મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની પોતાની પ્રથમ લીગ મૅચમાં આર્મીના ‘બલિદાન બેજ’ ચિહ્નવાળા વિકેટકિપિંગના લીલા રંગના ગ્લવ્ઝ પહેરીને રમ્યો એ મુદ્દે ભારતના ક્રિકેટ-વહીવટકારો અને ક્રિકેટજગતનું સંચાલન કરતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે.

ધોની આ સ્પર્ધામાં હવે પછી આ નિશાનવાળા ગ્લવ્ઝ ન પહેરે એની તકેદારી રાખવાની જે વિનંતી આઇસીસીએ બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઇ)ને કરી એને ભારતની આ સર્વોચ્ચ ક્રિકેટસંસ્થાએ નકારી કાઢી છે અને ઊલટાનું એણે આઇસીસીને કહ્યું છે કે તમે ધોનીને આ ગ્લવ્ઝ પહેરવાની પરવાનગી આપો.
કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે ભારપૂર્વક કહ્યું હતું કે આ કોઈ લશ્કરી ચિહ્ન નથી એટલે ધોની એ પહેેરવાનું ચાલુ રાખશે.
જોકે, આઇસીસી આવી કોઈ પરવાનગી આપે એવી શક્યતા નથી, કારણકે નિયમ એવો છે કે વિકેટકીપિંગ માટેના ગ્લવ્ઝ પર એક જ સ્પૉન્સરનો લોગો રાખવાની છૂટ છે. ધોનીના કિસ્સામાં તેના ગ્લવ્ઝ પર એસજી લોગો અગાઉથી જ છે અને જો તેને આર્મીના નિશાનવાળો લોગો રાખવાની છૂટ અપાય તો ક્રિકેટના સાધનો સાથેના સ્પૉન્સરશિપ કરારોનો ભંગ થયો કહેવાય.
વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે સાઉધમ્પ્ટન ખાતે ભારતની પહેલી મેચમાં ધોનીના લીલા રંગના વિકેટકિપિંગના ગ્લવ્ઝ પર આર્મીનું ચિહ્ન હતું કે જે લશ્કરના પ્રતીકને મળતું આવતું હતું. ‘બલિદાન બેજ’ તરીકે ઓળખાતું એ ચિહ્ન પૅરા કમાન્ડો જ વાપરી શકે છે. ભારતીય સેનાનું ખાસ મિશન પૂરું પાડનારી યુનિટ પૅરા સ્પેશિયલ ફોર્સ (પીએસએફ) તરીકે ઓળખાય છે અને એ આ ચિહ્નનો ઉપયોગ કરે છે. 2016ની સાલમાં પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે પીએસએફના જવાનોએ સક્રિયપણે ભાગ લીધો હતો.
આઈ. સી. સી.ના નિયમો પ્રમાણે ખેલાડીઓ ધંધાદારી, ધાર્મિક અથવા લશ્કરી પ્રતીક દર્શાવી શક્તા નથી અને રાયના કહેવા પ્રમાણે ધોનીના કિસ્સામાં કોઈ ધંધાદારી કે ધાર્મિક મુદ્દો નથી જેથી ધોનીએ કોઈ નિયમભંગ કર્યો નથી.
ધોની ટેરિટોરિયલ આર્મીની પેરેશૂટ રેજિમેન્ટમાં માનદ્ લેફટનન્ટ કર્નલ છે.
એવું જાણવા મળ્યું હતું કે બીસીસીઆઇની વિનંતીને પગલે હવે આઇસીસીની ક્રિકેટ ઑપરેશન્સ ટીમ તથા વર્લ્ડ કપની ઇવેન્ટ ટેક્નિકલ કમિટી વચ્ચે ચર્ચા થશે. યોગાનુયોગ, આ બન્ને કમિટીના અધ્યક્ષસ્થાને જ્યોફ ઍલરડાઇસ છે.
ધોનીના ગ્લવ્ઝ પરનું નિશાન લશ્કરનું પ્રતીક નથી એ બીસીસીઆઇએ સાબિત કરવું પડશે. જો ઇવેન્ટ ટેક્નિકલ કમિટી એ સાબિતીથી સંતુષ્ટ થશે તો ધોનીને ફરી એ ગ્લવ્ઝ પહેરવા દેવાશે.