નૉટબંધી બાદ નોટિસો મોકલવાય છતાં રિટર્ન ફાઇલ ન કરનારા 80,000 કેસોનો કર વિભાગના અધિકારીઓ પીછો કરી રહ્યા છે.
પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં આઇટી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કરતી વખતે સીબીડીટીના ચેરમેન સુશીલચન્દ્રએ જણાવ્યું હતું કે એવા 80,00,000 લોકો પણ શોધી કાઢયા છે, જેમણે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન રિટર્ન ફાઇલ કર્યા હતા, પણ નૉટબંધી પછી રિટર્ન ફાઇલ નથી કર્યા.

એમણે વધુમાં જણાવ્યું હતું કે 2016માં કરવામાં આવેલી નૉટબંધીએ ખરેખર કરદાતાઓની સંખ્યામાં વધારો કરવામાં અને દેશની સીધા કરની આવક વધારવામાં ઘણી મદદ કરી છે.
જો તમે ગયા વર્ષનું સીધા કરનું કોન્ટ્રીબ્યુશન જુઓ તો એ 52 ટકા હતું અને આડકતરા કરનું 48 ટકા હતું. આવું ઘણાં વરસો બાદ થયું છે, જ્યારે સીધો કર આડકતરા કર કરતા વધારે આવ્યો હોય.
તમે જો એમ જાણવા માગતા હો કે નૉટબંધીનો લાભ શો થયો, તો એનો જવાબ એમ છે કે એને કારણે બધા નાણાં હવે બૅંકમાં જમા થયા છે અને એને રિટર્ન સાથે સરખાવીને સરળતાથી જાણી શકાય છે કે કોણે કર નહોતો ભર્યો.
નૉટબંધી બાદ અમારા વિભાગે ત્રણ લાખ લોકોને રિટર્ન ભરવા માટે એસએમએસ અને ઇમેઇલ દ્વારા નોટિસો મોકલાવી હતી, એમાંથી અંદાજે સવાબે લાખ લોકોએ રિટર્ન દાખલ કર્યા હતા, પણ 80 હજાર લોકોએ હજુ કર્યા નથી અને અમારો વિભાગ એમની પાછળ પડયો છે તથા ટૂંક સમયમાં અમે એનું અસેસમેન્ટ કરીને આગળ પગલાં લઇશું.





















