રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોની પડખે ઉભી રહેવાના દાવા સાથે સરકારે કિસાનોની નુકસાની અંગે સર્વેક્ષણની મુદ્દત વધારીને ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. પરંતુ આ નંબર પર ફોન ન લાગવો અને લાગે તો રીસીવ ન થવાની અનેક ફરિયાદ ઉઠી રહી છે. રાજકોટ જિલ્લામાં આ અંગે 22 હજાર જેટલી અરજી મળી છે. પરંતુ અમુક ખેડૂતો ફોન ન લાગવાના કારણે હજુ પાક નુકસાની મુદ્દે ચિંતિત છે. માવઠું એ ખેડૂતો માટે શ્રાપ સમાન બની રહે છે. પરંતુ સરકારની પધ્ધતિ ખેડૂતો સાથે મજાક’ સમાન હોવાનો રોષ પ્રવર્તી રહ્યો છે.

પાક વિમો આપવામાં સરકારની રીતિ અને નીતિ ખોટી હોવાના આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા સર્વેક્ષણ માટે જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરની” વ્યવસ્થા ગેરવ્યાજબી છે. કારણ કે, ટૂંકા સમયમાં આ પધ્ધતિમાં અનેક ખેડૂતો પોતાની રજૂઆત કરી શકતા નથી અને અંતે તેઓ પાક વિમાથી વંચિત રહેવાની શક્યતા છે. સરકાર ખરેખર ખેડૂતોની ચિંતા કરતી હોય તો તાલુકા અને ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, મામલતદાર તથા વિસ્તરણ અધિકારીઓ પાસે સર્વે કરાવે તો સચોટ સર્વે થાય તેમજ સાચી મહિતી મળે અને ખેડૂતોને નિષ્ફળ પાકનું પુરૂ વળતર મળી રહે.

















