CIA ALERT

ઇન્ડીયા Archives - Page 31 of 218 - CIA Live

August 27, 2024
rajyasabha.jpg
2min278

રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.

આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય પણ બિનવિરોધ ચૂંટાયા છે, જેના કારણે રાજ્યસભામાં વિપક્ષની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.

રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.

બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં

  • આસામના મિશન રંજન દાસ અને
  • રામેશ્વર તેલી,
  • બિહારથી મનન કુમાર મિશ્રા,
  • હરિયાણાથી કિરણ ચૌધરી,
  • મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન,
  • મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ,
  • ઓડિશાના મમતા મોહંતા,
  • ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને
  • રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા

એનડીએ છેલ્લા એક દાયકાથી રાજ્યસભામાં બહુમતનો આંકડો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી તેના માટે બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષે વારંવાર સરકારી બિલોને ઉપલા ગૃહમાં રોકી પાડ્યા હતા.
બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.

બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભામાં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.

August 27, 2024
jay-shah.png
1min296

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.

August 27, 2024
kangana.png
1min254

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતના ખેડૂતોને લગતા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગનાના નિવેદન પર યુનાઇટેડ કિસાન મોરચા ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ કંગનાનું નામ લીધા વિના તેની ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘આ શરમજનક ખેડૂત વિરોધી શબ્દો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર દેશના ખેડૂતોનું અપમાન છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. ખેડૂતોનું આંદોલન પાછું ખેંચતી વખતે રચાયેલી સરકારી સમિતિ હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં છે, સરકાર એમએસપી પર આજ સુધી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી, શહીદોના પરિવારોને કોઈ રાહત આપવામાં આવી નથી. અન્નદાતાઓનો અનાદર કરીને અને તેમની ગરિમા પર પ્રહાર કરીને મોદી સરકાર દ્વારા ખેડૂતો સાથે કરાયેલો વિશ્વાસઘાત છુપાવી શકાય તેમ નથી. નરેન્દ્ર મોદી અને ભાજપ ગમે તેટલું કાવતરા કરે, પરંતુ ઇન્ડિ ગઠબંધન ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનું ચાલુ રાખશે.’

મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કંગનાના નિવેદનને લઈને ભાજપ અને પીએમ મોદીને ઘેર્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ પોતે સંસદમાં ખેડૂતોને “આંદોલનકારી” અને “પરજીવી” ગણાવ્યા હતા. સંસદમાં શહીદ ખેડૂતો માટે બે મિનિટનું મૌન પાળવાનો પણ ઇનકાર કર્યો હતો. મોદીજીએ એમએસપી પર કમિટી બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાનું ખોટું વચન પણ આપ્યું હતું. જ્યારે મોદીજી પોતે આ બધું કરી શકે છે, તો પછી દેશ તેમના સમર્થકો પાસેથી શહીદ ખેડૂતોના અપમાન સિવાય બીજી શું અપેક્ષા રાખી શકે? આ શરમજનક અને અત્યંત નિંદનીય ખેડૂત વિરોધી વિચારધારા મોદી સરકારનો ડીએનએ છે.’

ખેડુત નેતા ટિકૈતે નિવેદન આપ્યું

કંગનાના નિવેદનની ટીકા કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ’13 મહિનાના ખેડૂતોના આંદોલનમાં 400 ખેડૂત સંગઠનો અને લાખો ખેડૂતોની હાજરી હોવા છતાં હિંસા નથી થઇ, 700થી વધુ ખેડૂતો શહીદ થયા, પરંતુ ખેડૂતોએ પોતાનો સંયમ નથી ગુમાવ્યો. તે અંગે બીજેપી સાંસદ કંગના રણૌતનું નિવેદન શહીદ ખેડૂતો અને દેશના કરોડો ખેડૂતોનું અપમાન છે.’

ભાજપે કંગના રણૌતના નિવેદનથી અસંમતિ વ્યક્ત કરીને પોતાને દૂર કરી છે, ભાજપના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પાર્ટીએ મંડીના સાંસદને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવા માટે પણ સૂચના આપી હતી.

શું હતું કંગનાનું નિવેદન?

મીડિયા એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે, ‘પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે અને ત્યાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. જો ભાજપનું ટોચનું નેતૃત્વ મજબૂત ન રહ્યું હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઇ હોત. ત્રણ કૃષિ બિલો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, નહીં તો આ બદમાશોની ખૂબ લાંબી યોજના હતી અને તેઓ દેશમાં કંઈપણ કરી શક્યા હોત.’

August 26, 2024
jharkhand.png
1min368

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાંચીમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ની રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારમારીની કથિત ઘટનામાં સામેલ ઓળખી કઢાયેલી 51 લોકો સહિત 12000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક નેતા સામે FIR

ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડી (Babulal Marandi), વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી (Amar Kumar Bauri), કેન્દ્રીય મંત્રી સંજય સેઠ (Sanjay Seth) અને પૂર્વ કેન્દ્ર મંત્રી અર્જુન મુંડા (Arjun Munda) સહિત ભાજપ (BJP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ભાજપના નેતાઓ ભડક્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) સામે ગંભીર આક્ષેપ કર્યો છે.

વિનાશ કારે વિપરીત બુદ્ધિ : બાબુલાલ મરાંડી

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘વિનાશ કારે વિપરીત બુદ્ધિ ! અમને માહિતી મળી છે કે, મોરાબાદી મેદાનમાં યુવા આક્રોશ રેલી યોજાઈ હતી, જેની સફળતા જોઈ મુખ્યમંત્રી હેમંત સોરેન ગભરાઈ ગયા છે અને મારા તેમજ ઝારખંડ ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ સહિત હજારો યુવા સાથીઓ પર કેસ નોંધાવ્યો છે.’

ઘટના અંગે રાંચી પોલીસે શું કહ્યું?

રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિંહે મીડિયાને કહ્યું કે, ‘મેજિસ્ટ્રેટ નિવેદન બાદ રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ લોકો વિરુદ્ધ ટુંક સમયમાં કાર્યવાહી કરાશે.’ આ રેલી હેમંત સોરેન સરકારે કરેલા અન્યાય અને ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા વિરુદ્ધ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ભાજપ યુવા વિંગના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બેરિકેડ્સ પણ તોડવામાં આવ્યા હતા.

August 24, 2024
shikhar.jpg
1min369

શિખર ધવને(Shikhar Dhawan) ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે. તેમણે આ ક્રિકેટ સફરમાં સાથ આપવા બદલ ચાહકોનો પણ આભાર માન્યો હતો. ‘ગબ્બર’ તરીકે પ્રખ્યાત ધવને તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 10,000 થી વધુ રન બનાવ્યા.

શિખર ધવને એક વીડિયો શેર કર્યો છે. જેમાં કહ્યું કે “મારા માટે જીવનનો એક ઉદ્દેશ હતો કે ભારત માટે રમવું. મને આ ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં સફળતા મળી. જેની માટે હું અનેક લોકોનો આભારી છું. ધવને સૌ પ્રથમ પોતાના પરિવાર, પછી બાળપણના કોચ જેમનું નિધન થઇ ચૂક્યું છે તે તારક સિંહાનો પણ આભાર માન્યો. તેમણે મદન શર્મા પાસેથી ક્રિકેટની ટેકનિક શીખવા બદલ તેમનો પણ આભાર માન્યો. “

હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું…

શિખર ધવને કહ્યું, “કે જીવનની વાર્તામાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે, હવે હું પણ તે જ કરવા જઈ રહ્યો છું. મેં પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મને મારા દેશ માટે આટલી બધી મેચ રમવાનું સૌભાગ્ય મળ્યું તે માટે હું BCCI અને પ્રશંસકોનો પણ આભાર માનું છું.

ધવને વધુમાં કહ્યું હતું કે તેને જરાય દુઃખ નથી કે તે હવે પોતાના દેશ માટે નહિ રમી શકે. તેના બદલે હું ખુશી અને ગર્વ અનુભવું છું કે તેને આટલા લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

શિખર ધવને છેલ્લે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે વનડે મેચ રમીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કમનસીબે, ધવન તેની છેલ્લી ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો કારણ કે તેણે 8 બોલમાં માત્ર 3 રન બનાવ્યા હતા. આ એ જ મેચ હતી જેમાં ઇશાન કિશને 131 બોલમાં 210 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. ભારતે તે મેચ 227 રનથી જીતી લીધી હતી.

August 16, 2024
NFA-logo.png
1min555

ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. આ વખતે ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી કેટેગરી) જાહેર કરાઈ છે. આ સિવાય કચ્છ એક્સપ્રેસના માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને કોસ્ચ્યુમ ડિઝાઈનર નિકી જોશીને પણ નેશનલ એવોર્ડની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે, પહેલી જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.

ફીચર કેટેગરીઝ
બેસ્ટ ફીચર ફિલ્મ – અટ્ટમ (મલયાલમ)
શ્રેષ્ઠ અભિનેતા – રિષભ શેટ્ટી, કાંતારા
શ્રેષ્ઠ અભિનેત્રી – માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ), નિત્યા મેનન (તિરુચિત્રાબલમ- તમિળ ફિલ્મ)
શ્રેષ્ઠ દિગ્દર્શક – સૂરજ બડજાત્યા, ઊંચાઈ
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – નીના ગુપ્તા, ઊંચાઈ
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – પવન મલ્હોત્રા, ફૌજા
શ્રેષ્ઠ મનોરંજક ફીચર ફિલ્મ – કાંતારા
બેસ્ટ ડેબ્યુ – ફૌજા, પ્રમોદ કુમાર
શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ – કાર્તિકેય 2
શ્રેષ્ઠ તમિલ ફિલ્મ – પોન્નિયિન સેલવાન – ભાગ 1
શ્રેષ્ઠ પંજાબી ફિલ્મ – બાગી દી ધી
શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ – દમન
શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ – સાઉદી વેલાક્કા
શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ – વાલવી
શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ – KGF: ચેપ્ટર 2
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – ગુલમોહર
સર્વશ્રેષ્ઠ તિવા ફિલ્મ – સિકાઈસલ
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ – કાબેરી અંતર્ધાન
શ્રેષ્ઠ આસામી ફિલ્મ – ઈમુથી પુથી
સ્પેશિયલ મેન્શન- ‘ગુલમહોર’માં મનોજ બાજપેયી અને ‘કાલીખાન’ માટે સંજય સલીલ ચૌધરી
શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન – KGF: ચેપ્ટર 2
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી – તિરુચિત્રાબલમ (તમિલ ફિલ્મ)
શ્રેષ્ઠ ગીતો – ફૌજા
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક – પ્રીતમ (ગીત), એ. આર. રહેમાન (બેકગ્રાઉન્ડ સ્કોર)
શ્રેષ્ઠ મેકઅપ – અપરાજિતો (બંગાળી ફિલ્મ)
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર- નિકી જોશી, કચ્છ એક્સપ્રેસ
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – અપરાજિતો
શ્રેષ્ઠ સંપાદન – અટ્ટમ
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – પોન્નિયિન સેલવાન, ભાગ- 1
શ્રેષ્ઠ પટકથા – અટ્ટમ
શ્રેષ્ઠ સંવાદો – ગુલમોહર
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – પોન્નિયિન સેલવાન, ભાગ-1
શ્રેષ્ઠ પ્લેબેક (મેલ) – બ્રહ્માસ્ત્ર, અરિજિત સિંહ
શ્રેષ્ઠ પ્લેબેક (ફિમેલ)- સાઉદી વેલાક્કા, બોમ્બે જયશ્રી
શ્રેષ્ઠ બાળ કલાકાર – મલ્લિકાપુરમમાં શ્રીપથ
શ્રેષ્ઠ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ) – બ્રહ્માસ્ત્ર
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી)- કચ્છ એક્સપ્રેસ
ફિલ્મ લેખન
શ્રેષ્ઠ વિવેચક – દીપક દુઆ
સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક – કિશોર કુમાર: ધ અલ્ટીમેટ બાયોગ્રાફી
નોન-ફીચર કેટેગરીઝ
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – આયના
સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ – મધ્યાંતરા
શ્રેષ્ઠ જીવનચરિત્ર/ઐતિહાસિક/સંકલન ફિલ્મ – આંખી એક મોહેંજો દરો
શ્રેષ્ઠ કલા/સંસ્કૃતિ ફિલ્મ – રંગ વિભોગા/વર્ષા
શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ – મોનો નો અવેર
શ્રેષ્ઠ નેરેટર – મર્મર્સ ઓફ ધ જંગલ
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન – ફુરસત
શ્રેષ્ઠ સંપાદન – મધ્યાંતરા
શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન – યાન
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – મોનો નો અવેર
શ્રેષ્ઠ ડિરેક્શન – ફ્રોમ ધ શેડો
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ – ઝુન્યોટા
શ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મ – ધ કોકોનટ ટ્રી
સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ – ઓન ધ બ્રિંક સિઝન 2 – ઘડિયાલ
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી – મર્મર્સ ઓફ ધ જંગલ

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ (સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી) તરીકે જાહેર કરવામાં આવી છે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.

August 16, 2024
election_voting.jpg
1min300

ભારતના ચૂંટણી પંચે 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા માંડ્યો છે. ECIએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં 2014 પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કર્યા પછી અહીં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 4 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે

હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે, જેમાં જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો છે. PoK માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નહીં. જ્યારે લદ્દાખ અલગ જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભા નથી. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 બેઠકો છે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. હરિયાણામાં એક તબક્કામાં પહેલી ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 4 ઑક્ટોબરે પરિણામો જાહેર કરવામાં આવશે .

August 16, 2024
ima-strike.png
1min272

કલકત્તાની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી હત્યા કરવામાં આવતાં 40થી વધુ લોકોના ટોળાએ હોસ્પિટલ-કોલેજમાં ઘૂસીને ઈમરજન્સી વોર્ડ, નર્સિંગ યુનિટ અને મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી હતું. જેને લઈને ઈન્ડિયન મેડિકલ એસોશિયને (IMA) ગઈ કાલે (15 ઓગસ્ટે) જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘આવતી કાલે (17 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સમગ્ર દેશમાં 24 કલાક માટે નોન-ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવશે.’ બીજી તરફ, આ સિવાય અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

કઈ કઈ સેવાઓ બંધ રાખવામાં આવશે

IMAએ કહ્યું છે કે, ‘આવશ્યક સેવાઓ શરુ રાખવામાં આવશે અને ઈમરજન્સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે.’ IMAએ જણાવ્યું હતું કે, ‘બાહ્ય રોગ વિભાગમાં (OPD) સેવાઓ બંધ રહેશે અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આચરવામાં આવેલા દુષ્કર્મ અને સ્વતંત્રતા દિવસની (બુધવારની રાત્રે) પૂર્વસંધ્યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે ભારતીય મેડિકલ એસોસિએશને આવતી કાલે (17 ઓગસ્ટ) હડતાળનું આહ્વાન કર્યું છે. જેમાં 17મી ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્ટરો 18 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.’

IMAએ હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી

IMAએ કહ્યું છે કે, ‘ડોકટરો, ખાસ કરીને સ્ત્રીઓ, તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે. હોસ્પિટલ અને પરિસરમાં ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અધિકારીઓનું કામ છે. IMAએ પણ કલકત્તાની હોસ્પિટલમાં તોડફોડની નિંદા કરી છે.’

August 15, 2024
SBI.jpg
1min339

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો આજે ગુરુવાર, 15 ઓગસ્ટ, 2024થી લાગુ થઇ ગયા છે.

MCLRએ રેટ છે જેની નીચે બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. જેને કારણે પહેલેથી મોંઘવારી વચ્ચે પીસાતા લોકોને ફટકો પડ્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓવરનાઈટ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. છ મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. બે વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને ત્રણ વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.

સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI તરફથી સતત ઝટકા મળી રહ્યા છે. જૂન 2024 થી બેંકે તેના વ્યાજ દરોમાં કુલ ત્રણ વખત વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમુક મુદત માટેના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલી MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

એસબીઆઈ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના MCLR માં વધારો કર્યો હતો. કેનેરા બેંકે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ સિવાય યુકો બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવ્યા છે.

August 14, 2024
dengue-vaccine-india.png
1min310

આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.

ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ અજમાયશમાં પ્રથમ સહભાગીને બુધવારે પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રોહતક ખાતે રસી આપવામાં આવી હતી.

યુનિયન હેલ્થ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૯ સાઇટ્સ પર હાથ ધરવામાં આવશે, જેમાં ૧૦૩૩૫થી વધુ સ્વસ્થ પુખ્ત સહભાગીઓ સામેલ છે.
તેમણે કહ્યું કે આઇસીએમઆર અને પેનેશિયા બાયોટેક વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર આપણા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે એક પગલું ભરી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.

હાલમાં, ભારતમાં ડેન્ગ્યુ સામે કોઈ એન્ટિવાયરલ સારવાર અથવા લાઇસન્સ પ્રાપ્ત રસી નથી. અસરકારક રસીનો વિકાસ ચારેય સીરોટાઇપ માટે સારી અસરકારકતા હાંસલ કરવાની જરૂરિયાતને કારણે જટિલ છે.
ભારતમાં, ડેન્ગ્યુ વાયરસના તમામ ચાર સીરોટાઇપ ઘણા પ્રદેશોમાં ફરતા અથવા સહ-પ્રસાર માટે જાણીતા છે, તેવું મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય રસીના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ ૨૦૧૮-૧૯માં પૂર્ણ થયા હતા, જેનાથી આશાસ્પદ પરિણામો મળ્યા હતા.