હિન્દુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાની દસમી તિથિ અને વિજય મુહૂર્તના સંયોગ પર વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવે છે. આ વખતે હિન્દુ પંચાગ પ્રમાણે બે દશેરાનો યોગ છે. આ સંયોગની તારીખ વિશે મતમતાંતર પ્રવર્તે છે. જ્યોતિષીઓના મત અનુસાર 25 ઑક્ટોબરના રોજ દસમી તિથિ દરમિયાન દિવસે વિજય મુહૂર્તમાં શ્રી રામ, વનસ્પતિ અને શસ્ત્ર પૂજા કરવી જોઈએ. એ પછી મૂર્તિ વિસર્જન અને સાંજે રાવણ દહનની પરંપરા છે. વિજયાદશમીને જ્યોતિષશાસ્ત્રમાં વણજોયું મુહૂર્ત ગણવામાં આવ્યું છે. યાને કે આ દિવસે પ્રોપર્ટી, વાહનો કે અન્ય કોઈપણ પ્રકારની ખરીદી કરી શકાય છે.
હિન્દું પંચાંગ પ્રમાણે 25 ઑક્ટોબર, રવિવારના દિવસના શુભ મુહૂર્ત
- બપોરે 1.30થી 2.50 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)
- બપોરે 2.00થી 2.40 સુધી (ખરીદી, અપરાજિતા, શમી અને શસ્ત્ર પૂજા મુહૂર્ત)
- બપોરે 3.45થી સાંજે 4.15 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)
ગરબા / મૂર્તિ વિસર્જનનાં મુહૂર્ત (26 ઑક્ટોબર, સોમવાર)
- સવારે 6.30થી 8.35 સુધી
- સવારે 10.35થી 11.30 સુધી
આ વખતે આજના દિવસે પૂજા, ખરીદી અને વિસર્જન માટે ત્રણ મુહૂર્ત છે. તેના પછીના દિવસે સૂર્યોદયના સમયે દસમી તિથિ હોવાને કારણે 26 ઑક્ટોબરના રોજ પણ મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ દિવસે સવારે લગભગ 11-30 સુધી દસમી તિથિ હોવાને લીધે મૂર્તિ વિસર્જન માટે 2 મુહૂર્ત છે. આ વખતે દશેરા દેશના અમુક ભાગમાં 25મીએ તો અમુક જગ્યાઓએ 26 ઑક્ટોબરે મનાવવામાં આવી રહ્યા છે.















