CIA ALERT

ઇન્ડીયા Archives - Page 186 of 217 - CIA Live

May 11, 2019
jkhighway.jpg
1min9830

રામબન જિલ્લામાં ભેખડો ધસી પડવાની નવેસરથી બનેલી ઘટનાને પગલે 3000 કરતા પણ વધારે વાહનો અટવાઈ ગયા હોવા વચ્ચે શુક્રવારે સતત બીજે દિવસે પણ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હાઈવેસ્થિત ડિગડોલ વિસ્તારમાં કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નવેસરથી ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને પગલે હાઈવે સતત બીજે દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી, એમ તેમણે કહ્યું હતું.

ભેખડો ધસી પડવાને કારણે 2500 જેટલાં ભારે વાહનો તો 500 જેટલા હળવાં વાહનો હાઈવેના જુદા જુદા ભાગમાં અટવાઈ ગયા હતા.

કાટમાળ ખસેડવાના કામ માટે માણસો અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 10, 2019
ayodhya.jpg
1min6380

સર્વોચ્ચ અદાલતે અયોધ્યાના રામ જન્મભૂમિ – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી કરીને સુલેહસંપવાળો ઉકેલ શોધવા માટે રચેલી 3 સભ્યની સમિતિએ તાજેતરમાં પોતાનો વચગાળાનો અહેવાલ બંધ કવરમાં સુપરત કર્યો તે પછી આ અદાલત શુક્રવારે કેસની સુનાવણી કરવાની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીને છઠ્ઠી મેએ બંધ કવરમાં વચગાળાનો અહેવાલ સુપરત કરાયો હતો અને આ કેસની સુનાવણી શુક્રવારે રખાઇ છે.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે અયોધ્યા વિવાદનો સુલેહસંપવાળો ઉકેલ લાવવા માટે 3 સભ્યની બનેલી સમિતિ રચી હતી.

મધ્યસ્થીની સમિતિમાં સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ. એમ. આઇ. કલિફુલ્લા, આધ્યાત્મિક ધર્મગુરુ અને આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે.

કેસની સુનાવણી કરતી પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચમાં રંજન ગોગોઇ, એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આ કેસ મધ્યસ્થીઓને સોંપ્યો તે પછી સૌપ્રથમ વખત સુનાવણી કરવાની છે.

સર્વોચ્ચ અદાલતે મધ્યસ્થીઓની સમિતિને બંધબારણે કાર્યવાહી હાથ ધરીને આઠ અઠવાડિયાંમાં પોતાની કામગીરી પૂરી કરવાનો હુકમ કર્યો હતો.

નિર્મોહી અખાડા સિવાયના હિંદુ સંગઠનોએ મધ્યસ્થીઓની સમિતિ રચવાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ તેને આવકાર આપ્યો હતો.

હિંદુ સંગઠનોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં અગાઉ પણ નિષ્ફળતા મળી હોવાથી ફરી તે પ્રક્રિયા શરૂ કરવાનો અર્થ નથી.

May 10, 2019
cancel-1280x960.jpg
1min8310

ઘર ખરીદનારાઓએ ગયા નાણાકીય વર્ષમાં ફ્લેટ બૂક કરાવીને પછી રદ કર્યો હોય તો બિલ્ડરોએ તેના પર વસૂલેલો જીએસટી રિફંડ કરવો પડશે અને તેને આ પ્રકારના રિફંડ માટે ક્રેડિટ એડજસ્ટમેન્ટની છૂટ પણ મળશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને રહેણાક એકમો પર પાંચ ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પર એક ટકા જીએસટી પહેલી એપ્રિલ 2019થી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર વસૂલવાની છૂટ મળે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા આ પ્રકારની ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોને આઇટીસી સાથે 12 ટકાનો ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વસૂલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમા એફોર્ડેબલ હાઉસિંગ માટે આઇટીસી સાથે આઠ ટકા અથવા તો આઇટીસી વગર એક ટકાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ખરીદનાર દ્વારા ડેવલપરને ક્રેડિટ નોંધ સેક્શન 34ની જોગવાઈ મુજબ ભાવફેરના સંદર્ભમાં કે બુક કરવામાં આવેલા ફ્લેટનો સોદો કેન્સલ થાય ત્યારે ઉપરોક્ત જોગવાઇઓ લાગુ પડશે.

ડેવલપર આ પ્રકારની ક્રેડિટ નોટની રકમ પર ચૂકવેલા વેરા અંગે ટેક્સ એડજસ્ટમેન્ટને પાત્ર બનશે. જેમકે કોઇ ડેવલપરે ₹1.20 લાખ પર 12 ટકાના દરે વેરો ચૂકવ્યો હોય અને તેની કુલ બૂકિંગ રકમ પહેલી એપ્રિલ 2019 પહેલા દસ લાખ રૂપિયા હોય તથા બુકિંગ પહેલી એપ્રિલ 2019 પૂર્વે કે પહેલાં રદ થાય તો તેને જીએસટીની ₹1.20 લાખની જવાબદારી સામે ટેક્સ એડ્જસ્ટમેન્ટનો અધિકાર મળશે.

એક્સપર્ટસ કહે છે કે ઉપરોક્ત ગાઇડલાઇન્સને કારણે ડેવલપરને કરબોજો ઘટાડવામાં મદદ મળશે, જે તેણે ઘણી વખત જૂનાં બૂકિંગ રદ થવાની સ્થિતિમાં વેઠવો પડે છે.

એક વખત રિયલ એસ્ટેટ ડેવલપર હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર જૂની જીએસટી કર પદ્ધતિ પસંદ કરે અથવા તો નવી પસંદ કરે તે પણ તે જ્યુરિસડિક્શનલ કમિશનર પાસે મેન્યુઅલી કરાવી શકશે. જોકે તેને તેમાં સુધારો કરવાની છૂટ નહીં મળે.

ડેવલપરો સામાન્ય રીતે જેને ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) તરીકે જાણે છે તેમાં જમીનની ખરીદીના સંદર્ભમાં એફએક્યુએ જણાવ્યું હતું કે તેમાં પહેલી એપ્રિલ 2019 પછીના કરારો પર જીએસટી લાગુ નહીં પડે. જોકે, ટીડીઆર કરાર પહેલી એપ્રિલ 2019 પૂર્વે કરવામાં આવ્યો હોય તો ડેવલપર ચૂકવાયેલા જીએસટી પર ક્રેડિટ ક્લેમ ન કરી શકે. જીએસટી રેજિમમાં ટીડીઆર પર 18 ટકાના દરે વેરો લાગે છે.

May 10, 2019
mahagathbandhan.jpg
1min5450

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના હવે અંતિમ બે તબક્કા બાકી છે એવામાં જો ચૂંટણીના પરિણામો બાદ ભાજપને બહુમત માટે જરૂરી આંકડો ન મળે તો કેવી રીતે સરકાર બનાવવાનો દાવો રચી શકે આ માટે વિપક્ષી દળોએ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. લોકસભાની 2019ની ચૂંટણીમાં ઘણા બધા વિપક્ષી દળો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. એવામાં રાજકીય પાર્ટીઓ વચ્ચે થઈ રહેલી મીટિંગ સૂચવે છે કે તેઓ એકબીજા સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

May 6, 2019
aksaytrititya.jpg
1min15520

તા.7મી મે 2019ને મંગળવારે ભારતીય સંસ્કૃતિ મુજબ જે દિવસે 24 કલાક સારા મુર્હુત આવે છે એ અખાત્રીજ-અક્ષય તૃતીયાના દિવસને લગ્નાદિ કાર્યો માટે વિશેષ વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.

 

તા.૭ મે અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો આ દિવસે યોજાશે.

તેમાં પણ આ દિવસે ગોચરમાં મેષ રાશિમાં બુધાદિત્ય યોગ, ઉદિત લક્ષ્મી યોગ છે, જે થોડી મિનિટો માટે જ છે, પરંતુ સાંજે ૪.૨૭ મિનિટે રાજયોગનો પણ પ્રારંભ થાય છે.

તા.૭મી મેના રોજ ‘અક્ષય તૃતીયા’ની પુણ્ય અને પવિત્ર તિથિ આવે છે. અક્ષય તૃતીયાનાં દિવસે ગોચરમાં પણ કેટલાંક પવિત્ર અને શુભકર્તા યોગ થઈ રહ્યાં છે. જે અંતર્ગત સવારે ૬.૦૩થી ૬.૫૩ સુધી એટલે કે ૫૦ મિનિટ સુધી લક્ષ્મી યોગ છે અને મેષ રાશિમાં ઉચ્ચના સૂર્યની સાથે બુધ રહેતાં ‘બુધાદિત્ય યોગ’નો પણ સંયોગ થઈ રહ્યો છે.

તૃતીયા તિથિ, મંગળવાર અને સાંજે ૪.૨૭ મિનિટથી મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થતાં જ ‘રાજયોગ’નો પણ પ્રારંભ થાય છે, જે સોનામાં સુગંધની જેમ ઉમેરાય છે. એકંદરે, ઉપરોક્ત તમામ યોગો સાથેની આ અક્ષય તૃતીયા ખૂબ જ ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને આ દિવસ દાન-પુણ્ય, જપ-તપ અને લગ્નાદિ માંગલિક કાર્યો માટે પણ ઉત્તમ બની રહેશે.

સામાન્ય રીતે આ દિવસે નવા કાર્યોનો પ્રારંભ, લગ્ન માટે તો ઉત્તમ છે જ. તે ઉપરાંત, આગામી સમયગાળામાં જેઓનાં લગ્ન થવાનાં છે, તેઓનાં માટે લગ્નસરાની ખરીદી, સોનું-ચાંદી વગેરે ખરીદી માટે પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને શુકન માટે પણ શ્રદ્ધાળુઓ આ દિવસે સોનાં-ચાંદીની ખરીદી કરે તો પણ તે ઉત્તમ ફળદાયી બની રહે છે.

સૂર્યોદયથી ૫૦ મિનિટ દરમિયાન લક્ષ્મી યોગ દરમિયાન ‘ઓમ્ હ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:’ મંત્રનો જાપ ઉત્તમ ફળદાયી બની રહેશે. જ્યારે સાંજે ૪.૨૭ બાદ થતો રાજયોગનો વિશિષ્ટ સંયોગ ઉત્તમ બળ પૂરું પાડનારો બની રહેશે.

વિદ્યાકીય સફળતા માટે તથા રાજકીય પ્રગતિ માટે જે વિશિષ્ટ કાર્ય કરવો હોય તેઓ માટે પણ આ અક્ષય-તૃતીયા ખૂબ જ શુભ ફળદાયી બની રહેશે. જેમકે, આ દિવસે સૂર્યનારાયણની ઉપાસના કરીને, વિશિષ્ટ અર્ઘ્ય પ્રદાન કરીને વિદ્યાકીય કાર્ય અને રાજકીય કાર્યનો પ્રારંભ કરવો ઉત્તમ ફળદાયી બની રહેશે. ખાસ કરીને ‘આદિત્યહૃદય સ્તોત્ર’નું પઠન પણ આ દિવસે કરી શકાય છે.

May 6, 2019
cbse1.jpg
1min4830

CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને આજે લોકોને ચોંકાવી દીધા. આ વખતે કુલ 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવીને 13 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ક્ષેત્ર અનુસાર પરિણામ મુજબ ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર રીજન (95.89%) અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને ત્રીજા સ્થાને રહ્યા.

આ વખતે CBSEના ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 498 ગુણ સાથે 25 વિદ્યાર્થીઓ અને ત્રીજા સ્થાને 58 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં 13 પૈકી 6 વિદ્યાર્થિનીઓ અને 7 વિદ્યાર્થીઓ છે. CBSEના ધોરણ 10ના પરિણામમાં આ વખતે કુલ 91.1% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

May 6, 2019
voting.jpg
1min5790

લોકસભાની ૫૧ બેઠક માટે પાંચમા તબક્કાનું મતદાન આજે સોમવારે સવારે 7 વાગ્યાથી શરુ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ જગ્યાઓ પરથી એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયાના અહેવાલો મળ્યા છે.

આજે યોજાઇ રહેલા મતદાનમાં સ્ટાર ઉમેદવારોમાં રાહુલ ગાંધી, રાજનાથસિંહ, રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.

સાત રાજ્યોમાં ૫૧ બેઠક માટે કુલ ૬૭૪ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું છે. મોટાભાગની બેઠકો હિંદી બોલતા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની છે. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે આમાંની મોટાભાગની બેઠકો જીતી હતી.

પાંચમા તબક્કાની ચૂંટણી માટે પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મતદાન થવાનું છે. પાંચમા તબક્કાની ચૂંટણી વખતે સૌનું ધ્યાન ખાસ તો ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલીની બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની ટક્કર પર રહેશે. પાંચમા તબક્કામાં

૫૧ બેઠકનું વિભાજન આ પ્રમાણે છે –

બિહાર (પાંચ બેઠક),

જમ્મુ અને કાશ્મીર (બે બેઠક),

ઝારખંડ (ચાર બેઠક),

મધ્ય પ્રદેશ (સાત બેઠક),

રાજસ્થાન (૧૨ બેઠક),

ઉત્તર પ્રદેશ (૧૪ બેઠક) અને

પશ્ચિમ બંગાળ (સાત બેઠક).

આ માટેની મતગણતરી ૨૩મી મેને દિવસે કરવામાં આવશે.

કૉંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં ભાજપના સ્ટાર ઉમેદવાર તથા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સખત ટક્કર આપવાનો અંદાજ તથા કૉંગ્રેસ માટે અને ખાસ કરીને રાહુલ ગાંધી માટે કપરા ચઢાણ હોવાનું, પણ રાયબરેલીમાં સરળતાથી જીત મેળવી શકવાનો અંદાજ જાહેર કરાયો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ સામે સ્મૃતિએ લીધેલી ટક્કરમાં રાહુલની જીતનું માર્જિન માંડ એક લાખની આસપાસ પહોંચ્યું હતું. આ વખતે એમાં શો ફેરફાર થાય છે એ પર સૌની નજર રહેશે.

રાજસ્થાનની ૧૨ લોકસભા બેઠક માટે ૧૩૪ ઉમેદવાર મેદાનમાં ઊતર્યા છે.

ઝારખંડની લોકસભાની ચાર બેઠક માટે ૬૧ ઉમેદવારે નામ નોંધાવ્યા છે અને રાજ્યના ૬૫ લાખ મતદારો એમના ભાગ્યનો ફેંસલો સોમવારે કરશે.

બિહારની પાંચ લોકસભાની બેઠક માટે ૮૨ ઉમેદવારે નામ નોંધાવ્યા છે. આ પાંચમાંથી હાજીપુર અને સારનની બેઠક અનુક્રમે રામવિલાસ પાસવાન અને લાલુપ્રસાદ યાદવના ગઢ ગણાય છે. આ પાંચ બેઠક માટે ૮૭.૫૦ લાખ મતદારો ૮૨ ઉમેદવારના ભાગ્યનો ફેંસલો કરશે.

May 6, 2019
NEET-1.png
1min6520

હમ્પી એક્સપ્રેસ મોડી પડવાથી અને અગાઉથી માહિતી આપ્યા વિના પરીક્ષા કેન્દ્ર બદલાઇ જવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ‘નીટ’ની પરીક્ષા આપવામાં અસફળ રહ્યા હતા. પરીક્ષા કેન્દ્રમાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ આમતેમ નાસભાગ કરતા જોવા મળ્યા હતા.

બેંગલુરુમાં ‘નીટ’ પરીક્ષામાં ફેલાયેલી અંધાધૂંધીની વચ્ચે કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ વિદ્યાર્થી અને તેમના માતાપિતા સાથે જોડાયા હતા અને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાનું ચૂકી ગયા તેમની માટે સ્પેશિયલ પરીક્ષાનો બંદોબસ્ત કરવા માગણી કરી હતી.

ટ્વિટર પર મૂકેલા એક સંદેશામાં તેમણે જણાવ્યું હતું કે હમ્પી એક્સપ્રેસ સાત કલાક મોડી પડવાથી ઉત્તર કર્ણાટકના સેંકડો વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયા હતા. કુમારસ્વામીએ વડા પ્રધાન મોદી, રેલવે પ્રધાન પીયૂષ

ગોયલ અને માનવ સંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરને મધ્યસ્થી કરવા અને જે વિદ્યાર્થીઓ ટ્રેન મોડી પડવાને કારણે પરીક્ષા ચૂકી ગયા હતા તેમને આ પરીક્ષામાં બેસવા બીજી તક આપવા જણાવ્યું હતું.

May 4, 2019
mumbai_monsoon.jpg
1min7970

ચોમાસામાં દરિયામાં મોટી ભરતી હોય અને તે દિવસે મુશળધાર વરસાદ પડયો તો મુંબઈમાં પાણી ભરાઈ જતાં હોય છે. તો હવે ભરતીની સાથે જ નીપ ટાઈડ મુંબઈ માટે જોખમી બનતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં 28 દિવસ મોટી ભરતી તો 12 દિવસ નીપ ટાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. જેમાં સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બર 2019ના રોજ છે, તે દિવસે દરિયામાં 4.91 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

12 દિવસ નીપ ટાઈડ

દરિયામાં 28 દિવસ મોટી ભરતી અને 12 દિવસ નીપ ટાઈડ છે. જયારે દરિયામાં મોટી ભરતી પણ ના હોય અને દરિયામાં ઓટ પણના હોય તેને નીપ ટાઈડ કહેવાય છે. જૂન મહિનામાં 25, 26, 27ના જુલાઈ મહિનામાં 25, 26, 27 તો 24 અને 25 ઑગસ્ટના, સપ્ટેમ્બર મહિનામાં 7, 8, 22 અને 23 સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા એક કલાકના 50 મિલીમીટર પાણીનું વહન કરવાની છે. જોકે મોટી ભરતી હોય ત્યારે દરિયામાં મોજાં 4.5 મીટર ઊંચા ઉછળતા હોય છે અને આવા સમયે જો મુશળધાર વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભારોભાર શકયતા હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા આવી મોટી ભરતીની યાદી તૈયાર કરીને તે દિવસે પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવતા હોય છે.

બે વર્ષ પહેલા નીપ ટાઈડના દિવસે મુશળધાર વરસાદ પડયો હતો અને મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી તે અનુભવને ધ્યાનમાં રાખીને મોટી ભરતીની સાથે જ નીપ ટાઈડના દિવસની પણ પાલિકા યાદી તૈયાર કરવા માંડી છે અને આ દિવસો દરમિયાન પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ સહિત અન્ય સરકારી યંત્રણા પણ સતર્ક રહેતી હોય છે, જેથી જાનહાની સાથે જ વિત્તહાની ટાળી શકાય.

જૂન મહિનામાં આ વર્ષે છ દિવસ મોટી ભરતી છે, જેમાં 3 જૂનના બપોરના 12.12 વાગે 4.53 મીટર, ચાર જૂનના બપોરના 12.53 વાગે 4.64 મીટર, પાંચ જૂનના બપોરના 1.36 વાગે 4.68 મીટર, 6 જૂનના બપોરના 2.20 વાગે 4.65 મીટર, 7 જૂનના બપોરના 3.07 વાગે 4.55 મીટર અને 17 જૂનના બપોરના 12.18 વાગે દરિયામાં 4.51 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

જુલાઈ મહિનામાં સાત દિવસ મોટી ભરતી છે, જેમાં બે જુલાઈના સવારના 11.52 વાગે 4.54 મીટર, 3ના બપોરના 12.35 વાગે 4.69 મીટર, ચાર જુલાઈના બપોરના 1.20 વાગે 4.78 મીટર, પાંચ જુલાઈના બપોરના 2.06 વાગે 4.79 મીટર, છ જુલાઈના બપોરના 2.52 વાગે 4.74 મીટર, 7 જુલાઈના બપોરના 3.41 વાગે 4.60 મીટર અને 31 જુલાઈના સવારના 11.31 વાગે દરિયામાં 4.53 મીટર ઊંચા મોજાં ઉછળશે.

ઑગસ્ટ મહિનામાં આઠ દિવસ દરિયામાં મોટી ભરતી છે, તેમાં પણ સૌથી મોટી ભરતી 3 અને 31 ઑગસ્ટના બપોરના હશે એ દિવસે દરિયામાં 4.90 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે. પહેલી ઑગસ્ટના બપોરના 12.16 વાગે 4.74 મીટર, બે ઑગસ્ટના બપોરના 12.59 વાગે 4.87 મીટર, ચાર ઑગસ્ટના બપોરના 2.29 વાગે 4.83 મીટર, પાંચના બપોરના 3.14 વાગે 4.65 મીટર અને 29 ઑગસ્ટના સવારના 11.11 વાગે 4.53 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે.

સપ્ટેમ્બરમાં સાત દિવસ દરિયામાં મોટી ભરતી છે, જેમાં ચોમાસાના ચારેય મહિનાની સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બરના બપોરના 1.15 વાગે હશે. એ દિવસે દરિયામાં 4.91 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે. બે સપ્ટેમ્બરના મધરાતે 1.33 વાગે 4.67 મીટર અને બપોરના 1.58 વાગે 4.79 મીટર, 3 સપ્ટેમ્બરના મધરાતે 2.19 વાગે 4.58 મીટર અને બપોરના 2.41 વાગે 4.54 મીટર, 27 સપ્ટેમ્બરના સવારના 10.47 વાગે 4.51 મીટર, 28 સપ્ટેમ્બરના સવારના 11.27 વાગે 4.72 મીટર અને રાતના 11.48 વાગે 4.63 મીટર, 29ના બપોરના 12.07 વાગે 4.82 મીટર અને 30ના રાતના 12.34 વાગે 4.83 મીટર અને બપોરના 12.47 વાગે દરિયામાં 4.79 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે.

May 3, 2019
fani1.jpg
1min5990

ઓડિશામાં ત્રાટકનારા ફોની વાવાઝોડાથી અંદાજિત 10000 ગામ અને બાવન શહેરો પ્રભાવિત થશે. 11.5 લાખ લોકોને ખસેડવામાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા ગંજામ, ગજપતિ, ખુરદા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. પશ્ર્ચિમ બંગાળમાં ઈસ્ટ મેદિનીપુર અને વેસ્ટ મેદિનીપુર, સાઉથ 24 પરગણા, નોર્થ 24 પરગણા, હાવરા, હૂગલી, ઝારગ્રામ અને કોલકાતા શહેર પણ વાવાઝોડાથી પ્રભાવિત થશે. આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ, વિઝિનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પણ અસર થશે.

ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે 1.5 મીટર જેટલા મોજા ઊછળવાથી ઓડિશાના ગંજામ, ખુરદા, પૂરી અને જગતસિંહપુર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. એનડીઆરએફ અને એડીઆરએેએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી (એનસીએમસી)ની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય સચિવે રાજયોની તૈયારીની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ પી. કે. સિંહાએ કેન્દ્રીય મંત્રાલયોની અને સંબંધિત એજન્સીઓએ કરેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પી. કે. સિંહાએ જાહેર જનતા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન જાહેર કરી હતી. પાવર સપ્લાય નિષ્ફળ જાય તો ઝડપભેર ફરી શરૂ કરવાનો પાવર મંત્રાલયે વ્યવસ્થા કરી છે. પેયજળ અને સેનિટેશન મંત્રાલયે પીવાના પાણીની બોટલોનો જથ્થો અને ખાદ્યાન્નના તૈયાર પેકેટની વ્યવસ્થા કરી છે.

આરોગ્ય મંત્રાલયે ઇમર્જન્સી 17 મેડિકલ ટીમ અને દવાઓનો જથ્થો તૈયાર રાખ્યો છે. સાયકલોન સંબંધિત ફ્રી એસએમએસ અને વિવિધ ટેલિફોન નેટવર્કની ઈન્ટર-ઓપરેટેલિવિલિટીને તૈયાર રાખવા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને ઓર્ડરો આપ્યા હતા.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઈન્ડિયન નેવીએ જહાજો અને હેલિકૉપ્ટર્સ તૈયાર રાખ્યા છે. ત્રણ રાજયોમાં ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન ઍરફોર્સ યુનિટને ‘સ્ટેન્ડ બાય’ રાખવામાં આવ્યા છે.

બેઠકમાં આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ટોચના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. બેઠકમાં વિવિધ મંત્રાલયો, આઈએમડી, એનડીએમએ અને એડીઆરએફના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.