
રવિવાર તા.8મી ઓગસ્ટની મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ નજીકથી પૂરપાટ સ્પીડે માતેલા સાંઢની જેમ પસાર થતા ટ્રક ચાલકે રોડની બાજુમાં ઝૂંપડા બાંધીને સૂતા પરિવારને કચડી નાંખતા 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં હજુ 4 લોકો જીવન મરણ વચ્ચે જંગ ખેલી રહ્યા છે. 12 ને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સાવરકુંડલાથી મહુવા તરફ અત્યંત પૂરપાટ ગતિએ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક સાઈડ ડિવાઇડર કુદાવી પાસે આવેલા 10 ફુટનાં ખાડામાં ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતો હતો અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે.







