

આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.
અમેરિકાથી આયાત થતા બદામ, અખરોટ અને કઠોળ સહિતની 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવા માટેની મુદ્ત સતત પાછી ઠેલ્યા બાદ હવે આગામી 16 જૂનથી ટેરિફમાં વધારો અમલી કરવામાં આવશે, એમ માહિતગાર સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંદર્ભે નાણાં મંત્રાલય ટૂંક સમયમાંજ નોટિફિકેશન જારી કરશે.
સરકારના ટેરિફ વધારાના પગલાંથી આ 29 ચીજોના અમેરિકાના નિકાસકારો પર વિપરીત અસર પડશે અને આ ચીજોની આયાત મારફતે ભારતને 21.7 કરોડ ડૉલરની વધુ મહેસૂલી આવક થશે. ભારતે અમેરિકાને પ્રતિકારાત્મક ટેરિફ વધારા અંગે જાણ કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ભારતથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર અનુક્રમે 25 ટકા અને 10 ટકા જેટલાં ટેરિફના ઊંચા દર લાદવાનો નિર્ણય લીધો હતો તેના પ્રતિકારમાં ભારતે પણ અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફ વધારવાનો નિર્ણય લીધો હતો. ગત સાલ મે મહિનામા નાણાં મંત્રાલયે અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવાની મુદ્ત 16 જૂન સુધી લંબાવી હતી, પરંતુ ત્યાર બાદ જૂન 2018 પછીથી ઘણી વખત આ મુદ્દત લંબાવવામાં આવી હતી.
અમેરિકાથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ટેરિફ વધારવાનું નોટિફાઈ કરવામાં આવ્યું હતું. જેમાં અખરોટ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 120 ટકા, વટાણા, ચણા અને મસૂર દાળ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 70 ટકા અને મસૂર પરની ટેરિફ વધારીને 40 ટકા કરવાનો સમાવેશ થતો હતો.
ગત નાણાકીય વર્ષ 2017-18માં ભારતની અમેરિકા ખાતે નિકાસ 47.9 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આયાત 26.7 અબજ ડૉલરના સ્તરે રહેતાં વેપારી તુલા ભારતની તરફેણમાં રહી હતી.
ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.
હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.
ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.
કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.
પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.
રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.
અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.
દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.
જયેશ બ્રહ્મભટ્ટ
ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.
પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.
આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

ફોબર્સ મેગેઝીને જારી કરેલી વિશ્ર્વની 2000 સૌથી મોટી પબ્લિક કંપનીઓની યાદીમાં ભારતની 57 કંપનીને સ્થાન મળ્યું છે. આ યાદીમાં 61 દેશ આવરી લેવામાં આવ્યાં છે અને તેમાં 575 કંપની સાથે અમેરિકા ટોચ પર છે.
ચીન અને હોંગકોંગ તથા જાપાન અનુક્રમે 309 કંપની અને 223 કંપની સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. એકંદર યાદીમાં સતત સાતમાં વર્ષે ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઇસીબીસી) ટોચના સ્થાને રહી છે.
ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં રોયલ ડચ શેલ કંપની ટોચ પર છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ક્રમ 11મો આવ્યો છે. જ્યારે એકંદર યાદીમાં આ કંપનીએ 71મું સ્થાન મેળવ્યું છે.

એ જ રીતે, ક્ધઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓની વૈશ્ર્વિક યાદીમાં અમેરિકન એક્સપ્રેસ ટોચ પર છે, જ્યારે ભારતની એચડીએફસી આ યાદીમાં સાતમા સ્થાને છે. એકંદર યાદીમાં આ કંપનીનું સ્થાન 332મું છે.
ભારતીય કંપનીઓમાં માત્ર રિલાયન્સે ટોચની 200 કંપનીમા સ્થાન મેળવ્યું છે, જ્યારે એચડીએફસી બેન્ક 209મા, ઓએનજીસી 220મા, ઇન્ડિયન ઓઇલ 228મા સ્થાને છે.
ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, એસબીઆઇ અને એનટીપીસીએ પણ ટોપ-500માં સ્થાન મેળવ્યું છે. ભારતની અન્ય કંપનીઓમાં ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્ર બેન્ક, ભારત પેટ્રો, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇટીસી, ભારતી એરટેલ, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, હિન્દાલ્કો, એચસીએલ ટેકનો, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ગેઇલ વગેરેનો સમાવેશ હતો.
પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.
ભારત પાસે પોતાનું ઍર સ્પેસ સ્ટેશન અવકાશમાં સ્થાપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત ઇસરોના પ્રમુખ કે સિવાને જાહેર કરી હતી.
એમના કહેવા પ્રમાણે આ રીતે ભારત વધુ માનવોને અવકાશમાં મોકલી શકશે. આ વિશે એમણે આપેલી રસપ્રદ માહિતીમાં જણાવ્યું હતું કે અમે ગગનયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. લાંબા ગાળાની યોજના પ્રમાણે અમે ભારતનું અલાયદુ ઍર સ્પેસ સ્ટેશન બનાવીશું. ભારત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે નહીં જોડાય.
અમે ચન્દ્ર અને ધૂમકેતુ પર માનવ મોકલવાના આંતરરાષ્ટ્રીય મિશનમાં સહભાગી થઇશું. સ્પેસ પ્રોગ્રામ માટે અમારી પાસે સ્પષ્ટ યોજના છે. આપણું સ્પેસ સ્ટેશન ઘણું નાનું હશે. અમે નાનકડું મોડ્યુલ મોકલીશું અને એનો ઉપયોગ માઇક્રોગ્રેવિટી પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. આપણા સ્પેસ સ્ટેશનનું વજન વીસ ટન જેટલું હશે.
જોકે, એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે સ્પેસ સ્ટેશન બનાવીને તેઓ સ્પેસ પર્યટન શરૂ કરવા નથી માગતા. ગગનયાન મિશન બાદ 2022 સુધીમાં તેઓ સરકારને મંજૂરી માટે અરજી મોકલશે તથા આ યોજના પૂર્ણ થતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે.
છેલ્લા 11 વર્ષમાં રૂ. 2.05 લાખ કરોડની રકમના લગભગ 50 હજારથી વધુ કૌભાંડ થયા છે. સૌથી વધુ કૌભાંડના કેસ સ્ટેટ બૅંક, એચડીએફસી બૅંક અને આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે, એમ રિઝર્વ બૅંકના આંકડામાં જણાવાયું છે. 2008-09થી 2018-19 દરમિયાન 53334 કૌભાંડના કેસ નોંધાયા છે. તે પૈકી 6811 કેસ આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે જેમાં રૂ. 5033.81 કરોડના કૌભાંડ થયા છે.
સ્ટેટ બૅંકમાં રૂ. 23734.74 કરોડના 6793 કૌભાંડના કેસ છે. એચડીએફસી બૅંકમાં રૂ. 1200.79 કરોડના કૌભાંડ થયા છે.
આરટીઆઈ દ્વારા કરાયેલ અરજીના સંદર્ભમાં રિઝર્વ બૅંકે માહિતી આપી હતી. બૅંક ઑફ બરોડામાં કૌભાંડના 2160 કેસ છે જેમાં રૂ. 12962.96 કરોડની રકમ છે. પીએનબીમાં રૂ. 28700.74 કરોડના 2047 કૌભાંડ થયા છે. એક્સિસ બૅંકમાં રૂ. 5301.39 કરોડ, બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 12358.20 કરોડ, સિન્ડિકેટ બૅંકમાં રૂ. 5820.85 કરોડ, સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 9041.98 કરોડના કૌભાંડ થયા છે.
આઈડીબીઆઈ બૅંકમાં રૂ. 5978.96 કરોડના 1264 કૌભાંડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંકમાં રૂ. 1221.41 કરોડના 1263 કૌભાંડ, કેનેરા બૅંકમાં રૂ. 5113.38 કરોડના 1254 કેસ, યુનિયન બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 11830.74 કરોડના 1244 કૌભાંડ, કોટક મહિન્દ્રા બૅંકમાં રૂ. 430.46 કરોડના 1213 કેસ નોંધાયા છે. ઈન્ડિયન ઓવરસીઝ બૅંકમાં રૂ. 12644.70 કરોડ, ઓરિયેન્ટલ બૅંકમાં રૂ. 5598.23 કરોડ, યુનાઈટેડ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 3052.34 કરોડના કૌભાંડ થયા છે. ખાનગી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. ભારતમાં કાર્યરત વિદેશી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. અમેરિકન એક્સપ્રેસ બૅંકમાં રૂ. 86.21 કરોડ, સિટી બૅંકમાં રૂ. 578.09 કરોડ, એચએસબીસીમાં રૂ. 312.10 કરોડ, રોયલ બૅંક ઓફ સ્કોટલેન્ડમાં રૂ.12.69 કરોડના કૌભાંડ થયા છે. બૅંકોમાં વધી રહેલા કૌભાંડ વિશે સરકારે શ્ર્વેતપત્ર બહાર પાડવું જોઈએ, એવી માગણી કૉંગ્રેસે કરી છે.