
વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.
વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.
ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.
ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.
વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.














