CIA ALERT

ઇન્ડીયા Archives - Page 32 of 215 - CIA Live

July 9, 2024
rathyatra_2019.jpg
1min310

ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ફરી મોટી દુર્ઘટના બની છે. અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે, જેમાં આઠ સેવકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે.

ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા : જિલ્લા મેજિસ્ટ્રેટ

જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.

પુરીમાં પ્રથમવાર બે દિવસની  રથયાત્રા

ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.

સાતમી જુલાઈએ રથયાત્રામાં નાસભાગ મચી હતી

આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

July 9, 2024
adani-logo.png
2min280

પેરિસ જતી ભારતીય ઓલિમ્પિક ટીમના હોંસલાની બુલંદીના પ્રચંડ સમર્થનના ભાગરુપે દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ મુહિમ ફિલ્મ અંતર્ગત અગ્ર પ્રયોજક તરીકે અદાણી ગ્રૂપનું વચન 

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના રાષ્ટ્રગાન સાંભળવાના સન્માનનું લક્ષ્ય સેવતા ભારતના ટોચના ચુનંદા એથ્લેટ્સને આ ફિલ્મ ઉજાગર કરે છે

અદાણી ગૃપ 2016થી અવિરત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ રમતોત્સવની વિવિધ રમતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા 28થી વધુ એથ્લેટ્સને પ્રોત્સાહનના પોરસ પુરુ પાડતું આવ્યું છે.

રસજ્ઞો અદાણીની આ મુહિમ સોશ્યલ મીડિઆના વિવિધ પ્લેટફોર્મ

Youtube Link: https://youtu.be/O5Xl8D6DGAE:

અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.

ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત  વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.

ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું  છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો  છે.

2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.

અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત  અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.

X: https://x.com/gautam_adani/status/1810272468294099282?s=08

Instagram: https://www.instagram.com/reel/C9KTCJ8MkM4/

Facebook: https://www.facebook.com/AdaniSportsline/videos/877872410847946 ઉપર નિહાળી શકશે

July 8, 2024
modi-in-russia.jpeg
2min314

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઈ એમ બે દિવસ માટે રશિયાની યાત્રા પર છે. 2014માં મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધીમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 16 વખત મળ્યા છે. પણ એ તમામ મુલાકાત ફેબ્રુઆરી 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ અગાઉ થઈ હતી. મોદી છેલ્લે સપ્ટેમ્બર 2019માં વ્લાદિવોસ્ટોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક માટે રશિયા ગયા હતા, તો પુતિન છેલ્લે ડિસેમ્બર 2021માં વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ પછી બંને નેતાઓ આ પહેલીવાર મળી રહ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદેલા હોવાથી ભારતની આ મુલાકાત પર આખી દુનિયા ડોળા જમાવીને બેઠી છે.

વડાપ્રધાન મોદીએ તોડી પરંપરા

ભારતના વડાપ્રધાનો એવી વણલખી પરંપરા પાળતા આવ્યા છે કે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પડોશી દેશની મુલાકાત લેવી. અગાઉ બે વખત સત્તારૂઢ થયા બાદ મોદીએ પણ એ પરંપરા જાળવી હતી. 2014 માં એમણે ભુતાન અને 2019 માં માલદીવ તથા શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ વર્ષે એમણે એ પરંપરા તોડી છે. વડાપ્રધાન પદની શપથ લીધા પછી પડોશી દેશની યાત્રાએ જવાને બદલે એમણે રશિયા પર પસંદગી ઉતારી છે, જે કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ઘણુંબધું કહી જાય છે. અલબત્ત, ગયા મહિને મોદીએ ઇટાલીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તે G7 નેતાઓની બહુપક્ષીય બેઠક માટે હતો. પહેલી દ્વિપક્ષીય યાત્રા તો આ રશિયાની મુલાકાત જ ગણાય.

પુતિન દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પીએમ મોદી રશિયા ગયા છે. બંને નેતા 22મા ‘ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન’માં સામેલ થશે, જે દરમિયાન બંને દેશોના હિત સંબંધે દ્વિપક્ષીય ચર્ચાઓ કરાશે. છેલ્લા ઘણાં દાયકાઓથી રશિયા ઘણાબધા મોરચે ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં તો બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ કહી શકાય એ હદે વ્યૂહાત્મક ભાગીદારીઓ નોંધાઈ છે. એક નજર નાંખીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર.

1. બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચા વ્યાપારને વધારવા બાબતે થશે. રશિયા તેમજ અન્ય યુરોપિયન અને આરબ દેશો સાથેના વ્યાપારને ઓછો ખર્ચાળ કરવા માટે ભારતે નવો રુટ વિકસાવવો છે. એ રુટ ઈરાન સોંસરવો જતો હોવાથી ભારતે દસ વર્ષ માટે ઈરાનના ચાબહાર બંદરને ભાડાપટ્ટે લીધું છે. સમગ્ર રુટના ઝડપી વિકાસ બાબતે બંને નેતાઓ ચર્ચા કરી શકે છે.

2. ઊર્જા, સંરક્ષણ, વેપાર, રોકાણ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન જેવા ઘણાં બધા ક્ષેત્રે બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન થયું છે. આ તમામ ક્ષેત્રે ફરી એકવાર મોસ્કોમાં દ્વિપક્ષીય સહકાર સધાશે.  

3. એક સંવેદનશીલ મુદ્દો છે યુક્રેન યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરાયેલા ભારતીયોનો. ગેરમાર્ગે દોરાયેલા એ ભારતીયોને મુક્ત કરાવવાનો મુદ્દો પણ મોદી પુતિન સામે છેડશે, એવી આશા છે. 

સરંક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સોદા

1. ભારતે 2018 માં રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો, જે ભારતને 2023માં મળી જવાનો હતો. પણ, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એ હથિયાર મેળવવામાં મોડું થયું છે. મોદી પુતિન સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

2. રશિયાની ડિફેન્સ કંપની રોસ્ટેક દ્વારા ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરી દેવાયું છે. મેંગો મિસાઇલ એક પ્રકારના તોપગોળા છે જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવે છે. આ ગોળા દુશ્મનની મજબૂતમાં મજબૂત ટેન્ક અને ભલભલાં બખ્તરબંધ સૈન્ય વાહનોના પડખા ચીરી નાંખવા સક્ષમ છે. આ મિસાઇલને લીધે ભારતની લશ્કરી શક્તિમાં ખૂબ વધારો થશે. રોસ્ટેક કંપની દ્વારા ભારતમાં અન્ય પ્રકારના દારૂગોળાના ઉત્પાદનની યોજના પણ છે. મોદી-પુતિન વચ્ચે એ મુદ્દે પણ સહમતી સધાય એવું બની શકે.

ભારત-રશિયા વ્યાપાર- કોનો કેટલો ફાયદો?

રશિયાના વિરોધમાં અમેરિકાએ આડકતરી રીતે જાણે કે કહી દીધું હતું કે, રશિયા સાથે હશે એ અમારા દુશ્મન! પણ એવી ધમકીને ગણકાર્યા વિના ભારતે યુદ્ધ પછી પણ રશિયા સાથેનો વ્યાપાર જારી રાખ્યો છે. રશિયા પાસેથી ભારત મબલખ માત્રામાં ખનીજ તેલ ખરીદે છે અને એ માટેની ચૂકવણી રશિયા રૂપિયામાં સ્વીકારે છે, એ ભારતનો મોટો ફાયદો. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પણ એમાંથી ભારતે રશિયામાં ફક્ત 3.3 લાખ કરોડની નિકાસ કરી છે. એટલે દેખીતું છે કે બંને વચ્ચેના વ્યાપારમાં રશિયાને બહુ મોટો ફાયદો થાય છે. ભારતનો ફાયદો વધે, એ બાબતની ચર્ચા પણ મોદી-પુતિન વચ્ચે થશે. 

ભારતની ચાણક્યનીતિ

યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર જાતભાતના આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હતા. અમેરિકા ઈચ્છતું હતું કે દુનિયાના અન્ય અગ્રણી દેશો પણ એમના પક્ષે રહે અને રશિયાને એકલું પાડી દેવાય. ચીન અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના જાનીદુશ્મન દેશોએ તો ખુલ્લેઆમ રશિયા સાથે દોસ્તી જાળવી રાખી છે. ભારતે અંગત લાભને કેન્દ્રસ્થાને રાખીને આ મુદ્દે ચતુરાઈપૂર્વકનો પ્રતિભાવ દાખવ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાને વખોડવાના બદલે ભારતે ‘બંને દેશોએ વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ’ એવું નિવેદન આપીને ‘માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં’ પ્રકારની મુત્સદ્દીગીરી દર્શાવી છે, જે ભારતના હિતમાં છે. પારકા કંકાસમાં આપણે શું કામ આપણું નુકસાન કરવું?

અમેરિકાના પેટમાં રેડાયું તેલ

‘પહેલો સગો પડોશી’ એ ઉક્તિને ખોટી ઠેરવતા મોદીએ ગાદીધારણ કરતાં જ રશિયાની વાટ પકડી એનાથી સૌથી વધારે તકલીફ અમેરિકાને જ થશે. આમેય રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારતની નીતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાતું જ હતું, એમાં આ મુલાકાત બળતામાં ઘી ઉમેરવાનું કામ કરશે. રશિયાના પ્રતિનિધિએ તો બેધડક કહ્યું છે કે, પીએમ મોદીની મોસ્કો મુલાકાતને પશ્ચિમી દેશો ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે.

ભારતનો દુનિયાને સંદેશ- રશિયા મિત્ર હતું, છે અને રહેશે

ભારત સરકારનો એજેન્ડા દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને પ્રગતિની ગાડી પાંચમા ગિયરમાં દોડાવવાનો છે. આ મુદ્દાને લક્ષ્યમાં લઈને ભારતે રશિયાને મહત્ત્વ આપીને દુનિયાને આડકતરો ઈશારો આપી દીધો છે કે કેન્દ્ર સરકારની નીતિ પારકી પંચાતમાં પડ્યા વિના અંગત લાભ પ્રત્યે વધુ રહેશે. રશિયા જેવો અન્યોને મતે યુદ્ધખોર દેશ પણ જો ભારત સાથે સારાસારી રાખશે તો ભારત એના તરફ ઢળશે. ભૂતકાળમાં અમેરિકાથી લઈને ચીન જેવા દેશો અંગત ફાયદા માટે આવું કરી ચૂક્યા હોવાથી ભારત આવું પગલું ભરે એમાં કશું ખોટું પણ નથી. ખનીજતેલની આયાત માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોવાથી અર્થવ્યવસ્થાને ચાલતી રાખવા માટે રશિયા સાથેની ભાઈબંધી જરૂરી પણ છે. પશ્ચિમના દબાણ સામે ન ઝૂકીને ભારતે ધરાર રશિયાનો હાથ ઝાલી રાખ્યો છે, એ બાબત સૂચક છે કે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધી રહ્યું છે.  

July 7, 2024
mahuva-moitra.jpeg
1min288

મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર મોટા વિવાદમાં સપટાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો છે. હવે રેખા શર્માની ફરિયાદ પર મહુઆ મોઇત્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 હેઠળ કેસ નોંધ્યો છે.

અલબત્ત, આ કલમ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 79 (મહિલાઓની ગરિમાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા અન્ય કોઈ કૃત્ય) લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરથી ટ્વિટ સંબંધિત માહિતી પણ માંગી રહી છે.

દેશમાં પહેલી જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. હવે આઈપીસીનું સ્થાન ભારતીય ન્યાયિક સંહિતાએ લીધું છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે મામલો. તો વિગતે જાણીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા હાથરસ નાસભાગના સ્થળે પહોંચ્યા હતા અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ રેખા શર્માની પાછળ ચાલતા હાથમાં છત્રી પકડેલી હોય છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે શું રેખા શર્મા પોતાની છત્રી ઉપાડી શકતા નથી? તે જ યુઝરની કમેન્ટના જવાબમાં મહુઆ મોઇત્રાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. એના સંબંધમાં રાષ્ટ્રીય મહિલા પંચે મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી પર કાર્યવાહીની માંગ કરી છે. પંચની આ માંગને પગલે મહુઆ મોઇત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય મહિલા આયોગને જવાબ આપતા મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું હતું કે દિલ્હી પોલીસે આ આદેશો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તમને આગામી 3 દિવસમાં ધરપકડ માટે મારી જરૂર પડી તો હું પશ્ચિમ બંગાળના નદિયા વિસ્તારમાં હોઈશ. આ સાથે તેમણે કહ્યું હતું કે હા, હું મારી પોતાની છત્રી પોતે પકડી શકું છું. જોકે, મહિલા પંચે મહુઆ મોઈત્રા પહેલી ટિપ્પણીને અભદ્ર અને અપમાનજનક ગણાવી છે તેમ જ તેની સાથે કહ્યું હતું કે આ મહિલાના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. મોઇત્રાની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી છે. મોઇત્રા સામે એફઆઈઆરની માંગણી કરતા તેમણે કહ્યું કે પંચને 3 દિવસમાં વિગતવાર એક્શન રિપોર્ટ આપવામાં આવે.

July 7, 2024
assam-floods.png
1min304
Seven lakhs affected by floods in Assam 13 rivers flow at alarming levels

દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત ડિબ્રુગઢ જિલ્લામાંથી પરત ફરેલા મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

સીએમ હિમંતા વિશ્વ શર્માએ કહ્યું, ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમે કેટલાક અન્ય મુદ્દાઓ સાથે સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના ‘આસામ આરોગ્ય નિધિ’ની સમીક્ષા કરી હતી, શર્માએ પણ કહ્યું હતું કે અધિકારીઓને ખાસ કરીને તે આપવા માટે કહેવામાં આવ્યું છે. દુર્લભ કેસો અને હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા કેસોને અગ્રતા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકો સાથે વાત કર્યા પછી, અધિકારીઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ જિલ્લાઓ પૂરથી વધુ પ્રભાવિત છે

સ્વચ્છ પીવાના પાણીના પુરવઠા અંગે તેમણે કહ્યું કે ‘જલ જીવન મિશન’ યોજના ‘આ મુશ્કેલ સમયમાં આશાના કિરણ’ તરીકે ઉભરી આવી છે. કચર, કામરૂપ, હૈલાકાંડી, હોજાઈ, ધુબરી, નાગાંવ, મોરીગાંવ, ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી, ધેમાજી, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, સોનિતપુર, કોકરાઝાર, કરીમગંજ, દક્ષિણ સલમારા, દરરંગ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, સૌથી વધુ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી, દારંગ, કચર, બરપેટા અને મોરીગાંવનો સમાવેશ થાય છે. કુલ 47,103 અસરગ્રસ્ત લોકોએ 612 શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 4,18,614 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.

July 6, 2024
india-vs-zim-2024.png
2min298

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે. 

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા. 

ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.  

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન 

ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો. 

ખેલાડીનું નામરનબોલ
અભિષેક શર્મા04
શુભમન ગિલ3129
ઋતુરાજ ગાયકવાડ79
રિયાન પરાગ23
રીન્કુ સિંહ02
ધ્રુવ જૂરેલ714
વૉશિંગ્ટન સુંદર2734
રવિ બિશ્નોઈ98
આવેશ ખાન1612
મુકેશ કુમાર03
ખલીલ એહમદ01

રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા 

ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો. 

શુભમન ગિલે 31 રન બનાવ્યા 

જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા. 

શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે. 

July 6, 2024
nirmalasita.jpg
1min291

દેશમાં 18મી લોકસભાના ગઠન બાદ હવે મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રિય બજેટ 2024 રજૂ કરવાની તારીખો પણ જાહેર થઇ ગઇ છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ 23 જૂલાઇએ સંસદમાં બજેટ રજૂ કરશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઇ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ થયું તેમજ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક થઇ હતી. જેને રાષ્ટ્રપતી દ્રૌપદી મૂર્મુએ સંબોધી હતી. હવે સમગ્ર દેશની નજર બજેટ સત્ર પર છે.

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ 23 જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે 

નોંધનીય છે કે આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવી સરકારના ગઠન બાદ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટની સાથે જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે. સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ અગાઉ મોરારજી દેસાઇના નામે હતો, તેમણે છ વખત બજેટ રજૂ કર્યું હતું. 

કરદાતાઓને મળી શકે છે રાહત

કેન્દ્રિય બજેટ 2024ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર 3.0 અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં 50 ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને 6.5 બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.

July 5, 2024
mobile-india.jpg
1min268

ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’

Airtel vs Vodafone Idea vs Reliance Jio tariff hike: Check out new  cheapest, costliest plans - BusinessToday

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’

રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’

તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.

કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?

July 4, 2024
team-india-Cia-Live.jpeg
2min291

 મુંબઈના દરિયા કાંઠે આવેલા મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી આજે 4/7/2024 આહલાદક વાતાવરણની સાથે ટી20 વર્લ્ડકપમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટરોની ટીમ મરીન ડ્રાઈવથી ખુલ્લી બસમાં રોડ-શો કરીને વાનખેડે સ્ટેડીયમમાં પહોંચી છે. આ દરમિયાન આખા રૂટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અહીં ચોતરફ ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે.

ભારતને ટી20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનાર કોચ રાહુલ દ્રવિડે પોતાના અનુભવને યાદ કરી કહ્યું કે, ‘હું આ પ્રેમને મિસ કરીશ. આજે આપણે જે જોયું તે અદ્ભુત છે. લોકો અને ચાહકોનો પ્રેમ… ચાહકોએ જ ક્રિકેટને દેશની સૌથી મોટી રમત બનાવી છે.’

રોહિતે પંડ્યાને કરી સલામ

રોહિત શર્માએ છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગના વખાણ કરતા કહ્યું કે, ‘તેને સલામ’ તેણે ડેવિડ મિલરનો કેચ પકડનાર સૂર્યકુમાર યાદવની પણ પ્રશંસા કરી હતી. તેણે T20 વર્લ્ડ કપની જીત સમગ્ર ટીમને સમર્પિત કરી કહ્યું કે, ભારતની T20 વર્લ્ડ કપ જીત ટીમના પ્રયાસોનું પરિણામ છે. ભારતને આઈસીસીનો ખિતાબ જીતાડવામાં બધાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આ ટ્રોફી આખા દેશ માટે છેઃ રોહિત

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ દરેકનો આભાર વ્યક્ત કરી કહ્યું કે, ‘જ્યારથી અમે ભારતમાં આવ્યા છીએ ત્યારથી અદ્ભુત ખુશી થઈ રહી છે. આ ટ્રોફી સમગ્ર દેશ માટે છે. વડાપ્રધાનને મળવું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટીમ અને BCCI વતી હું દરેકનો આભાર માનું છું. હું ખરેખર ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું.’

વાનખેડેમાં ચેમ્પિયન ડાન્સ કર્યો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં પહોંચી ડાન્સ કર્યો હતો.

મુંબઈના મરીન ડ્રાઈવ પર ક્રિકેટરોની ઝલક મેળવવા બહોળી સંખ્યામાં ચાહકો આવ્યા છે. તો બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અહીં ઉમટેલી જનમેદનીનો પોટો પણ શેર કર્યો છે.

July 4, 2024
soren.png
1min285

હેમંત સોરેનએ આજે 4/7/2024એ ત્રીજી વખત ઝારખંડના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. રાજ્યપાલએ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પુનઃ મુખ્યમંત્રી પદની કમાન હાથમાં લઈ લીધી છે. તેઓ ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે.

Hemant Soren set to return as Jharkhand CM, Champai Soren to quit soon |  Politics News - Business Standard

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને 3/7/2024 મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બાદ હેમંત સોરેન દ્વારા રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને સાથે તેના ધારાસભ્યોએ સમર્થન પત્રો પણ રજૂ કર્યા. આ બાદ આજે હેમંત સોરેને 4/7/2024 સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમયે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજભવન પહોંચી ગયા હતા.

હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. આજે રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે ત્રીજી વખત શપથ લીધા છે અને આમ તેઓ ઝારખંડના 13મા મુખ્યમંત્રી બન્યા. આ પ્રસંગે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, માતા રૂપી સોરેન, કોંગ્રેસ, JMM અને આરજેડીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.