લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જે લોકોએ રૂ.2 કરોડ સુધીની લોન લીધી છે તેમનું વ્યાજનું વ્યાજ માફ કરવાની ઔપચારિકતાઓ ક્યારે પૂર્ણ કરાશે? સરકારે જવાબમાં જણાવ્યું કે, રાહત આપવાની મર્યાદા 15 નવેમ્બર છે. સરકાર એક મોટો બોજ વહન કરી રહી છે, પરંતુ અમે આ આંકડાનો ઉલ્લેખ નથી કરી શકતા. સરકાર દ્વારા જે રાહત આપવામાં આવશે તે લાગુ થઈ જશે.
સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા એક માસનો સમય માંગતા સુપ્રીમે પૂછ્યું કે શા માટે આટલો સમય જોઈએ છે. અમે સરકારની વાત સાથે સહમત નથી. જો કેન્દ્રે નિર્ણય લઈ લીધો છે તો પછી અમલ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. સરકાર તરફથી આ ઉચીત નથી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિલંબ કરવો સામાન્ય વ્યક્તિના હિતમાં નથી. સામાન્ય વ્યક્તિની દુર્દશા પર નજર કરો. અમે ઓર્ડર પારિત નથી કરી રહ્યા. સામાન્ય લોકોની દુર્દશા પર વિચાર કરો. નાના લોકોને રાહત આપવી એક આવકાર્ય નિર્ણય છે. પરંતુ તેનો ઠોસ અમલ પણ જરૂરી છે.
આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ મહામારીથી સંબંધિત રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત માત્ર એ જ લોન રિસ્ટ્રકચર કરવામાં આવશે, જે 1 માર્ચે સ્ટાન્ડર્ડ હતી અને જેમાં કોઈ ડિફોલ્ટ થયું નહીં હોય. આ રિઝોલ્યુશન ફ્રેમવર્ક 6 ઓગસ્ટે બહાર પડાયું હતું. આ સિવાય આરબીઆઈએ ઘણી અન્ય પ્રકારની લોનના રિઝોલ્યુશનને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
આરબીઆઈએ કહ્યું હતું કે 1 માર્ચ 2020ના રોજ જે લોન એકાઉન્ટમાં 30 દિવસથી વધુ સમયથી પેમેન્ટ થયું નથી, એને પછીથી રેગ્યુલરાઇઝ કરવામાં આવે, તે કોવિડ-19 રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્યુશન યોગ્ય હશે નહિ, કારણ કે રિસ્ટ્રક્ચરિંગ ફ્રેમવર્ક માત્ર યોગ્ય બોરોઅરો પર જ લાગુ થશે, જે 1 માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં હતા. જોકે આવા અકાઉન્ટ 7 જૂન 2019ના રોજ પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્વ કરી શકાશે.
નિયમનકારના મતે અમલીકરણ હેઠળની પ્રોજેક્ટ લોનના પુર્નગઠનના મુદ્દે જે પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની તારીખ મુલતવી રખાઈ હોય તેમને રિઝોલ્યુશન માળખામાંથી બાકાત રાખવામાં આવે છે. આવા એકાઉન્ટ્સનું 7 ફેબ્રુઆરી 2020થી અને ધિરાણ સંસ્થાઓની ચોક્કસ શ્રેણી માટે લાગુ પુડતી અન્ય સુચનાઓ મુજબ નિયમન કરવામાં આવશે.


















