દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ
નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.
રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.
દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.