ભારતમાં તીવ્ર ગરમીના કારણે સ્થાનિક ઉત્પાદન અગાઉની ધારણા કરતાં ઓછું થવાનું છે, ઊંચા ભાવના કારણે સરકારી ખરીદી ઘટી ગઈ છે ત્યારે સરકારે સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે, વધે નહિ એવા ઉદ્દેશથી તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી છે. જોકે, તા. 13 મે સુધી કોઈને ઓર્ડર મળ્યા હશે અને તેની સામે લેટર ઓફ ક્રેડિટ હશે તો તેની નિકાસ કરવા દેવામાં આવશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વિશ્વના ટોચના બે ઉત્પાદકોના ઘઉં ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ થયા હતા નહિ. આ સ્થિતિમાં ભારતના ઘઉંની માંગ વધી હતી અને ભારતે વિક્રમી માત્રામાં ઘઉંની નિકાસ કરી હતી. જોકે, નિકાસના કારણે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હતા એટલે સરકારે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે 15 લાખ ટનની નિકાસ કરી છે અને જૂન સુધીમાં કુલ 45 લાખ ટન નિકાસ માટે સોદા થયા છે.
ભારતમાં અગાઉ 105 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ હતો પણ હવે 95 કરોડ ટન જ ઉત્પાદન થાય એવી જાહેરાત સરકારે કરી છે. સરકારે ગરીબ પરિવારને મફત ઘઉં આપવા માટે સ્કીમની મુદ્દત વધારી છે ત્યારે સ્ટોક ઘટી રહ્યો છે અને ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી થઈ રહી નથી એટલે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનું અનુમાન છે.
આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.
ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે
અમેરિકન ડોલરનું છ ટોચના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 104.03ની સપાટીએ છે જે છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે.
દુનિયા આખીના અર્થતંત્રો પર અસર કરનારા અને આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારા રશિયા-યુક્રેન યુધ્ધને 70 દિવસ જેટલો સમય પસાર થયો છે. આ યુધ્ધ આટલું લાંબુ ચાલશે તેની કોઇએ કલ્પના કરી ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને આને મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું જેનો હેતુ યુક્રેનમાં સત્તા પરીવર્તનનો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.
અમેરિકા અને નાટો દેશોને યુક્રેનનું સમર્થન હોવાથી રશિયા માટે યુધ્ધ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ન્યૂકલિયર અને ત્રીજા વિશ્વયુધ્ધનું નિમિત બની શકે તેવું આ યુધ્ધ કયારે પુરું થશે તે કોઇ કહી શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી 9 મે એ સસ્પેન્સ ઉભું કર્યુ છે. 9 મી મે રશિયાના ઇતિહાસમાં મહત્વની તારીખ છે. 1945માં નાઝી જર્મની પર સાથી દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે બે અટકળો ચાલી રહી છે.
એક તો આ દિવસે રશિયા યુક્રેન પરની કાર્યવાહીનો અંત આણી શકે છે. બીજી એક માહિતી મુજબ રશિયા યુક્રેન પરની કાર્યવાહીને આ દિવસે પૂર્ણ કક્ષાના યુધ્ધમાં ફેરવી શકે છે. જો કે રશિયાની નેવી ફોર્સની એકટિવિટી વધી રહી છે અને બ્રિટનને પણ ધમકી મળી રહી છે.
ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા ઉત્સૂક છે એવા સંજોગોમાં યુક્રેન કાર્યવાહીનો નિષ્ણાતોને તાત્કાલિક કોઇ અંત જણાતો નથી. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેંલેસ્કીએ અમેરિકા પાસે એફ -16 જેવા ઘાતક યુધ્ધ વિમાનોની માંગણી કરી છે તે જોતા યુક્રેન પણ યુધ્ધનો જલદી થાય તેમ માનતું નથી.યુ
ક્રેનના યુધ્ધ નિષ્ણાતોએ યુધ્ધ હજું કેટલું ચાલશે તેની જે આગાહી કરી છે તે ચોંકાવી નાખે તેવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાનું આક્રમણ હજુ 4 મહિના સુધી ચાલવાનું છે. જેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન માને છે તેનો સપ્ટેમ્બર મહિના પહેલા અંત આવે તેમ જણાતું નથી. રશિયા હજુ મારિયુપોલ અને ડોનબાસના વિસ્તારોને પણ એક બીજાથી જોડવા ઇચ્છે છે. રશિયાની યુક્રેનમાં આ ખૂબજ લાંબા ગાળાની યોજના છે. આમ રશિયા અને યુક્રેન યુદ્ધનો પ્રશ્ન યુક્રેનવાસીઓ અને દુનિયાને હજુ પણ લાંબા સમય સુધી પજવતો રહેશે.
યુક્રેન સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt. 2/5/22, સોમવારથી યુરોપીય દેશોની ત્રણ દિવસની યાત્રાએ જઈ રહ્યા છે. 2022ના પ્રથમ વિદેશ પ્રવાસની પૂર્વ સંધ્યાએ મોદીએ કહ્યું હતું કે, વિવિધ પડકારોના સમયમાં આ પ્રવાસ મહત્ત્વનો બની રહેશે. દરમ્યાન, વડાપ્રધાનના આ પ્રવાસ પૂર્વે ભારતના નવનિયુક્ત વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ કહ્યું હતું કે, યુક્રેન-રશિયા વચ્ચેની લોહિયાળ દુશ્મનાવટને અટકાવવા સૌ આગળ આવે, એ જરૂરી છે.
સંવાદથી શાંતિ સ્થપાય, તે દિશામાં પ્રયાસો માટે તેમણે વિશ્વભરના દેશોને આગળ આવવા અપીલ કરી હતી.’ વર્ષ-2022ના પ્રથમ દિવસે પ્રવાસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારી યુરોપયાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે આ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
ભારતમાં શાંતિ અને સમૃદ્ધિની શોધમાં યુરોપીય સહભાગીઓ મહત્ત્વપૂર્ણ સાથી છે તેવું યાત્રાના હેતુ સંદર્ભે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું.
મોદી Dated 2/5/22, સોમવારે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની ત્રણ દિવસની યાત્રા પર જઈ રહ્યા છે, આ દેશોમાં લગભગ 65 કલાક ગાળશે. તેમણે કહ્યું હતું કે, હું ડેન્માર્ક, આઈસલેન્ડ, ફિનલેન્ડ, સ્વિડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લઈશ. શિખર સંમેલનમાં મહામારી બાદ આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, વૈકલ્પિક ઊર્જા સહિતના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
ટ્વિટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે Dated 25th April 2022, મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વિટરે મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.
ઈલોન મસ્કે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘લોકશાહી સુદ્રઢ રીતે ચાલે તે માટે ફ્રી સ્પીચ એટલે કે વાણી સ્વાતંત્ર્યનું મહત્વ ખૂબ જ છે, અને ટ્વિટર તે ડિજિટલ ટાઉન સ્ક્વેર છે.’
ટ્વિટરને ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોવાની અટકળો વચ્ચે ટેસ્લાના ચીફ ઈલોન મસ્કનું ટ્વિટ વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ બાદ વિદેશી મીડિયામાં અહેવાલ આવ્યા છે કે ટ્વિટર ખરીદવા પર અંતિમ મહોર લાગી ગઈ છે. તો ટ્વિટરે પણ પોતાના નિવેદનમાં આ દાવાની પુષ્ટી કરી છે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે ટ્વિટર ખરીદી લીધું છે. આ ડીલ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે આ ડીલ 44 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 3368 બિલિયન રુપિયામાં કરવામાં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માટે ઈલોન મસ્ક સાથેના સોદા વચ્ચે ટ્વિટરે કહ્યું કે એકવાર એક્વિઝિશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. આ દરમિયાન ટેસ્લા ચીફનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ પછી નિષ્ણાતો માની રહ્યા છે કે બંને કંપનીઓ વચ્ચે ડીલ પૂર્ણ પણે થઈ ગઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક ટ્વિટર પર હવે કબ્જો ધરાવે છે.
કોરોના સામે જંગમાં અસરકારક કામગીરીએ વિજય અપાવતાં ઇમૈનુઅલ મેક્રોં બીજીવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે. 2002 બાદ લગાતાર બીજીવાર સત્તા મેળવનારા મેક્રોં પ્રથમ નેતા બન્યા છે.
અંતિમ તબક્કાની ગણતરીમાં ઇમૈનુઅલને 58.2 ટકા અને નેશનલ રૈલી પાર્ટીના દક્ષિણપંથી ઉમેદવાર મરિન લે પેનને 41.8 ટકા મત મળતાં મેક્રોં વિજેતા થયા હતા.
જીત બાદ દુનિયાભરમાંથી વધામણીઓ મળવા માંડી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોનસન, જર્મન ચાંસલર ઓલાફ સ્કોલ્ઝ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મેક્રોંને અભિનંદન આપ્યા હતા. ખાસ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના ભારત સાથે ઘણા સારા સંબંધ છે. કોઇ પણ ફ્રેન્ચ સરકાર કદી પણ ભારત વિરોધી રહી નથી. ફ્રાન્સે હંમેશાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.
ઈન્ડોનેશિયામાં Date 19/4/21, મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.
એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે રાજધાની તાઈપેથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.
કોરોના તેના નવા વેરિઅન્ટો સાથે ફરી સક્રિય થઈ રહ્યો છે ત્યારે દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો છે. આ મહામારીના પહેલા કેસથી 50 કરોડ દર્દી થવામાં માત્ર 877 દિવસનો સમય લાગ્યો છે. જોકે રાહતની વાત એ પણ રહી છે કે, દુનિયાભરમાં 45 કરોડ 02 લાખથી વધુ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે દુનિયામાં અત્યાર સુધીમાં 62 લાખથી વધુ મૃત્યુ નોંધાયાં છે. દરમ્યાન, ભારતમાં કોરોના સતત નબળો પડી રહ્યો છે. વીતેલા ચોવીસ કલાકમાં 796 નવા કેસ નોંધાયા હતા અને 19 દર્દીઓએ મહામારી સામેની લડાઈમાં પોતાનો જીવ ખોયો હતો.
વિશ્વમાં અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ 8.20 કરોડ કેસ જોવા મળ્યા છે, જ્યારે ભારતનો ક્રમ બીજો છે. હાલમાં વિશ્વમાં 6થી 10 લાખ લોકોને આ સંક્રમણ થઈ રહ્યું છે.
ભારતમાં નવા કેસના ઉમેરા સાથે કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 4,30,36,828 પહોંચી હતી, જ્યારે 19 નવાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,21,710 થયો હતો. નોંધાયેલાં 19માંથી 18 મોત એકલાં કેરળ રાજ્યનાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા અદ્યતન આંકડાઓ અનુસાર સક્રિય કેસોની સંખ્યા ઘટીને 10,889 થઈ હતી. એક્ટિવ કેસોની ટકાવારી કુલ કેસના 0.03 ટકા છે.
વીતેલા 24 કલાક દરમ્યાન કોવિડના કુલ કેસોમાંથી 169 કેસનો ઘટાડો થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,04,329 લોકો મહામારીને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં કોવિડ સામે જારી રસીકરણ અભિયાન તળે અત્યાર સુધીમાં 185.90 કરોડ ડોઝ અપાયા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને તા.9મી એપ્રિલ, શનિવારે મધ્યરાત્રિએ ઉગ્ર વિવાદોના એક કલાક બાદ અવિશ્વાસ મતમાં સરકારમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અવિશ્વાસના પ્રસ્તાવમાં 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 174 મતો સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. આટલા મતો પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફને પાણીચું આપવા માટે જરૂરી મતો કરતાં તેમાં બે મત વધુ હતા. ઇમરાનખાન સરકારનો કાર્યકાળ ચાર વર્ષનો છે.
સમગ્ર પાકિસ્તાન દેશમાં રાજકીય તંગદિલી અને ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દરખાસ્ત પર વોટીંગ કરાવવામાં આવ્યું હતું. આમાં એટલી ધાંધલ ધમાલ થઇ હતી કે નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવી પડી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા” થઇ રહ્યું હોવાનો આક્ષેપ પણ ઇમરાનખાને કર્યો હતો પણ એ કારી પણ ચાલી શકી ન હતી.
આખરે ઇમરાન સરકાર વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી અને તે પછી ઇમરાનખાનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા હતા.
હોલિવુડના પોપ્યુલર એક્ટર વિલ સ્મિથ (Will Smith)ને એકેડમી મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિઝે (Oscars 2022) 10 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. હવે વિલ સ્મિથ એકેડમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ(Will Smith Banned in Oscars) શકે. 28 માર્ચે યોજાયેલી ઓસ્કર અવોર્ડ દરમિયાન શોના હોસ્ટ ક્રિસ રોકે (Chris Rock) વિલની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith)ની મજાક ઉડાવી હતી. જેનાથી ક્રોધે ભરાયેલા વિલે સ્ટેજ પર જઈને રોકને લાફો માર્યો હતો. ઘટનાના 11 દિવસ બાદ એકેડમીએ વિલ સામે એક્શન લીધી છે. વિલની મુશ્કેલી અહીં પૂરી નથી થતી કારણકે તેની ફિલ્મો પણ રદ્દ થઈ છે.
એકેડમીના પ્રેસિડેન્ટ ડેવિડ રૂબિન અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉન હડસને કહ્યું, “94મો ઓસ્કર અમારી કમ્યુનિટીના કેટલાય લોકોને ઉજવવા માટે હતો. આ એ લોકો હતા જેમણે ગત વર્ષે શાનદાર કામ કર્યું હતું. જોકે, તે ક્ષણોને વિલ સ્મિથે તેના વર્તનથી બગાડી નાખી અને તેનું આવું વર્તન સ્વીકાર્ય નથી.” આ તરફ વિલ સ્મિથે એકેડમીએ આપેલી સજાને સ્વીકારી લીધી છે. તેણે કહ્યું, “હું આ વાત માન્ય રાખું છું અને એકેડમીના નિર્ણયનું સન્માન કરું છું.”
સમગ્ર ઘટના?
28 માર્ચે આખી દુનિયાની નજર ઓસ્કર અવોર્ડ પર હતી પરંતુ ત્યારે કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહોતું. સ્ટેજ પર ક્રિસ રોક હાજર હતો. તે કોમેડી કરીને સૌને હસાવી રહ્યો હતો. એ વખતે તેણે વિલ સ્મિથની પત્ની જેડાની બીમારીની મજાક બનાવી હતી. જેડા Alopecia (આ બીમારીમાં માથાના અમુક ભાગમાંથી આંશિક કે સંપૂર્ણપણે વાળ જતા રહે છે) નામની બીમારીથી પીડાય છે. આ જ અંગે ક્રિસે મજાક કરી હતી જે વિલને પસંદ ના આવી. તે ઊભો થયો અને સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી. આ જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
Alopecia નામની બીમારીથી જેડા પિંકેટ સ્મિથ પીડાય છે અને આ વાતનો ખુલાસો તેણે થોડા વર્ષ પહેલા કર્યો હતો. આ બીમારીમાં માથાના વાળ અમુક ભાગમાંથી કે સંપૂર્ણ માથામાંથી ખરવા લાગે છે. ઈન્ફેક્શન ઝડપથી ફેલાતાં વાળ પણ ઝડપથી ખરવા લાગે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરતાં જેડાએ કહ્યું હતું કે, એક દિવસ તેના હાથમાં વાળનો મોટો ગુચ્છો આવી ગયો જે બાદ તેણે વાળ કપાવી નાખ્યા હતા.
થપ્પડકાંડ બાદ વિલે માફી માગી હતી
થપ્પડકાંડ થયો તે પછી વિલને ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. વિલ અવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વર્તન માટે માફી માગી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સોશિયલ મીડિયા પર પણ આખી દુનિયા અને ક્રિસની માફી માગી હતી.
વિલ સ્મિથની ‘Deadshot’ મૂવી બંધ થઈ ગઈ છે. આ ફિલ્મને સત્તાવાર રીતે બંધ કરી દેવાઈ છે. જોકે, આ નિર્ણય પાછળ વિલનો થપ્પડકાંડ જવાબદાર નથી. ફિલ્મને બંધ કરવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.