રોટરી ક્લબ ઓફ સૂરતનું ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનું સમયસરનું આયોજન
રોટરી ક્લબ ઓફ સૂરત દ્વારા જીવન ભારતી મંડળના સહયોગથી સૂરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવનું સમયસરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તા.22મી જાન્યુઆરી 2020ને બુધવારે બપોરે 4 કલાકે સૂરતના નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રોટરી હોલ ખાતે કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનો આરંભ જાણીતા કારકિર્દી માર્ગદર્શનક જયેશ બ્રહ્મભટ્ટના સેશન સાથે થયો હતો. એ પછી પી.પી. સવાણી યુનિવર્સિટીના ફેકલ્ટી ડો. તેજલ પટેલએ પીપી સવાણી યુનિવર્સિટી સંકુલમાં ચાલતા અભ્યાસક્રમો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. રોટરી કલબ ઓફ સૂરતના નિખિલ મદ્રાસીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન મહોત્સવની રૂપરેખા આપી હતી.
રોટરી ક્લબ ઓફ સૂરત આયોજિત કરિયર મહોત્સવના પહેલા દિવસે જયેશ બ્રહ્મભટ્ટે મુદ્દાની વાત એ કરી કે કોલેજ કેમ્પસ (આલ્ફાબેટ સી) નહીં પણ કોર્સ કન્ટેન્ટ (આલ્ફાબેટ સી) ને જોઇ-જાણીને પ્રવેશ મેળવવો એ સમયનો તકાજો છે. બી.કોમ.માં કે બીબીએ ફાઇનાન્સમાં ટેલી અકાઉન્ટ કે જીએસટી જો શીખવાડવામાં આવતું ન હોય તો એ કોર્સ કરવા એટલે સમય વેડફવા સમાન છે.
તા.22મી જાન્યુઆરીએ કારકિર્દી મહોત્સવના પહેલા દિવસે જયેશ બ્રહ્મભટ્ટે ધો.12 કોમર્સ અને આર્ટસ પછી ઉપલબ્ધ કારકિર્દીના વિકલ્પો અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું વિશ્વમાં જેમ દરેક ક્ષેત્રોમાં ડાઇવર્સિટીનો ટ્રેન્ડ છે એમ હાયર એજ્યુકેશનમાં પણ ડાઇવર્સિટીએ સ્થાન લીધું છે. મોટા ભાગના લોકોને એવી જ ગેરસમજ હોય છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, એક્ચ્યુરીયલ સાયન્સ વગેરે જેવા અભ્યાસક્રમો સાયન્સ બેઝ હોય છે અને તેમાં કોમર્સના વિદ્યાર્થીઓ પ્રવેશ ન લઇ શકે. પરંતુ, આ વાત ભૂલભરેલી છે. કોમર્સના વિદ્યાર્થીઓ પણ હવે ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવીને ફ્યુચર ટ્રેન્ડમાં છવાયેલા અભ્યાસક્રમોમાં કારકિર્દીનું ઘડતર કરી શકે છે.
જયેશ બ્રહ્મભટ્ટે વાલીઓ અને વિદ્યાર્થીઓને કહ્યું કે હાલ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમયગાળો બોર્ડના વિદ્યાર્થીઓ માટે એટલા માટે નિર્ણાયક હોય છે કેમકે આ સમયગાળામાં જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓના રજિસ્ટ્રેશન પ્રોસેસ હાથ ધરાય છે. સાયન્સ કરતા વધુ પ્રવેશ પરીક્ષા કોમર્સના વિદ્યાર્થીઓ માટે લેવાતી હોય છે અને ધો.12ના પરીણામના આધારે પ્રવેશ મળતો હોય તેવા અભ્યાસક્રમો કરતા પ્રવેશ પરીક્ષાના આધારે મેરીટ બનતું હોય તેવા અભ્યાસક્રમોનું કન્ટેન્ટ પ્રમાણમાં વધુ અસરકારક જણાય છે. એટલે ધો.12 કોમર્સ અને આર્ટસના વિદ્યાર્થીઓએ એવો અભિગમ રાખવો જોઇએ કે વધુને વધુ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા આપીને તેના આધારે સારુ કન્ટેન્ટ ધરાવતા કોર્સમાં પ્રવેશ મેળવવો જોઇએ.
આખું સપ્તાહ જારી રહેશે રોટરી કલબ ઓફ સૂરતનું કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ




















