CIA ALERT

ઇન્ડીયા Archives - Page 167 of 217 - CIA Live

August 24, 2019
amazon_logo.png
1min11610

એમેઝોને તેનો ઓનલાઇન ગ્રોસરી સ્ટોર ‘એમેઝોન ફ્રેશ’ ભારતમાં શરૂ કર્યો છે, જેની હેઠળ કંપની તાજાં ફળ, શાકભાજી, ડેરી અને મીટ આઇટમ તેમજ અન્ય પેકેજ્ડ ફૂડ આઇટમનું વેચાણ કરશે. 

ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં સ્પર્ધા વધી રહી છે અને હરીફ કંપની ફ્લિપકાર્ટ પણ આ માર્કેટમાં પ્રવેશવા માટે નજર દોડાવી રહી છે તેવા સમયે એમેઝોન તરફથી આ હિલચાલ જોવા મળી છે. ભારતના ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં અત્યારે બિગબાસ્કેટ સૌથી મોટું નામ છે, ત્યાર બાદ ગ્રોફર્સનો ક્રમ આવે છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. 

એમેઝોન ફ્રેશ સૌ પ્રથમ 2007માં સીટલમાં લોન્ચ થઈ હતી. એમેઝોને ભારતમાં તેનું લોન્ચિંગ નહોતું કર્યું અને તેના સ્થાને પ્રાઇમ નાઉ એપ્લિકેશન દ્વારા ફૂડ આઇટમની એક્સપ્રેસ ડિલિવરી શરૂ કરી હતી. 

એમેઝોને જણાવ્યું છે કે, તેની મુખ્ય વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા એમેઝોન ફ્રેશનો ઉપયોગ થઈ શકશે. કંપની તેની પ્રાઇમ નાઉ સર્વિસ 23 ઓગસ્ટે બેંગલુરુમાં લોન્ચ કર્યા બાદ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ જેવાં શહેરોમાં પણ લોન્ચ કરશે. એમેઝોન ફ્રેશ પરથી ગ્રાહકો 5,000 ફળ, શાકભાજી, ડેરી, મીટ, આઇસક્રીમ, ડ્રાય ગ્રોસરી જેવી વસ્તુઓ ખરીદી શકશે. 

August 24, 2019
neet.jpeg
1min11290

MBBS ‌‌અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે. 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે. 

NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.

August 22, 2019
India-test-jersey.jpg
1min8470

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ અહીં ગુરૂવારથી વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલા ટેસ્ટમાં મેદાને પડીને કરશે. ત્યારે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય સમતોલ ઇલેવનના સંયોજન સાથે વિજયનું રહેશે.

ભારત જો વેસ્ટ ઇન્ડિઝ સામેનો આ ટેસ્ટ મેચ જીતશે તો કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીની 27મી જીત હશે અને તે પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લેશે. આ મેચમાં સદી કરવાથી કપ્તાનના રૂપમાં તે 19 ટેસ્ટ સદી સાથે ઓસ્ટ્રેલિયાના રીકિ પોન્ટિંગની પણ બરાબરી કરી લેશે. બે ટેસ્ટની શ્રેણીમાં પહેલો મેચ ભારતીય સમય અનુસાર ગુરૂવારથી સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માના રહેતા ભારતીય ટીમ કાગળ પર મજબૂત લાગી રહી છે. આમ છતાં જેસન હોલ્ડરના નેતૃત્વ હેઠળની કેરેબિયન ટીમને હળવાશથી ન લઇ શકાય. ઇંગ્લેન્ડ તેનો અનુભવ કરી ચૂકયું છે. જેને આ જ વર્ષે વેસ્ટ ઇન્ડિઝની જીવંત પિચો પર 1-2થી પરાજય સહન કરવો પડયો હતો.

એન્ટીગ્વાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમની પિચ ઝડપી બોલરોને મદદગાર રહેશે. પિચમાં ગતિ અને ઉછાળ હોવા પર સુકાની કોહલી ચાર વિશેષજ્ઞ બોલર સાથે ઉતરવાનું પસંદ કરશે. અહીં પાછલા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ 187 અને 132 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. ભારતીય ઇલેજનમાં ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનરનું સંયોજન હશે. સ્પિનર તરીકે કુલદિપ અને અશ્વિનમાંથી એકને તક મળી શકે છે. અશ્વિન અનુભવ અને સારા બેટિંગને લીધે લગભગ પસંદ થશે.’ જ્યારે ત્રણ ફાસ્ટ બોલરના રૂપમાં જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી હશે.

ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝના હાલના રેકોર્ડને જોતા ભારતની ઇલેવનમાં વધારાના એક બેટધરને મોકો મળી શકે છે. આથી રોહિત શર્મા અને અંજિકયા રહાણે મીડલઓર્ડરમાં જોવા મળી શકે છે. જો પાંચ બોલર સાથે ભારતીય ટીમ ઉતરવાનું પસંદ કરશે તો ઓલરાઉન્ડરના રૂપમાં રવીન્દ્ર જાડેજાને તક મળશે. ઓપનિંગમાં મયંક અગ્રવાલ સાથે ઓપનિંગમાં હનુમા વિહારી અને કેએલ રાહુલમાંથી એકની પસંદગી થશે.

બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પાસે સાઇ હોપ, જોન કેંપબેલ, શિમરોન હેટમાયર જેવા પ્રતિભાશાળી બેટધર છે. અનુભવી ડેરેન બ્રાવો, રોસ્ટન ચેસ, ક્રેગ બ્રેથવેટ ભારતને સારી ટકકર આપવા સક્ષમ છે. ખાસ કરીને વિન્ડિઝની પેસ બેટરી’ મજબૂત છે.

August 15, 2019
independence-day-dp.jpg
1min16610

જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.

એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

August 14, 2019
sunny.jpg
1min18930
ગુગલ એનાલિટીક્સએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતીયો ગુગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ જો કોઇને સર્ચ કરતા હોય તો એ એક વખતની પોર્ન સ્ટાર અને બાદમાં બોલિવુડની એક્ટ્રેસ બનેલી સન્ની લિયોની છે. સન્ની લિયોનીએ ગુગલ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સલમાન ખાનને પણ પાછળ પાડી દીધા છે.

ગુગલ એનાલિટીક્સએ જારી કરેલા રસપ્રદ આંકડાઓ મુજબ ગુગલ સર્ચ પર ભારતીયો જો સૌથી વધુ સર્ચ કોઇને કરતા હોય તો એ છેલ્લા એક વર્ષમાં સન્ની લિયોની છે. સન્ની લિયોની અને તેના વિડીયો માટે ભારતીયોએ કરોડો વખત ગુગલ સર્ચ કર્યું છે.

ગૂગલ ટ્રેડ એનાલિટિક્સ અનુસાર સન્ની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ વીડિયો સંબંધના છે. આ ઉપરાંત તેની બાયોપિક સિરિઝ પણ લોકો શોધી રહયા છે. સન્ની વિશે વધુ સર્ચ પૂર્વોત્તરના રાજય મણિપુર અને આસામમાંથી થાય છે. ટોચ પર બની રહેવા પર સન્ની લિયોનીએ કહયું હું આ સફળતાનો શ્રેય મારા ચાહકોને આપું છું. ગયા વર્ષ સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓની સૂચિમાં સન્ની લિયોની ન હતી. જયારે 2017માં મોસ્ટ સચર્ડ પર્સન હતી.

આશ્ચર્યની વાત એ છે કે ગુગલ સર્ચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા નંબરે આવે છે અને સલમાન ખાન ત્રીજા નંબરે છે ભારતીયોના સર્ચ લિસ્ટ પર.

ઓગસ્ટ 2019માં પૂરા થતા ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં ઇન્ડીયન સર્ચમાં પ્રથમ પાંચમાં ત્રણ સ્થાનો પર બોલીવુડની એક્ટ્રેસ છે, ટોપ ફાઇવમાં બીજા ક્રમે નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે સલમાન ખાન છે.

ઇન્ડિયા ગૂગલ સર્ચમાં આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થનાર જાણીતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને બોલ્ડ હિરોઇન સન્ની લિયોની ટોચ સ્થાને છે.

August 14, 2019
abhinandan-vir-chakra.png
1min7620

દર વર્ષે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કેંદ્ર અને રાજ્ય સરકારો દ્વારા સાહસ, શૌર્ય માટે જુદાજુદા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આવી જ એક જાહેરાતના ભાગરૂપે કેન્દ્ર સરકારે ભારતના નેશનલ હીરો બનેલા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી છે. પુલવામા હુમલા બાદ પીઓકેમાં ત્રાસવાદી છાવણીઓ પર ભારતની એરસ્ટ્રાઇક્સ વખતે  વિંગ કમાન્ડર અભિનંદને એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. અને તેમનું પણ વિમાન આ ઘર્ષણમાં તૂટી પડ્યું હતું. તેઓ પાકિસ્તાનમાં યુદ્ધ કૈદી તરીકે ઝડપાઇ ગય હતા. એ સમયે તેમણે એક ભારતીય સૈનિકની શાન વધારતા શૌર્યને પ્રદર્શિત કર્યું હતું.

એર સ્ટ્રાઈક બાદની કાર્યવાહી દરમિયાન પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને કેદ કરી લીધા હતા, પણ ભારતના કુટનીતિ પ્રયાસો બાદ પાકિસ્તાને તેમને છોડવા માટે વિવશ થવું પડ્યું હતું.

અભિનંદન સિવાય સ્ક્વૉડ્રન લીડર મિન્તી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. મિન્તને આ પુરસ્કાર બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા યોગદાન બદલ આપવામાં આવ્યો છે.

August 13, 2019
gold2.jpg
1min5540

નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

August 13, 2019
CHandrayaan2.jpg
1min9740

ભારતનું બીજું ચંદ્ર અભિયાન ‘ચંદ્રયાન-ટૂ’ ૨૦ ઑગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરે તેવી શક્યતા છે, એમ ઈન્યિન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન-ઈસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને સોમવારે કહ્યું હતું. 

પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-ટૂ બે દિવસ બાદ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દેવા તૈયાર થઈ ગયું છે. ભારતના અવકાશ કાર્યક્રમના પિતા લેખાતા ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા અમદાવાદ આવેલા સિવને કહ્યું હતું કે ૨૨ જુલાઈએ છોડવામાં આવેલું ૩૮૫૦ કિલો વજન અને ઑબ્રિટર, લૅન્ડર તેમ જ રૉવર એમ ત્રણ મૉડ્યુલનું બનેલું ચંદ્રયાન-ટૂ અવકાશયાન ૭ સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણ કરશે. 

તેમણે કહ્યું હતું કે બાવીસ જુલાઈએ ચંદ્રયાન-ટૂને લૉન્ચ કર્યા બાદ અમે જુદા જુદા પાંચ વ્યૂહ બનાવ્યા હતા. 

ચંદ્રયાન-ટૂ હાલ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. બુધવારે સવારે હવે પછીનો મહત્ત્વના વ્યૂહની જાણ થશે. 

૧૪મી ઑગસ્ટે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે ચંદ્રયાન-ટૂ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે અને ૨૦મી ઑગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-ટૂ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઉતરાણ કરશે. 

હાલ, ચંદ્રયાન-ટૂ અને તેની તમામ યંત્રણા યોગ્ય કામગીરી બજાવી રહી છે, એમ તેમણે કહ્યું હતું

August 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16970

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ આજરોજ તા.12મી ઓગસ્ટના રોજ જીઓ ગીગાફાઇબરના ટેરીફની ઘોષણા કરી અને કેટલાક મિડીયા હાઉસીસોએ એટલા ગુણગાન ગાઇ નાંખ્યા કે રિલાયન્સ ગીગાફાઇબર મફતમાં સેવા આપવાનું છે અને વહેલો તે પહેલો, છેલ્લો આવ્યો તે રહી ગયો એમ સામાન્ય લોકોમાં એક હાઇપ ઉભી કરી દીધી છે.

જીઓની મોબાઇલ સર્વિસ જ્યારે લોંચ થઇ ત્યારે પણ મુકેશ અંબાણી અને કંપનીના અધિકારીઓએ ગ્રાહકોને જણાવ્યું હતું કે સૌથી સસ્તી સેવા અને સૌથી ઝડપી ઇન્ટરનેટ સુવિધા હશે. પરંતુ, સુરત સમેત સમગ્ર દેશમાંથી ઉઠી રહેલી ફરીયાદો, જીઓ કસ્ટમર કેર ના ઇમેલ્સ અને મેસેજ બોક્સીસ તપાસીએ તો ખબર પડશે કે લાખો લોકો જીઓ મોબાઇલ સર્વિસ લઇને પસ્તાયા છે. હકીકતમાં જીયો ઇન્ટરનેટ સર્વિસે ગ્રાહકોને એ વાતની ખબર પાડી દીધી છે કે સસ્તું હોય એ બધું સારું હોતું નથી.

હકીકતમાં જીઓ મોબાઇલએ ફોર જી સ્પીડ આપવાની કરેલી જાહેરાત સાવ પોકળ અને બોગસ હોવાનું જણાય આવે છે અને તેના ગ્રાહકો દેશભરમાંથી આવી ફરીયાદો કરી રહ્યા છે. અન્ય મોબાઇલ સર્વિસ છોડીને જીઓને અપનાવનારા લોકો પસ્તાય રહ્યા છે કેમકે જીઓ ઇન્ટરનેટ કનેક્ટીવીટીનો કોઇ ભરોસો નથી. એવી ફરીયાદો મળી છે કે જ્યારે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે જ જીઓની કહેવાતી ફોર જી નેટ સુવિધા ખોટકાઇ જાય છે અને ગ્રાહકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જીઓની મોબાઇલ સર્વિસ અને નેટ યુઝર્સે તો ત્યાં સુધી ફરીયાદ કરી છે કે ફોર જી નેટના નામે ગ્રાહકોને જીઓ કંપની રીતસર ઉલ્લું બનાવવાના ધંધા કરી રહી છે. કસ્ટમર કેર પર ફરીયાદ કરવામાં આવે તો સ્ટીરીયોટાઇપ જવાબ આપવામાં આવે છે કે તમારા મોબાઇલમાં ખામી છે કે તમારા એરીયામાં ખામી છે.

જીઓનું કહેવાતું ફોર જી નેટનો ઉપયોગ કરી રહેલા ગ્રાહકો એવી પણ ફરીયાદ કરી રહ્યા છે, જીયો ફોર જી નેટ માંડ પાંચ મિનિટ કન્ટીન્યુઅસ ચાલી શકે છે અને જો ચાર-પાંચ મિનિટમાં ખોટકાય તો એ જીયો કંપની ન કહેવાય. આટલી હદે જીઓથી લોકો કંટાળી ગયા છે ત્યારે રિલાયન્સનું ગીગાફાઇબર અને તેના પ્લાન લોંચ કરીને મુકેશ અંબાણીએ કોઇ મોટી ધાડ મારી હોય તેવી કાગારોળ મિડીયાએ મચાવી છે.

હકીકતમાં જીઓ ઇન્ટરનેટ યુઝર્સ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરી રહ્યા છે કે ફોર જી નેટની સાવ ઢંગધડા વગરની બેકાર ક્વોલિટી અને ઓછી સ્પીડની સર્વિસ જોયા પછી જીયોનું ગીગાફાઇબર અપનાવતા પહેલા સો વખત વિચાર કરવો પડશે.

કેટલાક લોકો તો એવી ફરીયાદ કરી રહ્યા છે કે સસ્તા ઇન્ટરનેટની લાલચ આપીને સમગ્ર ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ જીઓએ બગાડી નાંખ્યું છે, બીજી કંપનીઓએ પણ જીઓના પગલે સસ્તી સેવા આપવાની ફરજ પડી છે અને એ કંપનીઓની સેવા પણ જીયોની જેમ ભંગાર થવા માંડી છે.

August 11, 2019
soniya.jpg
1min6850

સોનિયા ગાંધીને શનિવારે રાત્રે કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. તેઓ લગભગ ૨૦ મહિના બાદ ફરી આ ગાદી પર બિરાજમાન થઈ રહ્યાં છે.

અગાઉ, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ દેખાવ બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના દ્વારા પચીસમી મેએ પ્રમુખપદેથી અપાયેલા રાજીનામા અંગે ફેરવિચારણા કરવાની વિનંતિને નકારી કાઢી હતી. પક્ષના અનેક નેતાઓ તથા સાંસદોએ રાહુલ ગાંધી જ પ્રમુખપદે ચાલુ રહે એવો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાહુલ રાજીનામું આપવા મક્કમ જ હોવાથી કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ શનિવારની બીજી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ત્યાર બાદ સોનિયા ગાંધીના નામની જાહેરાત કરી હતી. એઆઇસીસી નવા પ્રમુખ ચૂંટશે ત્યાં સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે રહેશે, એમ પક્ષના પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું હતું.

રાહુલના અનુગામી તરીકે પાંચ જૂથે સૂચવેલા નામો અંગે ચર્ચાવિચારણા કરવા સમિતિની બેઠક રાતે ૮ વાગ્યે ફરીથી બોલાવાઇ હતી. સોનિયા ગાંધીની નિયુક્તિની થોડી મિનિટો અગાઉ એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિએ ખરાબ વળાંક લીધો હોવાથી કૉંગ્રેસના નવા પ્રમુખ ચૂંટવાના મુદ્દે થોડા સમય માટે ચર્ચા મુલતવી રાખવામાં આવી હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ પક્ષના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા અને જણાવ્યું હતું કે અમે અગાઉ પક્ષના પ્રમુખપદે રહી ચૂક્યા હોવાથી અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં ભાગ લઇને અમારી વગ વાપરવા નથી માગતા.

અહીં કૉંગ્રેસ મહાસભાના વડા મથક ખાતે શનિવારે સવારે ૧૧ વાગ્યે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પક્ષનાં મહામંત્રીઓ પ્રિયંકા ગાંધી વાડ્રા, અહેમદ પટેલ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ અને પી. ચિદમ્બરમ સહિતના અગ્રણી નેતા મળ્યા હતા.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ પક્ષના દેશભરના નેતાઓની સાથે ચર્ચાવિચારણા કરવા માટે પાંચ ક્ષેત્ર – ઇશાન, પૂર્વ, ઉત્તર, પશ્ર્ચિમ અને દક્ષિણના જૂથ રચ્યા હતા.

ઇશાન ભારતના જૂથમાં અહેમદ પટેલ, અંબિકા સોની, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતનો સમાવેશ થતો હતો. પૂર્વના જૂથમાં કે. સી. વેણુગોપાલ, તરુણ ગોગોઇ અને કુમારી શૈલજાનો, ઉત્તરના જૂથમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પી. ચિદમ્બરમનો અને પશ્ર્ચિમના જૂથમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખર્ગે, એ. કે. એન્ટની અને મોતીલાલ વોરાનો સમાવેશ કરાયો હતો.

દક્ષિણના જૂથમાં મનમોહન સિંહ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકનો સમાવેશ થતો હતો.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસ્વામીએ પણ નવા પ્રમુખની પસંદગી માટેની ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અનેક નેતાની સાથે ફૉન પર વાત કરાઇ હતી.