ગૃહ પ્રધાન અમિત શાહે બે દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શુક્રવારે તેમણે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનની મુદત વધુ છ માસ લંબાવવા માટે લોકસભામાં કાનૂની ઠરાવ મુક્યો હતો. જેને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. હાલ ત્યાં રાષ્ટ્રપતિશાસન છે જે 3 જુલાઈ 2019 સુધી છે તેને વધુ છ માસ માટે લંબાવવા રજૂઆત થઈ હતી. ઠરાવ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે અભ્યાસ અને સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજવા નિર્ણય લીધો હતો તેથી 3, જુલાઈ બાદ રાષ્ટ્રપતિશાસન લંબાવવું જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલશાસન બાદ રાષ્ટ્રપતિશાસન દરમિયાન સરકાર આતંકવાદના મૂળિયાં સુધી પહોંચી શકી છે. અગાઉની ચૂંટણી વખતે રાજ્યમાં ભારે હિંસા થતી હતી. હવે આ બધું બદલાયું છે. લોકસભાની ચૂંટણી રાજ્યમાં શાંતિથી થઈ હતી.
તેમણે આ ઠરાવને પસાર કરવા વિપક્ષોને પાર્ટી લાઈન ઉપર જઈને સમર્થન આપવા વિનંતી કરી હતી. ગૃહ પ્રધાન બન્યા બાદ અમિત શાહે પ્રથમવાર આ દરખાસ્ત મૂકી છે.
રાજ્યમાંથી આતંકવાદની નાબૂદી તથા લોકશાહીને પુુન: સ્થાપિત કરવાની સરકારની ટોચની પ્રાધાન્યતા છે. રાજ્યમાં આ સમયગાળામાં કોઈવાર ચૂંટણી કરાઈ નથી. રમજાન તહેવાર, અમરનાથ યાત્રા આ સમયમાં હોય છે.
રાજ્યમાં અગાઉ રાજ્યપાલશાસન સાતવાર તથા રાષ્ટ્રપતિશાસન બે વાર લાદવામાં આવ્યું હતું. રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં છે. સરકાર 15000 બંકર નિર્ધારિત સમયગાળામાં બાંધશે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિશાસન કયા કારણસર લાદવામાં આવ્યું તેના કારણો તેમણે ગૃહમાં જણાવ્યા હતા.
અમિત શાહે જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન (સુધારિત) બિલ-2019 પણ લોકસભામાં રજૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકોને આ અનામતનો લાભ મળશે.
વિપક્ષોના અમુક સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો. જોકે, સ્પીકર ઓમ બિરલાએ માગણી નકારી કાઢી હતી.














