બિહાર અને પૂર્વોત્તરમાં પૂરથી હાહાકાર: 70 લાખ અસરગ્રસ્ત
એક તરફ અડધું ગુજરાત વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યું તો બીજીબાજુ દેશનાં અનેક રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને બિહાર, પૂર્વોત્તરનાં રાજ્યોમાં પૂરની સ્થિતિએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 70 લાખ જેટલા લોકો પાણીની રેલમછેલની ચપેટમાં આવી ગયા છે. ધસમસતા પ્રવાહમાં તણાવાથી લઈને વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા છે. આ કુદરતી કોપમાં બચાવ અને રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફનાં દળકટકોને 24 કલાક ખડેપગે રાખવામાં આવેલા છે.
દર વર્ષની માફક આ વખતે પણ ભારે વરસાદ પછી પૂરનાં કારણે બિહારની હાલત કફોડી થઈ છે. પૂરનું તાંડવ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2પ લોકોનો ભોગ લઈ ચૂક્યું હતું. રાજ્યનાં બાર જિલ્લામાં કુલ મળીને 2પ લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત હાલતમાં છે અને મોતિહારી જિલ્લામાં સૌથી વધુ 10 અને અરરિયામાં 9 લોકોનાં મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો અને માલઢોરનું પણ પારાવાર નુકસાન થયું છે.
આસામનાં કુલ મળીને 41પ7 ગામોનાં 42.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખતરાની સપાટી પણ વળોટી ગયું છે. તો મિઝોરમમાં ખતલંગતુઈપુરી નદીમાં ભારે ઉફાણથી 32 ગામો કેડબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં એકાદ હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો વરસાદી દુર્ઘટનાઓમાં પાંચનાં મોત પણ થયા છે. મેઘાલયમાં છેલ્લા સાત દિવસોથી ધીંગા વરસાદે બે નદીઓને કાંઠા વળોટીને વહેતી કરી દીધી છે. જેના પાણી પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાનાં મેદાની વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેનાં હિસાબે દોઢેક લાખ લોકોને તેની માઠી અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્રિપુરામાં પૂરની સ્થિતિમાંથી થોડી રાહત દેખાઈ રહી છે. બે નદીઓનાં પાણીની સપાટી ઘટવા લાગી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now