Gujarat : એક બાદ એક નેતા પણ સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ભાજપના ત્રણ પ્રધાન સહિત ૧૯ અને કૉંગ્રેસના ૧૫ ધારાસભ્ય મળીને કુલ ૩૪ ધારાસભ્ય સંક્રમિત થયા છે. જ્યારે ભાજપના છ અને કોંગ્રેસના બે એમ કુલ આઠ સાંસદને પણ ચેપ લાગ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી અને બે પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી કોરોનામુક્ત થયા બાદ કેશુભાઈ પટેલનું નિધન થઈ ગયું હતું. આમ, કુલ ૪૫ મોટા નેતાને કોરોના થઈ ચૂક્યો છે.
૧૦ દિવસ પહેલાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપના બારડોલીના સંસદસભ્ય પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ ૧૩મી નવેમ્બરે રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નરહરિ અમીન તથા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ એહમદ પટેલ પણ સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ કોરોનાગ્રસ્ત થયા હતા આમ, બે દિવસમાં બે સાંસદ અને એક ધારાસભ્યને સંક્રમણ લાગ્યું છે.
હાલ રાજ્યસભા સાંસદ, અભય ભારદ્વાજની ચેન્નઈમાં સારવાર ચાલી રહી છે. એકમો પદ્ધતિથી સારવાર કરતાં ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે અને થોડા દિવસમાં જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા એહમદ પટેલની હાલ ગુડગાંવની પ્રખ્યાત મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં જાણીતા ડોકટરોની સઘન સારવારને કારણે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની તબિયત ધીમે ધીમે સ્થિર થઈ રહી છે. સારવારમાં અડચણ નિવારવા પરિવાર સહિત બધા માટે મુલાકાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોસ્પિટલ તરફથી આપવામાં આવી રહેલી માહિતી મુજબ તેમનું ભજ્ઞ૨ અને ક્રિએટિનાઇન ઝડપથી કાબૂમાં આવતું હોવાથી આગળની સારવાર માટે ઉજ્જવળ સંજોગો જણાય રહ્યા છે.













