CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 18 of 60 - CIA Live

September 15, 2021
Saurastra.png
4min359

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રનાં હાલાર, સોરઠ, ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જામનગરમાં આભ ફાટયું હોય તેમ અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા તેમજ સોરઠ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મુશળધાર મેઘવર્ષા થઇ રહી છે. આજે પણ સોરઠ પંથકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ વિસ્તારમાં સતત પડતા વરસાદથી રસ્તાઓ પર ગોઠણડૂબ અને ખેતરોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં ચોરવાડમાં નવ, કેશોદ-માંગરોળ-જૂનાગઢમાં 8 અને માળિયા હાટીના, વંથલી, રાણાવાવમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તેમજ કેશોદથી માળિયાનો રસ્તો પણ બંધ કરવો પડયો હતો અને એસટીના 20 રૂટો કેન્સલ કરાયા હતા. આ વિસ્તારની નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ મહાદેવને જળાભિષેક થયો હતો. ઘેડ પંથકની મોંટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવતા જમીન ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ચોરવાડ :

13/9/21 રાત્રીના સતત વરસાદ વરસેલ ત્યારબાદ સવારે પાંચ વાગ્યાથી અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયેલ છે. તેમજ ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે મેઘલ નદીમાં તથા લાંગડી નદીમાં ઘોડાપૂર આવેલ. ચોરવાડના નિચાણવાળા વિસ્તાર પાણીના ટાંકા પાસે ધારીવાવ તેમજ બેરા રોડ ઉપર પાણી પાણી થયેલ છે. અને અમુક ઘરમાં વરસાદી પાણી ફરી વળેલ છે. ચોરવાડ ખાતે સેવા ભાવી સંસ્થા ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ છે. નિચાણવાસમાં જે ઘરોમાં પાણી ભરાયા હોય તેમણે સ્કૂલ ખાતે આશરો આપવામાં આવશે અને બે કુટુંબ અત્યારે સ્કૂલમાં આશરો લીધેલ છે.

માંગરોળ :

માંગરોળમાં સોમવારે રાત્રી દરમિયાન ધીમીધારે વરસ્યા બાદ આજે સવારે ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઇ ગયો હતો. તેમજ આખા દિવસ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે આજે ફરીથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર સવારથી જ ખડેપગે રહ્યું હતું. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નોબી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં.
જ્યારે કામનાથ નજીક દાનાતળ કોઝવે પરથી પાણી વહેતા લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. નોળી નદીમાં ઘોડાપૂર આવતાં પ્રસિધ્ધ કામનાથ મહાદેવના શિવલીંગને જળાભિષેક થયો હતો.

જૂનાગઢ :

સોરઠમાં મેઘરાજાએ મન મુકીને સટાસટી બોલાવતા સર્વત્ર શ્રીકાર ત્રણથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગતરાતથી શરૂ થયેલ મેઘસવારી આજે ઢળતા બપોર સુધી ચાલુ રહેતાગિરનાર પર્વત તથા જૂનાગઢ 8 ઇંચ, વંથલીમાં છ, વિસાવદર અને મેંદરડામાં પાંચ, માણાવદર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ ગાંડીતૂર બનતા તમામ જળાશયો, તળાવો છલોછલ ભરાઈ ગયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. તેમાં બાલાગામના પાદરથી પંચાળા સહિત માધાવપુર સહિત હજારો હેક્ટર ઉભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ડોળાસા :

કોડિનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામોમાં આજે પણ ચાર ઇંચ વરસાદ થયો છે. બે દિવસમાં આઠ ઇંચ પાણી પડી જતાં સારુ વર્ષ જવાની આશા મજબૂત બની છે. મોસમનો કુલ વરસાદ 24 ઇંચ થયો છે.

કેશોદ :

કેશોદ શહેર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચથી વધારે વરસાદ પડવાની સાથે સાથે ઉતાવળીયો નદી, ટીલોળી નદી, ઓઝત નદી, સાબળી નદીમાં ઘોડાપૂર આવતા રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું છે. કેશોદ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ 35 ઇંચ નોંધાયો છે. ત્યારે આજે સવારે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ કેશોદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે જિલ્લા કલેક્ટર જૂનાગઢના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કેશોદ એસટી ડેપોનાં વીસેક રૂટ રદ કરવામાં આવેલ હતાં. પરિણામે મુસાફરો રઝળી પડયા હતા. સવારે ભારે વરસાદને કારણે કેશોદ રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદિ ન લાવતા હરાજી બંધ રહી હતી. કેશોદ તાલુકાના ઘેડ પંથકના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો દ્વારા કરેલ હતી.

ગોંડલ :

તાલુકાના નવાગામમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ 6 ઇંચ વરસ્યો જેને કારણે નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાદરવો બેસતા જ ધીમી ધારે વરસાદ આવતાંઆજે સવારે નવાગામ લીલાખા ગોમટામાં ધોધમાર વરસાદ પડયો છે.

બાંટવા :

ઉપરવાસના વરસાદને કારણે પોરબંદર જવાનો રસ્તોહાઈવે બંધ કરાયો છે. ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જેમાં મહીયારી, તરખાઈ, કડેચી, અમીપુર, બગસરા વગેરે ગામોમાં ચારેબાજુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી-પાણી નજરે પડે છે. ખેતીને વ્યાપક નુકશાની થઇ છે.
જામકંડોરણા : જામકંડોરણામાં આજે સવારથી સાંજ સુધીમાં 59 મીમી વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 601 મીમી થયેલ છે.

ભાવનગર :

જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદ પડયો ન હતો. આજે સવારથી સાંજનાં છ વાગ્યા સુધી તળાજામાં 15 મીમી, મહુવા 10 મીમી, જેસરમાં 5 મીમી, સિહોરમાં 5 મીમી, ઘોઘામાં 4 મીમી, ભાવનગરમાં 2 મીમી અને પાલીતાણામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. વલભીપુર, ઉમરાળા અને ગારિયાધારમાં વરસાદ નોંધાયો નથી. ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.

ધોરાજી :

ધોરાજીમાં ગઇકાલ રાતથી મેઘરાજાએ મેઘતાંડવ કરતા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. આજે આખો દિવસમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગડુ (શેરબાગ) : આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગડુ, ખેરા, સમઢિયાળા, વિષણવેલ, સુખપુર, સિમાર, ઘુમલી, ઝડકા, ગોતાણા વગેરે ગામોમાં રવિવારે રાત્રેથી વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે સોમવારે તથા મંગળવારે બપોર સુધીમાં 48 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારની જીવાદોરી સમાન મોટી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં લોકોના ટોળા પૂર જોવા ઉમટી પડયા હતાં.

અમરેલી :

અમરેલી જિલ્લામાં આજે પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલ હતો. સૌથી વધુ રાજુલા પંથકમાં સવા બે ઇંચ, લીલિયા બે ઇંચ, વડિયા-જાફરાબાદ દોઢ દોઢ ઇંચ, બગસરા પોણો ઇંચ, સાવરકુંડલા અડધો ઇંચ તેમજ અન્યત્ર છૂટાછવાયા ઝાપટા પડેલ હતા.

માળિયા હાટીના :

માળિયા હાટીનામાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘ ગર્જના સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અવિરતપણે વરસાદ શરૂ થયો હતો જે રાતનાં બાર વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો મફતિયાપરા, જસપરા, પટેલ સમાજ વિસ્તારો પુનાપરા સ્ટેશન પ્લોટ સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. માળિયાની મેઘલ નદીમાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું હતું. શંકર મંદિરની દિવાલ સુધી પૂરના પાણી આવી ગયા હતાં.

વેરાવળ :

ગિર પંથકમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો સાથે જોડતા માર્ગો અને વોંકળાઓ પર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે. સોમવારે રાત્રિના 2 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા (8 કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં 70 મીમી (3 ઇંચ), સુત્રાપાડામાં 37 મીમી (1.5 ઇંચ), કોડિનારમાં 40 મીમી (1.5 ઇંચ), ગિર ગઢડામાં 40 મીમી (1.5 ઇંચ) અને ઉનામાં 64 મીમી (2.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતાં નદી ગાંડીતૂર બની છે. બપોરના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઇબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ પરની શિક્ષક કોલોની, શક્તિનગરસહિતની અનેક સોસાયટી વિસ્તારમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ભીમદેવળ :

મંગળવાર સવારનાં 8 વાગ્યા સુધીમાં ભીમદેવળ 4 ઇંચ, રાતિધાર 4, રામપરા 4ાા તેમજ અનિડામાં 3ાા ઇંચ જેટલો ભારે વરસાદ પડેલો. વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો વરસાદથી અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં 2 દિવસમાં બીજી વખત પૂર આવેલું.
આજુબાજુના ગ્રામ્ય પંથક જેવા કે લુંભા, ખંઢેડી, ભેટાળી, કોડીદ્રા વગેરે ગામોમાં સોમવારે રાત્રીનાં 10થી મંગળવાર સવારના 9 વાગ્યા સુધીમાં આ બધા ગામોમાં 8 થી 9 ઇંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડેલો.

તાલાલા :

તાલાલામાં આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવાર મોડી રાત્રિથી પધારેલ મેઘરાજા છેલ્લા 48 કલાક દરમિયાન મન મુકીને વરસ્યા હતાં. આ દરમિયાન તાલાલા શહેરમાં દશ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા આખો તાલાલા પંથક પાણી પાણી થઇ ગયો હતો.

તળાજા :

શહેર અને આસપાસનાં ગામડાઓમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ વરસ્યો હતો. દરિયામાં ઊંચા મોજા જોવા મળતા હતા. સરતાનપર સહિતના દરિયા કિનારેના માછીમારોએ મોટે ભાગે દરિયો ખેડવાનું ટાળ્યું હતું.

ઉપલેટા :

ઉપલેટા તાલુકામાંઆજે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 15 કલાકની વાત કરીએ તો અહીં અતિ ભારે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેમજ અહીંથી પસાર થતી ભાદર, મોજ, વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.

મોરબી :

મોરબી જિલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાંજનાં સુમારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં તો ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારથી સાંજે છ સુધીમાં મોરબી તાલુકામાં 02 મીમી, ટંકારા તાલુકામાં 04 મીમી, વાંકાનેર તાલુકામાં 04 મીમી, હળવદ તાલુકામાં 05 મીમી વરસાદ નોંધાયો છે.

પાનેલી મોટી :

ગઇકાલ રાત્રીના નવ વાગ્યાથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ થયેલ હતો તેમજ આજરોજ બપોર પછી 4 વાગ્યાથી એક કલાકમાં 2ાા ઇંચ જેવો વરસાદ પડેલ છે. પાનેલીમોટી તળાવ આજ બીજી વખત ઓવરફલો થઇ ગયું છે.

જામનગર :

જામનગર શહેર અને જિલ્લામાં ગત શનિવારથી આરંભાયેલી મેઘકૃપા આજે સતત ચોથા દિવસે અવિરત રહેવા પામી છે. જિલ્લામાં આજે સવારથી સાંજનાં 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં 6 મીમી, સાંજના સમયે પુન: વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત જામજોધપુરમાં 72 મીમી, ધ્રોલમાં 42 મીમી, કાલાવડમાં 10 મીમી, જોડિયામાં 4 મીમી, લાલપુરમાં 4 મીમી વરસાદ જિલ્લા ફલડ કંટ્રોલ રૂમે નોંધાયો છે.

પોરબંદર :

પોરબંદર જિલ્લામાં સાડા પાંચથી સાડા છ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર ખુશી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા છ ઇંચ નોંધાઈ ચૂક્યો છે. અને પોરબંદરમાં 4, કુતિયાણામાં 5.5 અને રાણાવાવ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારે બાજુ મેઘમહેરને લીધે પાણી પાણી જોવા મળી રહ્યું છે.

કોટડાસાંગાણી :

કોટડાસાંગાણીમાં વહેલી સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ થતાં ગોંડલી નદીમાં ઘોડાપૂર જેવું પાણી આવેલ. કોટડાસાંગાણીનાં નદીમાં પાણી આવતા ખરેડા, પાંચિયાવદર, ગોંડલ આ ચાર ગામોના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવેલ.

September 2, 2021
farmers.jpg
1min367

અણીના સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સચરાચર વરસાદનું આગમન થતા ટાઢક થઇ છે. પાક બચી ગયા છે અને ખેડૂતોના ચહેરેથી ચિંતાની લકીરો દૂર થઈ છે. સરકારી ચોપડે આખા ગુજરાતમાં 80.90 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

મગફળી, કપાસ, કઠોળ અને તમામ તેલિબિયાં પાકોને કુદરતી પિયત મળતા હવે મોલાત ઝૂમી ઉઠી છે. છતાં હજુ ડેમ, કૂવા, નદી વગેરે કોરા હોય ખેડૂતો અષાઢી મેઘ ઇચ્છી રહ્યાં છે.

રાજકોટ કિસાન સંઘના દિલીપ સખીયા કહે છે, મોડું તો મોડું પણ પાણી મળ્યું છે એટલે રાહત છે.’ ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી અને વરસાદ આવ્યો છે છતાં હજુ ચેકડેમો, તળાવ, કૂવા વગેરે ભરાય એટલું પાણી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ખેડૂત નિરાંતનો શ્વાસ લઇ શકે તે માટે વધુ વરસાદ જરૂરી છે.
તેમના કહેવા પ્રમાણે 20 ટકા ખેડૂતો સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. 30 ટકા ખેડૂતો પાસે થોડી સગવડ પિયતની છે. 40 ટકા ખેડૂતો માત્ર ખરીફ પાક લઇ શકે એવી સ્થિતિમાં હોય છે. 10 ટકા ખેડૂતો પાસે બારેય મહિના પિયતની સુવિધા હોય છે.

ગુજરાત સરકારના આંકડાઓ પ્રમાણે મગફળીનું વાવેતર 19.09 લાખ હેક્ટરમાં થયું છે. કપાસનો વિસ્તાર 22.51 લાખ હેક્ટર છે. બન્ને મુખ્ય પાકોનું વાવેતર પાછલા વર્ષથી ઓછું છે. એમાં વરસાદની અછતથી ઉતારો તૂટે એવી સંભાવના હતી.

વરસાદ સર્વત્ર થોડો ઝાઝો થયો છે એનાથી પાકને પિયત મળી ગયું છે. સૂકાવા પડેલો મોલ ઉંચકાઇ ગયો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચ કરશે એવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડતા હવે ખેતીનું ચિત્ર બદલાઇ જશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો સૌથી વધારે વરસાદ મેળવનારા છે. ત્યા 4થી 12 ઇંચ સુધીનો વરસાદ થયો છે. માંગરોળમાં 12 અને ચોરવાડમાં 9 ઇંચ નોંધાયો છે. ગડુ શેરબાગ, તાલાલા અને માળિયા હાટીનામાં 7થી 8 ઇંચ વરસ્યો છે. જામનગરમાં ખંભાળિયા, કલ્યાણપુર વગેરે પટ્ટીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ છે. રાજકોટના ગોંડલમાં 4 ઇંચ, જેતપુર, જામ કંડોરણા, પાનેલી મોટી, કાલાવડ અને લાલપુર વગેરેમાં દોઢ ઇંચ તથા અન્યત્ર બધે ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે.

August 29, 2021
corona-gujarat.jpg
1min412

કેરેલા સમેત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પોણા દોઢ વર્ષમાં સૌથી ઓછા કેસો તા.28મી ઓગસ્ટ 2021ના રોજ મળ્યા છે. ગુજરાતમાં સતત 9 દિવસ સુધી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાયા બાદ 28/9/2021 મોટી રાહત મળી છે.

છેલ્લાં 24 કલાકમાં 512 દિવસ પછી રાજ્યમાં 10 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8,25,386 થયો છે. જેમાંથી આજે વધુ 14 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યાર સુધીમાં કુલ 8,15,154 દરદી ડિસ્ચાર્જ થયા છે.

બીજી તરફ હવે સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યમાં 17 જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી અને બાકીના જિલ્લાઓમાં થઈને કુલ 151 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જેમાં 4 દરદી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 48, અમદાવાદમાં 37 તથા સુરતમાં 19 દરદી સારવારમાં છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક સિંગલ ડિઝીટમાં છે.

28/9/2021 રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મનપા તેમજ અન્ય 31 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 3, જામનગર, મહીસાગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાંથી 5, અમદાવાદમાંથી 4, સુરતમાંથી 2, ભાવનગર, અમરેલી તથા દાહોદમાંથી 1-1 દરદી કોરોનામુક્ત થયા હતા.
રાજ્યમાં અત્યારે બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, ભરૂચ, અમરેલી, ખેડા, સાબરકાંઠા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી.

August 29, 2021
watertanker.jpg
1min438

રાજ્યમાં હજી સુધી માત્ર ૪૨ ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. ૨૨ તાલુકાઓમાં હજુ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ ૧૦૮ ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના રિપોર્ટ પ્રમાણે રાજ્યના ચાર જિલ્લાના આઠ તાલુકાના ૨૩ ગામ અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે.

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને 
દેવભૂમિ દ્વારકાના ૨૩ ગામમાં ૧૩ ટેન્કરો દ્વારા રોજના ૫૬ ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.

બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ૧૧ ગામ, સુરેન્દ્રનગરમાં બે તાલુકામાં ત્રણ ગામ, કચ્છમાં બે તાલુકાના સાત ગામ, દેવભૂમિ દ્વારકામાં એક તાલુકાના બે ગામમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ ૨૭ ફેરા કરવામાં આવે છે. 

બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના ૧૨-૧૨ ફેરા થાય છે. ભુજના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે રોજનાઆઠ ફેરા કરવામાં આવે છે. ભુજના જ ધ્રોબાણા ગામમાં રોજના સાત ફેરા કરવામાં આવે છે.

આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.     

August 25, 2021
backtoschool.png
1min549

શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.

આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.

સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

August 25, 2021
Gujarat-map.jpg
1min461

રાજ્યમાં લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જન્માષ્ટમી તારીખ 30 ઓગસ્ટ સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.

રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.

August 20, 2021
somnath.jpg
1min407

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.20 ઓગસ્ટ 2021ના રોજ અંદાજે રૂ.83 કરોડના ખર્ચે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરના અધિકારીઓએ આ માહિતી આપી. 

વડાપ્રધાન મોદી ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ડિજિટલ માધ્યમથી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણમાં 30 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સોમનાથ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

તેમણે  કહ્યું હતું કે આ કાર્યક્રમ 20 ઓગસ્ટના રોજ મંદિર પરિસરના રામ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી ચાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

અમિત શાહ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.

પ્રધાનમંત્રી જે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં 49 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવેલા –

  • એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પાથ,
  • 75 લાખ રૂપિયામાં બનાવેલ મ્યુઝિયમ અને
  • અહિલ્યાબાઈ હોલકર મંદિરના જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

August 20, 2021
spicejet1.jpg
1min414

ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું નવું સોનેરી સોપાન બની રહેશે

ભાવનગરથી આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી (Delhi) અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. 21 ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

આજે શુક્રવાર તા.20મી ઓગસ્ટ 2021ની બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટની ફલાઈટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઈટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

થોડું ભાવનગર વિશે

ભાવનગર (Bhavnagar) ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર (Bhavnagar) વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર (Bhavnagar) ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર (Bhavnagar) માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.

અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર (Bhavnagar) ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

August 19, 2021
biodiesel.jpg
1min400

તા.18મી ઓગસ્ટે રાજકોટ પ્રાંત અધિકારીએ જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને લાખોનું બાયોડીઝલ જપ્ત કર્યુ હતુ.

સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમાં અનેક બાબતો સામે આવે છે. તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલનો કાળો કારોબાર સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ છે. કચ્છમા ઉતરતું આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.70માં લીટર પડે છે. કાયદેસર ડીઝલ 98/99′ રૂપિયા લીટર વેચાય છે.

એક અંદાજ મુજબ રાજકોટ સુરેન્દ્રનગર અને રાજકોટ મોરબી તેમજ જામનગરમાં ખીજડીયા બાયપાસ ઉપરથી છાનેખુણે અથવા અધિકારીઓની દેખરેખમાં મોડસ ઓપરેન્ડીથી આવું ડીઝલ સપ્લાય કરવામાં આવે છે. જેનાથી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે.

રાત્રે આંટાફેરા કરતી પોલીસની ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક ‘સ્વહિત’માં છાને ખૂણે ચાલવા દે છે. અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલવાળી પાર્ટી બાજુમાં નવો કાળો કારોબાર શરૂ કરી દે છે.

રાજ્ય સરકારના આદેશ બાદ પણ રાજકોટમાં બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને આ સંદર્ભે સમય ન મળતો હોય પણ અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ નથી પહોચી શકતા તે પણ એક સવાલ છે.

બાયોડીઝલના કારણે કરોડોની ટેકસ ચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય છે. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના છે. જ્યારે બાયોડીઝલમાં વપરાતા નબળી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે હવાઈ પ્રદૂષણ વાહનોના ધૂમાડાથી થાય છે. આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચાકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે. તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.

August 18, 2021
cia_edu-1280x925.jpg
1min446

રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

રાજ્યમાં 7/6/21થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. હજુ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ શિક્ષણની શરૂઆત થઈ નથી પરંતુ દિવાળી વેકેશનની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

તા.17મી ઓગસ્ટે ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ 1લી નવેમ્બરથી 21 દિવસ દિવાળીનું વેકેશન જાહેર કરાયુ છે.

શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસ રહેશે. પ્રથમ સત્ર 30મી ઓક્ટોબર સુધી ચાલશે અને 1લી નવેમ્બરથી ર1 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

8 સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે

બીજા સત્રનો પ્રારંભ 22મી નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન 80 રજા નક્કી કરાઈ છે.

હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસનાં 136 દિવસ રહેશે. નવેમ્બરનાં 8, ડિસેમ્બરનાં 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીનાં 24, માર્ચના 25, એપ્રિલનાં 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસનાં 245 દિવસ બાકી રહેશે.

બીજુ સત્ર 7 મેના રોજ પૂર્ણ થયા બાદ 9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જુન સુધી ચાલશે અને ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવશે. જો કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ આ કેલેન્ડરમાં ફેરફાર થઈ શકે છે.