ભારતીય ટીમ આજરોજ બુધવાર તા.29મી જાન્યુઆરી 2020ના રોજ રમાનાર ત્રીજી ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડમાં જીત સાથે ન્યુઝીલેન્ડની ધરતી પર ઇતિહાસની પહેલી ટી-20 શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાને પડશે.
ટીમ ઇન્ડિયાએ ઓકલેન્ડમાં રમાયેલા પહેલા બે ટી-20 મેચમાં ક્રમશ: 6 અને 7 વિકેટે આસાન જીત નોંધાવી હતી. કોહલીની ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

સેદન પાર્કમાં આજે તા.29ને બુધવારે ત્રીજો મેચ રમાવાનો છે. જ્યાં ભારતને કિવિઝ ધરતી પર પહેલી ટી-20 શ્રેણી જીતવાની તક છે. બીજી તરફ’ કેન વિલિયમ્સનના સુકાનીપદ હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા આવતીકાલના મેચમાં જીત માટે કરો યા મરો કરશે. આ ટીમ સફળ વાપસી માટે જાણીતી છે. આથી ત્રીજો મુકાબલો વધુ રોમાંચક બની રહેશે. મેચ ભારતીય સમય અનુસાર 12-30થી શરૂ થશે.
કોહલીના સફળ સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. 2019ના વન ડે વિશ્વ કપ બાદ તેણે જે પાંચ ટી-20 શ્રેણી રમી છે તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં આ વર્તમાન સિરિઝ પણ સામેલ છે. આ દરમિયાન ફકત આફ્રિકા સામે શ્રેણી જીતી ન હતી. જે 1-1ની બરાબરી પર રહી હતી. જો કે આ ફોર્મેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઇન્ડિયાની રેન્કિંગમાં ખાસ બદલાવ થયો નથી. ટી-20માં હાલ ભારત ટીમ ક્રમાંકમાં પાંચમા સ્થાને છે. ચોથા સ્થાને પહોંચવા વર્તમાન સિરિઝ પ-0થી જીતવી પડે. ન્યુઝીલેન્ડ છઠ્ઠા સ્થાને છે. જયારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આફ્રિકા ભારતથી આગળ છે. બધાની નજર આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પર છે. ટીમ ઇન્ડિયા પણ આઇસીસીની આ ટૂર્નામેન્ટ માટે યોગ્ય સંયોજન તૈયાર કરી રહયું છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું ફોર્મ ટીમની પ્લસ નિશાની છે.
ત્રીજી મેચમાં ભારતીય ઇલેવનમાં મોટા ફેરફારની શકયતા નહીંવત છે. કદાચ શાર્દુલ ઠાકુરના સ્થાને નવદિપ સૈનીને તક મળી શકે છે. ટીમ સંયોજનના હિસાબે ઋષભ પંતને ફરી ડગ હાઉસમાં બેસવાનો વારો આવી શકે છે. ઓકલેન્ડનું મેદાન નાનુ હોવાથી કુલદિપને તક મળી ન હતી. તેના સ્થાને રમેલ ચહલે સારી બોલિંગ કરી છે. આથી તે ઇલેવનમાં ટકી રહેશે.
















