ઇન્ડીયા Archives - Page 121 of 217 - CIA Live

May 2, 2020
relience.png
1min6160

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની નબળી કામગીરીને કારણે ચોખ્ખો નફો ૩૭ ટકા ઘટીને ૬,૩૪૮ કરોડ નોંધાયો હતો. કંપનીનો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ગાળામાં ચોખ્ખો નફો ૧૦,૩૬૨ કરોડનો હતો. વધુમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રાઇટ્સ ઇસ્યૂને મંજૂરી આપી હતી જે દરેક ૧૫ શેરે એક શેરના ધોરણે (૧૫:૧ના રેશિયો) ઓફર કરાશે અને તેની કિંમત શેરદીઠ ૧,૨૫૭ રહેશે.

કંપની રાઇટ્સ ઇસ્યૂ દ્વારા ૫૩,૧૨૫ કરોડ ઊભા કરવાનો લંક્ષ્યાક રાખે છે. દરમિયાન કંપનીની ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ ૨.૫ ટકા ઘટીને ૧૫૧,૨૦૯ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૫૫,૧૫૧ કરોડ હતી.

કંપનીની રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે ૧૦.૬ ટકા ઘટી હતી. ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ ૭.૬ ટકા વધીને ૨૫,૮૮૬ કરોડની રહી હતી. જ્યારે કરવેરા પૂર્વેનો નફો ૨.૭ ટકા ઘટીને ૧૩,૪૯૦ કરોડનો રહ્યો હતો. આ ગાળામાં કેશ નફો ૧૨.૮ ટકા વધીને ૧૮,૮૧૩ કરોડનો થયો હતો.

કંપનીનો પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન ચોખ્ખો નફો ૦.૧ ટકા વધીને ૩૯,૮૮૦ કરોડનો થયો હતો જે આગલા વર્ષે ૩૯,૮૩૭ કરોડ હતો. જ્યારે વર્ષ દરમિયાન રેવેન્યૂ ૫.૪ ટકા વધીને ૬૫૯,૨૦૫ કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ૬૨૫,૨૦૫ કરોડ હતી.

વર્ષ દરમિયાન ઇબીઆઇટીડીએ ૧૦.૪ ટકા વધીને ૧૦૨,૨૮૦ કરોડ રહી હતી જે વર્ષ અગાઉ ૯૨,૬૫૬ કરોડ હતી. કંપનીએ માર્ચ ૨૦૨૦ને અંતે પૂરા થયેલા વર્ષ માટે ૬.૫૦ ડિવિંડડની ભલામણ કરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ કંપનીએ નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ફરીથી સ્થિર કામગીરી દર્શાવી છે. અમે ક્ધઝુયમર બિઝનેસ અને નવા સાહસોમાં રોકાણને જાળવી રાખવા કટીબધ્ધ છીયે. અમે ભાવિ વિશાળ તકોને જોઈ રહ્યા છીયે અને રાઇટ્સ ઇસ્યૂ અને ઇક્વિટી કામકાજથી રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થશે તેમજ અમારા રોકાણકારોની વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.

કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચે પુરા થતા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ ૭૨.૭ ટકા વધીને રૂ. ૨,૩૩૧ કરોડ થયો છે.

May 2, 2020
lpg_cylinder.jpg
1min5260

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં બોલાયેલા કડાકાને પગલે સબસિડી વિનાના રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં શુક્રવારે પ્રતિ સિલિન્ડર વિક્રમજનક ₹. ૧૬૨.૫૦નો ઘટાડો કરવામાં આવ્યો હતો. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં આ સતત ત્રીજો માસિક ઘટાડો છે. આ એજ ગેસ સિલિન્ડર છે જેની સબસિડી ગ્રાહકોએ સ્વેચ્છિક રીતે જતી કરી હતી.

આ એજ ગેસ સિલિન્ડર છે જે સામાન્ય વપરાશકર્તાઓનો ૧૪.૨ કિલોગ્રામ વજનના ૧૨ સિલિંડરનો ક્વોટા પૂરો થયા બાદ તેમને આપવામાં આવે છે. કોરોનાને કારણે ફેલાયેલી મહામારીને પગલે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે દેશમાં તેલની માગમાં અસાધારણ ઘટાડો થયો છે જેને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં કડાકો બોલાયો છે. ગયા મહિને ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૫.૯૮ ડોલર સાથે બે દાયકાના સર્વાધિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો, પરંતુ શુક્રવારે ક્રૂડ તેલનો ભાવ વધીને પ્રતિ બેરલ ૨૬.૪૩ ડોલર થઈ ગયો હતો. સબસિડી વિનાના ૧૪.૨ કિલોગ્રામ વજનના ગેસ સિલિન્ડરનો ભાવ હવે દિલ્હીમાં અગાઉના ₹.૭૪૪.૦૦થી ઘટીને ₹. ૫૮૧.૫૦ થઈ ગયો છે. મુંબઈમાં આ ગેસ સિલિન્ડરનો ભાવ પ્રતિ સિલિન્ડર અગાઉના ₹. ૭૧૪.૫૦ થી ઘટીને ₹. ૫૭૯.૦૦ થઈ ગઈ છે. અગાઉ માર્ચમાં સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹. ૫૩.૦૦નો તો એપ્રિલમાં ₹. ૬૧.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવને આધારે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ રાંધણગેસના ભાવમાં સુધારો કરે છે.

May 2, 2020
lockdown012.jpg
1min5680

કેન્દ્ર સરકારે ૪થી મે બાદ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં વધુ બે સપ્તાહનો વધારો કરવાની શુક્રવારે સાંજે જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે લૉકડાઉનની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી અને એના પરિણામો ઘણાં સકારાત્મક જણાયાં છે. વધુ બે સપ્તાહનું લૉકડાઉન ૪થી મેથી શરૂ થશે અને આ વખતે લૉકડાઉન દરમિયાન અનેક જિલ્લાઓમાં વધારાની છૂટ આપવામાં આવશે.

કોવિડ-૧૯ વિશેની નવી ગાઇડલાઇન્સ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના લૉકડાઉનનું પરિણામ ધોવાઇ ન જાય એ માટે ૩જી મે સુધી પ્રતિબંધોનું સખત રીતે પાલન કરવું જરૂરી છે. ૧૭ મે સુધી રેલવે, વિમાની અને મેટ્રો સેવા પણ બંધ રહેશે. શાળાઓ અને કોલેજો, કોચિંગ કલાસિસ, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની હોસ્પિટલિટી સર્વિસીસ, રાજકીય અને સાંસ્કૃતિક મેળાવડો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, જિમખાનાઓ અને સિનેમા હોલ વિગેરે બંધ રહેશે.વિશેષ હેતુ માટે અને ગૃહ મંત્રાલયે જે હેતુ માટે પરવાનગી આપી છે તે માટે લોકોની અવરજવર વિમાની, રેલવે અને રોડ દ્વારા થઈ શકશે.

May 1, 2020
sensex_down.jpg
1min5550

કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્ર્વભરના શેરબજારોમાં ઘટાડા વચ્ચે ભારત વિશ્વના ટોચના ૧૦ શેર બજારોની સૂચિમાંથી બહાર નીકળી ગયું છે. વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે. આને કારણે ભારતીય શેર બજાર બીયર માર્કેટના દાયરામાં આવી ગયું છે અને ડોલરની સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે.

શેરબજાર સર્વોચ્ચ સપાટીએથી ૨૦% કરતા વધુ નીચે આવી ગયું છે જેને બિયર માર્કેટના દાયરામાં માનવામાં આવે છે. વિશ્ર્લેષકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૩૦ વર્ષમાં આ પાંચમો વખત છે જ્યારે ભારતીય બજારમાં ૪૦% થી વધુનો ઘટાડો થયો છે. અગાઉના ચાર પ્રસંગોમાં બજારને તળિયે સ્પર્શ કરવામાં ૧૦ થી ૨૭ મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે આ વખતે બજાર ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેના નીચા સ્તરે પહોંચ્યું છે.

કેટલાક નામાંકિત સૂચકાંકો મુજબ ભારતીય મંદી હજુ ઘટાડના નીચા સ્તરે પહોંચી નથી.આ વર્ષમાં ભારતીય બજારના માર્કેટ કેપમાં ૨૭.૩૧%નો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગના આંકડા મુજબ, ભારતીય શેર બજારમાં સૂચિબદ્ધ શેરોના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આ વર્ષની શરૂઆતની સ્થિતિની તુલનામાં ડોલરના મૂલ્યમાં ૨૭.૩૧ ટકાનો ઘટાડો થયો છે. ભારત હવે બે લાખ કરોડ ડોલર માર્કેટ કેપિટલાઇઝેશન વાળા બજારોની યાદીમાં નથી. ૧.૫૭ લાખ કરોડ ડોલર સાથે ભારત હવે ૧૧માં સ્થાને છે.

આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતીય બજાર ૨.૧૬ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ૧૦માં સ્થાને રહ્યું છે. આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૯માં પણ, ૨.૦૮ લાખ કરોડ ડોલરના માર્કેટ કેપ સાથે ભારત વિશ્વમાં સાતમાં સ્થાને રહ્યું હતું.

૨૩ માર્ચે ભારત ટોપ -૧૦ ક્લબમાંથી બહાર નીકળી ગયું હતું. તે દિવસે સેન્સેક્સમાં ૧૩.૧૫%નો ઘટાડો નોંધાયો હતો, જે સેન્સેક્સનો સૌથી મોટો ઘટાડો હતો. તે દિવસે ભારતીય શેરોનો કુલ માર્કેટ કેપ ૧.૩૧ લાખ કરોડ ડોલર અથવા રૂ. ૧૦૧.૮૭ લાખ કરોડ હતું. ભારતીય બજારમાં સૂચિબદ્ધ તમામ કંપનીઓનો કુલ માર્કેટ કેપ આ વર્ષના ઉપરના સ્તર રૂ. ૧૫૫.૫૪ લાખ કરોડથી ઘટીને હાલમાં રૂ. ૧૨૧.૭૩ લાખ કરોડ પાર પહોંચ્યું છે. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે.

દેશના મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોના કુલ માર્કેટ કેપ (ડોલરમાં)માં આ વર્ષે અત્યાર સુધીમાં ૨૯.૧૦ ટકાનો ઘટાડો થયો છે, જે ૨૦૧૯ માં ૧૧.૯૧ ટકા હતો. વિશ્ર્વના કુલ માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૨.૧૮ ટકા છે. ૨૦૧૯ની શરૂઆતમાં તે ૨.૯૭ ટકા હતો.

વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે પાછલા ૧૦૦થી વધુ વર્ષોમાં ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો થયો છે. આવી ઘટના દર ૧૦ વર્ષે એકવાર થાય છે જયારે મુખ્ય શેર સૂચકાંકમાં ૩૫ ટકાનો ઘટાડો થાય છે.

આ પછી સામાન્ય રીતે આર્થિક મંદી આવે છે. બેરોજગારી મોટા પાયે વધે છે અને કર્મચારીઓના પગારમાં ઘટાડો કરે છે. ઐતિહાસિક રીતે ભારતમાં આવી ઘટનાઓ પછી બજારને નીચા સ્તરે પહોંચવામાં સરેરાશ ૧૨થી ૧૪ મહિનાનો સમય લાગે છે.

May 1, 2020
Rishi-Kapoor.jpg
1min5850

પીઢ અભિનેતા, ત્રણ દાયકા સુધી બૉલીવૂડના અવ્વલ દરજ્જાના રૉમેન્ટિક હીરો તરીકેની પ્રતિભા ધરાવતા તેમ જ ફિલ્મ કરિયરના છેલ્લા વર્ષોમાં ચરિત્ર અભિનેતાના રોલમાં જોવા મળેલા રિશી કપૂર લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડતમાં છેવટે હારી ગયા. ગુરુવારે તેમનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.

કપૂર કુટુંબની ત્રીજી પેઢીના મહાન કલાકાર રિશી કપૂરે અભિનયને નવો વળાંક અને ઓપ આપ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નીતુ, ઍક્ટર રણબીર અને પુત્રી રિદ્ધિમા કપૂર-સાહનીનો સમાવેશ છે. રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘મારો ભાઈ રિશી હવે આપણી વચ્ચે નથી. તેનું નિધન થયું છે.’

બુધવારે ગિરગામ ખાતેની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધા હતા. કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનના નિયમોને પગલે રિશી કપૂરનું પાર્થિવ શરીર હૉસ્પિટલમાંથી સીધું કાલબાદેવી ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું.

રિશી કપૂરના પાર્થિવ શરીરને ગુરુવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. સાંજે ૪.૦૦ વાગ્યા પછી કરવામાં આવેલા તેમના અગ્નિસંસ્કાર વખતે હાજર પત્ની નીતુ, પુત્ર રણબીર તેમ જ તેમના નજીકના પરિવારજનોમાં મોટા ભાઈ રણધીર, કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન, અભિનેતા અભિષેક બચ્ચન અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ તેમ જ અનિલ અંબાણીનો સમાવેશ હતો.

ગુરુવારે સવારે રિશી કપૂરના નિધનના સમાચાર બહાર આવતાં જ બૉલીવૂડમાં તેમ જ રિશીના ચાહકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી ચૅનલો પર લાડલા રિશીને અંજલિ આપતા અસંખ્ય સંદેશા આવવા લાગ્યા હતા.

કપૂર પરિવારે રિશીને અંજલિ આપવા સંબંધમાં તેમના ચાહકોને તેમ જ મિત્રોને લૉકડાઉનને લગતા નિયંત્રણોને લક્ષમાં રાખવાની વિનંતી કરી હતી. રિશીના ‘ડી-ડે’ ફિલ્મના સહ-અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે કૅન્સરની બીમારી સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું હતું અને ગુરુવારે રિશીનું લ્યૂકેમિયા સામેની લડતમાં અવસાન થયું. ત્રણ મહિના પહેલાં તેમના બહેન રિતુ નંદાનું આ જ બીમારીના કારણસર મૃત્યુ થયું હતું.

હૉસ્પિટલ ખાતેના ડૉક્ટરો અને સ્ટાફે જણાવ્યું હતું કે ‘રિશી કપૂર જીવ્યા ત્યાં સુધી બધાનું મનોરંજન કરતા રહ્યા હતા. આ જાણકારી કપૂર પરિવારે એક નિવેદનમાં આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ‘રિશી રમૂજી સ્વભાવના હતા અને છેક સુધી એવા જ રહ્યા. તેમણે બીમારીના બે વર્ષ દરમિયાન અને સારવાર માટે ખેડેલા બે ઉપખંડના પ્રવાસ દરમિયાન પણ જિંદગી ખૂબ માણી હતી. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ અને ફિલ્મ પર છેક સુધી તેમનું ધ્યાન રહ્યું હતું. જે કોઈ અમને મળતું એ કહેતું કે ગંભીર બીમારીમાં હોવા છતાં એની પીડા વ્યક્ત ન કરવાની અદ્ભુત શક્તિ રિશીમાં જોવા મળી. રિશીના જવાથી અમારા પરિવારને તો મોટી ખોટ પડી જ છે, આખું વિશ્ર્વ અત્યારે (કોરોના વાઇરસને કારણે) ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતથી પણ અમે બધા ચિંતિત છીએ. અમે રિશીના ચાહકો અને અમારા પરિવારના શુભેચ્છકો-મિત્રોને વિનંતી કરીએ છીએ કે લૉકડાઉનને લગતા કાનૂનોનું ચુસ્તપણે પાલન કરજો. ખુદ રિશી પણ આ નિયમોના પાલનમાં માનતા હતા અને એવા પાલન માટે અમે બધાને અરજ કરીએ છીએ.’

રિશી કપૂર અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બે વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં તેઓ જ્યારે દિલ્હીમાં એક ફૅમિલી-ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક ‘ઇન્ફેક્શન’ને કારણે તેમણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મુંબઈ પાછા આવ્યા પછી વાઇરલ ફીવરને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને થોડા જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.

રિશી કપૂર રૉમેન્ટિક અભિનયના બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા જ, તેઓ કોઈ પણ પ્રકારનો અભિનય બખૂબી નિભાવી જાણીતા હતા. તેમના જેવા વર્સેટાઇલ ઍક્ટર બૉલીવૂડને ભાગ્યે જ મળ્યા છે. ઘણી પેઢીઓના ફિલ્મપ્રેમીઓના તેઓ મનપસંદ અભિનેતા હતા. સદ્ગત પિતા રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ…’ ગીતમાં તેમણે બાળ કલાકારની ભૂમિકામાં ફિલ્મના પડદે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ૧૦૭૦માં ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં પણ તેમનો અભિનય હતો, પરંતુ ૧૯૭૩માં રાજ કપૂરની જ ‘બૉબી’ ફિલ્મમાંના અભિનય સાથે તેમણે રૉમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ મેળવવાની શરૂઆત કરી હતી.

અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરનાર રિશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રફૂ ચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘લૈલા મજનૂ’, ‘કભી કભી’, ‘કર્ઝ’, ‘યે વાદા રહા’, ‘ચાંદની’, ‘હીના’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ હતો. એ ઉપરાંત, તેમણે ચરિત્ર અભિનેતા તરીકેના અભિનય પણ આપ્યા હતા જેમાં પત્ની નીતુ સાથેની ફિલ્મ ‘દો દૂની ચાર’ તથા ‘અગ્નિપથ’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નો સમાવેશ હતો. અમિતાભ બચ્ચન સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને ‘૧૦૨ નૉટઆઉટ’ તેમની સાથેની આખરી ફિલ્મ હતી.

April 30, 2020
ugc.jpeg
1min19490

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf

April 29, 2020
cbse_logo.jpeg
2min10790

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 28, 2020
corona-1.jpg
1min6450

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.27મી એપ્રિલ 2020ના રોજ કોવીડ-19ના માઇલ્ડ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનમાં રહેવા સંદર્ભે એક સ્પેશિફિક ગાઇડલાઇન જાહેર કરી છે.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની વેબસાઇટ પર પ્રસારિત હોમઆઇસોલેશન અંગેની ગાઇડલાઇન્સ ડાઉનલોડ કરી શકાશે.

https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf

April 24, 2020
coronavirus.jpg
1min5420

સ્વાસ્થ્ય મંત્રાલય પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે   સંપૂર્ણ દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ 21393 કેસ છે. કોરોના સંક્રમણના કારણે 4258 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 681 લોકોના મોત નિપજ્યા છે. અત્યારે કોરોનાના 16, 454 એક્ટિવ કેસ છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં 1409 નવા કેસ સામે આવ્યા છે.

રાહતની વાત એ છે કે  78 જિલ્લામાં ૧૪ દિવસથી કોરોના એક પણ કેસ સામે આવ્યા નથી. આ સિવાય નવ રાજ્યોના 33 જિલ્લામાં પણ કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી. 12 જિલ્લા એવા છે જે 28 દિવસથી કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.

 લોકડાઉનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે,  પંખા અને પુસ્તકોની દુકાનોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટછાટ વધારવામાં આવી છે. આ સિવાય લોટ દળવાની ઘંટી અને પ્રિપેડ રીચાર્જની દુકાનોને પણ છૂટછાટ આપવામાં આવી છે.

સરકારનું કહેવું છે કે લોકડાઉનના કારણે કોરોનાન કેસોમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં આવનારા પડકારો સામે લડવા માટેનો અવસર મળ્યો છે. લોકડાઉનના કારણે કોરોના વાયરસ નબળો પડ્યો છે. સરકારે જણાવ્યું હતું કે કોરોના આંકડાથી હટીને રણનીતિ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જિંદગી બચાવી એ અમારો મૂળ મંત્ર રહયો છે.

April 23, 2020
amarnath-yatra-.jpg
1min5310

કેન્દ્ર સરકારે સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ચાલુ વર્ષે 2020માં હવે અમરનાથ યાત્રા પૂર્વવત રીતે યોજાશે, પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.  

આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. 

આ બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં 77 રેડ ઝોન છે આ કારણસર પવિત્ર અમરનાથ યાત્રા રદ કરી દેવી જોઇએ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ આજ રુટ્ પરથી યાત્રાના અંતિમ પડાવ સુધી દોરી જવાય છે. મહામારીને કારણે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ લગાવવા, મેડિકલ ફેસિલિટીઝ, લંગર અને બરફ હટાવવા જેવા જરુરી કામ અશક્ય છે.  

ઉપરાજ્યપાલે કહ્યુ હતું કે ભારત સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ છે અને આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ નથી. એવામાં પવિત્ર અમરનાથ યાત્રાની મંજૂરી આપવી યોગ્ય નથી, અમારા માટે તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ સ્થાને છે.