CIA ALERT

ઇન્ડીયા Archives - Page 140 of 217 - CIA Live

January 29, 2020
indiavsnew.jpg
1min5260

ભારતીય ટીમ આજરોજ બુધવાર તા.29મી જાન્યુઆરી 2020ના રોજ રમાનાર ત્રીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડમાં જીત સાથે ન્યુઝીલેન્ડની ધરતી પર ઇતિહાસની પહેલી ટી-20 શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાને પડશે.

ટીમ ઇન્ડિયાએ ઓકલેન્ડમાં રમાયેલા પહેલા બે ટી-20 મેચમાં ક્રમશ: 6 અને 7 વિકેટે આસાન જીત નોંધાવી હતી. કોહલીની ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

સેદન પાર્કમાં આજે તા.29ને બુધવારે ત્રીજો મેચ રમાવાનો છે. જ્યાં ભારતને કિવિઝ ધરતી પર પહેલી ટી-20 શ્રેણી જીતવાની તક છે. બીજી તરફ’ કેન વિલિયમ્સનના સુકાનીપદ હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા આવતીકાલના મેચમાં જીત માટે કરો યા મરો કરશે. આ ટીમ સફળ વાપસી માટે જાણીતી છે. આથી ત્રીજો મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. મેચ ભારતીય સમય અનુસાર 12-30થી શરૂ થશે.

કોહલીના સફળ સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. 2019ના વન ડે વિશ્વ કપ બાદ તેણે જે પાંચ ટી-20 શ્રેણી રમી છે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં આ વર્તમાન સિરિઝ પણ સામેલ છે. આ દરમિયાન ફકત આફ્રિકા સામે શ્રેણી જીતી ન હતી. જે 1-1ની બરાબરી પર રહી હતી. જો કે આ ફોર્મેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઇન્ડિયાની રેન્કિંગમાં ખાસ બદલાવ થયો નથી. ટી-20માં હાલ ભારત ટીમ ક્રમાંકમાં પાંચમા સ્થાને છે. ચોથા સ્થાને પહોંચવા વર્તમાન સિરિઝ પ-0થી જીતવી પડે. ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે. જયારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આફ્રિકા ભારતથી આગળ છે. બધાની નજર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પર છે. ટીમ ઇન્ડિયા પણ આઇસીસીની આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય સંયોજન તૈયાર કરી રહયું છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું ફોર્મ ટીમની પ્લસ નિશાની છે.

ત્રીજી મેચમાં ભારતીય ઇલેવનમાં મોટા ફેરફારની શકયતા નહીંવત છે. કદાચ શાર્દુલ ઠાકુરના સ્થાને નવદિપ સૈનીને તક મળી શકે છે. ટીમ સંયોજનના હિસાબે ઋષભ પંતને ફરી ડગ હાઉસમાં બેસવાનો વારો આવી શકે છે. ઓકલેન્ડનું મેદાન નાનુ હોવાથી કુલદિપને તક મળી ન હતી. તેના સ્થાને રમેલ ચહલે સારી બોલિંગ કરી છે. આથી તે ઇલેવનમાં ટકી રહેશે.

January 29, 2020
rakeshjhunjhunwala.jpg
1min5710

અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ લાગ્યા છે. સેબી દ્વારા એપ્ટેક લિમિટેડના શેર સંબંધિત ગરબડમાં ઝુનઝુનવાલા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એપ્ટેક એક શૈક્ષણિક એકમ છે અને તેના ઉપર ઝુનઝુનવાલા અને તેના પરિવારની માલિકી છે.

સેબી આમાં ઝુનઝુનવાલા પરિવારના અન્ય સદસ્યોની ભૂમિકા પણ ચકાસી રહ્યું છે. સાથોસાથ રોકાણકાર રમેશ એસ. દામાણી અને કંપનીમાં ડાયરેક્ટર મધુ જયાકુમાર સહિત કેટલાક બોર્ડ સદસ્યોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

આ તપાસ અંગે વાકેફ સૂત્રોના હવાલેથી મળેલા અહેવાલ અનુસાર ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ માટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચેની ઝુનઝુનવાલાની ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કયા સમયગાળામાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનો ભંગ થયો હતો તે અંગે કોઈ ચોક્કસ જાણકારી હજી સુધી મળી નથી. સેબીએ ઝુનઝુનવાલા અને અન્ય બેને ફટકારેલી નોટિસમાં તપાસમાં સહયોગ આપવા કહ્યું છે.

ઝુનઝુનવાલા ઉપરાંત તેની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર, સાસુ સુશીલા દેવી ગુપ્તાને પણ સેબીએ 24મી જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઝુનઝુનવાલા સેબીના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા અને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત સેબીનાં મુખ્યાલયે આશરે બે કલાક સુધી તેની પૂછતાછ થઈ હતી.

January 28, 2020
Wuhan.jpg
2min7440

 ચીનમાં આતંક મચાવતા ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં 170નો ભોગ લઈ લીધો છે. તો જેની દહેશત હતી એવો આ વાયરસ હવે ભારતમાં પણ પગપેસારો કરી ગયો છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો છે.’ ચીનથી પાછા ફરેલા કેરળના છાત્રમાં કોરોના વાયરસના ચેપને સમર્થન અપાયું છે. બીજીબાજુ બંગાળમાં કોરોનાના સંદિગ્ધ લક્ષણો ધરાવતી થાઈલેન્ડની એક મહિલાનું મૃત્યુ થયું છે. તો મેલેશિયામાં ત્રિપુરાના એક વ્યકિતનું કોરોનાથી મૃત્યુ થયું છે.

કેરળનો આ છાત્ર ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેની તબિયત સ્થિર છે અને તબીબો તેની સારવાર અત્યારે કરી રહ્યા છે.’ બીજીતરફ, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીઓના મામલા સામે આવ્યા છે. અગાઉ,’ જયપુર, મુંબઈ અને બિહારના છપરામાં આ દર્દીના કેસ સામે આવ્યા હતા.

દિલ્હીની હોસ્પિટલ તેમજ એરપોર્ટ પર કોરોના વાયરસની પૂરી તપાસ કરવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ છે.

દરમ્યાન, ભારતમાંથી ચીન તરફ ઉડાન ભરનારી બે ભારતીય એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની મોટાભાગની ઉડાનો સ્થગિત કરવાની ઘોષણા કરી નાખી છે.
ભારતે હુબેઈ પ્રાંતથી પોતાના નાગરિકો પાછા લાવવા માટે બે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ આપવાનો ચીનને અનુરોધ કર્યો છે.

ભારતની સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતાં પોતાના નાગરિકોને ચીનની યાત્રા હાલ પૂરતી ટાળવાની સલાહ આપી છે.

132ના મોત, 5974 કેસો : ઝડપથી પ્રસરી રહેલો રોગચાળો

ચીનમાં ફેલાયેલા કોરોનાવાયરસના પ્રકોપથી મરનારાની સંખ્યા વધીને 132 સુધી પહોંચી ગઇ છે. અહીના 30 રાજ્યોમાં કોરોનાવાયરથી સંક્રમિત 5974 જેટલા પોઝિટિ વ મામલાઓની પુષ્ટિ કરવામાં આવી છે. 

આ સિવાય ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ આયોગ મુજબ કોરોનાવાયરસથી પીડિત 976 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને આગામી અઠવાડિયા સુધી આ ખતરનાક વાયરસના ભરડામાં સાત હજાર લોકો આવી શકવાની આશંકા છે. 

સારવાર દરમિયાન સ્વસ્થ બનેલા 60 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ચીનના શિક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે વાયરસના પ્રકોપને કારણે શાળાઓ માટે 2020ના સ્પ્રિંગ સેમેસ્ટરને રદ કરવામાં આવ્યું છે. 

ચીનના વુહાનમાંથી ભારતીયોને લાવવાની તૈયારીઓ

સરકારે સોમવારે ચીનની હુબેહી પ્રાંતના વુહાન શહેરમાંથી ભારતીયોને લાવવાની તૈયારી શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ચીનમાં કોરોના વાઇરસથી ફાટી નીકળેલા રોગચાળાથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાનો કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના વડપણ હેઠળની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય આ બાબતમાં ચીનના સત્તાવાળાઓની મદદ માગવા વિનંતી કરશે.

ચીનથી આવી રહેલા પ્રવાસીઓનો બંદરો પર સ્ક્રિનિંગ કરવાનું પણ શિપિંગ મંત્રાલય શરૂ કરશે એવી માહિતી આપવામાં આવી હતી. દરમિયાન ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસથી વૈશ્ર્વિક જોખમ ઊભું થયું છે અને અગાઉ આપેલા સંદેશમાં સામાન્ય શબ્દ કહેવામાં આવ્યો હતો તે એક ભૂલ હતી.

દરમિયાન કોરોના વાઇરસ રોગચાળાથી મૃતકોની સંખ્યા ૮૦ થઇ હતી અને ૨,૭૪૪ દર્દી છે તેવી ચીનના સત્તાવાળાઓએ જાણ કરી હતી. ૪૬૧ દર્દીઓની હાલત ગંભીર છે તેવું નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું.

ચીનમાં પ્રવાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા હોવાથી એશિયાના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો કારણ કે ચીનના પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.

દરમિયાન કેન્દ્ર સરકારે નેપાળની ભારત સાથે સરહદ પર ચોકસાઇ વધારી દીધી છે. પ.બંગાળના પાણીટંકી અને ઉત્તરાખંડના ઝૂલાઘાટ અને જાવલીબીમાં ડૉક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નેપાળની સરહદ પર આવેલા પાંચ રાજ્ય યુપી, ઉત્તરાખંડ, બિહાર, પ.બંગાળ અને સિક્કિમના ચીફ સેક્રેટરી અને પોલીસવાળા સાથે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી પ્રિતી સુદાને વીડિયો કોન્ફરન્સ કરી હતી.

દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખી ચીનમાં અટવાયેલા ભારતીયોને ઍરલિફ્ટ કરવા વિનંતી કરી હતી. ચીને નવા વર્ષનું રજાનું વેકેશન શુક્રવારે પૂરું થતું હતું તે વધારીને રવિવાર સુધી કર્યું હતું. રજા પછી પણ શાળાઓ ખોલવાનું લંબાવવામાં આવ્યું હતું. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ વુહાનમાં ગયા હતા અને રોગચાળાના નિયંત્રણ માટેના પગલાંની સમીક્ષા કરી હતી.

January 27, 2020
jeemain.jpg
1min7820

JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.

હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.

જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.

Percentile ScoreTotal Students/Rank
99 to 1001 to 11500
95 to 9911500 to 57000
90 to 9557000 to 115000

IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે

ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.

આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.

JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે

હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.

January 27, 2020
coronaupdate.jpg
1min17680

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.

January 26, 2020
republic-day-1280x853.jpg
1min8540

આપણે સૌ ભારતીયો આજે તા.26મી જાન્યુઆરી 2020ના રોજ આપણા દેશનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. દરેક નાગરીકના મનમાં આજે દેશ પ્રેમની કોઇકને કોઇક લાગણી વ્યક્ત થઇ રહી છે.

ભારતના 71મા પ્રજાસત્તાક સમારોહની મુખ્ય સરકારી ઉજવણી નવી દિલ્હીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ વરસે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. રાજપથ પર આજે સવારે 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા એન્ટી સેટેલાઈટ વેપન્ટ (એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડાં સામેલ કરાયા હતા, લોકમાં એમણે પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વખત એવું બન્યું કે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ ઉપર નહીં ગયા અને ઈન્ડિયા ગેટ પાસે આવેલા નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.


January 26, 2020
India-vs-New-Zealand.jpg
1min5370

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાનાર છે. પ્રથમ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ પર 1-0ની લીડ ધરાવે છે. આવતીકાલની મેચમાં કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પણ શાનદાર દેખાવ કરીને વાપસી કરવા માટે ઇચ્છુક છે. જેથી મેચ રોમાંચક બની શકે છે.

પ્રથમ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ટ્વેન્ટી મેચમાં 400 કરતા પણ વધારે રન થયા હતા.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને ન્યુઝીલેન્ડ સામે દેખાવ સુધારવાની તક રહેલી છે.

ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યુ છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી 2018-19માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી.

આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો તેમની વચ્ચે આજની મેચ સાથે 12 મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે.પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણી રમાનાર છે. વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.

બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ 26મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ’ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.પ્રથમ મેચમાં ભારતે’ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બાટિંગની મદદથી’ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આની સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઇડન પાર્ક મેદાન પર ભારતે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે પાંચ વિકેટે 203 રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 204 રન બનાવીને મેચ જીતી ગઈ હતી.

January 26, 2020
gseb-1280x720.jpg
1min5340

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.

વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

January 26, 2020
rajasthandvidhansabha.jpg
1min5060

રાજસ્થાન વિધાનસભાએ શનિવારે નાગરિકત્વ સુધારિત કાયદો (સીએએ)ને પાછો ખેંચવાની દરખાસ્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ રાજકીય રમત રમી રહી છે.

પંજાબ બાજ રાજસ્થાન બીજું કોંગ્રેસની સત્તા હેઠળનું રાજ્ય છે જ્યાં આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળ વિધાનસભામાં પણ સીએએ સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં વોઇસ વોટ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), ૨૦૨૦ના અપડેશનની પ્રક્રિયા પણ રદ કરવાનું કેન્દ્ર સરકારને કહ્યું હતું.

‘સીએએ દ્વારા બંધારણની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો હોવાના પુરાવા છે. તેથી દેશમાં એકતા બનાવી રાખવા તથા ધર્મના આધારે નાગરિકત્વ આપીને ભેદભાવ કરવાનું ટાળવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે છે’, એમ સંસદીય બાબતના પ્રધાન શાંતિ ધરિવાલે જણાવ્યું હતું.

વિપક્ષ નેતા ગુલાબ કટારિયાએ રાજ્ય વિધાનસભામાં કાયદાને પડકારવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યો હતો.

‘નાગરિકત્વ પૂરું પાડવું એ કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આવે છે અને આવી પરિસ્થિતિમાં સીએએને પડકારવાનો અધિકાર આપણને છે? કોંગ્રેસે વોટ બેંક માટે અને ગંદું રાજકારણ બંધ કરવું જોઇએ’, એમ ભાજપી નેતાએ જણાવ્યું હતું.

January 26, 2020
padma-1280x717.jpg
1min11660

દેશના ત્રણ નેતા – અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને જ્યોર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ જાહેરાત કરાઇ હતી.

શાહબુદ્દીન રાઠોડ અને સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા હતા.

બૉક્સર મેરી કોમ અને મૉરિશસના ભૂતપૂર્વ વડા પ્રધાન અનિરુદ્ધ જગન્નાથને પદ્મવિભૂષણથી સન્માનિત કરાશે.

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, ઉદ્યોગપતિઓ આનંદ મહિન્દ્રા અને વેણુ શ્રીનિવાસન, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ, નાગાલેન્ડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ. સી. જામીર તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજકારણી મુઝફ્ફર હુસૈન બૈગને પદ્મભૂષણ અપાશે.

ક્રિકેટર ઝહીર ખાન, હોકી ખેલાડી રાણી રામપાલ અને શૂટર જિતુ રાયને પદ્મશ્રી એનાયત કરાશે. ફિલ્મજગતના કરણ જોહર, એકતા કપૂર, કંગના રણૌતનું પણ

પદ્મશ્રીથી સન્માન થશે.

શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાને પદ્મવિભૂષણ અને ગાયક સુરેશ વાડકરને પદ્મશ્રી એનાયત કરાશે.

પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.

ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.

સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.

નોકરી ડૉટ કૉમના સ્થાપક સંજીવ બિખાચંદાની, ઉદ્યોગપતિ ભરત ગોયંકા અને ટેક્નૉલૉજી ક્ષેત્રના અગ્રણી નેમનાથ જૈનને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

પદ્મવિભૂષણ ૭, પદ્મભૂષણ ૧૬, પદ્મશ્રી માટે ૧૧૮ જણને પસંદ કરાયા છે.