ગઇ છે અને સોમવાર સાંજ સુધીમાં અન્ય બોટ પણ પરત આવી જશે, એમ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતિ અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતિની વિગતો સબબ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતિમાં આ ‘મહા’ વાવાઝોડું તા. છ નવેમ્બર થી સાત નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીક લૅન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાંની હાલની તીવ્રતા ઇન્ટેન્સિટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

મહેસૂલ અધિક મુખ્ય સચિવે રાજ્યના નાગરિકોને ખાસ અનુરોધ કર્યો કે આ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે તેથી ભયભીત થવાની કોઇ જરૂરિયાત નથી. રાજ્ય પ્રશાસન આ સંભવિત આપદાને પહોંચી વળવા પૂર્ણત: સજ્જ છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓ તેમ જ વાવાઝોડાંની ગતિવિધિ પ્રત્યે સંપૂર્ણ ચોકસાઇથી કાર્યરત છે.

આગાહીઓને ધ્યાનમાં રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે. દરમિયાન રાજ્ય સરકારે વાવાઝોડાના સંભવિત ખતરાને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમો ફરજ પર છે.

વાવાઝોડા સામે રેસ્ક્યૂ અને બચાવ કાર્ય માટે પંજાબથી અને મહારાષ્ટ્રથી પાંચ-પાંચ ટીમો બોલાવાશે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આગામી આઠમી નવેમ્બર સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં વાવાઝોડા દરમિયાન કે ભારે વરસાદ દરમિયાન કોઈ જરૂરિયાત જણાય તો તેને માટે કોસ્ટગાર્ડના સાત જહાજ અને બે વિમાન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

November 5, 2019
girnar.jpg
1min6600

‘મહા’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં ગીરનારની લીલી પરિક્રમા આઠ નવેમ્બર પહેલાં શરૂ નહિ કરવામાં આવે. આઠ નવેમ્બર પહેલા કોઈને પ્રવેશ આપવામાં આવશે નહિ. સામાન્ય રીતે લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના રોજ શરૂ થઈ જાય છે.

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતાં હોય છે, પણ ચાર-પાંચ દિવસ ભારે વરસાદની શક્યતાને જોતાં આ વખતે આઠ નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે તે પહેલા પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ. ગીરનારને ફરીને કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત શ્રદ્ધાળુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મહાશિવરાત્રીના મેળામાં અને ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી દિવાળી અને દિવાળી પછી ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.

November 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5680

તળાજા પંથકના અનેક ગામડાઓમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઘેટાંઓ ટપોટપ મરી રહ્યા છે. આશરે એકાદ હજાર ઘેટાંઓ મર્યાની આશંકા વચ્ચે પશુ ડોકટરોએ લોહી અને સિરમના સેમ્પલ લઈ રાજ્યની લેબોરેટરીમાં મોકલ્યા છે. ત્યાંથી રોગનો પ્રકાર જાણવા મળ્યા બાદ વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે.

તળાજાના પાદરી(ગો)ના સરપંચ સુખુભા ગોહિલના જણાવ્યા પ્રમાણે બે દિવસમાં પાંચેક માલધારીના 164 ઘેટાંઓ એકજ ગામમાં ભેદી રોગચાળાને લઈ મરી ગયા છે. પશુ દવાખાનાના ડોકટર ભૂતના જણાવ્યા પ્રમાણે આખો દિવસ તેઓ પોતાની નીચે આવતા પીપરલા, ઇસોર, દેવલી, તરસરા, પાદરી સહિતના ગામડાઓમાં ટપોટપ ઘેટાં મરી રહ્યા છે તેને બચાવવા માટે કામગીરી કરી રહ્યા છે. કરમિયા વિરોધી દવા આપી રહ્યા છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે મોટી ઉંમરના ઘેટાંજ મરી રહ્યા છે.

રોગનો પ્રકાર જાણવા માટે અલગ અલગ જૂથના 38 ઘેટાંઓના લોહી, સિરમના સેમ્પલ લઈ અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

November 2, 2019
bolbala.jpg
1min7250

ગુજરાતમાં પહેલીવાર રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તમામ ગરીબો સુધી ભોજન પહોંચી રહે તે માટે એક ઉમદા વિચાર અમલમાં મૂકીને ગરીબો માટે ફૂડ ડિલિવરી સર્વિસ ચાલુ કરાઈ છે. જેનાથી ગરીબોને ગરમાગરમ ભોજન મળી રહેશે.

ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરાઈ છે.

હાલ 9 સ્કૂટર દ્વારા ફૂડ ડિલિવરી સર્વિસ શરૂ કરાઈ છે. એનજીઓ દ્વારા કૂક, ડિલિવરી બોય તેમજ ફોન રિસિવર અને કો-ઓર્ડિનેટર્સ માટેના 22 લોકોને કામ પર પણ રાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોઈપણ 2237000 અથવા 9374103523 નંબર પર ફોન કરીને પોતાનું એડ્રેસ આપશે તેની મિનિટોમાં તેના સુધી જમવાનું પહોંચી જશે. જે સ્કૂટરથી ડિલિવરી કરાશે તેમાં રખાયેલું જમવાનું ગરમ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જમવાનું આપવામાં આવશે અને ફોન કર્યાના વધુમાં વધુ એકથી દોઢ કલાકની અંદર જમવાનું પહોંચી જશે.

ટ્રસ્ટ 15 કિમીના વિસ્તારમાં ભોજન પહોંચાડશે. જો શહેરના બહારના વિસ્તારમાંથી ફોન આવશે તો તેમના સુધી પહોંચવા પણ ડિલિવરી બોય પ્રયાસ કરશે. ફોન કરનારા કોઈપણ વ્યક્તિને વિના મૂલ્યે ખિચડી કઢી અને ભાખરી પહોંચાડવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાનું વાસણ ન હોય તો તેને ડિલિવરી બોય પેપર કે થર્મોકોલની ડિશ પણ આપશે.

હાલ રોજના 200-250 લોકોને આ રીતે ફ્રીમાં જમાડવામાં આવી રહ્યા છે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાસંબંધીઓ તરફથી સૌથી વધુ ફોન આવી રહ્યા છે. હાલ ટ્રસ્ટને સરકારની કોઈ સહાયતા મળતી નથી પરંતુ દાતાઓ તરફથી જે ડોનેશન મળે છે તેમાંથી જ તેનો ખર્ચ કાઢવામાં આવે છે તેમ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

November 2, 2019
nutfarmars.jpg
1min4800
file photo

રાજકોટ શહેરના માર્કેટ યાર્ડમાં તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે સવારથી જ કપાસ અને મગફળીના જથ્થા ભરેલા વાહનોનોની કતારો લાગી ગઇ હતી.

રાજકોટ યાર્ડમાં મગફળીની ૮૦થી ૯૦ હજાર ગૂણીની આવક થતા મગફળીની આવકો બંધ કરાતા હરાજી બંધ કરાતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

યાર્ડમાં રોજની ૨૦થી ૨૫ હજાર મગફળીની ગૂણીનું વેચાણ થાય છે. પડતર મગફળીના જથ્થાનું ક્રમશ: વેચાણ થયા બાદ નવી મગફળીની આવકો શરૂ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં મગફળી એક મણના ભાવ ૮૫૦થી ૧૦૦૦ સુધી મળ્યા હતા. તેમ જ ૬૬ નંબર મગફળીના ભાવ ૧૩૦૦થી ૧૪૦૦ના ભાવે વેચાઇ હતી.

દિવાળી બાદ મગફળીના ભાવમાં ૧૫થી ૨૦ રૂપિયાનો સુધારો થયો છે. તેવી જ રીતે રાજકોટ યાર્ડમાં કપાસની ૧૦ થી ૧૨ મણની આવક થઇ હતી અને કપાસ એક મણના ભાવ ૯૫૦થી ૧૧૨૦ રૂપિયા ભાવ રહ્યા હતા. વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કુલ અઢી લાખ ગૂણીની આવકો થઇ છે. કમોસમી વરસાદને કારણે આવકો ઘટી છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ આવકો વધશે તેમ જ દિવાળી બાદ મગફળીના ભાવમાં વધારો થતા ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા જાગી છે.

લાભપાંચમથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઇ ચૂકી છે. રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસેજ થઈ જાણ કરવામાં આવી છે. પહેલા દિવસે એક કેન્દ્ર દીઠ ૨૫ ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. ટેકાનો ભાવ ૧૦૧૮ નક્કી કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૧૧ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઇ રહી છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૨૫૦૦ કિલો મગફળી ખરીદવામાં આવશે. કુલ ૮૧ હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. હવાનું પ્રમાણ વધુ છે, ૩૫ કિલો ભરતી નથીના બહાના આપી હેરાન કરવામાં આવે છે. ધોરાજીમાં ૭૦૮૦ અને ઉપલેટામાં ૯૫૦૦ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૦ ખેડૂતોની મગફળી ખરીદવા આવે તો એક વર્ષે પણ ખરીદી ન થાય, યોગ્ય રીતે ખરીદી નહીં થાય તો કૉંગ્રેસ આંદોલન કરશે.

November 2, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5550

ક્લાઉડી ક્લાઇમેટથી કંટાળ્યા, લોકો હરવા-ફરવાનો મૂડ બગડી ગયો

દિવાળી, નવા વર્ષ જેવા પર્વો વરસાદી માહોલ અને સતત ક્લાઉડી ક્લાઇમેટમાં ગુજાર્યા બાદ હવે લાભ પાચમ અને દિવાળી વેકેશનના છેલ્લા ફેઝમાં પણ સતત વાદળછાયું વાતાવરણ, ઝરમરીયા વરસાદી માહોલથી લોકો કંટાળી ચૂક્યા છે. સમગ્ર પશ્ચિમ ભારતમાં આ માહોલ છે. શનિવારે સવારે સૂરતીઓ ઉઠ્યા ત્યારે એટલો વરસાદ હતો કે જાણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો હોય. સતત ક્લાઉડી ક્લાઇમેટને કારણે સૂરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રવાસીઓ, મુંબઇગરા સમેતના લોકો કંટાળ્યા છે અને સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરી રહ્યા છે કે હવે આ વરસાદ ક્યારે બંધ થશે

દિવાળી પછી લોકો હરવા ફરવાની મજા ઉઠાવતા હોય છે પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં પહેલા ક્યાર નામનું વાવાઝોડું અને હવે મહા નામનું વાવાઝોડું વરસાદ, વાદળછાયું વાતાવરણ અને સૂસવાટા ભર્યા પવનનો માહોલ સર્જી રહ્યું હોઇ, હરવા ફરવાની મજા ફિક્કી પડી રહી છે.

ગુજરાત, મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હજુ ચોમાસું પૂરું થયું જ નથી એ રીતે આ વર્ષે વરસાદથી રાહત મળવાના કોઈ ચિહ્નો હાલ તુરત દેખાતા નથી. પાછોતરા વરસાદે મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ‘ક્યાર’ વાવાઝોડું આવ્યું. અને મુંબઈ-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. હવે અરબી સમુદ્રમાં ફરી ‘મહા’ વાવાઝોડું સર્જાયું છે અને આ વાવાઝોડું ૧થી ૮ નવેમ્બર સુધી સક્રિય રહેવાનું છે. શુક્રવાર તા.1લી નવેમ્બર 2019 પછી બપોર પછી રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી. મોડી સાંજે મુંબઈમાં પણ વરસાદ ત્રાટક્યો હતો અને આને કારણે નાગરિકોને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સમુદ્ર તોફાની હોવાથી માછીમારોને સમુદ્રમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. આ વાવાઝોડાની અસર આગામી સાત દિવસ સુધી મહારાષ્ટ્ર-ગુજરાત, કર્ણાટક અને ગોવા રાજ્યમાં અનુભવવા મળશે.

ચાર દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને ક્યાર વાવાઝોડાનો સામનો કરવો પડ્યો હતો. પાછોતરા વરસાદઅને ‘ક્યાર’ વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના હજી સુધી પંચનામા થયા નથી, ત્યાં ફરી એક વખત ‘મહા’ નામનું વાવાઝોડું ત્રાટક્યું છે. પુણે વેધશાળાએ આ અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે પુણેમાં ૬ અને ૭ નવેમ્બરે વરસાદની શક્યતા છે. મહા વાવાઝોડું ૪૦-૬૦ કિલોમીટરની ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને સમુદ્રમાં ૮-૧૨ ફૂટ ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે.

November 1, 2019
marketyard.jpg
1min5570

આજે તા.1લી નવેમ્બર 2019ને શુક્રવારે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ માકેર્ટિંગ યાર્ડ ખુલી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડ આજે શુક્રવાર સવારથી મગફળી અને કપાસથી ઉભરાઈ ગયું છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઇને માકેર્ટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે.

એક વેપારીએ જણાવાયું હતું કે, વરસાદી માહોલમાં ખુલ્લા માકેર્ટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી અને કપાસ લઇને આવી રહ્યા છે, પરંતુ અમે તેને વાહનમાં જ રાખવાનું કહ્યું છે જેથી વરસાદ પડે તો તેનો પાક પલળે નહીં અને શુક્રવારે વાહનમાં જ સીધી હરાજી કરવામાં આવશે.

October 24, 2019
fmcg-1280x720.jpg
1min5650

રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યૂટર્સ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર અદાણી કહે છે, અમે રેકીટ, ડાબર, બ્રિટાનીયા, મેરિકો, ઇમામી અને ગોદરેજ એમ છ કંપનીઓના માલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. સમગ્ર ગુજરાતના નાના-મોટાં 7 હજાર જેટલા ડિસ્ટીબ્યૂટરો તેને અનુસરી રહ્યા છે.’ ગત તા. 18મીથી માલ ઉઠાવવાનું બંધ કરી નાંખ્યું છે. પાંચ દિવસ પછી કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.’ મોલ અને ડિસ્ટ્રીબ્યૂટર્સને અપાતા માલના સમાન ભાવ નહીં રાખવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર જાળવી રાખીશું.

ૉમોલ અને ડિસ્ટીબ્યૂટર મારફત વેંચાતી એફએમસીજી પ્રોડક્ટના ભાવમાં ભારે અસમાનતાને લીધે વર્ષોથી કંપનીઓનો માલ ખૂણે ખૂણે પહોંચાડતા ડિસ્ટ્રીબ્યૂટરોના ધંધા ઘસાવા લાગ્યા છે. કંપની બેવડી ભાવનીતિના જોરે માર્કેટ મેળવવા ઇચ્છતી હોય છે તેના કારણે ડિસ્ટ્રીબ્યૂટરોએ રોષે ભરાઇને આંદોલન છેડયું છે. છ દિવસથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવી છ-છ કંપનીઓનો માલ નહીં ઉપાડીને બહિષ્કાર કર્યો છે. કંપનીઓ વાટાઘાટ કરીને ભાવનીતિમાં બદલાવ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલશે.

કંપનીઓની બે ભાવની નીતિનો અમારો વિરોધ છે તેમ તેમણે ઉમેર્યું હતુ. ડિસ્ટ્રીબ્યૂટર્સને કંપની ઉંચા ભાવે અને મોલને નીચાં ભાવથી માલ આપે છે. પરિણામે ગ્રાહક ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે માલ ખરીદવા જાય ત્યારે પોતે છેતરાતો હોવાનું અનુભવીને શંકા કરે છે. આમ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે જતો ગ્રાહક મોલમાંથી જથ્થાબંધમાં સસ્તી પ્રોડક્ટ લઇને વેંચે છે. વેપારમાં આ રીતે અસમાનતા સર્જાય છે.

ઓનલાઇન કે મોલ બિઝનેસનો અમારો વિરોધ નથી. પરંતુ 15-25 જેટલા મોટાં બિઝનેસ જૂથો મોટાં બની રહ્યા છે અને નાનો વેપારી ફસાય રહ્યો છે, બેરોજગારી વધી રહી છે તેનો વિરોધ છે. કેટલીક કંપનીઓ હવે ડિસ્ટ્રીબ્યૂટર્સની ચેનલ દૂર કરીને સીધા જ વેચાણ કરવાના મૂડમાં છે એનાથી નાના વેપારીઓ ખતમ થઇ જશે. ખરેખર તો કંપનીઓએ નાના વેપારીઓ વિકસે અને વેપાર વધે તેવી નીતિ અપનાવવી જોઇએ પણ કંપનીઓ તેમને જ મારી રહી છે.

October 21, 2019
beach_festival-1280x851.jpg
1min7290

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તારીખ ૨૧ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટિવલ – ૨૦૧૯નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલને ૨૧ ઑક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મૂકવામાં આવશે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.

બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓ કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.

રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.