CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 14 of 51 - CIA Live

July 8, 2022
shinzo_abe.jpg
1min434

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલાની ઘટના બની છે. શિંજો આબેને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળી વાગવાના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંજો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી. જાપાનીઝ અધિકારીઓના કહેવા પ્રમાણે શિંઝો આબેને એરલિફ્ટ કરવામાં આવ્યા તે સમયે તેમના હૃદયના ધબકારા બંધ હતા અને તેમના શ્વાસ પણ નહોતા ચાલી રહ્યા. 

શિંજો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા પરંતુ કેટલાક લોકોએ 2 વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે. નારા શહેરના રહેવાસી તેત્સુયા યામાગામી પર હુમલો કરવાનો આરોપ છે અને તેની પુછપરછ ચાલી રહી છે.  

જાપાનમાં રવિવારના રોજ ઉચ્ચ સદનની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને શિંજો આબે તેના માટે કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા તે સમયે જ આ પ્રકારે હુમલો થયો હતો. આ હુમલાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઘટના સ્થળે ભાગદોડ જોવા મળી રહી છે. 

July 7, 2022
boris.jpeg
1min458

અનેક અટકળો અને રાજીનામાના દોર વચ્ચે 7મી જુલાઇ 2022ના રોજ બપોરે બે કલાકે (ભારતીય સમય અનુસાર) મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સન ટૂંક સમયમં પોતાના પદેથી  રાજીનામું આપશે.

રોઈટર્સના અહેવાલ અનુસાર તા.7 જુલાઇ 2022ની મોડી સાંજે બ્રિટનના વડાપ્રધાન રાજીનામું આપી શકે છે. છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતુ.

બે મહિનામાં બીજી વખત સરકાર પર કાળા વાદળો છવાયા બાદ હવે સરકારના આધાર ગણાતા ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે સરકારે સાથે છેડો ફાડતા હવે અંતે બોરિસની સરકાર હાલકડોલક થઈ રહી હતી.

નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

Reported Earlier

UKમાં ઉથલપાથલ: 39 મંત્રીઓએ રાજીનામાં: જોનસન પર પદ છોડવાનું દબાણ

બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર સામે સંકટના વાદળ છવાયા છે. છેલ્લા 48 કલાકમાં કેબિનેટના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું છે. છેલ્લા મહીને જે બે મંત્રીઓ ઋષિ સુનક અને સાજિદ જાવિદે સરકાર બચાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ પણ હવે જોનસનનો સાથ છોડી ચૂક્યા છે. એક મહિનામાં આ બીજી વખત બોરિસ સરકાર જોખમમાં છે.

આરોગ્ય મંત્રી સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી હતી. નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ  સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.

બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે. ત્યાં આગળ શું થશે? શું બોરિસને ખુરશી છોડવા માટે મજબૂર કરી શકાશે? અને જો જોનસન રાજીનામું આપે તો નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે?

બોરિસ જોનસનનું શું થશે?

પાર્ટીગત મામલે છેલ્લા મહીને જ બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો પ્રમાણે 12 મહીના સુધી તેમની સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવી શકાય. આ વચ્ચે હવે જોનસનની જ પાર્ટીના કેટલાક સાંસદો ઈચ્છે છે કે, 12 મહીનાના આ ઈમ્યુનિટિ પિરિયડને ઘટાડવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે. કેટલાક સાંસદો એવા છે જે કેબિનેટના બાકીના મંત્રીઓને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ મંત્રીઓની જેમ રાજીનામું આપી દે. આનો સીધો ઈરાદો બોરિસને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો છે. આવી સ્થિતિમાં જો બોરિસ જોનસન બહુમત ગુમાવે છે તો તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી એલાન પણ કરી શકે છે. 

જોનસોન પાસે હવે આ ઓપ્શન છે

આવી સ્થિતિમાં બોરિસ જોનસન પાસે 3 ઓપ્શન છે.

1. જોનસન જ નિર્ણય કરશે કે, તેમણે રાજીનામું આપવું કે નહીં. અનેક મંત્રીઓએ તેમના પણ દબાણ વધાર્યું છે પરંતુ તેમણે હજું સુધી કોઈ નિર્ણય નથી કર્યો.

2. કેટલાક વધુ મંત્રીઓએ રાજીનામું આપવું જોઈએ અને જોનસનને ખુરશી છોડવાની માંગ કરવી જોઈએ. અહેવાલ પ્રમાણે ટૂંક સમયમાં કેટલાક વધુ મંત્રીઓ કેબિનેટ છોડશે.

3. પાર્ટીના 12 મહીનાન ઈમ્યુનિટિ વાળા નિયમને બદલવામાં આવે જેના વિશે અનેક મંત્રીઓએ સૂચન કર્યું છે.

July 3, 2022
money_transfer.jpg
1min480

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા ભારતીયો ઓથોરિટીને જાણ કર્યા વિના તેમજ કોઈપણ નિયંત્રણ વિના દેશમાં એક વર્ષમાં તેમના પરિવાર-સંબંધીઓને રૂ. ૧૦ લાખ સુધીની રકમ મોકલી શકશે. અગાઉ આ મર્યાદા માત્ર રૂ. ૧ લાખની હતી.

ગૃહમંત્રાલયે એક નોટિફિકેસનમાં જણાવ્યું છે કે વિદેશમાં વસતા ભારતીયો તંત્રને જાણ કર્યા વિના રૂ. ૧૦ લાખથી વધુની રકમ મોકલે તો તેમણે ૯૦ દિવસમાં આ અંગે સરકારને જાણ કરવાની રહેશે. અગાઉ આ સમય મર્યાદા માત્ર ૩૦ દિવસ હતી. ગૃહમંત્રાલયે શુક્રવારે રાત્રે ગેઝેટ નોટિફિકેશન મારફત ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) અમેન્ડમેન્ટ રુલ્સ, ૨૦૨૨ના નવા નિયમો લાગુ કર્યા છે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) રુલ્સ, ૨૦૧૧ના નિયમ ૬માં એક લાખ રૂપિયાના બદલે દસ લાખ રૂપિયા અને ૩૦ દિવસના બદલે ત્રણ મહિના શબ્દ બદલવામાં આવ્યા છે. રુલ્સ ૬ સંબંધીઓને વિદેશી ધન મેળવવાની માહિતી સંબંધિત છે. તેમાં પહેલા કહેવાયું  હતું કે, કોઈપણ વ્યક્તિએ પોતાના કોઈ સંબંધીને એક નાણાકીય વર્ષમાં ૧ લાખ રૂપિયા અથવા તેના જેટલું વિદેશી નાણું મોકલે તો વિદેશી યોગદાન મળ્યાના ૩૦ દિવસમાં કેન્દ્ર સરકાર (નાણાં વિગતો)ને સૂચિત કરવાની રહેશે.

એ જ રીતે નિયમ ૯માં પણ ફેરફાર કરાયો છે. તેના હેઠળ હવે વ્યક્તિઓ અથવા સંગઠનો અથવા બીન સરકારી  સંગઠનોના બેન્ક ખાતા અંગે ગૃહમંત્રાલયને સૂચિત કરવા માટેનો સમય ૪૫ દિવસ કરી દેવાયો છે. આ પહેલા આ સમય મર્યાદા ૩૦ દિવસ હતી. નિયમ ૯ નાણાં મેળવવા માટે એફસીઆરએ હેઠળ ‘નોંધણી’ અથવા ‘પૂર્વ મંજૂરી’ મેળવીને અરજી કરવા સંબંધિત છે.

કેન્દ્ર સરકારે નિયમ ૧૩માં જોગવાઈ ‘બી’ને પણ ‘છોડી દીધી’ છે, જે પોતાની વેબસાઈટ પર દર ત્રણ મહિનામાં દાતાઓની વિગતો, મેળવેલી રકમ અને તારીખ વગેરે સહિત વિદેશી નાણાંની વિગતો જણાવે છે. હવે એફસીઆરએ હેઠળ વિદેશી ભંડોળ મેળવનારી કોઈપણ વ્યક્તિએ આવક અને ખર્ચના સ્ટેટમેન્ટ સહિત વિદેશી ભંડોળ મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલા ખાતાનું ઓડિટ કરાવેલું સ્ટેટમેન્ટ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ તથા એપ્રિલના પહેલા દિવસથી શરૂ કરીને પ્રત્યેક નાણાકીય વર્ષ માટેની બેલેન્સ શીટ નાણાકીય વર્ષ પૂરું થવાના નવ મહિનામાં તેની સત્તાવાર વેબસાઈટ અથવા કેન્દ્ર દ્વારા નિર્દિષ્ટ ચોક્કસ વેબસાઈટ પર પૂરાં પાડવાના રહેશે.

June 25, 2022
gun_cultur-copy.jpg
1min474
અમેરિકન સેનેટમાં ઐતિહાસિક ગન કંટ્રોલ બિલ પસાર થયું, ૬૫ સેનેટર્સનું સમર્થનમાં મતદાન
બિલને ૫૦ ડેમોક્રેટિક સેનેટર્સ અને ૧૫ રિપબ્લિકનનું સમર્થન મળ્યું
૧૦૦ સેનેટર્સ ધરાવતા અમેરિકન સંસદના ઉપલા ગૃહમાં બિલને પસાર કરવા માટે ૬૦ સેનેટર્સનો ટેકો જરૂરી હતો, ૩૩ સેનેટર્સે વિરોધ નોંધાવ્યો

અમેરિકામાં ગન કંટ્રોલના ઐતિહાસિક બિલને સેનેટની મંજૂરી મળી ગઈ હતી. અમેરિકન સંસદના ઉપલાગૃહમાં બિલ રજૂ થયું હતું. ૬૫ સેનેટર્સના સમર્થનથી બિલ મંજૂર થયું હતું. અગાઉ અમેરિકાના નીચલા ગૃહમાં બિલ મંજૂર થયું હતું. થોડા સમય પહેલાં અમેરિકન સેનેટમાં જે બિલ મંજૂર થાય તેની કલ્પના પણ શક્ય ન હતી, એ બિલને ૧૦૦માંથી ૬૫ સેનેટર્સે સમર્થન આપ્યું હતું.


અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં અગાઉ ગન કંટ્રોલ બિલ પસાર થયું હતું. એમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી હોવાથી બિલ પસાર થઈ ગયું હતું, પરંતુ એ બિલ ઉપલા ગૃહમાં – જ્યાં સત્તાધારી ડેમોક્રેટિક અને વિપક્ષ રિપબ્લિકન પાર્ટીનું સંખ્યાબળ એકસરખું છે – ત્યાં બિલને પસાર કરવાનું અશક્ય લાગતું હતું. લોકોએ ગન કંટ્રોલ બિલ લાવવા દેખાવો કર્યા હતા અને સાંસદો, સેનેટર્સ પર દબાણ વધાર્યું હતું. અમેરિકામાં સતત વધતી જતી ફાયરિંગની ઘટનાઓ બાદ આખરે અમેરિકન સેનેટમાં પણ ગન કંટ્રોલ બિલને મંજૂરી મળી ગઈ હતી.


સેનેટમાં ૧૦૦ સભ્યોમાંથી ૬૫ સભ્યોએ બિલને સમર્થન આપ્યું હતું. એમાં ૫૦ ડેમોક્રેટિક સાંસદો ઉપરાંત ૧૫ રિપબ્લિકન સાંસદોએ પણ બિલને સમર્થન આપ્યું હતું. ૩૩ સભ્યોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. બિલને મંજૂર કરવા માટે ૬૦ સભ્યોના સમર્થનની જરૃર હતી. એના કરતાં પાંચ વધુ મતો મળ્યા હતા. જોકે, ડેમોક્રેટિક પાર્ટી જેવું મજબૂત બિલ લાવવા માગે છે એવી બધી જ બાબતો એમાં નથી, છતાં આ ગન કંટ્રોલના કાયદાથી ગન ખરીદવાનું કડક બનશે. ગન ખરીદવાની વયમાં પણ ફેરફાર થયો છે. જાહેરમાં ફાયરિંગ કરવાનું હવે અમેરિકામાં પ્રતિબંધિત થઈ જશે.
જોકે, હજુ આ બિલ અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ થશે. ઉપલા હાઉસ અને નીચલા હાઉસના પ્રતિનિધિઓની બનેલી અમેરિકન કોંગ્રેસ તેને મંજૂરી આપશે પછી બિલ પ્રમુખ જો બાઈડન સમક્ષ હસ્તાક્ષર માટે જશે. જો બાઈડનના હસ્તાક્ષર થઈ જશે તે સાથે જ ગન કંટ્રોલ બિલ કાયદો બની જશે અને તુરંત અમેરિકામાં લાગુ પડી જશે. ૧૩ અબજ ડોલરનું ફંડ ફાળવાશે. ઓછી વયની વ્યક્તિને ગનનું લાઈસન્સ આપતા પહેલાં તેની પોલીસ તપાસ થશે. તે ઉપરાંત ખૂંખાર લોકોના લાયસન્સ રદ્ કરાશે. ગુનાઈત ઈતિહાસ ધરાવતા નાગરિકોને ગનની મંજૂરી મળશે નહીં. આવી જોગવાઈઓ બિલમાં થઈ છે.

ઉપલા ગૃહમાં આ બિલ પસાર થઈ ગયું તેને અમેરિકન મીડિયાએ ઐતિહાસિક ઘટના ગણાવી હતી. બે સપ્તાહ સુધી સેનેટમાં ચર્ચા થયા બાદ રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ બિલમાં થોડાંક ફેરફાર સાથે સહમતી આપવાની તૈયારી બતાવી હતી. હિંસા સામે છેલ્લાં ઘણાં દશકા  પછી આવો મજબૂત નિર્ણય લેવાયો છે. અમેરિકામાં તેની દૂરગામી અસરો પડશે. અમેરિકાના પ્રમુખપદની આગામી ચૂંટણીમાં પણ આ મુદ્દો પ્રભાવી બની શકે છે. તે ઉપરાંત નવેમ્બરમાં થનારી સેનેટની ચૂંટણીમાં પણ તેની અસર થાય એવી શક્યતા છે.

રિપબ્લિન પાર્ટી શરૃઆતથી જ ગન કંટ્રોલના કાયદાની વિરૃદ્ધમાં છે. પાર્ટીની મૂળભૂત પોલિસી જ આત્મરક્ષણ માટે ગન રાખવાની તરફેણની રહી છે. સેનેટના બહુમતી લીડર ચૂક શુમરે કહ્યું હતું કે ફાયરિંગની ઘટનાઓ રોકવા માટેનો આ અક્સિર ઈલાજ નથી, પરંતુ તેનાથી ફાયદો ચોક્કસ થશે. સેનેટર્સે શાળામાં સુરક્ષા પ્રોજેક્ટ્સ શરૃ કરવા ઉપરાંત મેન્ટલ હેલ્થના કાર્યક્રમો માટે પણ ફંડ ફાળવવા અને નવી યોજનાઓ લોંચ કરવાની ભલામણ કરી  છે.

June 22, 2022
afghan_quake.jpg
1min445

અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે આવેલા ભૂકંપે તબાહી મચાવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે કાટમાળમાં દબાઇ જવાથી ૧૫૦૦થી વધુ લોકો ઘવાયા છે. અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તાલિબાને સત્તા મેળવ્યા બાદ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ અફઘાનિસ્તાન ખાલી કરી ચુકી છે જેને પગલે હાલ રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે. 

ભૂકંપના આ આચકા અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે અનુભવાયા હતા જેની તિવ્રત્તા ૬.૧ની હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વમાં ખોસ્ત શહેરમાં હતું. સ્થાનિક મીડિયા અને પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૫૦૦થી વધુ લોકો ઘવાયા છે. 

અંતરીયાળ વિસ્તારોમાં અનેક લોકો માર્યા ગયા હોવાની શક્યતાઓ છે જેથી મૃત્યુઆંક વધી શકે છે. આંતરરાષ્ટ્રીય ેએજન્સીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિન્દૂ પેટાળમાં ૧૦ કિમી જ દુર હતું જેને પગલે વધુ અસર જોવા મળી હતી જ્યારે આંચકા આશરે ૫૦૦ કિમી સુધી અનુભવાયા હતા. સૌથી વધુ અસર અફઘાનિસ્તાનના પાકટિકા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. યૂરોપિયન એજન્સીઓના જણાવ્યા અનુસાર ભારતમાં પણ આ ભૂકંપના આચકાની અસર જોવા મળી હતી.  

22/6/22: ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી

ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી મચાવી છે. સવારમાં આવેલા આ ભૂકંપમાં ત્યાં 130 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. 

ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી નથી થઈ શકી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 અથવા તેનાથી વધુના તીવ્રતા વાળા ભૂકંપને સામાન્યથી ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ તેનાથી થોડી જ ઓછી તીવ્રતા વાળો હતો. 

અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત બાકી શહેરોમાં પણ અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની ચર્ચા કરી રહ્યા છે. લોકોએ લખ્યું કે, ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડો માટે અનુભવાયા હતા. પરંતુ તેનાથી ડરીને લોકો નાસીપાસ થઈ ગયા હતા. 

આ અગાઉ શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, અને મુલતાનમાં આ આંચકા અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા. 

June 13, 2022
bitcoin_1.jpg
1min423

ક્રિપ્ટો કિંગ તરીકે ઓળખાતા બિટકોઈનના ભાવમાં 13/6/22 સોમવારના શરૂઆતી સત્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બિટકોઈનનો ભાવ ડિસેમ્બર, 2020 બાદ પ્રથમ વખત 25,000 ડોલરની નીચે ગગડ્યો છે.

ભારતીય સમયાનુસાર સોમવારે સવારે 9 કલાકે બિટકોઈન 9%ના કડાકે 25,200 ડોલરની આસપાસ કામકાજ કરી રહ્યો છે. જોકે ઈન્ટ્રાડેમાં બિટકોઈનમાં 11%થી વધુના ઘટાડે 24,800નું લેવલ જોવા મળ્યું હતુ, જે ડિસેમ્બર, 2020 બાદનું સૌથી નીચલું સ્તર છે.

ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં 7%ના ઘટાડા છતા નવા સપ્તાહે પણ ક્રિપ્ટોકિંગમાં મસમોટો કડાકો અને એ પણ સરેરાશ વોલ્યુમનની સામે નોંધપાત્ર 25% વધારે વોલ્યુમ સાથે આવેલ આ કડાકો સૂચવે છે કે બિટકોઈન મંદીના ભરડામાં ફસાયેલો છે અને હવે તેના સેન્ટીમેન્ટ નબળા પડી રહ્યાં છે તેથી જ રોકાણકારો ગમે તે લેવલે વેચવાલી કરી રહ્યાં છે.

બિટકોઈનના કડાકા સાથે ક્રિપ્ટો બજારની માર્કેટ કેપિટલ પણ 24 કલાકમાં 8% ઘટીને 1.04 લાખ કરોડ ડોલર પર પહોંચી છે. બિટકોઈનનો હિસ્સો ક્રિપ્ટો બજારના કુલ માર્કેટ કેપમાં 0.50% ઘટીને 47.20% થયો છે.

June 10, 2022
gun_culture.jpg
1min408

અમેરિકાના હાઉસે ‘ગન ક્ધટ્રૉલ બિલ’ પસાર કર્યું હતું. બફેલો, ન્યૂ યોર્ક અને ટેક્સાસમાં તાજેતરમાં સાર્વજનિક સ્થળે થયેલા ગોળીબારને પગલે બંદૂકોના વેચાણને નિયંત્રણમાં રાખવાના પ્રયાસના ભાગરૂપે આ ખરડો પસાર કરાયો હતો.

Gun Culture in America: 50 बरस में 15 लाख लोगों की जान ले चुका है गन कल्चर,  बहुत भयावह हैं ये आंकड़े | TV9 Bharatvarsh

‘ગન ક્ધટ્રૉલ બિલ’માં સેમિ-ઑટૉમેટિક રાઇફલ ખરીદવા માટે લઘુતમ વયમર્યાદા વધારવાની અને ૧૫ રાઉન્ડથી વધુની ક્ષમતા ધરાવતા એમ્યુનેશન મેગેઝિન્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઇ હતી.

‘ગન ક્ધટ્રૉલ બિલ’ને હાઉસમાં ૨૨૩ વિરુદ્ધ ૨૦૪ મતથી પસાર કરાયું હતું. આ ખરડો કાયદો બને એવી શક્યતા હાલમાં નથી જણાતી, કારણ કે સેનેટ માનસિક સ્વાસ્થ્ય સુધારવાના કાર્યક્રમ, શાળાઓની સલામતી વધારવા અને ‘બેકગ્રાઉન્ડ ચેકિંગ’ વધારવા ભાર આપી રહ્યું છે.

May 30, 2022
india_bangladesh.jpg
1min450

ભારત અને બાંગલાદેશ વચ્ચેની પેસેન્જર ટ્રેન સર્વિસિસ બે વર્ષના ગાળા પછી રવિવારે ફરી શરૂ કરવામાં આવી હતી.
 ‘બંધન એક્સપ્રેસ’ની સર્વિસ કોરોના રોગચાળાને કારણે બે વર્ષ બંધ રાખવામાં આવી હતી. રવિવારે ઇસ્ટર્ન રેલવેની કોલકાતા અને ખુલના (બાંગલાદેશ) વચ્ચે દોડતી બંધન એક્સપ્રેસ તથા કોલકાતા અને ઢાકા વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. 

વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં  આ બે ટ્રેનોના છેલ્લા ફેરા કરાયા હતા. બંધન એક્સપ્રેસ કોલકાતા અને ખુલના વચ્ચે અઠવાડિયાના બે દિવસ અને મૈત્રી એક્સપ્રેસ અઠવાડિયાના પાંચ દિવસ કોલકાતા અને ઢાકા વચ્ચે દોડે છે. તે ઉપરાંત ઇસ્ટર્ન રેલવે ૧ જૂનથી બાંગલાદેશી પર્યટકો માટે ન્યુ જલપાઈગુડી અને દાર્જીલિંગ વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ નામે વધુ એક ટ્રેન શરૂ કરશે.             

May 16, 2022
usa_buffelo.jpg
1min441

બફેલોમાં સુપરમાર્કેટમાં શનિવારે Dt.15/5/22, ૧૮ વર્ષના શ્વેત White યુવકે લશ્કરી ગિયર અને હેલ્મેટમાં કેમેરા સાથે લાઇવ સ્ટ્રિમિંગ કરતા રાઇફલમાંથી ગોળીબાર કરતાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા જેને સત્તાવાળાઓએ વંશીયરીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ તરીકે ઓળખાવ્યો હતો. 

ટોપ્સ ફ્રેન્ડલી માર્કેટમાં હુમલાખોરે શારીરિક બખ્તર અને લશ્કર જેવા વસ્ત્રો પહેર્યા હતા અને તેણે મોટાભાગે અશ્વેત લોકો પર હુમલો કર્યો હતો. ઓછામાં ઓછી બે મિનિટ સુધી તેણે ગોળીબારનું જીવંત પ્રસારણ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેણે ૧૧ અશ્વેત લોકો પર ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળ નજીક ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે આ શ્વેત સર્વોપરીવાદી જેણે નિર્દોષ સમુદાય પર નફરતનો ગુનો કર્યો હતો તે જીવનના બાકીના દિવસો જેલમાં પસાર કરશે.
શંકાસ્પદ હુમલાખોરની ઓળખ પેટોન ગેનડ્રોન તરીકે કરવામાં આવી હતી અને તે બફેલોથી ૨૦૦ માઇલ દૂર આવેલા ન્યૂયોર્કના કોંકલિનનો રહેવાસી છે.

બફેલોના પોલીસ કમિશનર જોસેફ ગ્રામાગ્લિયાએ જણાવ્યું હતું કે હુમલાખોરે સ્ટોરની બહાર ચાર લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાંથી ત્રણના મોત થયા હતા. સ્ટોરની અંદર સિક્યુરીટી ગાર્ડે તેની પર કેટલીક ગોળીઓ છોડી હતી જેમાંથી એક ગોળી હુમલાખોરના બુલેટપ્રુફ જેકેટ પર વાગી હતી પરંતુ તેની કોઇ અસર થઇ નહોતી. હુમલાખોરે ગાર્ડને મારી નાંખ્યો હતો અને પછી સ્ટોરમાં જઇને અન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો.


ત્યારબાદ પોલીસે સ્ટોરમાં પ્રવેશીને હુમલાખોરને પડકાર્યો હતો. એ વખતે હુમલાખોરે પોતાના ગળા પર જ બંદુક મુકી દીધી હતી. બે અધિકારીઓએ તેને બંદૂક મુકી દેવા માટે વાત કરી હતી. 

વ્હાઇટ હાઉસમાં પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન ગોળીબારના આ બનાવ અને તપાસ અંગે સતત માહિતી મેળવી રહ્યા છે અને તેમણે પીડિતો અને તેમના પ્રિયજનો માટે પ્રથમ મહિલા સાથે પ્રાર્થના કરી હતી.

May 14, 2022
wheat.jpg
1min586

ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા હતા નહિ. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.

ભારતમાં અગાઉ 105 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ હતો પણ હવે 95 કરોડ ટન જ ઉત્પાદન થાય એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ પરિવારને મફત ઘઉં આપવા માટે સ્કીમની મુદ્દત વધારી છે ત્યારે સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી થઈ રહી નથી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનું અનુમાન છે.