
જેનેરિક દવાઓના વેચાણથી સામાન્ય નાગરિકોને રૂ. 2000 કરોડનો લાભ થયો હોવાની માહિતી સરકારે લોકસભાને આપી હતી.
શૂન્યકાળ દરમિયાન રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઑથોરિટી (એનપીપીએ)એ નક્કી કરેલા ભાવે જ બધા દવા ઉત્પાદકોએ દવાઓ વેચવી પડશે, પછી એ બ્રાન્ડેડ હોય કે જેનેરિક હોય. દવાઓ પર લોકલ ટેક્સ પણ આપવાનો રહેશે.

આ પ્રસંગે એમણે 1000થી વધુ દવાઓના ભાવ નક્કી કરવા અને હૃદયરોગના દર્દીઓ માટે સારવારના દર ઘટાડવા સહિત સરકારે લીધેલા પગલાં વિશે લોકસભાને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરીયોજના હેઠળ વેચાતી જેનેરિક દવાઓ ટોપ ત્રણ બ્રાન્ડની દવાઓની સરખામણીએ સરેરાશ 50-90 ટકા ઓછા ભાવે વેચાય છે.
એમણે સાંસદોને જનઔષધી માટેની વધુ દુકાનો ખૂલે એ માટે પ્રોત્સાહન આપવાની વિનંતી કરી હતી.
પાછલા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 5028 કેન્દ્ર શરૂ કરાયા હતા.
આ યોજના હેઠળ 900 દવા અને 154 સર્જિકલ સાધનોને આવરી લેવામાં આવ્યા છે, એમાંથી જનઔષધી કેન્દ્રોમાં 714 દવા અને 53 સર્જિકલ સાધનો વેચાય છે.
યુપીએ સરકાર વખતે 2008માં રૂ. 70 હજાર કરોડની લોનમાફી બાદ પણ ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો હતો, એમ કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોતમ રૂપાલાએ જણાવ્યું હતું. લોન માફીની મોટી સ્કીમની જાહેરાત બાદ હાથ ધરાયેલ ઓડિટમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ખેડૂત નહોતા તેમને લોન માફી અપાઈ હતી.
તેમણે પ્રશ્ર્નકાળના સમયગાળામાં ગૃહમાં માહિતી આપી હતી. ખેડૂતોની આત્મહત્યાને નાથવા રાષ્ટ્રીય નીતિ લાવવા સુપ્રીમ કોર્ટે સરકારને સૂચન કર્યું છે? એવા પ્રશ્ર્નના જવાબમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના 6 જુલાઈ – 2017ના ઓર્ડરમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાને રાતોરાત ઉકેલી શકાય નહીં, યોગ્ય સ્કીમ તૈયાર કરવા સમય માગી લેે છે એવા એટર્ની જનરલના નિવેદનને કોર્ટે ન્યાયી ઠેરવ્યું હતું.
આ હેતુસર શું પગલાં અપનાવવા તે કેન્દ્ર સરકાર નક્કી કરવાનું છે. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આમ તો કૃષિ એ રાજ્યનો વિષય છે. રાજ્ય સરકાર કૃષિને લગતા વિભિન્ન કાર્યક્રમ – સ્કીમ જાહેર કરતી રહે છે. કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ સહાય પૂરી પાડે છે. કેન્દ્ર સરકાર અગાઉ ઉત્પાદનને કેન્દ્રમાં રાખીને નીતિ તૈયાર કરતી હતી, હવે આવકને કેન્દ્રિત કરીને નીતિ તૈયાર કરે છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે.
બે ઑક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતીથી 31 ઑક્ટોબર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી દરમિયાન 150 કિ.મી. લાંબી પદયાત્રા ભાજપના સાંસદોને તેમના મત વિસ્તારમાં કરવા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, એવી માહિતી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષીએ મંગળવારે આપી હતી.

ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધતા મોદીએ રાજયસભામના સભ્યોને કહ્યું હતું કે, જયાં ભાજપનું સંગઠન નબળું છે તે મત વિસ્તારની મુલાકાત લો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ધ્યાનમાં લઈને 150 કિ.મી. લાંબી પદયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. પદયાત્રાનો સમયનો નિર્ણય પક્ષે લેવાનો છે. પદયાત્રાની વિગત જણાવતાં સંસદીય બાબતોના રાજયકક્ષાના પ્રધાન અર્જુન મેઘવાલે કહ્યું હતું કે, પદયાત્રામાં ગામડાંઓ પર વધુ ધ્યાન આપવા વડા પ્રધાને સલાહ આપી છે.
તમામ મત વિસ્તારમાં 150 ગ્રુપ ઊભા કરવા સાંસદોને જણાવ્યું છે. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારની કામગીરી અને અપેક્ષા વિશે જનતાનો અભિપ્રાય મેળવવાની સાથે તેઓ પાસે ફીડબેક મેળવવાનો છે. સાંસદો ગાંધીજીના વિચારો જનતા સમક્ષ રજૂ કરશે. વૃક્ષા રોપણ, સ્વચ્છતા અને ગામડાં સંબંધી અન્ય પ્રશ્ર્નોને પણ પદયાત્રા દરમિયાન આવરી લેવાશે.
કર્ણાટકમાં અગાઉ કોંગ્રેસના 21 મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા બાદ આજે તા.8મી જુલાઇ 2019ના રોજ જેડીએસના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતા કર્ણાટકમાં રાજકીય સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે.
કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ રાજકીય સંકટ શરુ થયું હતું. જેના કારણે અમેરિકાના પ્રવાસે રહેલા કુમારસ્વામીએ તાત્કાલિક પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની માગ છે કે કુમારસ્વામી તેમને વિશ્વાસમાં લીધા વિના જ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે, અને તેમને હટાવી પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને ફરી સીએમ પદ સોંપવામાં આવે.
કોંગ્રેસના સિનિયર નેતાઓ તા.8મી જુલાઇના રોજ સાંજે સાત વાગ્યે દિલ્હીમાં કર્ણાટકની સ્થિતિ અંગે બેઠક કરી હતી પરંતુ, તે પરીણામ વિહોણી બની રહી હોવાનું જાણવા મળ્યું છે.
કર્ણાટકના સીએમે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે જલ્દીથી કેબિનેટનું રિશફલ કરવામાં આવશે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇન્ડેસીસ સેન્સેક્સમાં આજે 800 પોઇન્ટનો તોતિંગ ઘટાડો થતા શેરબજારમાં કામ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. એમા પણ છેલ્લા બે સેશનમાં જ રોકાણકારોની ₹5 લાખ કરોડની સંપત્તિનું જંગી ધોવાણ થઈ ગયો હોવાથી હવે શેરબજારની આ ચાલ અનેક લોકો માટે મરણતોલ ફટકા સમાન નિવડે એમ મનાય છે.
મુંબઈ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,476.38 અને નીચામાં 38,605.48 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 792.82 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 38,720.57 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,771.90અને નીચામાં 11,523.30 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 252.55 પોઈન્ટ્સ અથવા 2.14 ટકાના ધોવાણ સાથે 11558.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.99 ટકા અને 2.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે કેપિટલ ગૂડ્ઝ, રિયલટી, પાવર, ઓટો, બેન્ક તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
શ્રીલંકા સામેની ભારતની વર્લ્ડ કપની લીગ મૅચ દરમિયાન હેડિંગ્લીના સ્ટેડિયમ પરથી ભારત-વિરોધી બૅનર સાથેનું વિમાન ઉડવાની ઘટનાને ભારતીય ક્રિકેટ બોર્ડે ‘તદ્દન અસ્વીકાર્ય’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ બનાવથી અમને અમારા ખેલાડીઓની સલામતી વિશે ચિંતા થઈ રહી છે.

બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આ ઘટના વિશે ગંભીર નારાજગી બતાવી હતી અને આખા મામલાને વર્લ્ડ કપની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) સમક્ષ લેખિતમાં વ્યક્ત કરીને ફરી આવું કંઈ ન બને એની તકેદારી લેવા કહ્યું હતું.
વિમાન સાથે જોડવામાં આવેલા બૅનરમાં ‘કાશ્મીરમાં કત્લેઆમ બંધ કરો’ તથા ‘કાશ્મીરને ન્યાય આપો’ તેમ જ ‘કાશ્મીરને મુક્ત કરો’ એવું લખવામાં આવ્યું હતું. ભારત-વિરોધી બૅનરવાળા કુલ બે વિમાન લીડ્સ ખાતેના આ સ્ટેડિયમમાં ઉડાડવામાં આવ્યા હતા. શ્રીલંકા સામેની મૅચ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પ્રથમ બૅનરવાળું વિમાન ઉડ્યું હતું અને અડધા કલાક પછી ઉડેલા બીજા વિમાનમાં બીજું બૅનર જોડવામાં આવ્યું હતું.
મૅચની મધ્યમાં ત્રીજું વિમાન ઉડ્યું હતું જેના બૅનરમાં લખાયું હતું, ‘મૉબ લિન્ચિંગનો અંત લાવવામાં મદદ કરો’.
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને પત્રમાં લખ્યું હતું કે ‘જો મંગળવારે મૅન્ચેસ્ટર ખાતેની ભારતની સેમી ફાઇનલમાં પણ આવી ઘટના બનશે તો એ ખરેખર કમનસીબ કહેવાશે. અમારા ખેલાડીઓની સુરક્ષા અને સલામતીનો મુદ્દો સર્વોત્તમ હોવો જોઈએ
રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું નિવેદન કરવાના આરોપસર ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમનિયન સ્વામી વિરુદ્ધ છત્તીસગઢની પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.

જશપુરના કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ પવન અગરવાલની ફરિયાદને આધારે પથ્થલગાવ પોલીસ સ્ટેશનમાં શનિવારે રાતે સ્વામી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવાની વાત પોલીસે જણાવી હતી. અગરવાલે લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાહુલ કોકેઇન લે છે એવું ખોટું નિવેદન સ્વામીએ કર્યું હતું. તેઓ જાણે છે કે આવા ખોટા નિવેદનથી રાજકીય પક્ષો વચ્ચે દુશ્મની વધશે અને લોકો ભડકશે. આવા નિવેદનથી સમાજમાં શાંતિ ભંગ થાય છે. સ્વામી સામે જાણી જોઇને શાંતિ ભંગ કરવા અપમાન કરવું જેવી કાયદાની ત્રણેક કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કૉંગ્રેસની વિવિધ શાખાઓ શનિવારની રાતથી સ્વામી વિરુદ્ધ બધા જ જિલ્લા અને પ્રાન્તમાં ફરિયાદ દાખલ કરાવી રહી છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લામાંથી વૈશ્વિક સ્તરની એથ્લિટ બનેલી યુવતિ, સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ દોડ માત્ર 54.21 સેકન્ડમાં જ પૂર્ણ કરી હતી.
સરીતા ગાયકવાડ ડાંગના નાના અમથા કરાંડીઆંબા ગામમાં જન્મીને ત્યાં જ ઉછરી છે. એથ્લેટિક્સ ખાસ કરીને દોડવામાં તેની પારંગતતાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોએ તેને ડાંગ એક્સપ્રેસનું બિરુદ આપ્યું છે.

સરીતા ગાયકવાડ એ 2018માં એશિયન ગેમ્સમાં 4X400ની રીલે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાંગના એવા ગામ જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ત્યાંથી સરિતા ગાયકવાડ એ પોતાની સફરની શરૂઆત કરી હતી.
સરિતના ગામમાં વાહન વ્યવહાર પણ નથી. ગામથી ચાર થી પાંચ કિમી દૂર ચાલીએ ત્યારે બસ મળે છે. મોબાઈલ ફોનના ટાવર મેળવવા માટે નજીકના પહાડ પર જવું પડે છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેના માટે આ સફર કેટલી કઠિન રહી હશે. પરંતુ આ તમામ અડચણોને પાર કરીને સરિતા દેશને ગૌરવ અપાવી રહી છે. સરિતાના માતા પિતાએ તેની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમના પિતા ખેત મજૂર તરીકે કામ કરે છે. અને તેઓ દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે.
સરિતના કોચએ કહ્યું હતું કે, સરિતાએ શૂઝ વગર દોડ લગાવી છે. અને જીતી પણ છે. તેને પહેલા શૂઝ સાથે દોડવું ફાવતું જ નહોતું. પરંતુ બાદમાં તેણે શૂઝ સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને તેને સફળતા મળતી ગઈ. નડિયાદમાં તાલિમ લીધા બાદ તેને પટિયાલામાં નેશનલ કેમ્પમાં જવા મળ્યું અને બાદમાં તેણે જે સિદ્ધીઓ મેળવી તે ખરેખર બિરદાવવા લાયક છે. અત્યાર સુધી તેણે અનેક મેડલ્સ જીત્યા છે. અને હવે તેના ખાતામાં વધુ એક મેડલ મેળવ્યો છે. અને તેની આ દોડ યથાવત રહેશે.