ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના
ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના
આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.
દુલ્હને 10 ગ્રામ સોનુ મેળવવા આટલું કરવું પડશે
- દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય.
- લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
- દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
- અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.
દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.



















